Sunday, March 13, 2022

નરસિંહ મહેતા (Narsinh Mehta)

  • ગુજરાતને જેટલો ક્રુષ્ણ વહાલો છે, તેટલો જ તેનો ભક્ત પણ વહાલો છે.

   

નરસિંહ મહેતા (Narsinh Mehta)
    NARSHIH MAHETA 

   એક દિવસ એક બ્રાહ્મણ સવારના વહેલા તેનાં ઘોડા માટે ઘાસ કાપવા જંગલમાં ગયા,  તે માથે ઘાસનો ભારો લઈને સાંજે ઘેર આવ્યા. કકડીને ભૂખને કારણે પગ લંગવાતા હતાં. આકરા તાપમાં માંડમાંડ ઘરે પહોચ્યાં. ઘાસનો ભારો એક બાજુએ મૂકી સીધાં સ્નાન કરવાં ગયા. સ્નાન કરી સીધા રસોડામાં પેઠા ને પાટલો માંડી બેઠા. ઘરમાં બે ભાઈ અને તેમની પત્ની સાથે રહેતાં હતાં, ભાભી ને થોડું ઓછું આવ્યું અને તરત ભાભીએ છણકો કર્યો: ઓ હો ! આમ તો મૂરખ, પણ પેટ ભરવાની કેવી અક્કલ છે ! રૂઆબ તો જાણે આખા ઘરને પોતે ધાન પૂરતા હોય એવો !

   બ્રાહ્મણ સ્વભાવે ભોળો અને વૃતિએ ધાર્મિક હતો. તેમણે ધીમેથી કહ્યું : ભાભી, ધાન તો બધાને ભગવાન પૂરે છે !

   આ સાંભળતાં જ ભાભીનો મિજાજ ગયો. આંખો ગુસ્સેથી લાલ થઈ ગઈ. મનમાં સંગ્રહ કરી રાખેલી જવાળાએ શબ્દોનું રૂપ લીધું. તે બોલી ઊઠી: રાતદિવસ ભગતડાં ભેગા રહીને ભગતડાંની બોલી બોલતાં ઠીક શીખી ગયા છો ! તો જઈને માગો તમારા ભગવાન પાસે ! એ આપશે.

   એ જ આપશે ! કહી બ્રાહ્મણ પાટલા પરથી ઊભા થઈ ગયા. સીધા ઘરમાંથી બહાર નીકળી તેમણે જંગલ તરફ ચાલવા માંડ્યું. તેમના મગજમાં ફરી ફરીને અવાજ સંભળાવા લાગ્યો : એ જ આપશે ! એ જ આપશે !

પણ એ છે ક્યાં?  એને ગોતવો ક્યાં?

ગમે ત્યાં હોય, પણ એને શોધી કાઢ્યા વિના હવે નહિ ચાલે.

   બ્રાહ્મણ ગામ છોડી જંગલમાં પહોંચ્યા. ત્યાં મહાદેવનું એક જીર્ણ મંદિર હતું. કોઈ જ ત્યાં પૂજા કરવા જતું નહોતું. મહેતાજી મહાદેવજી સામે ધરણું કરી બેઠા. બસ, હવે અહીંથી ઊઠવું જ નથી. એક બે કરતાં સાત દિવસ થઈ ગયા. પળેપળ એમના મુખમાંથી, રોમરોમમાંથી એક જ ઉચ્ચાર નીકળ તો હતો. હે શંકર ! હે શંભુ ! દયા કર !

છેવટે ભોળાનાથ પ્રસન્ન થયા. કહે : માગ , માગ , માગે તે આપું !

બ્રાહ્મણે કહ્યું : માગવાનું મનમાં કંઈ રહ્યું જ નથી.

શિવે કહ્યું : તોયે દુર્લભ એવું કંઈ માગ !

ત્યારે બ્રાહ્મણ કહે : તમને જે વલ્લભ હોય, જે દુર્લભ, તે આપો...  

   મહાદેવને થયું કે આ તો મારી પરીક્ષા થઈ ગઈ. હવે તો હું જેને કીમતીમાં કીમતી ગણું છું તેજ મારે એને આપવું જોઈએ!

તેમણે કહ્યું : ચાલ, તને કૃષ્ણનાંદર્શન કરાવું !

