Jayvad-Jaimeen Joshi blog
Feelings & Emotions can make your Personality. WORK IN JOURNALISM.
Monday, May 18, 2026
પત્ની અને પ્રેમિકા વચ્ચે ખાતો હીરો : મુખ્યમંત્રી (Hero eating between wife and girlfriend: Chief Minister)
“શ્રીકૃષ્ણ માત્ર ભગવાન નહીં, પણ શ્રેષ્ઠ માનસશાસ્ત્રી પણ હતા... ("Shri Krishna was not only God, but also the best psychologist)
“શ્રીકૃષ્ણ કેમ માત્ર ભગવાન નહીં, પણ શ્રેષ્ઠ માનસશાસ્ત્રી પણ હતા...
માનવજાતના ઇતિહાસમાં અનેક મહાન વ્યક્તિઓ આવી ગઈ, જેમણે ધર્મ શીખવ્યો, યુદ્ધ જીત્યાં, રાજ્યો સંભાળ્યાં કે ચમત્કારો કર્યા. પરંતુ કૃષ્ણ તેવું અસાધારણ વ્યક્તિત્વ છે, જેને જેટલા લોકો ભગવાન તરીકે માને છે, એટલા જ લોકો આજે તેમને જીવનને સમજતા એક ઊંડા મનોચિકિત્સક તરીકે પણ અનુભવે છે. કારણ કે શ્રીકૃષ્ણ માત્ર પૂજવા માટેના દેવ નહોતા; તેઓ માનવ મનને વાંચવાની, સમજવાની અને યોગ્ય સમયે યોગ્ય રીતે દિશા આપવાની અદ્ભુત કળા ધરાવતા હતા. કદાચ એ કારણ છે કે હજારો વર્ષ પછી પણ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી લાગતી, પણ જીવનના ગૂંચવાયેલા મન માટેની થેરાપી જેવી લાગે છે.
માનવજાત જ્યારે પોતાના અસ્તિત્વને સમજવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે બે પ્રશ્નો સામે હંમેશા ઉભા રહે છે “હું કોણ છું?” અને “મારું મન મને શાંતિથી જીવવા કેમ નથી દેતું?” ભગવાન શિવ એ પણ હનુમાનજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો, તું કોણ છે. સામાન્ય માણસની જેમ તેમને પણ તેમનું નામ, પિતાનું નામ, માતાનું નામ, કે વાનર જેવા ઉત્તરો આપ્યા પણ શિવજી એ એજ પ્રશ્ન ફરી કર્યો. હું તમારું નામ, વંશ કે જાતિ વિશે નથી પૂછતો, હું તમે કોણ છો એમ પુછુ છું. શિવજીના આ સવાલ પછી હનુમાનજી તેમના ચરણોમાં પડી ગયા અને ભીની આંખે કહ્યું હું અજ્ઞાની છું મને કઈ જ જ્ઞાત નથી. શિવજીના અગિયારમાં રુદ્ર અવતાર હોવા અને રામજીના પરમ ભક્ત જેમણે પરમ જ્ઞાનીઓ સાથે સહવાસ કરવા છતાં જો પરમ અજ્ઞાનને સ્વીકારતા હોય તો તમે અને હું ક્યાં આવીએ? હજારો વર્ષોથી ફિલોસોફર, ઋષિ, સંતો અને વૈજ્ઞાનિકો આ પ્રશ્નોના જવાબ શોધતા આવ્યા છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ પ્રશ્નોના સૌથી જીવંત અને વ્યવહારિક જવાબ કદાચ કૃષ્ણએ આપ્યા હતા. લોકો તેમને ભગવાન તરીકે પૂજે છે, ચમત્કારોના કેન્દ્ર તરીકે જુએ છે, ભક્તિનું પ્રતિક માને છે; પરંતુ જો તેમની આખી જીવનયાત્રાને શાંતિથી સમજવામાં આવે તો એક અદ્ભુત સત્ય સામે આવે છે. શ્રીકૃષ્ણ માત્ર ધર્મના ઉપદેશક નહોતા, તે માનવ મનના અસાધારણ જાણકાર હતા. તેઓ એવા માનસશાસ્ત્રી હતા, જેમણે માણસના મનની સૌથી ગૂંચવાયેલી ગતિઓને હજારો વર્ષ પહેલાં જ સમજી લીધી હતી.
શ્રીકૃષ્ણનું સમગ્ર જીવન જોવામાં આવે તો તેઓ ક્યાંય માણસને સંસારિક જીવને ત્યજવાનું શીખવતા નથી. તેઓ સંન્યાસને અંતિમ માર્ગ નથી કહેતા. તેઓ જીવનની વચ્ચે રહીને મનને સ્થિર રાખવાની વાત કરે છે. આ વિચાર આજના આધુનિક સાઈકોલોજી (Psychology) નો મૂળ સિદ્ધાંત છે, કારણ કે આજે પણ માનસશાસ્ત્ર એ જ કહે છે કે સમસ્યાઓથી ભાગવાથી મન શાંત થતું નથી; મનને સમજવાથી શાંતિ મળે છે. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધ છોડીને જંગલમાં જવા નથી કહેતા. તેઓ તેને પોતાના મનના ભય સામે ઊભા રહેવાનું શીખવે છે.
કુરુક્ષેત્રનું યુદ્ધ બહારથી માત્ર બે પક્ષો વચ્ચેનો સંઘર્ષ લાગતો હતો, પરંતુ અંદરથી પ્રત્યેક માણસના મનમાં ચાલી રહેલું યુદ્ધ હતું. અર્જુનના હાથ કંપી રહ્યા હતા. આંખોમાં આંસુ હતા. શરીર નબળું પડી ગયું હતું. તેણે કહ્યું કે “હું નથી લડી શકતો.” ધ્યાનથી જોવામાં આવે તો આ શબ્દો એક યોદ્ધાના નહોતા; આ શબ્દો એવા માણસના હતા જે અંદરથી તૂટી ગયો હતો. આજે જે સ્થિતિને પેનિક અટેક (Panic Attack), ઈમોશનલ કોલપ્સ (Emotional Collapse) અથવા સર્વાયર એન્ઝાયટી (Severe Anxiety) કહેવાય છે, એ જ સ્થિતિમાં અર્જુન હતો.
હવે અહીં સૌથી મહત્વની વાત શરૂ થાય છે. શ્રીકૃષ્ણે શું કર્યું?
તેમેણે અર્જુનને અસક્ત, નબળો કે કમજોર કહીને અપમાનિત નથી કર્યો. “પુરુષ બની જા”, “રડતો નહીં” કે “આ બધું નાટક છે” તને આવો નતો જાણ્યો, આવું કંઈ કહ્યું નહોતું. કારણ કે તેઓ જાણતા હતા કે તૂટી ગયેલા મનને દબાણથી નહીં, સમજણથી સંભાળી શકાય. એક ઉત્તમ માનસશાસ્ત્રી જે રીતે પહેલા દર્દીના મનને સાંભળે છે, એ જ રીતે શ્રીકૃષ્ણે પહેલા અર્જુનને સંપૂર્ણ બોલવા દીધો. તેમણે તેની અંદરના ભયને બહાર આવવા દીધો. કારણ કે દબાયેલું મન વધુ ખતરનાક બની જાય છે.
આજના સમયમાં પણ લોકો સૌથી વધારે એ કારણે તૂટી જાય છે કારણ કે તેમને સાંભળનાર કોઈ નથી મળતું. દુનિયા સલાહ આપે છે, ન્યાય કરે છે, તુલના કરે છે; પરંતુ મનને સમજવાનો પ્રયત્ન બહુ ઓછા લોકો કરે છે. શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપતા પહેલાં તેની અંદરની ગૂંચવણને સ્વીકારી. આ એક ખૂબ ઊંડો માનસિક સિદ્ધાંત છે. “સ્વીકાર.” જ્યા સુધી માણસ પોતાની અંદરની નબળાઈને સ્વીકારતો નથી, ત્યાં સુધી તે ક્યારેય સાજો થઈ શકતો નથી.
ગીતામાં શ્રીકૃષ્ણ વારંવાર મન વિશે વાત કરે છે. તેઓ કહે છે કે મન જ માણસનો મિત્ર પણ છે અને મન જ સૌથી મોટો શત્રુ પણ છે. આજના ન્યુરોસાયન્સ (Neuroscience) અને સાઈકોલોજી (Psychology) પણ એ જ કહે છે કે બહારની ઘટનાઓ કરતાં માણસના પોતાના વિચારો તેને વધારે દુઃખ આપે છે. બે લોકો એકસરખી પરિસ્થિતિમાંથી પસાર થાય, છતાં એક તૂટી જાય અને બીજો મજબૂત બની બહાર આવે કારણ કે તફાવત પરિસ્થિતિમાં નહીં, મનની રચનામાં હોય છે.
