Thursday, September 3, 2026

“7.8% GDPની ચમક અને સામાન્ય માણસની જિંદગી: વિકાસ ખરેખર કોનો?” (7.8% “GDP Growth and the Common Man: Who Benefits?”)

 

7.8% GDP પછી પણ સવાલ કેમ બાકી છે?

ભારતની અર્થવ્યવસ્થાની ચમક પાછળ સામાન્ય માણસની હકીકત શું છે?

 

india-gdp-growth-7-8-percent-development-common-man.jpg

        ભારત દેશના રાજકારણમાં ઊથલ પાથલ થવું સામાન્ય છે. દેશની નીતિઓ સતત બદલાઈ રહી છે પણ સત્તા હજુ તેની તે જ છે. જો કોઈ યોજના કે નીતિ દેશની જનતાનો વિકાસ ન કરાવી શકતી હોય તો તેની પાછળની તમામ વ્યવસ્થા કે યોજના નિષ્ફળ છે. દેશની અર્થવ્યવસ્થાના સમાચાર સામાન્ય રીતે બે રીતે આવે છે. સરકાર કહે કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે તો સમાચારની હેડલાઇન બને ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં એક’. વિપક્ષ કહે કે આંકડાઓની પાછળ હકીકત છુપાયેલી છે તો બીજી હેડલાઇન બને સરકારના વિકાસના દાવા સામે સવાલો’. બંને વચ્ચે સામાન્ય માણસ ઊભો રહે છે અને પોતાના ખિસ્સામાં હાથ નાખીને વિચારે છે GDP વધે છે, તો મારા ખિસ્સામાં કેટલું વધ્યું?

આ સવાલ અત્યારે વધુ મહત્વનો બની ગયો છે.

        એપ્રિલથી જૂન 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની વાસ્તવિક GDP વૃદ્ધિ 7.8 ટકા નોંધાઈ છે. આ આંકડો અપેક્ષાઓ કરતાં નોંધપાત્ર રીતે સારો છે. "રોઇટર્સ" ના અહેવાલ મુજબ અર્થશાસ્ત્રીઓનો અંદાજ પણ આ સ્તર કરતાં નીચે હતો. ઉત્પાદન ક્ષેત્ર, રોકાણ અને ઘરેલું માંગોએ આ વૃદ્ધિને ટેકો આપ્યો છે. અહીં 7.8 ટકા વૃદ્ધિને ખોટી કહી દેવી એ પણ એટલું જ ખોટું છે જેટલું આ એક આંકડાને આધારે ભારતીય અર્થવ્યવસ્થાની તમામ સમસ્યાઓ પૂરી થઈ ગઈ હોવાનું માની લેવું. બંને અતિરેક છે.

7.8 ટકા ખરેખર શું કહે છે? તેને સમજીએ...

        GDP એટલે દેશમાં ચોક્કસ સમયગાળા દરમિયાન પેદા થયેલા અંતિમ માલ અને સેવાઓના કુલ આર્થિક મૂલ્યનું માપ. એટલે GDPમાં 7.8 ટકાનો વધારો એ બતાવે છે કે અર્થવ્યવસ્થાની કુલ આર્થિક પ્રવૃત્તિ મજબૂત રહી છે પરંતુ GDP કોઈ વ્યક્તિની આવકનો પેરામીટર નથી. એક દેશની GDP વધી શકે અને તે જ સમયે ઘણા પરિવારોને રોજગાર, આવક, શિક્ષણ, આરોગ્ય કે ઘરખર્ચના પ્રશ્નો સતાવતા રહી શકે. આ વિરોધાભાસ નથી; આ અર્થશાસ્ત્રની મૂળભૂત હકીકત છે. માની લો કે એક શહેરમાં દસ મોટી કંપનીઓએ અબજો રૂપિયાનું રોકાણ કર્યું. કારખાનાં ઊભાં થયા, મશીનો આવ્યા, ઉત્પાદન વધ્યું. શહેરની આર્થિક પ્રવૃત્તિ વધી, પરંતુ જો તે રોકાણમાંથી ઊભી થતી નોકરીઓ મર્યાદિત હોય, પગારની વૃદ્ધિ ધીમી હોય અને જીવનજરૂરિયાતોનો ખર્ચ ઝડપથી વધતો હોય, તો શહેરનો GDP વધ્યો હોવા છતાં દરેક પરિવારને સમાન રીતે સમૃદ્ધિનો અનુભવ નહીં થાય. આથી GDP એ અર્થવ્યવસ્થાનું તાપમાન છે; દરેક પરિવારનું બ્લડ-રિપોર્ટ નથી અને અહીંથી જ આજની સૌથી મોટી ચર્ચા શરૂ થાય છે.

એક સવાલ હજુ કે શું મોદી સરકારને શ્રેય આપવો જોઈએ?

