7.8%
GDP પછી પણ સવાલ કેમ બાકી છે?
ભારતની
અર્થવ્યવસ્થાની ચમક પાછળ સામાન્ય માણસની હકીકત શું છે?
ભારત
દેશના રાજકારણમાં ઊથલ પાથલ થવું સામાન્ય છે. દેશની નીતિઓ સતત બદલાઈ રહી છે પણ
સત્તા હજુ તેની તે જ છે. જો કોઈ યોજના કે નીતિ દેશની જનતાનો વિકાસ ન કરાવી શકતી
હોય તો તેની પાછળની તમામ વ્યવસ્થા કે યોજના નિષ્ફળ છે. દેશની અર્થવ્યવસ્થાના
સમાચાર સામાન્ય રીતે બે રીતે આવે છે. સરકાર કહે કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે
તો સમાચારની હેડલાઇન બને ‘ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી
અર્થવ્યવસ્થાઓમાં એક’. વિપક્ષ કહે કે આંકડાઓની પાછળ
હકીકત છુપાયેલી છે તો બીજી હેડલાઇન બને ‘સરકારના વિકાસના દાવા સામે
સવાલો’. બંને વચ્ચે સામાન્ય માણસ ઊભો
રહે છે અને પોતાના ખિસ્સામાં હાથ નાખીને વિચારે છે GDP વધે છે, તો મારા ખિસ્સામાં
કેટલું વધ્યું?
આ સવાલ અત્યારે વધુ મહત્વનો બની ગયો છે.
એપ્રિલથી
જૂન 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં
ભારતની વાસ્તવિક GDP વૃદ્ધિ 7.8 ટકા નોંધાઈ
છે. આ આંકડો અપેક્ષાઓ કરતાં નોંધપાત્ર રીતે સારો છે. "રોઇટર્સ" ના અહેવાલ મુજબ અર્થશાસ્ત્રીઓનો અંદાજ પણ આ સ્તર કરતાં નીચે હતો. ઉત્પાદન
ક્ષેત્ર, રોકાણ અને ઘરેલું માંગોએ આ
વૃદ્ધિને ટેકો આપ્યો છે. અહીં 7.8 ટકા વૃદ્ધિને ખોટી કહી દેવી એ
પણ એટલું જ ખોટું છે જેટલું આ એક આંકડાને આધારે ભારતીય અર્થવ્યવસ્થાની તમામ
સમસ્યાઓ પૂરી થઈ ગઈ હોવાનું માની લેવું. બંને અતિરેક
છે.
7.8 ટકા ખરેખર
શું કહે છે? તેને સમજીએ...
GDP એટલે દેશમાં
ચોક્કસ સમયગાળા દરમિયાન પેદા થયેલા અંતિમ માલ અને સેવાઓના કુલ આર્થિક મૂલ્યનું
માપ. એટલે GDPમાં 7.8 ટકાનો વધારો
એ બતાવે છે કે અર્થવ્યવસ્થાની કુલ આર્થિક પ્રવૃત્તિ મજબૂત રહી છે પરંતુ GDP કોઈ
વ્યક્તિની આવકનો પેરામીટર નથી. એક દેશની GDP વધી શકે અને
તે જ સમયે ઘણા પરિવારોને રોજગાર, આવક, શિક્ષણ, આરોગ્ય કે
ઘરખર્ચના પ્રશ્નો સતાવતા રહી શકે. આ વિરોધાભાસ નથી; આ
અર્થશાસ્ત્રની મૂળભૂત હકીકત છે. માની લો કે એક શહેરમાં દસ મોટી
કંપનીઓએ અબજો રૂપિયાનું રોકાણ કર્યું. કારખાનાં ઊભાં થયા, મશીનો આવ્યા, ઉત્પાદન વધ્યું.
