માણસની અંદર કેટલા માણસો રહે છે?
માણસ જ્યારે અરીસાની સામે ઊભો રહે છે ત્યારે તેને એક
જ ચહેરો દેખાય છે. પરંતુ જો કોઈ અરીસો ચહેરો નહીં, અંતરાત્મા
બતાવતો હોત તો કદાચ આપણે પોતાની અંદર અનેક ચહેરાઓને એકસાથે જોઈ શકતા. એક એવો માણસ, જે દુનિયાને
દેખાય છે; એક એવો, જેને દુનિયા
ગમે તેવો દેખાડવામાં આવે છે; એક એવો, જે પોતાના
પ્રિયજનો સામે રહે છે અને એક એવો, જે રાત્રિના
એકાંતમાં પોતાની જાત સાથે બેઠો હોય ત્યારે જ બહાર આવે છે.
માણસ એક જ નથી. તેની અંદર
અનેક માણસો રહે છે.
ક્યારેક એ માણસ એકબીજાના મિત્ર હોય છે, ક્યારેક
અજાણ્યા, અને ક્યારેક તો એકબીજા સામે આખી
જિંદગી યુદ્ધ કરતા રહે છે.
આપણે કોઈ વ્યક્તિને ઓળખીએ છીએ એવું માનીએ છીએ. પરંતુ
ખરેખર આપણે તેના વિશે શું જાણીએ છીએ? તેનો વ્યવસાય, તેની ભાષા, તેનો સ્વભાવ, તેની
પસંદ-નાપસંદ, તેની સફળતા, તેની સામાજિક
ઓળખ...આ બધું
જાણવું એટલે શું તેને ઓળખી લેવું?
કદાચ નહીં.
કારણ કે માણસનું સાચું જીવન ઘણી વાર તેની જાહેર ઓળખની
પાછળ શરૂ થાય છે.
એક માણસ ઓફિસમાં અત્યંત શિસ્તબદ્ધ હોય છે. ઘરે આવીને
ચીડિયો બની જાય છે. મિત્રો વચ્ચે ઉદાર હોય છે, પરંતુ
અજાણ્યા માણસ પ્રત્યે અસહિષ્ણુ. સમાજમાં નૈતિકતાના ઉપદેશ આપે છે, પરંતુ
એકાંતમાં પોતાની જ નીતિઓ સાથે સમાધાન કરી લે છે.
તો આમાંથી સાચો માણસ કયો?
કોઈ એક નહીં. કદાચ બધા જ.
આ જ માણસનું સૌથી મોટું રહસ્ય છે.
માણસનું વ્યક્તિત્વ કોઈ એક પથ્થરમાં કોતરાયેલી મૂર્તિ
નથી. તે તો સમય, સંજોગો, સંબંધો, ભય, ઈચ્છાઓ, સંસ્કારો અને
સ્મૃતિઓથી સતત ઘડાતું રહેતું એક જીવંત શિલ્પ છે. પરિસ્થિતિ
બદલાય છે ત્યારે માણસ બદલાય છે પરંતુ ઘણી વખત તે ખરેખર બદલાતો નથી પણ તેની અંદર
છુપાયેલો બીજો માણસ બહાર આવે છે.
ઇતિહાસમાં આ વાતને સમજાવતી અસંખ્ય ઘટનાઓ છે.
કલિંગના યુદ્ધ પહેલાંનો સમ્રાટ અશોક અને કલિંગના
યુદ્ધ પછીનો અશોક એક જ શરીરમાં
રહેલા બે જુદા માણસો જેવા લાગે છે.
યુદ્ધ પછી થયેલા વિનાશ અને માનવહાનિએ અશોકના અંતરમાં
એવો સંઘર્ષ ઊભો કર્યો કે વિજયની ઉજવણી કરતાં તેના મનમાં પરાજયની પીડા વધુ મોટી
બની. સત્તા તેના હાથમાં હતી, સામ્રાજ્ય તેના પગ નીચે હતું, પરંતુ
અંતરાત્મા સામે તે પોતે જ ઊભો હતો.