   મહાદેવની કૃપાએ બ્રાહ્મણને શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન થયાં. તે રાસલીલામાં એટલા ખોવાઈ ગયા કે તેમના હાથમાં સળગતી મસાલ ક્યારે તેમના હાથને દ્જાડવા લાગી તેનું પણ જ્ઞાત ન રહ્યું, તે બસ આભા બની કૃણાલીલામાં મગ્ન હતાં. જ્યારે ભાન આવ્યું ત્યારે ક્રુષ્ણ સ્વયં તેમની સામે ઊભા હતાં. બ્રાહ્મણ ક્રુષ્ણના પગમાં પડી રુદન કરવાં લાગ્યાં. કૃષ્ણે તેમને બંને હાથે ખભેથી પકડી ઊભા કર્યા અને આલિંગનમાં જકડી લીધાં. એક બાજુ ક્રુષ્ણ હળવું મલક્યા કરે છે જ્યાં બીજે બ્રાહ્મણની આંખોમાંથી અશ્રુઓનો વહાવ અનરાધાર વહ્યાં કરે છે. શ્રી કૃષ્ણએ તેમને છાનાં રાખી એમને પીતામ્બર પહેરાવ્યું અને તેમના માથે મોરપીંછનો મુગટ મૂક્યો.

બ્રાહ્મણ: પ્રભુ, હું તમારા સાનિધ્યમાં રાહેવા માંગુ છું... મને પાવન કરો પ્રભુ,

ક્રુષ્ણ: જ્યારે જ્યારે તું મને પોકારીશ ત્યારે ત્યારે હું હાજર થઈશ.

   ભગવાને વચન આપ્યું, બ્રાહ્મણ તો આભા બની ઘર તરફ ભાગ્યા. તે હાથમાં કરતાલ લઈ ભજન ગાતા ગાતા ઘેર આવ્યા ને સીધા જ ભાભીના પગમાં પડ્યા : ભાભી , તમારી કૃપાથી મને ભગવાનનાં દર્શન થયાં !

   ભાભીતો બ્રાહ્મણનો આ નવો વેશ જોઈ વધારે ખિજાયાં. બ્રાહ્મણ એટલે ભક્ત નરસૈયો, જેને આખી દુનિયા નરસિંહ મહેતાનાં નામ થી ઓળખે છે.   

   નરસિંહ મહેતા આજથી આશરે સાડા પાંચસો વર્ષ પહેલાં, જૂનાગઢ પાસે તળાજા નામે ગામમાં, નાગર બ્રાહ્મણની નાતમાં જન્મ્યા હતાં. એમની પાંચ વર્ષની વયે એમના માતાપિતાનું મરણ થતાં મોટા ભાઈ વણશીધરના આશ્રયે તેઓ ઊછર્યા હતા . નાનપણથી જ નરસિંહ મહેતાનું મન ઈશ્વરભજનમાં અને સાધુસંતોની સેવામાં લાગેલું હતું , તેથી ભણવા ગણવા પર એમનું કંઈ લક્ષ નહોતું. તે વખતના રિવાજ પ્રમાણે નવ વર્ષની ઉંમરે સાત વર્ષની માણેકબાઈ સાથે એમનાં લગ્ન થયાં હતાં. એમ કરતાં નરસિંહ મહેતા પંદર વર્ષના થયા. મોટાભાઈએ એમને ઘોડા સાચવવાનું કામ સોંપ્યું હતું.

   મહેતાજી હવે પત્ની માણેકબાઈ, પુત્રી કુવંરબાઈ અને પુત્ર શામળશાને લઈ જુદા ઘરમાં રહ્યા, ઘરની ચિંતા ભગવાનને માથે નાખી તેઓ તો ભજન કીર્તનમાં જ મસ્ત રહેતા.

   સમય સાથે પુત્ર "શામળ" હવે બાર વર્ષનો હતો. મહેતાજી પોતે નવ વરસે પરણ્યા હતા, તેથી માણેકબાઈએ મહેતાજીને કહ્યુ: ' શામળિયા માટે કન્યાની તપાસમાં રહો !!

   મહેતાજી કહે : જેનું એ કામ છે એ કરશે. તું શું કરવા એવી ચિંતા કરે છે? ’ અને  ખરેખર , થોડા વખતમાં એક નવાઈની વાત બની ગઈ.

   વડનગરના ધનાઢ્ય શેઠ મદન મહેતાએ પોતાની દીકરી માટે એક સુયોગ્ય વરની શોધમાં ગોરને જૂનાગઢ મોકલ્યો. મદન મહેતા કોઈ રાજ્યના દીવાન હતા અને લાખોપતિ હતા. ગોરે જૂનાગઢ આવી ઘણા છોકરા જોયા પણ  એકે પસંદ પડ્યો નહિ ત્યારે નાગરો ચિડાયા. તેમણે એને ઉલ્લુ બનાવવા નરસિંહ મહેતાનું ઘર દેખાડ્યું. મહેતાજી તો બેઠા બેઠા ભજન કરતા હતા. ગોર બાપા ત્યાં પધાર્યા અને શી ખબર શી રીતે ગોરનું મન વસી ગયું. તેમણે શામળની સાથે મદન મહેતાની દીકરીનું વેવિશાળ કરી નાખ્યું. નાગરોના પેટમાં પથ્થરો પડ્યાં. તેમણે મદન મહેતાને ખબર આપ્યા કે નરસૈંયો તો બાવા વૈરાગીઓ ભેગો ફરનારો ભીખમંગો છે !