શ્રીકૃષ્ણની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ માણસના વર્તનની પાછળ છુપાયેલી લાગણીઓને સમજી શકતા હતા. ઉદાહરણ તરીકે, દુર્યોધનને જુઓ. સામાન્ય રીતે લોકો તેને માત્ર ખલનાયક તરીકે જુએ છે, પરંતુ શ્રીકૃષ્ણ જાણતા હતા કે દુર્યોધનનો અહંકાર તેના અંદરના અસુરક્ષાભાવમાંથી જન્મ્યો હતો. જે માણસ અંદરથી ડરેલો હોય છે, તે બહારથી વધારે શક્તિશાળી દેખાવાનો પ્રયત્ન કરે છે. આ માનસિક સત્ય આજે પણ સાચું છે. ઘણા લોકો ગુસ્સાવાળા લાગે છે, પરંતુ અંદરથી તેઓ તૂટી ગયેલા હોય છે. ઘણા લોકો અહંકારી લાગે છે, પરંતુ અંદરથી તેમને સ્વીકારની ભૂખ હોય છે. ઘણા લોકો બોલબોલ કરે છે કેમ કે અંદરથી તે પોતાની હાજરી બતાવવા માંગે છે.
શ્રીકૃષ્ણ માણસને તેની લાગણીઓ દબાવવાનું નથી કહેતા; તેઓ લાગણીઓના ગુલામ ન બનવાનું શીખવે છે. આ બંને વચ્ચે ખૂબ મોટો ફરક છે. આજના ઘણા લોકો આધ્યાત્મને ખોટી રીતે સમજે છે. તેઓ માને છે કે આધ્યાત્મ એટલે દુનિયાથી દૂર ભાગવું, લાગણીઓ છોડવી અથવા હંમેશા ગંભીર રહેવું. પૂજા, વ્રત અને ઉપવાસ કરવા. રુદ્રાક્ષ કે ધાગા પહેરવા પરંતુ શ્રીકૃષ્ણનું જીવન તો સંપૂર્ણ વિરુદ્ધ હતું. તેઓ હસતા પણ હતા, રમતા પણ હતા, પ્રેમ પણ કરતા હતા, રાજનીતિ પણ કરતા હતા, યુદ્ધ પણ સંભાળતા હતા. તેઓ જીવનના દરેક રંગમાં જીવ્યા છતાં અંદરથી સ્થિર રહ્યા. આ જ સાચું આધ્યાત્મ છે.
એક ખૂબ ઊંડો પ્રશ્ન છે, શ્રીકૃષ્ણે ગીતા યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ કેમ કહી?
કારણ કે તેઓ જાણતા હતા કે ગુંચવાયેલું મન સાચાં નિર્ણય નથી લઇ શકતું. જો મન ભય, ગુસ્સો અથવા મોહમાં બંધાઈ જાય તો બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે. આજે પણ Psychology કહે છે કે માણસ જ્યારે અત્યંત ભાવનાત્મક સ્થિતિમાં હોય ત્યારે તેનો Decision Making ભાગ કમજોર થઈ જાય છે. એટલે જ ગુસ્સામાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા નીકળે છે.
શ્રીકૃષ્ણ અર્જુનને માત્ર યુદ્ધ જીતાડવા માંગતા નહોતા; તેઓ તેને પોતાના મન પર વિજય મેળવવાનું શીખવતા હતા. કારણ કે બહારનું દરેક યુદ્ધ પહેલા અંદર જીતવું પડે છે. રણ ભૂમિના યુદ્ધ પહેલા મન ભૂમિમાં યુદ્ધ રમાય છે. આજના સમયમાં Depression, Anxiety, Overthinking, Loneliness જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. લોકો પાસે પૈસા છે, ટેક્નોલોજી છે, સુવિધાઓ છે; છતાં મન શાંત નથી. કારણ કે માણસે બહારની દુનિયા જીતવાની દોડમાં પોતાના મન સાથેનો સંબંધ ગુમાવી દીધો છે. શ્રીકૃષ્ણનું સમગ્ર જ્ઞાન માણસને પાછું પોતાની અંદર લાવવાનું કામ કરે છે.
ગોવિંદ વારંવાર એક વાત સમજાવે છે. “આસક્તિ દુઃખનું મૂળ છે.” તેનો અર્થ પ્રેમ છોડવો નથી. તેનો અર્થ એ છે કે જ્યારે માણસ પોતાની ખુશીને કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા પરિણામ સાથે બાંધી દે છે, ત્યારે ભય શરૂ થાય છે. ગુમાવવાનો ભય. નિષ્ફળ થવાનો ભય. એકલતા નો ભય. અને ભયથી ભરાયેલું મન ક્યારેય શાંતિ અનુભવી શકતું નથી.
જ્યારે શ્રીકૃષ્ણ કહે છે કે “કર્મ કર, ફળની ચિંતા ન કર,” ત્યારે ઘણા લોકો તેને માત્ર ધાર્મિક વાક્ય માને છે. પરંતુ તે એક અત્યંત ઊંડો માનસિક સિદ્ધાંત છે. કારણ કે માણસનું મોટાભાગનું દુઃખ પરિણામને નિયંત્રિત કરવાની ઈચ્છામાંથી જન્મે છે. વિદ્યાર્થી ભણવા કરતાં વધુ પરિણામથી ડરે છે. માણસ પ્રેમ કરતાં પહેલા ગુમાવવાથી ડરે છે. વેપારી કામ કરતાં પહેલા નિષ્ફળતાથી ડરે છે. લગ્ન કરતા પહેલા જવાબદારીથી દરે છે. એટલે મન હંમેશા ભવિષ્યમાં જીવવા લાગે છે. શ્રીકૃષ્ણ માણસને વર્તમાનમાં પાછો લાવે છે.
શ્રીકૃષ્ણની સૌથી અદ્ભુત વાત કદાચ એ હતી કે તેઓ માણસને બદલવાનો પ્રયત્ન કરતા નહોતા; તેઓ માણસને પોતાને ઓળખવામાં મદદ કરતા હતા. કારણ કે સાચું પરિવર્તન બહારથી લાદી શકાય નહીં. તેને અંદરથી જન્મવું પડે.
કદાચ એ કારણ છે કે હજારો વર્ષ પછી પણ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ બનીને રહી નથી. દુનિયાભરના મનોચિકિત્સકો, વિચારકો અને આધ્યાત્મિક ગુરુઓ આજે પણ તેમાં માનવ મનની અસાધારણ સમજણ જુએ છે. શ્રીકૃષ્ણ ચમત્કારો માટે મહાન નથી લાગતા; તેઓ એ માટે મહાન લાગે છે કે તેમણે માણસને પોતાના મનના અંધકારમાં પ્રકાશ શોધવો શીખવ્યો અને કદાચ એ જ કારણ છે કે જ્યારે માણસ સંપૂર્ણ એકલો પડી જાય, અંદરથી તૂટી જાય, જીવનનો અર્થ ગુમાવી દે ત્યારે પણ ગીતા વાંચતા ક્યાંક એવું લાગે છે કે કોઈ શાંતિથી બાજુમાં બેસીને કહી રહ્યું છે:
“તું તૂટ્યો નથી… તું ફક્ત પોતાને ભૂલી ગયો છે.”
ગીતા આજે પણ એટલી જ જીવંત લાગે છે કારણ કે તે ધર્મ પહેલાં મનને સમજાવે છે અને કદાચ એ જ કારણ છે કે શ્રીકૃષ્ણ માત્ર ભગવાન નહોતા, તેઓ માનવ મનના સૌથી મહાન માનસશાસ્ત્રી હતા.
લેખક: જૈમિન જોષી.
Sunday, May 10, 2026
“મા: અંતિમ શ્વાસ સુધી સંતાન માટે લડતું હૃદય | મધર્સ ડે વિશેષ ભાવનાત્મક સત્ય ઘટના” (“Mother: A heart that fights for its child till its last breath | Mother's Day Special Emotional True Story”)
“મા હોય ત્યાં સુધી જ ઘર, ઘર લાગે છે…”
મા વગર જીવન અધૂરું કેમ લાગે છે?
માતાનો પ્રેમ કેમ ભગવાન સમાન છે?
પરિવારમાં સંબંધો કેમ તૂટે છે? એક સત્ય ઘટના જે દિલ હલાવી દેશે..
ખુબ સાંભળેલું અને વાઇરલ થયેલું વાક્ય કે, દુનિયામાં ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નહોતા, તેથી કદાચ તેમણે “મા” બનાવી.
મા…
આ એક એવો શબ્દ છે, જે બોલતા જ હૃદયમાં અજાણી શાંતિ ઉતરી આવે છે. દુનિયામાં કદાચ દરેક સંબંધ કોઈને કોઈ શરત પર ટકેલો હોય, પરંતુ માતાનો પ્રેમએ એકમાત્ર એવો પ્રેમ છે, જે નિશ્વાર્થ, પવિત્ર, પ્રમાણિક, નિઃશબ્દ અને અખૂટ હોય છે.