અહીં ઇતિહાસ આપણને એક ઊંડો પ્રશ્ન પૂછે છે:
શું માણસનું સાચું સ્વરૂપ તેની
સત્તામાં દેખાય છે કે તેની અંતરાત્માના જાગરણમાં?
અશોકની અંદરનો એક માણસ વિજય ઇચ્છતો હતો; બીજા માણસે
વિજયની કિંમત જોઈ. એક માણસ સામ્રાજ્ય વધારવા માગતો હતો; બીજાએ માનવતા
બચાવવાની જરૂરિયાત અનુભવી.
કદાચ માણસની મહાનતા એમાં નથી કે તેની અંદર વિરોધાભાસ
નથી.
મહાનતા તો એમાં છે કે જ્યારે અંદરના બે માણસો વચ્ચે
સંઘર્ષ થાય ત્યારે તે કોની તરફ ઊભો રહે છે.
આપણા જીવનમાં પણ કલિંગના યુદ્ધો થાય છે, પરંતુ
તલવારોથી નહીં.
ક્યારેક એક પિતાની અંદર બે માણસો લડે છે. એક કહે છે, “મારા બાળકને
મારી અધૂરી ઇચ્છાઓ પૂરી કરવી જોઈએ.” બીજો ધીમેથી
પૂછે છે, “પણ બાળકની પોતાની ઇચ્છા શું છે?”
એક શિક્ષકની અંદર બે માણસો હોય છે. એકને માત્ર
પરિણામ જોઈએ છે, બીજાને બાળકની આંખોમાં રહેલી
જિજ્ઞાસા દેખાય છે.
એક અધિકારીની અંદર બે માણસો હોય છે. એકને સત્તાનો
લાભ જોઈએ છે, બીજો પોતાના પદની જવાબદારી યાદ
કરાવે છે.
એક વેપારીની અંદર બે માણસો હોય છે. એક વધુ નફો
માગે છે, બીજો કહે છે કે સામે ઊભેલો
ગ્રાહક પણ માણસ છે.
અને એક સામાન્ય માણસની અંદર પણ બે માણસો હોય છે. એક કહે છે, “મને શું?” અને બીજો કહે
છે, “આ મારી જવાબદારી પણ છે.”
આ બે અવાજો વચ્ચે જ કદાચ આખું નૈતિક જીવન રચાય છે.
માણસની અંદર એક બાળક પણ રહે છે.
એ બાળક ઘણી વાર મોટી ઉંમરના માણસના ગંભીર ચહેરા પાછળ
છુપાયેલું હોય છે.
તેને હજુ પણ કોઈની નિઃસ્વાર્થ પ્રશંસા જોઈએ છે. તેને
કોઈએ પૂછવું ગમે છે “તને ખરેખર શું જોઈએ છે?” તેને હાર્યા
પછી કોઈનો હાથ ખભા પર જોઈએ છે. તેને ક્યારેક કારણ વગર હસવું હોય છે, પરંતુ જીવન
તેને શીખવે છે કે મોટું થવું એટલે ગંભીર બનવું, જવાબદાર
બનવું, મજબૂત દેખાવું અને ધીમે ધીમે માણસ
પોતાના અંદરના બાળકને શાંત કરવાનું શીખી જાય છે.
પરંતુ બાળક મરતું નથી.
તે માત્ર ચૂપ થઈ જાય છે.
ક્યારેક કોઈ જૂનું ગીત તેને પાછું બોલાવે છે. કોઈ
જૂની ગલીમાંથી પસાર થતી વખતે બાળપણ અચાનક તેની બાજુમાં આવીને ઊભું રહે છે. જૂના
મિત્રનો અવાજ સાંભળીને વર્ષોથી બંધ પડેલું હાસ્ય ફરીથી બહાર આવી જાય છે.
ત્યારે સમજાય છે કે ઉંમર શરીરની વધે છે; અંદરના
કેટલાક માણસો ક્યારેય વૃદ્ધ થતા નથી.
માણસની અંદર એક એવો માણસ પણ રહે છે, જેને દુનિયા
સામે સ્વીકારવામાં તેને સૌથી વધુ શરમ આવે છે.