શહેરની આર્થિક પ્રવૃત્તિ વધી, પરંતુ જો તે રોકાણમાંથી ઊભી થતી નોકરીઓ મર્યાદિત હોય, પગારની
વૃદ્ધિ ધીમી હોય અને જીવનજરૂરિયાતોનો ખર્ચ ઝડપથી વધતો હોય, તો શહેરનો GDP વધ્યો હોવા
છતાં દરેક પરિવારને સમાન રીતે સમૃદ્ધિનો અનુભવ નહીં થાય. આથી GDP એ અર્થવ્યવસ્થાનું તાપમાન છે; દરેક
પરિવારનું બ્લડ-રિપોર્ટ નથી અને અહીંથી જ આજની સૌથી મોટી
ચર્ચા શરૂ થાય છે.
એક સવાલ હજુ
કે શું મોદી સરકારને શ્રેય આપવો જોઈએ?
જો કોઈ
વિશ્લેષક માત્ર એટલા માટે 7.8 ટકાના આંકડાને નકારી કાઢે કે તે
મોદી સરકારના સમયમાં આવ્યો છે, તો તે વિશ્લેષણ નહીં, રાજકીય
પૂર્વગ્રહ છે. તાજેતરના
આંકડામાં કેટલીક બાબતો ખરેખર નોંધપાત્ર છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રના
મૂડીરોકાણમાં સુધારાના સંકેતો મળી રહ્યા છે. "રોઇટર્સ" ના વિશ્લેષણ મુજબ એપ્રિલ–જૂન ત્રિમાસિકમાં ખાનગી
મૂડીરોકાણમાં વર્ષ-દર-વર્ષ 11.9 ટકાનો વધારો નોંધાયો અને કુલ
સ્થિર મૂડી નિર્માણનો હિસ્સો પણ વધ્યો. તેનો અર્થ એવો લઈ શકાય કે વિકાસ માત્ર
સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ પર નિર્ભર રહેવાને બદલે ખાનગી રોકાણ તરફ પણ વળી
રહ્યો છે. આ બાબત સરકાર
માટે ચોક્કસપણે સારા સમાચાર છે.
મેન્યુફેક્ચરિંગનું
મજબૂત પ્રદર્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ, ડિજિટલ
અર્થવ્યવસ્થા, ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ અને
ખાનગી ક્ષેત્રના કેપેક્સમાં આવતી ગતિ આ બધું મળીને ભારતીય
અર્થવ્યવસ્થાની ક્ષમતા વિશે સકારાત્મક સંકેત આપે છે. સરકારને તેનો
શ્રેય મળવો જ જોઈએ.
પરંતુ સરકારને
શ્રેય આપવો અને સરકારના દરેક દાવાને સ્વીકારી લેવો બે અલગ બાબતો
છે.
તો પછી
વિપક્ષનો સવાલ ક્યાં યોગ્ય છે?
GDPના આંકડાઓને
લઈને વિવાદનું બીજું પાસું પણ ગંભીરતાથી સમજવું પડશે.
2026માં ભારતે GDPની નવી
શ્રેણી રજૂ કરી છે. નવી શ્રેણીમાં નવા અને વધુ વિગતવાર ડેટા સ્રોતો તથા કિંમતો
માપવાની પદ્ધતિમાં ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ બદલાવ
ભારતીય અર્થવ્યવસ્થાની બદલાતી રચનાને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરે છે.
આ વાત પોતે અસામાન્ય નથી. GDPનું આધાર
વર્ષ સમયાંતરે બદલવામાં આવે છે, કારણ કે દસ-પંદર વર્ષ જૂના
અર્થતંત્રથી આજનું અર્થતંત્ર અલગ હોય છે. ડિજિટલ સેવાઓ, GST, નવી ઉત્પાદન
પદ્ધતિઓ, સેવા ક્ષેત્રનું વિસ્તરણ અને
નવા પ્રકારના વ્યવસાયોને જૂના માળખાથી માપવાથી અર્થતંત્રની સાચી તસવીર ન પણ મળે પરંતુ
પદ્ધતિ બદલાઈ એટલે પ્રશ્ન પૂછવાનો અધિકાર પણ ખતમ
થઈ જાય એવું નથી. પૂર્વ નાણાં સચિવ સુભાષચંદ્ર ગર્ગે નવા આંકડાઓ અંગે સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષે
પણ સરકાર પર આંકડાઓને અનુકૂળ રીતે રજૂ કરવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ આંકડા
મંત્રાલયના સચિવ સૌરભ ગર્ગે આ દાવાઓને નકારી કાઢીને કહ્યું છે કે ફેરફારો નવી
માહિતી અને નવી પદ્ધતિના પરિણામ છે, કોઈ
પક્ષપાતના કારણે નહીં. સરકાર પાસે આંકડા રજૂ કરવાની જવાબદારી છે અને વિપક્ષ પાસે સવાલ પૂછવાની. પરંતુ
બંનેમાંથી કોઈને પણ સત્યનો એકમાત્ર માલિક બનવાનો અધિકાર નથી.