મધર્સ ડે આવે એટલે સોશિયલ મીડિયા પર ફોટા, સ્ટેટસ અને શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ જાય છે. પરંતુ શું મા માટે એક દિવસ પૂરતો પ્રેમ કે સન્માન બતાવવું યોગ્ય છે? જો માતા પોતાનું આખું જીવન સંતાન માટે જીવે અને તેમાં એ વળતરમાં દેખાડાની લાગણી મળે તો તે લાગણીને ઉકરડામાં નાખી દેવી જોઈએ. માં પોતાના સપનાઓને અધૂરા રાખીને પોતાના સંતાનના સપનાઓને પૂરાં કરવા માટે લડે છે, ત્યાગ કરે છે અને સૌથી મોટું તે સહન કરે છે. માં થી વધુ સહનશીલ દુનિયામાં કોઈ નથી. એક સ્ત્રી પોતાના સન્માન માટે કોઈનું ખોટું સહન નથી કરતી અને જો કોઈ એક તરફી જડતા પૂર્વક વિચારને વળગી રહે તો તેને કોઈ બંધન રોકી શકતું નથી પણ જ્યાં સંતાનની વાત આવે ત્યાં તેના ઉછેર ગણતર અને જીવન માટે સ્ત્રી કડવા ઘુટડા રોજ પી જતી હોય છે.
મને એક બહુ ચર્ચિત એક સત્ય ઘટના યાદ આવે છે. એક સામાન્ય ગરીબ પરિવારની મા રોજ સવારે ચાર વાગ્યે ઊઠતી. ઘરમાં બધાં સૂતા હોય ત્યારે તે ધીમા પગલે કોઈને ખલેલ ન પહોંચે તે રીતે રસોડામાં કામ શરૂ કરતી. સંતાનને સારી સ્કૂલમાં ભણાવી શકે એ માટે તે બીજા લોકોના ઘરે વાસણ ધોવાનું કામ પણ કરતી. દીકરો મોટો થયો, સફળ બન્યો, શહેરમાં મોટી નોકરી મળી ગઈ. એક દિવસ કોઈએ એને પૂછ્યું, “તમારી સફળતાનું રહસ્ય શું છે?”
એણે થોડું મૌન રાખીને કહ્યું,
“મારી મા… કારણ કે હું થાકી જાઉં ત્યારે મને આરામ મળતો, પણ મારી મા ક્યારેય થાકવાની પરવાનગી જ પોતાને આપતી નહોતી.”
ખરેખર, માતા ક્યારેય પોતાના દુઃખનો હિસાબ રાખતી નથી. બાળકને તાવ આવે તો આખી રાત જાગી જાય, પરંતુ પોતે બીમાર હોય તો પણ ઘરનું કામ બંધ ન કરે. સંતાનના ચહેરા પરનું સ્મિત જ તેની સૌથી મોટી કમાણી હોય છે.
આજના સમયમાં આપણે બધા ખૂબ વ્યસ્ત થઈ ગયા છીએ. કામ, મોબાઇલ અને જવાબદારીઓ વચ્ચે ઘણી વાર મા સાથે બે મિનિટ બેસીને વાત કરવાનું પણ રહી જાય છે, પરંતુ જરા વિચાર કરો કે ઘરમાં માની બંગડી કે તેના ચાલતા પગલાંનો એહસાસ ન થાય તો શું એ ઘરમાં આપણું મન લાગશે ? શું થશે જે દિવસે પોતાનું કહેવાવાળું, નિશ્વાર્થ લાગણી ધરાવતું આપણું કોઈ નહિ હોય... યાદ રાખજો એક દિવસ એવો આવશે જ્યારે એ અવાજ સાંભળવા માટે હૃદય દ્રવી ઉઠશે.
કારણ કે “મા” માત્ર વ્યક્તિ નથી, એ ઘરનું ધબકતું હૃદય છે.
મધર્સ ડેના દિવસે મોંઘી ભેટ આપવી જરૂરી નથી. ક્યારેક માત્ર એટલું કહી દેવું —
“મા, તમે છો એટલે મારું જીવન સુંદર છે…”એ જ તેમના માટે દુનિયાનું સૌથી મોટું ગિફ્ટ બની જાય છે.
સાચું કહીએ તો,માતાનો પ્રેમ ક્યારેય શબ્દોમાં પૂર્ણ રીતે લખી શકાય એવો નથી… માત્ર અનુભવી શકાય એવો છે.
મને આજના દિવસે આદિ કવિ ઝવેરચંદ મેઘાણી યાદ આવે. તેમને “મા” વિશે ખૂબ જ લાગણીસભર શબ્દોમાં લખ્યું છે. તેમની રચનાઓમાં માતાનો પ્રેમ, ત્યાગ અને મમતા વારંવાર ઝળહળી ઊઠે છે. તેમની એક ખૂબ જાણીતી પંક્તિ છે:
“જનનીની જોડ સખી નહિ જડે રે લોલ…”
મેઘાણી સાહેબ માતાને માત્ર જન્મ આપનાર સ્ત્રી તરીકે નથી જોતા, પરંતુ જીવનની પ્રથમ શાળા, પ્રથમ શિક્ષક અને પ્રથમ આશ્રય તરીકે રજૂ કરે છે. તેમની લોકસાહિત્યની રચનાઓમાં ગામડીયું જીવન અને માતૃત્વની સુગંધ સ્પષ્ટ અનુભવાય છે.જે આજે પણ દરેક ગુજરાતીના માનસપટ પર છવાયેલી રહે છે. મધર્સ ડે માટે મેઘાણીની આ ભાવના ખૂબ યોગ્ય લાગે છે —
માતા એ એવી છાંય છે, જ્યાં સંતાનને આખી દુનિયાનો થાક ઉતરી જાય છે.
હાલમાં સમાચારોમાં એક એવી કરુણ ઘટના જોઈ, જેણે આખા દેશનું હૃદય ભીનું કરી દીધું.મધ્યપ્રદેશના જબલપુર પાસે બર્ગીડેમમાં એક બોટ દુર્ઘટનામાં અનેક લોકો પાણીમાં સમાઈ ગયા. તેમનું જીવન એકદમ અંધકારમય બની ગયું, પરંતુ એ ઘટનામાં એક દ્રશ્ય એવું હતું, જે માત્ર સમાચાર નહોતું… તે “માતૃત્વ”નું જીવતું સત્ય સ્વરૂપ હતું.જ્યારે બચાવ ટીમ પાણીની અંદર શોધખોળ કરી રહી હતી, ત્યારે તેમને એક માતા અને તેના નાનકડા દીકરાનો મૃતદેહ મળ્યો,પણ સૌથી વધુ હચમચાવી નાખનાર વાત એ હતી કે મૃત્યુ પછી પણ એ માતાએ પોતાના બાળકને છાતી સાથે ભીંજવેલી હાલતમાં છાતીમાં જકડેલો રાખ્યો હતો. પાણીની ઊંડાઈ અને ભયની અંદર પણ માતાનો હાથ પોતાના સંતાન પરથી છૂટ્યો નહોતો.જાણે કે અંતિમ ક્ષણે પણ તે મૃત્યુ સામે લડી રહી હોય અને કહી રહી હોય “મારા બાળકને કંઈ નહિ થવા દઉં…” એ અપેક્ષા સાથે કે ભલે મારું જીવન પૂર્ણ થાય મારા પરિવારનું અસ્તિત્વ ન રહે પણ મારા બાળકને એક આંચ પણ ના આવવી જોઈએ.
આ દૃશ્ય જોઈને બચાવ કર્મીઓ પણ રડી પડ્યા હતા. કારણ કે ત્યાં માત્ર બે મૃતદેહ નહોતા… ત્યાં એક માતાનો અનંત પ્રેમ પડ્યો હતો.જે દુનિયાએ જોયો.
મને ક્યારેક વિચાર આવે કે મૃત્યુ જ્યાં બધું છીનવી લે છે, ત્યાં પણ માતાનો પ્રેમ જીવતો કેવી રીતે રહી જાય છે? કદાચ એ માટે જ કહેવાય છે કે,
“માતા શરીરથી દૂર થઈ શકે, પરંતુ તેના પ્રેમનું અસ્તિત્વ ક્યારેય મરતું નથી.”
આ ઘટના આપણને માત્ર દુઃખ નથી આપતી, પણ એક મોટો સંદેશ પણ આપે છે, માતાનો પ્રેમ શબ્દોમાં સમજાવી શકાય તેવો નથી. તે તો તેના જીવનના અંતિમ શ્વાસ સુધી સંતાન માટે ધબકતું હૃદય છે.