તેની ઈર્ષ્યા. તેનો ભય, તેનો અહંકાર, તેની
લાલચ, તેની અસુરક્ષા અને કદાચ આ જ માણસ આપણને સૌથી વધારે ચલાવે છે.
કાર્લ યુંગે માનવમનના આવા દબાયેલા પાસાંને સમજાવવા
માટે “Shadow” નો વિચાર રજૂ કર્યો હતો. વ્યક્તિત્વનો
એ ભાગ જેને માણસ પોતામાં સ્વીકારવા ઇચ્છતો નથી.
આ વિચારનો અર્થ માત્ર માનસશાસ્ત્રીય સિદ્ધાંત નથી; તે જીવનનું
અરીસું છે.
જે માણસ પોતાની અંદરના અંધકારને ઓળખતો નથી, તે ઘણી વાર
બીજા લોકોમાં એ જ અંધકાર શોધતો રહે છે.
જે પોતાની અંદરની ઈર્ષ્યા સ્વીકારતો નથી, તેને દુનિયા
ઈર્ષાળુ લાગે છે.
જે પોતે અહંકારી હોય છે, તેને બીજાના
આત્મવિશ્વાસમાં અહંકાર દેખાય છે.
અને જે પોતાના ભયથી અજાણ હોય છે, તે ઘણી વાર
બીજાની હિંમતને મૂર્ખાઈ કહે છે.
અપણે બીજાને ઘણી વાર એટલા માટે જજ કરીએ છીએ કારણ કે
તેઓ આપણને આપણી પોતાની કોઈ એવી છબી બતાવે છે જેને આપણે સ્વીકારવા તૈયાર નથી, પરંતુ માણસની
અંદર માત્ર અંધકાર નથી.
ત્યાં કરુણા પણ છે.ત્યાં ક્ષમા પણ છે. ત્યાં પ્રેમ
છે. ત્યાં એવી
ઉદારતા છે જેનો કોઈ સાક્ષી નથી.
આપણે કેટલાય લોકો જોયા છે જે જાહેરમાં સામાન્ય જીવન
જીવે છે, પરંતુ કોઈ અજાણ્યા માણસની મુશ્કેલીમાં
ચુપચાપ મદદ કરી જાય છે.
કોઈ વૃદ્ધને રસ્તો ઓળંગાવી આપનાર માણસને કદાચ ખબર પણ
નહીં હોય કે તેણે કોઈના દિવસમાં માનવતા પાછી મૂકી છે.
કોઈ માતા પોતાના બાળક માટે પોતાની જરૂરિયાત છોડે છે
અને તેનો ઉલ્લેખ પણ કરતી નથી.
કોઈ મિત્ર મુશ્કેલીમાં ફોન કરે ત્યારે “હું છું ને” એટલું જ કહે
છે.
આ માણસનો પણ એક ચહેરો છે, પરંતુ આ ચહેરાને તાળીઓની
જરૂર નથી. કારણ કે સારા
કામનો સૌથી સુંદર સાક્ષી ઘણી વાર પોતાનું જ અંતરાત્મા હોય છે.
ક્યારેક માણસની અંદરનો સૌથી મોટો સંઘર્ષ પ્રેમ અને
અહંકાર વચ્ચે હોય છે.
હૃદય કહે છે. “ફરી વાત કરી લે.”
અહંકાર કહે છે “પહેલા સામેનો
માણસ આવે.”
હૃદય કહે છે “માફ કરી દે.”
અહંકાર કહે છે “એને પાઠ ભણાવ.”
હૃદય કહે છે “તું તેને ગુમાવીશ.”
અહંકાર કહે છે “પણ તું ઝુકીશ નહીં.”
અને માણસ આખી રાત જાગે છે. બહારથી શાંત,
અંદરથી યુદ્ધગ્રસ્ત.
સંબંધો ઘણી વાર કોઈ ત્રીજા માણસને કારણે નથી તૂટતા. તેઓ બે
માણસોની અંદર રહેલા બે અહંકારોના યુદ્ધમાં તૂટી જાય છે અને જ્યારે બંનેમાંથી એક
માણસ જીતે છે ત્યારે ઘણી વાર સંબંધ હારી જાય છે.
