રાહુલ ગાંધીને અચાનક Gen Z કેમ યાદ આવી? યુવાનોને મળવા પાછળની રાજકીય ગણતરી શું છે?
ભારતીય
રાજકારણમાં ક્યારેક કોઈ નેતાની એક મુલાકાત સમાચાર બને છે, પરંતુ
ક્યારેક એ મુલાકાત આવનારા રાજકીય સમયની દિશા બતાવતી હોય છે. રાહુલ ગાંધીનું Gen Z સાથે વધતું
સંવાદ એવું જ એક સંકેત છે. પ્રશ્ન માત્ર એટલો નથી કે રાહુલ ગાંધી યુવાનોને કેમ મળી
રહ્યા છે; મોટો પ્રશ્ન એ છે કે ભારતીય રાજકારણને હવે Gen Zની જરૂર કેમ
પડી રહી છે?
આ પ્રશ્નનો જવાબ કોઈ એક ચૂંટણીના પરિણામમાં નથી. તેનો
સંબંધ ભારતના બદલાતા મતદાર સાથે છે.
રાહુલ ગાંધીનું “છાત્રો કી ગુંજ” (Chhatron Ki Goonj) અભિયાન હવે માત્ર એક કાર્યક્રમ પૂરતું રહ્યું નથી. પેપર લીક, પરીક્ષાની અનિશ્ચિતતા, શિક્ષણની વધતી કિંમત, સ્પર્ધાત્મક પરીક્ષાઓનું દબાણ અને રોજગાર જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને તેઓ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. 22 ઑગસ્ટે પુણેમાં યોજાયેલા કાર્યક્રમ પછી રાજકીય ટકરાવ પણ થયો; ભાજપે કાર્યક્રમને રાજકીય પ્રદર્શન ગણાવ્યું તો કોંગ્રેસે યુવાનોની ભાગીદારીને તેનો જવાબ ગણાવ્યો. આમ જોવા જઈએ તો રાજકારણમાં કોઈ નેતા અચાનક કોઈ વર્ગને યાદ કરતો નથી. ખાસ કરીને જ્યારે વાત Gen Zની હોય ત્યારે પાછળ માત્ર રાજકીય સંવેદના નહીં, રાજકીય ગણિત પણ હોય છે.
Gen Z માટે “યુવાનો” શબ્દ પૂરતો
નથી. આ એવી પેઢી છે જે રાજકીય ભાષણ ટીવી પર કલાકો સુધી સાંભળતી નથી, પરંતુ થોડા
સેકન્ડમાં કોઈ નેતાના ભાષણનો વિડિયો જોઈ શકે છે. તે પક્ષની વિચારધારા કરતાં પોતાના
પ્રશ્નને વધુ નજીકથી જોવાનું પસંદ કરી શકે છે. તે કોઈ નેતાને પસંદ પણ કરી શકે અને
બીજા જ દિવસે તેની ટીકા પણ કરી શકે. એટલે Gen Zને પરંપરાગત
મતદારની જેમ સમજવી મુશ્કેલ છે અને કદાચ આ જ કારણ છે કે કોંગ્રેસે વિદ્યાર્થીઓના
પ્રશ્નોમાંથી રાજકીય જગ્યા શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે. રાહુલ ગાંધી
માટે આ વ્યૂહરચનાનો સૌથી મહત્વનો ભાગ એ છે કે તેઓ નેતૃત્વની
છબીમાંથી સંવાદની છબી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટી રેલીમાં
નેતા બોલે છે અને લોકો સાંભળે છે પરંતુ વિદ્યાર્થી સંવાદમાં પ્રશ્નો આવે છે. પેપર
લીકનો પ્રશ્ન આવે છે. નોકરીનો પ્રશ્ન આવે છે. ફીની વાત આવે છે. પરીક્ષા વ્યવસ્થાની
વાત આવે છે. આ બધા મુદ્દા એવા છે કે જેના પર યુવાનો પોતાનો સીધો અનુભવ જોડે છે.
અહીં કોંગ્રેસને એક રાજકીય તક દેખાય છે પરંતુ ભાજપ આ
તકને માત્ર જોઈ રહ્યું નથી; તે તેનો જવાબ તૈયાર કરી રહ્યું
છે.
22 ઑગસ્ટે ભાજપે Gen Z
outreach માટે અલગ ટીમ બનાવવાની જાહેરાત કરી, જેમાં નીતિન
નબિન, સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે
જેવા નેતાઓને મહત્વની જવાબદારી આપવામાં આવી હોવાનું અહેવાલોમાં આવ્યું છે. પક્ષનો
ઉદ્દેશ્ય યુવાનોની અપેક્ષાઓ અને પ્રશ્નો સાથે સીધો સંપર્ક વધારવાનો છે.