તો શું ‘7.8 ટકા’ સરકારની જીત
છે?
રાજકારણની ભાષામાં હા. અર્થશાસ્ત્રની
ભાષામાં આ હજુ એક
ત્રિમાસિક પરિણામ છે. સરકાર માટે આ આંકડો રાજકીય રીતે મહત્વનો છે કારણ કે તે ‘ભારતીય
અર્થવ્યવસ્થા પડી ભાંગી રહી છે’ જેવા દાવાઓ સામે મજબૂત જવાબ આપે
છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 7.8 ટકાની
વૃદ્ધિને ભારતની આર્થિક સ્થિતિસ્થાપકતાના પુરાવા તરીકે રજૂ કરી છે અને આર્થિક ટીકા
સામે આક્રમક રાજકીય પ્રતિક્રિયા આપી છે પરંતુ એક ત્રિમાસિક આંકડો કોઈ સરકારની આખી
આર્થિક નીતિનું અંતિમ પ્રમાણપત્ર બની શકતો નથી કારણ કે અર્થવ્યવસ્થા માત્ર GDPથી બનેલી
નથી.
એક યુવાનને કહો કે દેશનો GDP 7.8 ટકા વધ્યો
છે. તે કદાચ ખુશ થશે. પછી તેને પૂછો ‘તમને તમારી લાયકાત મુજબ નોકરી મળી?’ અહીં જવાબ
બદલાઈ શકે છે. GDPમાં વધારો
ત્યારે જ સામાજિક રીતે અર્થપૂર્ણ બને છે જ્યારે તેનો અનુવાદ ઉત્પાદક
રોજગાર, વાસ્તવિક આવક, સારી
જીવનશૈલી અને વ્યાપક તકમાં થાય. જો વૃદ્ધિ
મુખ્યત્વે મૂડી, મોટા ઉદ્યોગો અને ટેક્નોલોજીથી
આવે પરંતુ પૂરતી સંખ્યામાં ગુણવત્તાસભર નોકરીઓ ઊભી ન થાય, તો વૃદ્ધિ
અને રોજગાર વચ્ચે અંતર ઊભું થાય છે. ભારત જેવા યુવાન દેશ માટે આ
અંતર જોખમી છે કારણ કે ભારત પાસે વિશ્વની સૌથી મોટી યુવા વસ્તીઓમાંની એક છે. આ
યુવાનોને માત્ર ‘વિકાસ થઈ રહ્યો છે’ એવો સંદેશ
નહીં, વિકાસમાં પોતાની જગ્યા જોઈએ છે.
તો પછી મધ્યમવર્ગ?
અહીં GDPની ચમક
ઘણીવાર રસોડાની હકીકત સાથે અથડાય છે. મધ્યમવર્ગ માટે અર્થવ્યવસ્થા
એટલે શેરબજાર નહીં. તેના માટે અર્થવ્યવસ્થા એટલે ઘરનું ભાડું, EMI, બાળકોની ફી, આરોગ્ય ખર્ચ, વાહનનો ખર્ચ, વીજળીનું બિલ, કર અને
મહિનાના અંતે બચતા પૈસા. જો GDP વધે પરંતુ પરિવારની વાસ્તવિક
બચત પર દબાણ રહે, તો તે પરિવાર માટે ‘આર્થિક
વૃદ્ધિ’નો અનુભવ કાગળ પરનો રહી શકે. આથી સરકારને પૂછવો જોઈએ 7.8 ટકાની
વૃદ્ધિનો લાભ આવકના કયા વર્ગ સુધી કેટલી ઝડપથી પહોંચે છે? અને વિપક્ષને
પણ પૂછવું જોઈએ જો
અર્થવ્યવસ્થા મજબૂત નથી તો રોકાણ, ઉત્પાદન અને GDPના આંકડામાં
દેખાતી મજબૂતીનું તમે શું અર્થઘટન કરો છો?