આજે જ્યારે આપણે મધર્સ ડે ઉજવીએ છીએ, ત્યારે એ અજાણી માતાને પણ નમન કરવું જોઈએ જેને પૃથ્વી ઉપર માણસને જીવતું રાખ્યું, પ્રેમને જીવંત રાખ્યું અને પ્રમાણિકતાને ટકાવી રાખ્યું.
અંતે કવિ દલપતરામ ની સુંદર પંક્તિ સાથે—
“મા તે મા, બીજા બધા વગડાના વા…”
કવિ કહે છે કે દુનિયાના બધા સંબંધો પોતાની જગ્યાએ છે, પરંતુ માતાનો સંબંધ સૌથી અનમોલ અને અદ્વિતીય છે.
કોલમ: જયવાદ
લેખક: જૈમિન જોષી.
Thursday, May 7, 2026
“વૃદ્ધાવસ્થા : અંત નહીં, જીવનને પૂર્ણ કરવાની નવી યાત્રા” (““Old age: not the end, but a new journey full of life”)
“ઉંમર શરીરની થાય છે, સપનાઓની નહીં”
Wednesday, May 6, 2026
ઉત્તર પ્રદેશના “ઓપરેશનથી ઓર્ડર સુધીની કહાની- Ajay Pal Sharma (The story of Uttar Pradesh's "From Operation to Order" - Ajay Pal Sharma)
“કાયદાનો ડર કે ન્યાયનો માર્ગ? એક અધિકારીની દ્વિધા”
Tuesday, May 5, 2026
“મમતા થી મોદી સુધી: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનની અંદરની કહાની” (“From Mamata to Modi: The Inside Story of the Power Shift in West Bengal”)
“દીદી vs દિલ્હી: બંગાળની સત્તા માટેનો સૌથી મોટો રાજકીય યુદ્ધ”
Monday, May 4, 2026
વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કારની સાચી પરિભાષા શું હોય? (What is the correct definition of personality development and culture?)
વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર માનવ જીવનના એવા બે આધારસ્તંભ છે, જે વ્યક્તિને માત્ર સફળ જ નહીં પરંતુ અર્થપૂર્ણ અને સન્માનિત જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. આજે આધુનિક યુગમાં વ્યક્તિત્વ વિકાસનો અર્થ ઘણીવાર બહારની ચમક-ધમક, બોલવાની સ્ટાઇલ, આત્મવિશ્વાસભર્યો અંદાજ કે આધુનિક જીવનશૈલી સુધી સીમિત કરી દેવામાં આવ્યો છે, જ્યારે સંસ્કારને ઘણીવાર જૂના સમયની વાત માનીને અવગણવામાં આવે છે. પરંતુ જો આ બંને વિષયને ઊંડાણથી સમજવામાં આવે, તો સ્પષ્ટ થાય છે કે વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર એકબીજા વગર અધૂરા છે. સાચું વ્યક્તિત્વ એ છે, જેમાં જ્ઞાન સાથે વિનમ્રતા, આત્મવિશ્વાસ સાથે સંયમ અને સફળતા સાથે માનવતા જોડાયેલી હોય, અને આ ગુણોનું મૂળ સંસ્કારમાં જ વસેલું છે.
માનવ જન્મથી સંપૂર્ણ નથી હોતો; તે તેના અનુભવ, શિક્ષણ અને પરિસ્થિતિઓ દ્વારા ઘડાતો જાય છે. વ્યક્તિત્વ વિકાસ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિ પોતાની અંદરની શક્તિઓને ઓળખે છે, તેને યોગ્ય દિશામાં વિકસાવે છે અને પોતાની નબળાઈઓને દૂર કરવાની કોશિશ કરે છે. પરંતુ આ પ્રક્રિયા માત્ર બાહ્ય ગુણો સુધી સીમિત રહી જાય, તો તે ખોખલી બની જાય છે. જ્યારે સંસ્કાર આ વિકાસને આંતરિક દિશા આપે છે, ત્યારે જ તે સાચા અર્થમાં પૂર્ણ બને છે. સંસ્કાર એ કોઈ પુસ્તકમાં લખેલી થિયરી નથી, પરંતુ જીવનમાં અનુભવીને, પરિવાર અને સમાજમાંથી શીખીને અને પોતાની અંદરની અવાજને સાંભળીને વિકસાવેલી મૂલ્યપ્રણાલી છે, જે દરેક નિર્ણયમાં આપણું માર્ગદર્શન કરે છે.
આ વાતને સરળ રીતે સમજવા માટે આપણે જીવનના સામાન્ય પ્રસંગોને ધ્યાનમાં લઈએ. એક વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી છે, તે પોતાની વાતો ખૂબ જ પ્રભાવશાળી રીતે રજૂ કરી શકે છે, પરંતુ જો તે પોતાની સફળતા માટે અન્ય લોકોને નીચે દેખાડે છે, તેમની લાગણીઓને અવગણે છે અથવા અહંકારથી વર્તે છે, તો તેનું વ્યક્તિત્વ બહારથી ચમકદાર હોવા છતાં અંદરથી ખાલી રહે છે. બીજી તરફ, એક સામાન્ય વ્યક્તિ, જે કદાચ એટલો શિક્ષિત ન હોય, પરંતુ જે દરેક વ્યક્તિ સાથે સન્માનપૂર્વક વર્તે છે, મદદ કરવા તૈયાર રહે છે અને પોતાની મર્યાદાઓમાં રહીને સત્ય અને ઈમાનદારીથી જીવન જીવે છે, તે વ્યક્તિનું વ્યક્તિત્વ વધુ ઊંચું ગણાય છે. આ તફાવતનું કારણ સંસ્કાર છે. સંસ્કાર વ્યક્તિને માત્ર સારા-ખોટાનો ભેદ જ શીખવતા નથી, પરંતુ તે ભેદને જીવનમાં અમલમાં મૂકવાની પ્રેરણા પણ આપે છે.
વ્યક્તિત્વ વિકાસનો સાચો અર્થ ત્યારે સમજાય છે, જ્યારે વ્યક્તિ પોતાની અંદર ઝાંખી કરે છે. પોતાને પૂછે છે કે શું હું માત્ર બહારથી સારો દેખાવા માંગું છું કે અંદરથી પણ સારો બનવા ઈચ્છું છું. આ આત્મમંથન ખૂબ જ મહત્વનું છે, કારણ કે તે આપણને આપણાં સાચાં સ્વરૂપ સાથે પરિચિત કરાવે છે. જ્યારે વ્યક્તિ પોતાની ભૂલોને સ્વીકારીને તેને સુધારવાની તૈયારી રાખે છે, ત્યારે તે સાચા અર્થમાં વિકાસની દિશામાં આગળ વધે છે. આ પ્રક્રિયામાં સંસ્કાર તેની મદદ કરે છે, કારણ કે સંસ્કાર વ્યક્તિને અહંકારથી દૂર રાખે છે અને તેને શીખવે છે કે શીખવાનું ક્યારેય બંધ ન કરવું.
આધુનિક સમાજમાં ઘણીવાર આપણે જોઈ શકીએ છીએ કે લોકો સફળતા માટે કોઈ પણ રસ્તો અપનાવવા તૈયાર હોય છે. સ્પર્ધા એટલી વધી ગઈ છે કે લોકો માટે પરિણામ જ મહત્વનું બની ગયું છે, રસ્તો કેવો છે તે મહત્વનું નથી રહેતું. અહીં સંસ્કારની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. સંસ્કાર વ્યક્તિને યાદ અપાવે છે કે સાચી સફળતા એ છે, જે સત્ય અને ઈમાનદારીના માર્ગે પ્રાપ્ત થાય. જો સફળતા માટે આપણે આપણા મૂલ્યોને ત્યજી દઈએ, તો તે સફળતા લાંબા ગાળે આનંદ આપતી નથી. સાચી ખુશી ત્યારે મળે છે, જ્યારે વ્યક્તિને ખબર હોય કે તેણે જે મેળવ્યું છે, તે યોગ્ય રીતે મેળવ્યું છે.
સંસ્કારનો પ્રભાવ માત્ર વ્યક્તિ સુધી સીમિત નથી રહેતો, તે સમગ્ર સમાજને પ્રભાવિત કરે છે. એક સંસ્કારી વ્યક્તિ જ્યાં જાય છે, ત્યાં સકારાત્મકતા ફેલાવે છે. તેની વાણીમાં મધુરતા હોય છે, તેના વર્તનમાં સહાનુભૂતિ હોય છે અને તેના નિર્ણયો માં ન્યાય હોય છે. આવી વ્યક્તિઓ સમાજને મજબૂત બનાવે છે. બીજી તરફ, સંસ્કાર વિહોણા લોકો સમાજમાં અશાંતિ અને અસંતુલન લાવે છે. તેથી, વ્યક્તિત્વ વિકાસને માત્ર વ્યક્તિગત પ્રગતિ તરીકે નહીં, પરંતુ સામાજિક જવાબદારી તરીકે પણ જોવું જોઈએ.