આ ઘટનાનું રાજકીય મહત્વ કદાચ રાહુલ ગાંધીની મુલાકાત કરતાં પણ મોટું છે કારણ કે જ્યારે સત્તાધારી પક્ષ વિરોધ પક્ષની વ્યૂહરચનાનો જવાબ આપવા માટે અલગ સંગઠનાત્મક માળખું ઊભું કરે છે, ત્યારે સમજવું જોઈએ કે મુદ્દો હવે ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. આનો અર્થ એ નથી કે Gen Z કોંગ્રેસ તરફ જઈ રહી છે. એવો નિષ્કર્ષ અત્યારે કાઢવો વહેલો છે. પરંતુ એટલું ચોક્કસ છે કે બંને મોટા પક્ષો સમજી રહ્યા છે કે આગામી વર્ષોમાં યુવાનો સાથેનો સીધો સંબંધ રાજકારણમાં વધુ મહત્વનો બનશે અને અહીંથી ભારતીય રાજકારણમાં એક નવી લડાઈ શરૂ થાય છે. મતોની નહીં, ધ્યાનની.
જે પક્ષ યુવાનોનું ધ્યાન ખેંચશે તે જ જીતશે એવું નથી. પરંતુ જે પક્ષ યુવાનોના પ્રશ્નોને સમજવામાં નિષ્ફળ જશે, તે ધીમે ધીમે તેમની રાજકીય ભાષાથી દૂર થઈ શકે છે. આ બાબતમાં કોંગ્રેસની મુશ્કેલી પણ ઓછી નથી. રાહુલ ગાંધી યુવાનોને પેપર લીક, શિક્ષણ અને રોજગાર જેવા પ્રશ્નો પૂછે છે, પરંતુ યુવાનો સામે સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે. આ પ્રશ્નો ઉકેલવાની રાજકીય ક્ષમતા કોની પાસે છે?
વિરોધ
પક્ષ તરીકે પ્રશ્ન ઉઠાવવો સરળ છે. સત્તામાં રહીને તેનો ઉકેલ આપવો મુશ્કેલ છે. એટલે
ભાજપ માટે જવાબદારી અલગ પ્રકારની છે. જો કોંગ્રેસ કહે કે યુવાનોના પ્રશ્નોનું
નિરાકરણ થયું નથી, તો ભાજપે માત્ર કોંગ્રેસને જવાબ
આપવાનો નથી; તેણે પોતાના શાસનનો હિસાબ પણ
આપવો પડશે.
આ જ Gen Z રાજકારણની
વિશેષતા છે.
આ પેઢી માત્ર વચન સાંભળશે નહીં; તે પરિણામ અને દાવા વચ્ચેનો તફાવત પણ શોધશે. ભાજપ પાસે અહીં એક મોટો ફાયદો છે. મજબૂત સંગઠન, લાંબો રાજકીય અનુભવ અને ડિજિટલ રાજકારણનો વ્યાપક ઉપયોગ પરંતુ કોંગ્રેસ પાસે પણ એક તક છે. જો તે યુવાનોને માત્ર ચૂંટણીના મતદાર તરીકે નહીં, પરંતુ નીતિ ઘડવામાં ભાગીદાર તરીકે સંબોધી શકે તો.. અને આ સ્પર્ધા હવે માત્ર ભાજપ અને કોંગ્રેસ સુધી સીમિત રહેવાની નથી. આમ આદમી પાર્ટી જેવા પક્ષો યુવા અને શહેરી મતદારના પ્રશ્નો પર પોતાનું સ્થાન શોધશે. પ્રાદેશિક પક્ષો પણ પોતાના રાજ્યોમાં યુવાનોની નોકરી, શિક્ષણ, ભરતી અને સ્થાનિક ઓળખના મુદ્દાઓને વધુ તીવ્રતાથી ઉઠાવશે. આગામી ચૂંટણીમાં દરેક પક્ષ માટે એક પ્રશ્ન મહત્વનો બનવાનો છે. “યુવાનોને અમારી પાસે આવવાનું કારણ શું છે?”
મજાની
વાત તો એ છે કે આ રાજકીય પરિવર્તન માત્ર પક્ષોમાં જ દેખાતું નથી. RSSના સરસંઘચાલક
મોહન ભાગવતે પણ Gen Z અને Gen Alpha સાથે સંવાદ
કર્યો છે. ઓગસ્ટની શરૂઆતમાં મુંબઈમાં દેશભરના યુવાનો સાથે તેમની મુલાકાત યોજાઈ હતી, અને
તાજેતરમાં Gen Z વિશે તેમણે કહ્યું કે આ પેઢી
પ્રશ્નો પૂછે છે અને તેને માત્ર સૂચના નહીં પરંતુ સમજાવટ જોઈએ.
અર્થાત્, સંદેશ સ્પષ્ટ
છે.