સવાલ બંનેને પૂછવો જોઈએ.
સૌથી રસપ્રદ
વાત: ખાનગી રોકાણ પાછું આવી રહ્યું છે
ભારતીય અર્થવ્યવસ્થાની આગામી કહાની અહીં લખાઈ શકે છે. છેલ્લાં
વર્ષોમાં સરકારી કેપેક્સે વિકાસને મોટો ટેકો આપ્યો. હવે જો ખાનગી કંપનીઓ પોતાનું
રોકાણ વધારવા લાગે, કારખાનાં ઊભાં કરે, નવી
ટેક્નોલોજીમાં ખર્ચ કરે અને ક્ષમતા વધારે, તો તેની અસર
લાંબા ગાળે વધુ ઊંડી હોઈ શકે. તાજેતરના ડેટામાં ખાનગી
મૂડીરોકાણમાં વધારો અને કોર્પોરેટ કેપેક્સમાં ગતિના સંકેતો મળ્યા છે પરંતુ અહીં પણ
ખુશ થવાની જરૂર કારણ કે ભારતની વૃદ્ધિ સામે તેલના ભાવ, વૈશ્વિક
ભૂરાજકીય તણાવ, નબળો રૂપિયો, મોંઘવારી અને
અનિશ્ચિત વૈશ્વિક માંગ જેવા જોખમો હજુ ઊભા છે. "રોઇટર્સ" ના
વિશ્લેષણમાં પણ આ જોખમો નોંધાયા છે. અર્થવ્યવસ્થા દોડે છે એટલે
રસ્તો હંમેશા સીધો રહેશે એવું નથી.
આ સમગ્ર વિવાદમાં સૌથી ખરાબ બાબત એ છે કે આર્થિક
આંકડાઓને રાજકીય હથિયાર બનાવી દેવામાં આવે. સરકારને ગમતો આંકડો હોય તો તે ‘સત્ય’. વિપક્ષને
ગમતો આંકડો હોય તો તે ‘સત્ય’. આ રીતે દેશની
અર્થવ્યવસ્થાનું વિશ્લેષણ થઈ શકે નહીં. જો નવા GDP આંકડા યોગ્ય
પદ્ધતિથી તૈયાર થયા હોય તો તેમને સ્વીકારવા જોઈએ. જો પદ્ધતિમાં
કોઈ ખામી હોય તો નિષ્ણાત ચર્ચા થવી જોઈએ. જો જૂના અને નવા ડેટાની સીધી
સરખામણી યોગ્ય ન હોય તો તે પણ સ્પષ્ટ રીતે સમજાવવું જોઈએ અને જો કોઈ રાજકીય પક્ષ
જાણતા હોવા છતાં અધૂરા આંકડાથી જનમાનસને ગેરમાર્ગે દોરતો હોય, તો તેને પણ
ખોટું કહેવાની હિંમત પત્રકાર પાસે હોવી જોઈએ.
પત્રકારત્વનો ધર્મ સત્તા સામે
સવાલ કરવો છે, પરંતુ સવાલ કરવાનો અર્થ સત્તાની
દરેક વાતને ખોટી સાબિત કરવો નથી. આ ફરક આજના સમયમાં બહુ મહત્વનો
છે.
ભારત ખરેખર
ક્યાં ઊભું છે?
સાચો જવાબ કદાચ બંને કેમ્પને નિરાશ કરશે. ભારતની
અર્થવ્યવસ્થા ન તો ‘ધ્વસ્ત’ છે, ન તો ‘બધી
સમસ્યાઓથી મુક્ત’ છે. તે મજબૂત
વૃદ્ધિના તબક્કામાં છે, પરંતુ અસમાનતા, રોજગાર, માનવ મૂડી, આવકની
ગુણવત્તા અને જીવનખર્ચ જેવા પ્રશ્નો હજુ ગંભીર છે.
લેખક : જૈમિન જોષી



