“સર્વ કાર્ય રામ કૃપાથી થાય છે.
ભારતીય આધ્યાત્મિક પરંપરામાં હનુમાન નું ચરિત્ર માત્ર એક પુરાણકથા નથી, પરંતુ આત્મજાગૃતિ તરફ દોરી જતું એક જીવંત દર્શન છે. હનુમાનજીને જો માત્ર વાનરરૂપ યોદ્ધા તરીકે જોવામાં આવે, તો આપણે તેમની મહત્તાને અત્યંત સીમિત કરી દઈએ છીએ; હકીકતમાં તેઓ માનવચેતનાના ઊચ્ચતમ સંભવિત સ્વરૂપનું પ્રતિક છે. તેમના જીવનમાં જે ઊંડાણ છે, તે માત્ર પરાક્રમ કે ચમત્કાર સુધી મર્યાદિત નથી, પરંતુ એ એક આંતરિક યાત્રા છે—અહંકારથી આત્મસ્વરૂપ સુધીની યાત્રા.
હનુમાનજીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ પાસે અસીમ શક્તિ હોવા છતાં તેઓ પોતાની શક્તિથી અજાણ રહ્યા. આ અજાણતા કોઈ અશક્તિ નથી, પરંતુ એ એક દિવ્ય લય છે, જ્યાં “હું” નો અહેસાસ વિલીન થઈ જાય છે. જ્યારે જાંબવાન તેમને તેમની શક્તિ યાદ અપાવે છે, ત્યારે હનુમાનજીમાં જે ઉર્જાનો વિસ્ફોટ થાય છે, તે માત્ર શારીરિક ઉછાળો નથી, પરંતુ આત્મવિશ્વાસ અને આત્મજ્ઞાનનો પ્રાગટ્ય છે. આ ઘટના દર્શાવે છે કે દરેક માનવમાં અપરિમિત શક્તિ રહેલી છે, પરંતુ તે ત્યાં સુધી સુપ્ત રહે છે, જ્યાં સુધી કોઈ આંતરિક કે બાહ્ય પ્રેરણા તેને જાગૃત ન કરે.
તેમનો સમગ્ર જીવનપ્રવાહ શ્રીરામ પ્રત્યેના નિર્વિકાર સમર્પણથી ભરેલો છે. આ સમર્પણ કોઈ દાસ્યભાવનો બોજ નથી, પરંતુ એ એક એવી મુક્તિ છે, જ્યાં વ્યક્તિ પોતાનો અહંકાર ત્યજીને એક વિશાળ તત્વ સાથે એકરૂપ થઈ જાય છે. હનુમાનજી માટે રામ માત્ર એક રાજા કે દેવતા નહોતા; તેઓ તેમના અસ્તિત્વનો કેન્દ્રબિંદુ હતા. આથી જ તેમના દરેક કાર્યમાં એક અદભુત સહજતા જોવા મળે છે—તેમણે ક્યારેય કંઈ મેળવવા માટે કાર્ય કર્યું નથી, પરંતુ ફક્ત આપવાના આનંદ માટે જ જીવન જીવ્યું.
જ્યારે તેઓ લંકામાં પ્રવેશ કરે છે અને સીતા ને શોધે છે, ત્યારે તે માત્ર એક શોધ નથી, પરંતુ તે આધ્યાત્મિક રીતે “આત્માની શોધ” નું પ્રતિક છે. લંકા એ મનના વિકારોનું પ્રતિક છે, અને તેમાં બંધાયેલી સીતા એ શુદ્ધ ચેતનાનું સ્વરૂપ છે. હનુમાનજીનું તે પ્રયોગ બતાવે છે કે જ્યારે ભક્તિ અને નિષ્ઠા સાથે મનના અંધકારમાં પ્રવેશ કરવામાં આવે, ત્યારે આત્મસત્યનો અનુભવ શક્ય બને છે.