ડાબે હોય કે જમણે, સત્તામાં હોય કે વિરોધમાં રાજકારણ હવે નવી પેઢી સાથે વાત કર્યા વિના આગળ વધી શકે તેમ નથી પરંતુ અહીં એક જોખમ પણ છે. જો Gen Zને માત્ર “વોટ બેંક” તરીકે જોવામાં આવશે, તો કદાચ રાજકીય પક્ષો તેની સૌથી મહત્વની વિશેષતા ચૂકી જશે. આ પેઢી સતત પ્રશ્ન કરે છે. તેને માત્ર રાષ્ટ્રવાદ, વિકાસ, સામાજિક ન્યાય કે કલ્યાણની મોટી વ્યાખ્યાઓ પૂરતી નથી. તે પૂછશે મારી પરીક્ષા કેમ અટકી? ભરતી કેમ અટકી? નોકરી કેમ નથી? શિક્ષણ કેમ મોંઘું છે? મારા શહેરમાં તક કેમ નથી? અને સૌથી મહત્વનું તમે જે કહ્યું હતું તેમાંથી કર્યું કેટલું?
આ પ્રશ્નોનો જવાબ કોઈ એક પક્ષ પાસે તૈયાર નથી અને હશે પણ નહિ. રાતો રાત કીજ ઠીક નથી થવાનું ણ લોકો બદલાશે ણ દેશ પણ હ સવાલો સ્વરિત ઉઠશે. હવે નાકમાં બફાટ અને વાયદા કરતા પહેલા દરેક પાર્ટીએ વિચાર કરવો પડશે. એટલે જ રાહુલ ગાંધીનું Gen Z તરફ જવું માત્ર કોંગ્રેસની રાજકીય વ્યૂહરચના નથી; તે ભારતીય રાજકારણ માટે એક ચેતવણી પણ છે.
ભાજપ
જો માને કે પોતાની પરંપરાગત રાજકીય પદ્ધતિથી યુવાનોને લાંબા સમય સુધી જોડીને રાખી
શકાય છે, તો તે જોખમ લઈ રહ્યો છે.
કોંગ્રેસ જો માને કે ભાજપની વિરુદ્ધતા અને યુવાનોના પ્રશ્નો ઉઠાવવાથી Gen Z આપમેળે તેની
તરફ આવશે, તો તે પણ ભૂલ કરી રહી છે.
Gen Z કોઈ પક્ષની રાહ જોઈ રહી નથી. તે
પોતાની ભાષામાં જવાબ શોધી રહી છે. આ જ કારણથી આવનારા સમયમાં
સોશિયલ મીડિયા પરનો રાજકીય પ્રભાવ વધુ મહત્વનો બનશે, પરંતુ માત્ર
સોશિયલ મીડિયા પૂરતું નહીં. રીલ્સથી ધ્યાન ખેંચી શકાય છે, વિશ્વાસ
બનાવી શકાતો નથી. ભાષણથી તાળીઓ મેળવી શકાય છે, રોજગાર આપી
શકાતો નથી. હેશટેગથી ચર્ચા ઊભી કરી શકાય છે, પરંતુ
પરીક્ષા વ્યવસ્થાની ખામી સુધારી શકાતી નથી.
અહીંથી રાજકારણ માટે સાચી કસોટી શરૂ થશે.
રાહુલ
ગાંધી કદાચ આ વાત સમજ્યા છે કે નહીં તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. પરંતુ તેમણે એક
મહત્વનો દરવાજો ખોલ્યો છે. વિદ્યાર્થીઓ સાથે સીધો રાજકીય
સંવાદ.
ભાજપે પણ તેનો જવાબ આપવાની શરૂઆત કરી છે. હવે જોવાનું
એ છે કે આ સંવાદ કેટલો સમય ચાલે છે. જો તે માત્ર ચૂંટણી સુધી ચાલશે, તો તે એક સામાન્ય
રાજકીય વ્યૂહરચના સાબિત થશે પરંતુ જો રાજકીય પક્ષો યુવાનોના પ્રશ્નોને પોતાના
મેનિફેસ્ટો, સંગઠન અને નીતિમાં સ્થાન આપશે, તો આ ભારતીય
રાજકારણમાં ખરેખર પરિવર્તનની શરૂઆત બની શકે છે કારણ કે આગામી ભારતના મતદારો માત્ર
નેતાઓ પસંદ નહીં કરે. તેઓ નેતાઓને પ્રશ્ન પણ પૂછશે અને કદાચ ભારતીય રાજકારણની
આગામી મોટી લડાઈ એ નહીં હોય કે “કોણ જીતશે?”
લડાઈ એ હશે કે “કોણ આ પેઢીને
ખરેખર સાંભળી શકશે?”
માત્ર “ફ્રેન્ડસ” કરીને સંબોધવાથી
કે મોરચામાં સમર્થન કરવાથી આ પેઢી તમારી થવાની નથી. આ પેઢી ગમે ત્યારે કોઈ પણ
સત્તા પાર્ટીનો વિરોધ કરી શકશે અને ઉદ્યોગ પતિ તેનો લાભ લઈ વિપક્ષ સાથે ભળી
રાતોરાત રાજ કારણમાં પલટો લાવવાની ક્ષમતા કેળવી શકે.
લેખક : જૈમિન જોષી .