આજના યુવાનો માટે આ વિષય ખાસ કરીને મહત્વનો છે. તેઓ નવી ટેકનોલોજી, નવી વિચારધારા અને નવા અવસરોથી પરિચિત છે, જે તેમની પ્રગતિ માટે ખૂબ જ સકારાત્મક છે. પરંતુ જો આ પ્રગતિ સાથે સંસ્કાર જોડાયેલા ન હોય, તો તે ખતરનાક બની શકે છે. યુવાનોને સમજવું પડશે કે આધુનિકતા અને સંસ્કાર વિરોધી નથી, પરંતુ પૂરક છે. તેઓ બંને સાથે આગળ વધી શકે છે. એક વ્યક્તિ સ્માર્ટ પણ બની શકે છે અને સંસ્કારી પણ રહી શકે છે. ખરેખર, સાચો સ્માર્ટ વ્યક્તિ એ જ છે, જે પોતાની સફળતામાં પણ વિનમ્ર રહે છે અને બીજાની લાગણીઓને સમજે છે.
જ્યારે આપણે ઈતિહાસ તરફ નજર કરીએ છીએ, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મોટા મહાન લોકોના જીવનમાં આ બંને ગુણોનો સુંદર સમન્વય જોવા મળે છે. તેઓ માત્ર જ્ઞાનમાં આગળ ન હતા, પરંતુ તેમના જીવનમાં સંસ્કાર અને મૂલ્યોની પણ ઊંડી અસર હતી. તેઓએ બતાવ્યું કે સાચી મહાનતા માત્ર મોટા કાર્યો કરવામાં નથી, પરંતુ નાના-નાના સારા વર્તનમાં પણ છુપાયેલી છે. એક સરળ સ્મિત, એક સારો શબ્દ, એક નાની મદદ—આ બધું પણ વ્યક્તિત્વનો ભાગ છે.
વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર કોઈ એક દિવસમાં પ્રાપ્ત થતી વસ્તુ નથી. તે જીવનભર ચાલતી એક યાત્રા છે. દરેક દિવસ આપણને કંઈક નવું શીખવાની તક આપે છે, દરેક પરિસ્થિતિ આપણને સુધારવાની તક આપે છે. જો આપણે દરેક દિવસ થોડું વધારે સારા બનવાનો પ્રયત્ન કરીએ, તો ધીમે ધીમે આપણું વ્યક્તિત્વ વિકસે છે અને સંસ્કાર મજબૂત બને છે. જીવનનો સાચો હેતુ માત્ર જીવવું નથી, પરંતુ એવું જીવવું છે કે આપણી હાજરીથી દુનિયા થોડું વધારે સુંદર બને.
સાચું વ્યક્તિત્વ એ છે, જેમાં વિચારની ઊંડાઈ, વર્તનની સરળતા અને હૃદયની પવિત્રતા હોય. અને આ બધું ત્યારે જ શક્ય બને છે, જ્યારે જીવનમાં સંસ્કારનો મજબૂત આધાર હોય. તેથી, આપણે દરેકે પ્રયાસ કરવો જોઈએ કે આપણે માત્ર સફળ વ્યક્તિ નહીં, પરંતુ સારા અને સંસ્કારી વ્યક્તિ બનીએ, કારણ કે અંતે માણસને તેના પદ કે સંપત્તિથી નહીં, પરંતુ તેના સ્વભાવ અને મૂલ્યોથી ઓળખવામાં આવે છે.
"સાચું વ્યક્તિત્વ એ નથી કે દુનિયા તમને કેવી રીતે જુએ છે, પરંતુ એ છે કે તમે અંદરથી કેટલા સચ્ચા, સંસ્કારી અને સંતુલિત છો.”
કોલમ: જયવાદ
લેખક: જૈમીન જોષી.
Friday, April 24, 2026
“બગલામુખી જયંતિ: સ્તંભન શક્તિનું અધ્યાત્મ અને રહસ્ય” (“Bagalamukhi Jayanti: The Spirituality and Mystery of Stambhana Shakti”)
“દેવી બગલામુખી: શત્રુવિજય, મૌન અને આંતરિક શક્તિનો મહિમા”
બગલામુખી જયંતિ હિંદુ આધ્યાત્મિક પરંપરામાં એક અત્યંત ગૂઢ, શક્તિશાળી અને તાંત્રિક મહત્ત્વ ધરાવતો પવિત્ર દિવસ છે. આ દિવસ દેવી બગલામુખીના પ્રાકટ્યનો સ્મરણ કરાવે છે—એવી દેવી, જેને “સ્તંભન શક્તિ”નું પરમ સ્વરૂપ માનવામાં આવે છે. “સ્તંભન” એટલે શત્રુની વાણી, બુદ્ધિ અને ક્રિયાશક્તિને થંભાવી દેવાની દૈવી શક્તિ. બગલામુખી માત્ર એક દેવી નથી, પરંતુ એ ચેતનામાં રહેલી એક એવી ઊર્જા છે, જે અસ્થિરતા વચ્ચે સ્થિરતા આપે છે, અવ્યવસ્થામાંથી વ્યવસ્થા સર્જે છે અને ભયમાં થી નિર્ભયતા પ્રગટાવે છે.
બગલામુખી જયંતિ સામાન્ય રીતે વૈશાખ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવાય છે. આ દિવસને તાંત્રિક સાધકો માટે અત્યંત વિશેષ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે દેવીની કૃપા સહજ રીતે પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે. દેવી બગલામુખી દશ મહાવિદ્યાઓમાંની એક છે—જે દશ સ્વરૂપો શક્તિના પરમ તત્વને પ્રગટ કરે છે. બગલામુખીનું સ્વરૂપ ખાસ કરીને “વિજય” અને “રક્ષણ” સાથે જોડાયેલું છે.
દેવી બગલામુખીની ઉત્પત્તિ વિશે એક અત્યંત રસપ્રદ અને આધ્યાત્મિક કથા છે. કહેવામાં આવે છે કે એક સમયે સમગ્ર બ્રહ્માંડમાં ભયંકર તોફાન અને અશાંતિ ફેલાઈ ગઈ હતી. પવન એટલો પ્રચંડ હતો કે જીવનનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું હતું. દેવતાઓ ચિંતિત થઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ તપ કરી અને એ તપથી હરિદ્રા સરોવર (હળદરના પીળા તેજથી ભરેલો સરોવર)માંથી એક અદભુત તેજસ્વી શક્તિ પ્રગટ થઈ—તે જ દેવી બગલામુખી. એમણે પોતાના દૈવી શક્તિથી તે તોફાનને “સ્તંભિત” કરી દીધું. અહીંથી જ એમને “સ્તંભન શક્તિની દેવી” તરીકે ઓળખવામાં આવે છે.
બગલામુખી નામનું પણ પોતાનું વિશેષ તત્વ છે. “બગલા” શબ્દ “વાગલા” અથવા “વાલ્ગા”માંથી આવેલો માનવામાં આવે છે, જેનો અર્થ થાય છે—કાબૂમાં રાખવું અથવા નિયંત્રિત કરવું. “મુખી” એટલે જેનો ચહેરો કે સ્વરૂપ એ શક્તિનું પ્રતિક છે. આમ, બગલામુખી એ એવી શક્તિ છે જે અશાંતિને નિયંત્રિત કરે છે, દુષ્ટ શક્તિઓને થંભાવી દે છે અને સત્યને રક્ષણ આપે છે.
દેવી બગલામુખીનું સ્વરૂપ ખૂબ જ પ્રતીકાત્મક છે. એમને સામાન્ય રીતે પીળા રંગમાં દર્શાવવામાં આવે છે—પીળા વસ્ત્રો, પીળું આભૂષણ અને પીળો તેજ. પીળો રંગ બુદ્ધિ, વિજય અને પવિત્રતાનું પ્રતિક છે. એમના એક હાથમાં શત્રુની જીભ પકડી રાખેલી હોય છે અને બીજા હાથમાં ગદા હોય છે, જે દર્શાવે છે કે દેવી શત્રુની વાણી અને શક્તિને નિયંત્રિત કરે છે. આ ચિત્ર માત્ર બાહ્ય શત્રુ માટે નહીં, પરંતુ આપણા અંદરના નકારાત્મક વિચારો, ભય અને અહંકાર માટે પણ લાગુ પડે છે.
આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવું તો બગલામુખી એ “મનના નિયંત્રણ”નું પ્રતિક છે. માણસનું સૌથી મોટું યુદ્ધ બહાર નહીં, પરંતુ અંદર ચાલે છે—વિચારો, સંશયો, ભય અને અસ્થિરતાના રૂપમાં. દેવી બગલામુખી એ આંતરિક યુદ્ધમાં વિજય અપાવનારી શક્તિ છે. એમની ઉપાસના દ્વારા મન સ્થિર બને છે, વિચારોમાં સ્પષ્ટતા આવે છે અને આત્મવિશ્વાસ વધે છે.