માણસની અંદર એક “સમાજ માટેનો
માણસ” પણ રહે છે.
તે શું પહેરે છે, શું બોલે છે, કોની સાથે
ઊભો રહે છે, શું માને છે, શું પોસ્ટ
કરે છે. આ બધું ઘણી
વાર પોતાની પસંદગી કરતાં સમાજની નજરથી નક્કી કરે છે. માણસને
સ્વતંત્ર થવું છે, પરંતુ સ્વીકાર પણ જોઈએ છે. તે પોતાની
રીતે જીવવા માગે છે, પરંતુ લોકો શું કહેશે તેનો ડર
પણ છે. તેને સત્ય
બોલવું છે, પરંતુ સત્ય બોલ્યા પછી એકલો પડી
જવાનો ભય છે. આથી માણસ ઘણી વાર પોતાના જીવનનો લેખક ઓછો અને સમાજની અપેક્ષાઓનો
સંપાદક વધારે બની જાય છે અને સૌથી કરુણ વાત એ છે કે વર્ષો પછી તેને સમજાય છે.
“મેં આખી જિંદગી જે જીવન જીવ્યું, તેમાં મારું
કેટલું હતું?”
મહાભારતનો અર્જુન કદાચ આ આંતરિક વિખંડનનું સૌથી સુંદર
સાહિત્યિક પ્રતિબિંબ છે.
કુરુક્ષેત્રમાં ઊભેલો અર્જુન માત્ર એક યોદ્ધા નહોતો. તેની અંદર એક
યોદ્ધા હતો, એક ભાઈ હતો, એક શિષ્ય હતો, એક પૌત્ર હતો, એક મિત્ર હતો
અને એક એવો માણસ હતો જેને પોતાના સ્વજનો સામે શસ્ત્ર ઉઠાવવાની નૈતિક ગૂંચવણ હતી. તેના હાથમાં
ધનુષ્ય હતું, પરંતુ સંઘર્ષ હાથમાં નહોતો. સંઘર્ષ તો
મનમાં હતો. કુરુક્ષેત્ર
બહારનું યુદ્ધ શરૂ થાય તે પહેલાં અર્જુનના અંદરનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું.
કદાચ આ જ કારણ છે કે ભગવદ્ગીતા માત્ર યુદ્ધભૂમિ પર આપવામાં આવેલો ઉપદેશ નથી લાગતી; તે દરેક માણસના આંતરિક કુરુક્ષેત્રની વાત કરે છે. કારણ કે જીવનમાં એક ક્ષણ એવી જરૂર આવે છે જ્યારે આપણને નક્કી કરવું પડે છે.
હું કોણ છું? મારી ફરજ શું છે? મારો ભય સાચો
છે કે મારી જવાબદારી? અને અંતે મારે કોની
સાથે ઊભા રહેવું છે?
આ પ્રશ્નો અર્જુનના જ નથી. આપણા પણ છે.
માણસની અંદર એક “ભૂતકાળનો
માણસ” રહે છે. કોઈ જૂની
ભૂલનો. કોઈ અધૂરા
પ્રેમનો. કોઈ ગુમાવેલા
માણસનો. કોઈ એવી તકનો
જે ફરી ક્યારેય આવી નહીં. આ માણસ ઘણી વાર વર્તમાનના
દરવાજે ઊભો રહીને ભૂતકાળ તરફ જોતો રહે છે. પરંતુ ભૂતકાળનું સૌથી મોટું
દુઃખ એ નથી કે તે પાછો આવતો નથી. દુઃખ એ છે કે આપણે ઘણી વાર તેને
પાછો લાવવા માટે વર્તમાન ગુમાવી દઈએ છીએ. સ્મૃતિ જરૂરી છે પણ સ્મૃતિ જો
જીવનનું ઘર બની જાય તો માણસ વર્તમાનનો મહેમાન બની જાય છે અને પછી એક દિવસ માણસ પોતાની જિંદગીના કોઈ શાંત ખૂણે બેઠો હોય
છે.