હનુમાનજી અને રાવણ વચ્ચેનો તફાવત પણ અત્યંત ગહન છે. બંને પાસે જ્ઞાન, શક્તિ અને સામર્થ્ય હતું, પરંતુ એકમાં અહંકારનું પ્રભુત્વ હતું અને બીજામાં સમર્પણનું. રાવણ પોતાના જ્ઞાનનો ગુલામ બની ગયો, જ્યારે હનુમાન પોતાના સમર્પણના સ્વામી રહ્યા. આથી જ રાવણનું અંત થયું અને હનુમાનજીનું ચરિત્ર અવિનાશી બની ગયું. આ ઘટના આપણને સમજાવે છે કે જ્ઞાન માત્ર પૂરતું નથી, જો તેમાં વિનમ્રતા અને ભક્તિનો સંયોગ ન હોય.
હનુમાનજીનું ચરિત્ર માત્ર ભક્તિ સુધી મર્યાદિત નથી, પરંતુ તે જ્ઞાન અને કર્મનો પણ ઉત્તમ સંકલન છે. તેઓ જ્યારે સંજીવની લેવા જાય છે, ત્યારે તેઓ માત્ર દૈહિક રીતે પર્વત ઉઠાવતા નથી, પરંતુ એ માનવ જીવનમાં આશા અને પ્રાણશક્તિ લાવવાનું પ્રતિક છે. લક્ષ્મણ માટે સંજીવની લાવવી એ માત્ર એક સેવા નથી, પરંતુ એ દર્શાવે છે કે સાચો ભક્ત અન્યના દુઃખને પોતાનું દુઃખ માને છે.
હનુમાનજીનું એક ખૂબ જ ઊંડું પાસું એ છે કે તેઓ ચિરંજીવી છે. આ ચિરંજીવિત્વનો અર્થ શારીરિક અમરતા નથી, પરંતુ એ એક એવી ચેતના છે, જે ક્યારેય મરતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અહંકારને છોડીને સેવા, ભક્તિ અને સત્યના માર્ગે ચાલે છે, ત્યારે તે હનુમાનત્વને સ્પર્શે છે. આથી જ કહેવાય છે કે હનુમાનજી આજેય જીવંત છે—કારણ કે તેઓ કોઈ દેહમાં નહીં, પરંતુ દરેક શ્રદ્ધાળુના હૃદયમાં વસે છે.
હનુમાનજીના ચરિત્રમાં એક વિશેષ વાત એ છે કે તેઓ ક્યારેય પોતાના માટે કંઈ માંગતા નથી. તેમની દરેક ક્રિયા નિSwાર્થ છે. આજના યુગમાં, જ્યાં દરેક સંબંધ કોઈ ને કોઈ સ્વાર્થ પર આધારિત છે, ત્યાં હનુમાનજીનું જીવન આપણને નિઃસ્વાર્થતનો સાચો અર્થ સમજાવે છે. તેઓ બતાવે છે કે સાચું સુખ મેળવવામાં નથી, પરંતુ આપમાં છે.
હનુમાનજીનું ચરિત્ર આપણને એક જ દિશામાં લઈ જાય છે—આંતરિક જાગૃતિ તરફ. તેઓ કહેતા નથી, પરંતુ તેમના જીવન દ્વારા સમજાવે છે કે માનવ જીવનનો સાચો હેતુ પોતાની અંદર રહેલી દિવ્ય શક્તિને ઓળખવાનો છે. જ્યારે માણસ પોતાની અંદર રહેલા “હનુમાન” ને ઓળખી લે છે, ત્યારે તેની માટે કોઈ અશક્ય રહેતું નથી.
હનુમાનજી એટલે માત્ર ભક્તિ નહીં, પરંતુ એક સંપૂર્ણ જીવનદ્રષ્ટિ—જ્યાં શક્તિ છે પરંતુ અહંકાર નથી, જ્ઞાન છે પરંતુ ગર્વ નથી, અને સેવા છે પરંતુ કોઈ અપેક્ષા નથી. તેમની ઉપાસના એટલે માત્ર નામસ્મરણ નહીં, પરંતુ તેમના ગુણોને જીવનમાં ઉતારવાની એક સતત પ્રક્રિયા. જ્યારે આ પ્રક્રિયા શરૂ થાય છે, ત્યારે જીવન માત્ર જીવાતું નથી, પરંતુ તે એક આધ્યાત્મિક યાત્રા બની જાય છે.
કોલમ: જયવાદ
લેખક: જૈમીન જોષી.