બગલામુખી જયંતિના દિવસે પૂજાની વિધિ ખાસ રીતે કરવામાં આવે છે. સાધકો સામાન્ય રીતે પીળા રંગને વિશેષ મહત્વ આપે છે. પીળા કપડા પહેરવા, પીળા ફૂલ ચઢાવા, હળદરથી તિલક કરવું—આ બધું દેવીની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. પૂજાની શરૂઆત ગણેશ પૂજનથી થાય છે, પછી દેવીનું ધ્યાન, મંત્ર જપ અને હવન કરવામાં આવે છે. બગલામુખીનો મુખ્ય મંત્ર છે:
“ॐ ह्लीं बगलामुखि सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय, जिह्वां कीलय बुद्धिं विनाशय ह्लीं ॐ स्वाहा।”
આ મંત્રનો જપ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. પરંતુ તાંત્રિક મંત્રો માટે યોગ્ય માર્ગદર્શન અને શુદ્ધતા જરૂરી છે. મંત્ર જપ દરમિયાન એકાગ્રતા, શ્રદ્ધા અને શાંતિનું મહત્વ છે.
પૂજામાં હળદર, ચણાની દાળ, પીળા ફૂલ, ઘીનો દીવો અને નૈવેદ્યમાં બેસન કે મીઠાઈનો ઉપયોગ થાય છે. કેટલાક સાધકો આ દિવસે ઉપવાસ પણ રાખે છે અને રાત્રે જાગરણ કરીને દેવીની આરાધના કરે છે. ખાસ કરીને હવન (યજ્ઞ) દ્વારા દેવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
જીવનમાં બગલામુખી શક્તિનું મહત્વ ખૂબ ઊંડું છે. આજના સમયમાં માણસ અનેક પ્રકારના તણાવ, સ્પર્ધા, ભય અને અસુરક્ષા વચ્ચે જીવતો થયો છે. આવી સ્થિતિમાં “સ્તંભન શક્તિ” એટલે કે યોગ્ય સમયે અટકવાની અને વિચારવાની શક્તિ ખૂબ જરૂરી છે. બગલામુખી એ આપણને શીખવે છે કે દરેક પરિસ્થિતિમાં તરત પ્રતિક્રિયા આપવી જરૂરી નથી—ક્યારેક સ્થિર રહેવું, મૌન ધારણ કરવું અને પરિસ્થિતિને સમજીને આગળ વધવું એ જ સાચી બુદ્ધિ છે.
આ દેવી આપણને વાણી પર નિયંત્રણ શીખવે છે. ઘણી વાર માણસ પોતાના શબ્દોથી જ પોતાનું નુકસાન કરી લે છે. બગલામુખીની ઉપાસના દ્વારા વાણીમાં સંયમ આવે છે, બોલવામાં સ્પષ્ટતા અને અસરકારકતા વધે છે. આ માત્ર આધ્યાત્મિક નહીં, પરંતુ વ્યવહારિક જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે.
વિદ્યાર્થીઓ માટે આ દેવી ધ્યાન અને એકાગ્રતા વધારવામાં મદદરૂપ છે. વ્યવસાયીઓ માટે નિર્ણય લેવામાં સ્પષ્ટતા આપે છે. અને આધ્યાત્મિક માર્ગ પર ચાલનારાઓ માટે મનના ભટકાવાને અટકાવીને ધ્યાનમાં ઊંડાણ લાવે છે.
બગલામુખી શક્તિ એ “રક્ષણ” અને “વિજય”ની ઊર્જા છે. પરંતુ આ શક્તિનો ઉપયોગ સદાય સકારાત્મક હેતુ માટે જ કરવો જોઈએ. તાંત્રિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ શક્તિનો દુરુપયોગ કરે છે, તેને અંતે નુકસાન ભોગવવું પડે છે. એટલે, બગલામુખીની ઉપાસના હંમેશાં શુદ્ધ હૃદય, સત્ય અને ધર્મના માર્ગ પર રહીને કરવી જોઈએ.
આધ્યાત્મિક રીતે, બગલામુખી આપણને “અહંકારના વિઘટન” તરફ દોરી જાય છે. જ્યારે મન સ્થિર થાય છે, ત્યારે માણસ પોતાની અંદરની સાચી ઓળખને અનુભવે છે. આ અનુભૂતિ જ આત્મસાક્ષાત્કાર તરફનો માર્ગ છે.
આજના યુગમાં જ્યાં માહિતીનો પ્રવાહ અતિશય ઝડપથી વધી રહ્યો છે, ત્યાં મનમાં શાંતિ અને સ્થિરતા જાળવવી એક પડકાર બની ગઈ છે. બગલામુખી એ આ પડકારનો જવાબ છે—એ એક એવી ઊર્જા છે, જે આપણને થોભવાની, વિચારવાની અને સાચા માર્ગને પસંદ કરવાની પ્રેરણા આપે છે.
બગલામુખી જયંતિ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ આત્મવિચાર અને આંતરિક શક્તિના જાગરણનો અવસર છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે સાચી શક્તિ બાહ્ય જીતમાં નહીં, પરંતુ આંતરિક શાંતિ અને નિયંત્રણમાં છે. જ્યારે આપણે પોતાની અંદરના તોફાનને શાંત કરી શકીએ, ત્યારે જ જીવનમાં સાચી સફળતા પ્રાપ્ત થાય છે.
દેવી બગલામુખીની કૃપા દરેકના જીવનમાં સ્થિરતા, શાંતિ અને વિજય લાવે—એવી હાર્દિક પ્રાર્થના.
કોલમ: જયવાદ
લેખક: જૈમીન જોષી.
Thursday, April 23, 2026
જનતાના આક્રોશ પછી પણ બીજેપી આવે તો શું સમજવું? (What should we understand if BJP comes even after public outcry?)
રાજકીય વાસ્તવિકતા: મતદારનું મન સમજવું સરળ નથી.
ભારતનું રાજકીય પરિદૃશ્ય આજના સમયમાં એક અત્યંત રસપ્રદ અને સાથે સાથે જટિલ અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે. એક બાજુ રાષ્ટ્રીય સ્તરે મજબૂત નેતૃત્વ અને વિકાસના દાવાઓ છે, જ્યારે બીજી બાજુ સામાન્ય જનજીવનમાં અનુભવાતી મુશ્કેલીઓ, મોંઘવારી, બેરોજગારી અને અધૂરા વાયદાઓને લઈને લોકોમાં ઉદાસીનતા અને ક્યાંક ક્યાંક આક્રોશ પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં માત્ર લોકસભાની ચૂંટણી જ નહીં, પરંતુ તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકાની ચૂંટણી પણ એટલી જ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે અહીંથી જ જનતાના વાસ્તવિક મૂડનો અહેસાસ થતો હોય છે.
છેલ્લા કેટલાક સમયથી Bharatiya Janata Party (BJP) દેશના રાજકારણમાં એક મુખ્ય અને પ્રભાવી શક્તિ તરીકે ઉભરી આવી છે. કેન્દ્રમાં તેની મજબૂત સરકાર, વિવિધ રાજ્યોમાં તેનો વ્યાપ અને સંગઠનશક્તિએ તેને ચૂંટણી મશીન તરીકે મજબૂત બનાવ્યું છે. પરંતુ આ સાથે જ લોકોમાં કેટલાક મુદ્દાઓને લઈને અસંતોષ પણ ધીમે ધીમે ઊભો થયો છે. ખાસ કરીને રોજગારનો પ્રશ્ન, વધતી મોંઘવારી, નાના વેપારીઓ અને ખેડુતોની મુશ્કેલીઓ, તેમજ કેટલાક વર્ગોમાં અનુભવાતી સામાજિક અસુરક્ષા—આ બધું મળીને એક પ્રકારનો મૌન અસંતોષ તૈયાર કરે છે.
આ અસંતોષનો પ્રભાવ સૌથી પહેલા સ્થાનિક ચૂંટણીમાં જોવા મળે છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લોકો સીધા પોતાના વિસ્તારના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ અહીં કેન્દ્રસ્થાને હોય છે. જો સ્થાનિક સ્તરે વિકાસ ન દેખાય, તો લોકો પોતાની નારાજગી સીધી મતદાનમાં વ્યક્ત કરે છે. ઘણા વિસ્તારોમાં એવું જોવા મળે છે કે રાષ્ટ્રીય સ્તરે એક પક્ષને સમર્થન આપનાર મતદારો પણ સ્થાનિક સ્તરે અલગ નિર્ણય લે છે. આ જ લોકશાહીની ખાસિયત છે—મતદાર એકસરખો નથી રહેતો, તે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લે છે.