બહાર દુનિયા સામાન્ય રીતે ચાલી રહી હોય છે.ઘડિયાળ
ટકટક કરે છે. ફોન પર
સંદેશા આવે છે. લોકો પોતાની
દોડમાં દોડે છે અને માણસ પહેલી વાર પોતાને પૂછે છે “હું આખરે છું
કોણ?”
એ સમયે કદાચ તેને સમજાય છે કે તેણે આખી જિંદગી પોતાની
ઓળખ એક જ નામમાં, એક જ વ્યવસાયમાં, એક જ
સંબંધમાં, એક જ ભૂમિકામાં શોધી હતી, પરંતુ
માણસ કોઈ એક ભૂમિકા નથી.
તે પિતા પણ છે, પુત્ર પણ છે, મિત્ર પણ છે, કર્મચારી પણ
છે, નાગરિક પણ છે, પ્રેમી પણ છે, શિક્ષક પણ છે, વિદ્યાર્થી
પણ છે અને આ બધાની પાછળ એક એવો માણસ છે જેને કોઈ ઉપાધિ નથી.
જે માત્ર “હું” છે.
કદાચ જીવનનો સૌથી મોટો પ્રવાસ આ બધા ચહેરાઓમાંથી પસાર
થઈને એ નિર્વસ્ત્ર “હું” સુધી પહોંચવાનો છે.
માણસની અંદર કેટલા માણસો રહે છે?
આ પ્રશ્નનો કોઈ ચોક્કસ આંકડો નથી. કદાચ એટલા જ
જેટલી તેની ભૂમિકાઓ. કદાચ એટલા જ જેટલા તેના અનુભવ. કદાચ એટલા જ જેટલા તેના અધૂરા
પ્રશ્નો, પરંતુ એક વાત નિશ્ચિત છે માણસની અંદરનો સૌથી મહત્વનો
માણસ એ છે, જે એકાંતમાં પણ એ જ રહે છે જે
તે દુનિયાની સામે દેખાવાનો પ્રયત્ન કરે છે કારણ કે
દુનિયા સામેનું વ્યક્તિત્વ અભિનયથી બનાવી શકાય છે.
પરંતુ એકાંતમાં માણસ પોતાની પાસેથી છૂટી શકતો નથી.
ત્યાં કોઈ તાળી નથી. કોઈ દર્શક
નથી. કોઈ
પ્રમાણપત્ર નથી. કોઈ પદ નથી. કોઈ બહાનું
નથી. ત્યાં માત્ર
માણસ છે અને તેનું અંતરાત્મા અને કદાચ જીવનનો અંતિમ હિસાબ પણ ત્યાં જ થવાનો છે. ત્યારે
પ્રશ્ન એ નહીં હોય કે દુનિયાએ આપણને કેટલો સારો માણસ માન્યો.
પ્રશ્ન કદાચ એટલો જ હશે
“જે માણસને દુનિયા ઓળખતી હતી, અને જે
માણસને તું અંદરથી ઓળખતો હતો. આ બંનેમાંથી તું આખી જિંદગી
કોને મોટો બનાવતો રહ્યો?”
અરીસામાં દેખાતો ચહેરો તો એક જ છે પણ અરીસાની પાછળ
ઊભેલા માણસો ઘણા છે. કોઈને આપણે દુનિયાથી છુપાવ્યો છે. કોઈને પોતાની જાતથી. કોઈને સમયથી અને
કોઈને હજુ સુધી ઓળખ્યો જ નથી.
કદાચ જીવનનો અર્થ એ નથી કે આપણે આપણા અંદરના બધા
માણસોને મારી નાખીએ.
અર્થ એટલો છે કે તેમને ઓળખીએ. તેમની વચ્ચે
સંવાદ કરાવીએ. અંધકારને
સ્વીકારીએ, પ્રકાશને સંભાળીએ અને અંતે એવો
માણસ બનીએ કે જેને પોતાની જ નજરથી શરમાવું ન પડે.
કારણ કે માણસ આખરે દુનિયા સામે નહીં,
પોતાની અંદર રહેલા માણસ સામે જ
જવાબદાર છે.
લેખક: જૈમિન જોષી.