   મદન મહેતાએ નરસિંહ મહેતાને કાગળ લખ્યો કે અમારા ઘરને શોભે એવી જાન લઈને આવજો, નહિ તો વરને લીલા તોરણે પાછો કાઢશું ! નરસિંહ મહેતાએ કોના બળદ અને કોકની વહેલ માંગી  આણી જાન જોડી. જાનમાં બાવાવેરાગીઓ, ને સામાનમાં તુલસીની માળાઓ, તાલ ને કરતાલ ! જૂનાગઢથી નીકળેલી આ જાન જ્યારે વડનગર પહોંચી ત્યારે એમાં એટલા હાથીઘોડાને લાવલશ્કરની શોભા હતી કે મદન મહેતા ગભરાઈ ગયા કે આને હું કેમ પહોંચી વળીશ ? તેમણે મહેતાજીને પગે પડી પ્રાર્થના કરી : વૈવાઈજી , અમારી લાજ રહે એમ કરજો ! મહેતાજીતો ભજન ગાવા લાગ્યાં.

   તેમની દીકરીના લગ્નમાં પણ આવો જ ચમત્કાર થયો હતો. એક બાજુ ઘરના ખાલી વાસણો અને બીજી બાજુ દીકરીનું મામેરું. પોકી વળતો કઈ રીતે... માણેકભાઈ મહેતાજીની સામે રુદન કરવાં લાગ્યાં.

   મહેતાજીતો મસ્ત હાથમાં કડતાલ લઈને ભજન કરતાં કરતાં બહાર નીકળી ગયા અને બોલ્યા મારો નાથ બેઠો છે મારે વળી શેની  ચિંતા ?

Narshih maheta image


    તેમની દીકરી કુંવરબાઈનું મામેરું કરવા ભગવાન પોતે લક્ષ્મીજીને લઈને પધાર્યા હતા! દ્વારકા જતા યાત્રીઓનાં નાણાં લઈ મહેતાજીએ એમને હૂંડી લખી આપી હતી તે ભગવાને પોતે દ્વારકામાં મહેતાજીના વાણોતર બની સ્વીકારી હતી !

   એક વાર ભાદરવા મહિનામાં નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ આવ્યું. નરસિંહ મહેતા પાંચ બ્રાહ્મણોને જમવાનું કહેવા ગયા, પણ નાતવાળા કહે : ભગત, કોક દહાડો તો અમને તમારા ઘરનો પ્રસાદ જમાડો !

   પ્રસાદની કેમ ના કહેવાય ? મહેતાજીએ સમસ્ત નાતને જમવાનું નોતરું દઈ દીધું. શ્રાદ્ધને દિવસે માણેકબાઈએ મહેતાજીના હાથમાં નાનકડી તપેલી પકડાવી દઈ કહ્યું :  ઘી લઈ આવો!! 

   મહેતાજીથી ઘી લેવા ગયા, તો ઘીવાળાએ કહ્યું : મહેતા , એકાદ ભજન તો સંભળાવો !

   બસ, થઈ ચૂક્યું. મહેતાજી ભજન ગાવા બેઠા, ને ઘીની વાત ભૂલી ગયા. ભજન પર ભજન ચાલ્યા કરે.

   બીજી તરફથી ખબર શું ખબર ક્યાંથી મહેતાના પર આગળ સીધું સામાન અને ગાડાં આવી ઊભા રહ્યાં. માણેકબાઈ આભાં બની જોઈ રહ્યાં. હજારો માણસોની રસોઈ બની અને આખી નાત મનભાવતા પકવાન જમીને ખુશ થઈ ગઈ. જે લોકો તમાસા જોવા આવ્યાં હતાં તે મોઢામાં હાથ નાખતા થઈ ગયા.

   સાંજે ભજન પૂરાં થયાં ત્યારે મહેતાજી તપેલીમાં ઘી લઈને ઘેર આવ્યા. આવીને જુએ તો આખો પ્રસંગ પૂરો થઈ ગયો હતો !

મહેતાજીના જીવનમાં આવા તો અનેક ચમત્કારો જોવા મળે છે.

   થોડા વખત પછી માણેકબાઈનું મરણ થયું. મહેતાજી કહે : જેવી ભગવાનની મરજી!

   ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ !

    રોજ સવારે મહેતાજી ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા દામોદર કુંડમાં સ્નાન કરવા જતા. એક દિવસ આવી રીતે સ્નાન કરીને તેઓ ભજન ગાતા ગાતા આવતા હતા, ત્યાં રસ્તામાં કેટલાક માણસો હાથ જોડી એમની સામે આવી ઊભા ને કહે : ભગતજી , એકવાર અમારે ત્યાં ભજન કરવા પધારો !

મહેતાજીએ કહ્યું : આજે જ !

પેલાઓ કહે : બાપજી , અમે અસ્પૃશ્ય છીએ !

મહેતાજીએ કહ્યું : તમે હરિના ભગત છો. હરિજન છો ! વૈષ્ણવ છો !

 હરિજનોએ આખા વાસનાં આંગણાં સાફ કરી ગોમુત્ર અને છાણથી લીંપ્યાં, તુલસીક્યારે દીવા કર્યા, ધૂપ કર્યો .

 મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ,

 ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ !

   તે જમાનામાં હરિજનોને કોઈ અડકતું પણ નહિ, તેમનાં ઘર પણ ગામથી દૂર અને ત્યાં કોઈ જાય નહિ, પણ મહેતાજી ગયા ને આખી રાત હરિજનો ભેગા બેસી ભજન કરી આવ્યા. તેથી આખા ગામમાં હો હો  થઈ ગઈ. ચોરે ને ચૌટે વાતો થવા લાગી હાય હાય ! નાગરનો દીકરો થઈને આ નરસૈંયો ઢેડવાડામાં જઈને નાચ્યો !

નાગરોની નાતે નરસિંહ મહેતાનો જવાબ માગ્યો.

તેમણે કહ્યું : તું ભ્રષ્ટ થઈ ગયો.

   મહેતાજીએ કહ્યું : ' મને ભષ્ટ કહો , ભૂંડો કહો, ભૂંડાથી ય ભૂંડો કહો, તમને જે ગમે તે કહો, હું એવો જ છું. મને માત્ર વૈષ્ણવો વહાલા છે પછી તે બ્રાહ્મણ હોય કે ભંગી હોય !

    હળવાં કર્મનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વાલા રે,

    હરિજનથી જે અંતર ગણશે, એના ફોગટ ફેરા ઠાલા રે |

    નાગરોએ હવે જૂનાગઢના રાજા રા'માંડલિકને ફરિયાદ કરી : ' નરસૈંયો ઢોંગ ધતૂરા કરી લોકોને અવળે રસ્તે ચડાવે છે , એને સજા કરો ! રાજાએ નરસિંહ મહેતાને એક કોટડીમાં પૂરી દીધા ને કહ્યું  ભગવાનની મૂર્તિની ડોમાં પહેરાવેલો હાર સવાર પહેલાં તારી ડોકમાં આવી પડે તો હું જાણું કે તું સાચો ભગત ! નહિ તો ઢોંગી !

   કોટડીમાં મહેતાજીએ ભજન આદર્યાં આખી રાત ભજન ચાલ્યાં. સવાર થતો ચમત્કાર થયો . મંદિરનાં બારણાંને અને જેલની કોટડીને વાસેલાં તાળાં તડાક કરતાં તૂટી ગયાં, લોઢાની ભોગળો ભાંગી પડી ને બારણાં ઊઘડી ગયાં ! લોકો આભા બની જોઈ રહ્યા. ભગવાનની મૂર્તિની ડોકમાંથી હાર નીકળીને મહેતાજીની ડોકમાં જઈ પડ્યો !          

   કહે છે કે આ બનાવ સંવત ૧૫૧૨ ( સને ૧૪૫૫ ) માં બનેલો. મહેતાજીની ભક્તિની આ પરચો જોઈ રાજા પસ્તાયો. એણે ભક્તની માફી માગી, પણ મહેતાજી તો જાણે કંઈ બન્યું નથી એમ ભજન ગાતા ગાતા ઘેર ગયા.

    આ બનાવ પછી થોડા વખતમાં મહેતાજીએ જૂનાગઢ છોડ્યું અને દે પણ છોડયો. નરસિંહ મહેતા આપણી ગુજરાતી ભાષાના આદિ કવિ છે. તેમણે અસંખ્ય ભજનો લખ્યો છે, તેમાંનાં ઘણાં પ્રભાતિયાં નામે ઓળખાય છે. આજે પણ ઘણા લોકો સવારના પહોરમાં આંખ ઊઘડે કે મહેતાજીનાં પ્રભાતિયાં ગાતા હોય છે. (source­-પુસ્તક સંતસાગર)

    ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતાં એવોર્ડ આપવામાં આવે છે જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

                                                                                                                    જૈમીન જોષી.

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...