મહાનગર પાલિકાની ચૂંટણી તો વધુ જ રસપ્રદ બની જાય છે. શહેરોમાં રહેનારા મધ્યમ વર્ગ અને યુવાનો માટે મોંઘવારી, ટ્રાફિક, પ્રદૂષણ, રોજગાર અને જીવનશૈલીના પ્રશ્નો વધુ મહત્વના બની જાય છે. અહીં લોકો માત્ર ભાવનાત્મક મુદ્દાઓ પર નહીં, પરંતુ રોજિંદા જીવનની ગુણવત્તા પર મત આપે છે. જો શહેરમાં સફાઈ, રોડ, પાણી, ટ્રાન્સપોર્ટ જેવી સેવાઓ યોગ્ય રીતે ન ચાલે, તો તે સીધી અસર મતદાન પર પડે છે. આથી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઘણી વખત અણધારી ફેરફારો જોવા મળે છે.
આજના સમયમાં એક રસપ્રદ પરિસ્થિતિ એ પણ છે કે લોકો એક તરફ Bharatiya Janata Party પર કેટલાક મુદ્દાઓને લઈને નારાજ દેખાય છે, પરંતુ બીજી તરફ તેઓ પાસે મજબૂત વિકલ્પ હોવાનો વિશ્વાસ નથી. Indian National Congress (Congress) પોતાના પુનઃસ્થાપન માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ ઘણા વિસ્તારોમાં તેની સંગઠનશક્તિ હજુ નબળી છે. બીજી તરફ Aam Aadmi Party (AAP) અને અન્ય પ્રાદેશિક પક્ષો શહેરોમાં પોતાનો પ્રભાવ વધારવા પ્રયત્ન કરી રહ્યા છે. છતાં પણ, સમગ્ર દેશમાં એકસમાન વિકલ્પ ઉભો કરવો વિપક્ષ માટે હજી પડકારરૂપ છે.
તાલુકા અને જિલ્લા સ્તરની ચૂંટણીમાં ઘણી વખત સ્થાનિક નેતાઓની છબી, તેમના કામ અને લોકો સાથેનો સંપર્ક વધુ મહત્વ ધરાવે છે. અહીં પાર્ટીનું નામ કરતા વ્યક્તિગત વિશ્વાસ વધુ અસરકારક બની જાય છે. જો કોઈ નેતા લોકપ્રિય હોય, તો તે પક્ષની નબળાઈને પણ પૂરી કરી શકે છે. બીજી તરફ, નબળા ઉમેદવારને કારણે મજબૂત પક્ષ પણ હારી શકે છે. આથી સ્થાનિક ચૂંટણીમાં પરિણામો ઘણી વખત રાષ્ટ્રીય ટ્રેન્ડથી અલગ જોવા મળે છે.
એક મહત્વપૂર્ણ પાસું એ છે કે સોશિયલ મીડિયા અને વાસ્તવિક મતદાન વચ્ચે મોટો તફાવત હોય છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત સરકાર વિરુદ્ધ આક્રોશ વધારે દેખાય છે, પરંતુ મતદાન સમયે લોકો શાંતિથી પોતાના નિર્ણય લે છે. “Silent voters” એટલે કે શાંતિથી મત આપનારા મતદારો ઘણી વખત આખું પરિણામ બદલી નાખે છે. તેઓ જાહેરમાં પોતાની રાજકીય પસંદગી વ્યક્ત નથી કરતા, પરંતુ મતદાન વખતે પોતાની પસંદગી સ્પષ્ટ કરે છે.
જો આ તમામ પરિસ્થિતિ વચ્ચે ફરીથી Bharatiya Janata Party મજબૂત રીતે જીતે, તો તેનો અર્થ શું થાય? તેનો એક અર્થ એ થઈ શકે કે લોકો હજુ પણ સ્થિરતા અને મજબૂત નેતૃત્વને પ્રાથમિકતા આપે છે. તેઓ સ્થાનિક મુશ્કેલીઓ હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે વિશ્વાસ રાખે છે. બીજું, વિપક્ષ પક્ષોની એકતા અને વિશ્વસનીયતા હજુ સુધી એટલી મજબૂત નથી બની કે લોકો મોટા પાયે તેમના તરફ વળે.
બીજી તરફ, જો તાલુકા, જિલ્લા અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં વિપક્ષ પક્ષો સારો દેખાવ કરે, તો તે ભવિષ્યની મોટી ચૂંટણી માટે એક સંકેત બની શકે છે. તે બતાવે છે કે લોકો બદલાવ ઇચ્છે છે અને યોગ્ય વિકલ્પ મળતાં જ તેઓ પોતાનો નિર્ણય બદલી શકે છે. આથી સ્થાનિક ચૂંટણીને ઘણી વખત “સેમિફાઇનલ” તરીકે પણ જોવામાં આવે છે.
આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મતદાર હવે પહેલાથી વધુ જાગૃત થયો છે. તે માત્ર વચનો પર વિશ્વાસ નથી કરતો, પરંતુ પરિણામો પણ જોઈ રહ્યો છે. વિકાસના દાવાઓ સાથે સાથે રોજિંદા જીવનમાં સુધારો પણ તે ઈચ્છે છે. જો કોઈ સરકાર આ બંને વચ્ચે સંતુલન જાળવી શકે, તો તે લાંબા સમય સુધી ટકી શકે છે.ભારતની લોકશાહીનો સૌંદર્ય એ છે કે અહીં કોઈપણ પરિણામ પૂર્વનિર્ધારિત નથી હોતું. તાલુકા, જિલ્લા અને મહાનગર પાલિકાની ચૂંટણીથી લઈને રાષ્ટ્રીય ચૂંટણી સુધી—દરેક સ્તરે જનતા પોતાનો મત આપીને સત્તા નક્કી કરે છે. આ પ્રક્રિયા સતત ચાલી રહી છે, અને તે જ લોકશાહીને જીવંત રાખે છે.આજની પરિસ્થિતિમાં સત્તા પલટો થશે કે નહીં, તે કહેવું મુશ્કેલ છે, પરંતુ એક વાત નિશ્ચિત છે—જનતાનો અવાજ હવે વધુ પ્રબળ બન્યો છે. અને જ્યાં જનતાનો અવાજ પ્રબળ હોય, ત્યાં લોકશાહી હંમેશા જીવંત રહે છે.
તે છતાં બીજેપી દ્વારા કરવામાં આવેલ વાયદાઓ કરતા તેમના દ્વારા ધમકી અને તાનાશાહીથી લોકો વધુ નારાજ છે. વધતો જતો ક્રાઇમ અને સ્થાનિક લેવલે પણ બીજેપી કાર્યકર્તા બની કરવામાં આવતો રોબ ક્યાંક ને ક્યાંક લોકશાહી ખતમ કરી રહ્યો છે. બેરોજગારી અને મોંઘવારીની વચ્ચે પક્ષો દ્વારા આપવામાં આવતી ધમકી જનતાને વધુ દુઃખી કરી રહી છે. જાતિ આધારિત થતું રાજકારણ અંતે તો ખૂટ, આક્રમકતા અને યુવાનોમાં રાજનીતિ તરફ નારાજગી વધારી રહી છે. ગ્રાઉન્ડ લેવલ પર થતું કામ કોઈ પણ પક્ષની નીતિ અને વિચારધારાની છબી પ્રદર્શિત કરતી હોય છે.
લાખો લોકોની નારાજગી છતાં જો સંપૂર્ણ બહુમત બીજેપી લાવે તો ફરી ચુંટણી વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થશે તે નક્કી. હવે જોવાનું એ રહ્યું કે કથળતી પરિસ્થિતિમાં પરિણામ કોના પક્ષે આવે છે.
કોલમ:જયવાદ
લેખક :જૈમીન જોષી.
Wednesday, April 22, 2026
“પ્રકૃતિનું કર્જ: પૃથ્વી દિવસ પર માનવજાત માટે ચેતવણી”(“Nature's Debt: A Warning to Humanity on Earth Day”)
“ધરતી નથી માત્ર ગ્રહ – એ જીવનનો આધાર છે”
આ વિચારને ઊંડાણથી સમજવા માટે આપણે ઈતિહાસમાં ઝાંખી કરીએ. 1970માં અમેરિકામાં પ્રથમ વખત “Earth Day” મનાવવામાં આવ્યો. તે સમય દરમિયાન ઔદ્યોગિકીકરણ ઝડપથી વધી રહ્યું હતું, પરંતુ તેના કારણે પ્રકૃતિ પર થતા વિનાશ અંગે કોઈ ખાસ ધ્યાન આપતું નહોતું. નદીઓ પ્રદૂષિત થઈ રહી હતી, હવા ઝેરી બની રહી હતી અને જંગલોનો વિનાશ થઈ રહ્યો હતો. ત્યારે અમેરિકન સેનેટર ગેલોર્ડ નેલ્સનએ પર્યાવરણ સંરક્ષણ માટે એક જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું. લગભગ 2 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો અને આંદોલનને વૈશ્વિક સ્વરૂપ મળ્યું. આજે આ દિવસ 190થી વધુ દેશોમાં ઉજવાય છે, જે દર્શાવે છે કે પૃથ્વી પ્રત્યેની ચિંતા હવે સમગ્ર માનવજાતની ચિંતા બની ગઈ છે.
પરંતુ પૃથ્વી પ્રત્યેનો આદર માત્ર આધુનિક વિચાર નથી. ભારતીય સંસ્કૃતિમાં તો પૃથ્વીને “માતા” તરીકે પૂજવામાં આવે છે. ઋગ્વેદમાં એક શ્લોક છે:
“माता भूमिः पुत्रोऽहं पृथिव्याः” અર્થાત્—પૃથ્વી મારી માતા છે અને હું તેનો પુત્ર છું.
આ એક વાક્યમાં જ માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થઈ જાય છે. જ્યારે આપણે પૃથ્વીને માતા માનીએ છીએ, ત્યારે તેના શોષણનો પ્રશ્ન જ ઉભો થતો નથી. પરંતુ આજે હકીકત એ છે કે આપણે માતાને જ નુકસાન પહોંચાડી રહ્યા છીએ.
ગુજરાતી કહેવત છે—“જળ છે તો કળ છે.” આ કહેવત માત્ર પાણીના મહત્વને જ નહીં, પરંતુ સમગ્ર પર્યાવરણના સંતુલનને સમજાવે છે. પાણી, હવા, જમીન—આ ત્રણેય તત્વો જીવનના આધાર છે. પરંતુ આજે આપણે જળસંકટ, વાયુપ્રદૂષણ અને જમીનની ક્ષતિ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ.
વિશ્વ પૃથ્વી દિવસ આપણને આ સમસ્યાઓ તરફ ધ્યાન દોરે છે. આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટો ખતરો બની ગયો છે. ગ્રીનહાઉસ ગેસોના વધારા કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, જેના કારણે હિમનદીઓ પીગળી રહી છે, સમુદ્રસ્તર વધી રહ્યું છે અને અતિશય હવામાન પરિવર્તનો થઈ રહ્યા છે. એક તરફ દુષ્કાળ છે, તો બીજી તરફ પૂર—આ બધું જ પ્રકૃતિના અસંતુલનનું પરિણામ છે.
અહીં એક પ્રાચીન કહેવત યાદ આવે છે—“Nature does not hurry, yet everything is accomplished.” એટલે કે પ્રકૃતિ ક્યારેય ઉતાવળ કરતી નથી, છતાં બધું સમયસર પૂરું થાય છે. પરંતુ માનવજાતે ઉતાવળમાં પ્રકૃતિના નિયમોને તોડવાનું શરૂ કર્યું છે. પરિણામે આપણે જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ.
આપણાં પૂર્વજો પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વમાં જીવતા હતા. તેઓ વૃક્ષોને દેવતા માનતા, નદીઓને પૂજતા અને પ્રાણીઓ સાથે સહજીવન જીવતા. પરંતુ આધુનિક જીવનશૈલીમાં આપણે આ મૂલ્યોને ભૂલી ગયા છીએ. હવે વિકાસના નામે આપણે જંગલો કાપીએ છીએ, નદીઓને પ્રદૂષિત કરીએ છીએ અને હવામાં ઝેર ફેલાવીએ છીએ.
વિશ્વ પૃથ્વી દિવસ એ માત્ર સમસ્યાઓનું સ્મરણ કરાવતો દિવસ નથી, પરંતુ ઉકેલ તરફ દોરી જતો દિવસ પણ છે. જો આપણે ખરેખર પૃથ્વીને બચાવવી હોય, તો આપણને આપણા જીવનમાં ફેરફાર લાવો રહ્યો. તેનું મહત્ત્વ અને મૂલ્ય સમજવું રહ્યું.
“ધરતી—જેને આપણે પ્રેમથી “માતા” કહીને સંબોધીએ છીએ—એ માત્ર માટીનો ગોળો નથી, પરંતુ જીવનનો સ્ત્રોત છે. આપણા દરેક શ્વાસમાં તેની હવા છે, દરેક અન્નકણમાં તેની મહેનત છે અને દરેક નદીમાં તેની કરુણા વહે છે. છતાં આજે આ જ ધરતી માતા મૌન પીડા સહન કરી રહી છે. પ્રશ્ન એ છે કે શું આપણે આ પીડાને સમજવા માટે તૈયાર છીએ?
આજે સૌથી મોટો પ્રશ્ન છે—માનવજાતનો કર્તવ્ય શું છે? શું આપણે માત્ર વિકાસ પાછળ દોડતા રહીશું કે પછી પ્રકૃતિ સાથે સંતુલન જાળવવાનો પ્રયાસ કરીશું?
પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ કર્તવ્ય છે જાગૃતિ. જ્યારે સુધી આપણે સમસ્યાને સમજશું નહીં, ત્યારે સુધી ઉકેલ શક્ય નથી. દરેક વ્યક્તિએ સમજવું પડશે કે પ્રકૃતિનું રક્ષણ માત્ર સરકારનું કામ નથી—એ દરેક માનવનો ફરજ છે.બીજું કર્તવ્ય છે વ્યવહારિક ફેરફાર. નાના-નાના પગલાં મોટા પરિવર્તન લાવી શકે છે. જેમ કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, વૃક્ષારોપણ, પાણી બચાવવું અને ઊર્જાનો યોગ્ય ઉપયોગ. એક વૃક્ષ રોપવું એ માત્ર એક કાર્ય નથી—એ ભવિષ્ય માટેનું રોકાણ છે.ત્રીજું કર્તવ્ય છે આગામી પેઢી માટે જવાબદારી. એક સુંદર વિચાર છે—
“We do not inherit the Earth from our ancestors; we borrow it from our children.”
અર્થાત્—આ પૃથ્વી આપણે આપણા પૂર્વજોથી વારસામાં નથી મળતી, પરંતુ આપણા બાળકો પાસેથી ઉધાર લીધી છે.
આ વિચાર આપણને સમજાવે છે કે આપણે જે પણ કરી રહ્યા છીએ, તેનો અસર આવતી પેઢી પર પડશે. જો આપણે આજે પ્રકૃતિનો નાશ કરીશું, તો આવતી પેઢી માટે કંઈ જ બાકી નહીં રહે.ધરતી માતાની પીડા માત્ર પર્યાવરણની સમસ્યા નથી—એ માનવજાતના અસ્તિત્વનો પ્રશ્ન છે. જો પ્રકૃતિ નહીં રહે, તો માનવજાત પણ નહીં રહે. તેથી સમય આવી ગયો છે કે આપણે આપણા સ્વાર્થને છોડીને પ્રકૃતિ માટે વિચારવું જોઈએ.
એક સરળ પરંતુ શક્તિશાળી સંદેશ—
“Save Earth, Save Life.”
આ માત્ર સૂત્ર નથી, પરંતુ જીવનનો આધાર છે. ધરતી માતા આપણને બધું આપે છે—હવે સમય છે કે આપણે પણ તેની સંભાળ લઈએ. કારણ કે જો માતા સ્વસ્થ રહેશે, તો જ સંતાનનું ભવિષ્ય સુરક્ષિત રહેશે.
કોલમ:જયવાદ
લેખક:: જૈમીન જોષી.
પત્ની અને પ્રેમિકા વચ્ચે ખાતો હીરો : મુખ્યમંત્રી (Hero eating between wife and girlfriend: Chief Minister)
“હીરો, હેડલાઈન અને હકીકત : વિજયના જીવનનું રાજકીય વિશ્લેષણ” દક્ષિણ ભારતની રાજનીતિ અને સિનેમાનો સંબંધ કોઈ નવી ઘટના નથી. તામિલનાડુન...
-
IPC 376 બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ. [ કલમ ૩૭૬ - એ ] : - ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવું અથવા નિરર્થક સ્થિતિમાં રહેવાની શિક્ષા :- ...
-
મૂલ્ય એટલે આપણી ભાવનાઓ માન્યતા, આદર્શો, સંસ્કાર, સંસ્કૃતિ, સમજણ અને જ્ઞાનની જળવાયેલ એકસૂત્રતા: - માનવજીવનમાં મૂલ્યોનું આગવું મહત્વ છે...
-
સમર્પણ , સ્નેહ અને ભક્તિની મૂર્તિ ક્રુષ્ણ પ્રિય મીરાં.....!! MEERA ક્રુષ્ણ પ્રિય મીરાં: છ સાત વર્ષની બાળા એક વટેમાર્ગ...
-
પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર અને ભારતીય કેલેન્ડરમાં પથદર્શક અને મૂળ કેન્દ્ર સ્થાને છે:- માનવ જેમ જેમ વિકાસ પામતો થયો ત...
-
કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy): સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...