        જો કોઈ વિશ્લેષક માત્ર એટલા માટે 7.8 ટકાના આંકડાને નકારી કાઢે કે તે મોદી સરકારના સમયમાં આવ્યો છે, તો તે વિશ્લેષણ નહીં, રાજકીય પૂર્વગ્રહ છે. તાજેતરના આંકડામાં કેટલીક બાબતો ખરેખર નોંધપાત્ર છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણમાં સુધારાના સંકેતો મળી રહ્યા છે. "રોઇટર્સ" ના વિશ્લેષણ મુજબ એપ્રિલજૂન ત્રિમાસિકમાં ખાનગી મૂડીરોકાણમાં વર્ષ-દર-વર્ષ 11.9 ટકાનો વધારો નોંધાયો અને કુલ સ્થિર મૂડી નિર્માણનો હિસ્સો પણ વધ્યો. તેનો અર્થ એવો લઈ શકાય કે વિકાસ માત્ર સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ પર નિર્ભર રહેવાને બદલે ખાનગી રોકાણ તરફ પણ વળી રહ્યો છે. આ બાબત સરકાર માટે ચોક્કસપણે સારા સમાચાર છે.

        મેન્યુફેક્ચરિંગનું મજબૂત પ્રદર્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ, ડિજિટલ અર્થવ્યવસ્થા, ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ અને ખાનગી ક્ષેત્રના કેપેક્સમાં આવતી ગતિ આ બધું મળીને ભારતીય અર્થવ્યવસ્થાની ક્ષમતા વિશે સકારાત્મક સંકેત આપે છે. સરકારને તેનો શ્રેય મળવો જ જોઈએ.

પરંતુ સરકારને શ્રેય આપવો અને સરકારના દરેક દાવાને સ્વીકારી લેવો બે અલગ બાબતો છે.

તો પછી વિપક્ષનો સવાલ ક્યાં યોગ્ય છે?

        GDPના આંકડાઓને લઈને વિવાદનું બીજું પાસું પણ ગંભીરતાથી સમજવું પડશે.

2026માં ભારતે GDPની નવી શ્રેણી રજૂ કરી છે. નવી શ્રેણીમાં નવા અને વધુ વિગતવાર ડેટા સ્રોતો તથા કિંમતો માપવાની પદ્ધતિમાં ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ બદલાવ ભારતીય અર્થવ્યવસ્થાની બદલાતી રચનાને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરે છે.

    આ વાત પોતે અસામાન્ય નથી. GDPનું આધાર વર્ષ સમયાંતરે બદલવામાં આવે છે, કારણ કે દસ-પંદર વર્ષ જૂના અર્થતંત્રથી આજનું અર્થતંત્ર અલગ હોય છે. ડિજિટલ સેવાઓ, GST, નવી ઉત્પાદન પદ્ધતિઓ, સેવા ક્ષેત્રનું વિસ્તરણ અને નવા પ્રકારના વ્યવસાયોને જૂના માળખાથી માપવાથી અર્થતંત્રની સાચી તસવીર ન પણ મળે પરંતુ પદ્ધતિ બદલાઈ એટલે પ્રશ્ન પૂછવાનો અધિકાર પણ ખતમ થઈ જાય એવું નથી. પૂર્વ નાણાં સચિવ સુભાષચંદ્ર ગર્ગે નવા આંકડાઓ અંગે સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષે પણ સરકાર પર આંકડાઓને અનુકૂળ રીતે રજૂ કરવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ આંકડા મંત્રાલયના સચિવ સૌરભ ગર્ગે આ દાવાઓને નકારી કાઢીને કહ્યું છે કે ફેરફારો નવી માહિતી અને નવી પદ્ધતિના પરિણામ છે, કોઈ પક્ષપાતના કારણે નહીં. સરકાર પાસે આંકડા રજૂ કરવાની જવાબદારી છે અને વિપક્ષ પાસે સવાલ પૂછવાની. પરંતુ બંનેમાંથી કોઈને પણ સત્યનો એકમાત્ર માલિક બનવાનો અધિકાર નથી.

તો શું ‘7.8 ટકાસરકારની જીત છે?

    રાજકારણની ભાષામાં હા. અર્થશાસ્ત્રની ભાષામાં આ હજુ એક ત્રિમાસિક પરિણામ છે. સરકાર માટે આ આંકડો રાજકીય રીતે મહત્વનો છે કારણ કે તે ભારતીય અર્થવ્યવસ્થા પડી ભાંગી રહી છેજેવા દાવાઓ સામે મજબૂત જવાબ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 7.8 ટકાની વૃદ્ધિને ભારતની આર્થિક સ્થિતિસ્થાપકતાના પુરાવા તરીકે રજૂ કરી છે અને આર્થિક ટીકા સામે આક્રમક રાજકીય પ્રતિક્રિયા આપી છે પરંતુ એક ત્રિમાસિક આંકડો કોઈ સરકારની આખી આર્થિક નીતિનું અંતિમ પ્રમાણપત્ર બની શકતો નથી કારણ કે અર્થવ્યવસ્થા માત્ર GDPથી બનેલી નથી.

    એક યુવાનને કહો કે દેશનો GDP 7.8 ટકા વધ્યો છે. તે કદાચ ખુશ થશે. પછી તેને પૂછો તમને તમારી લાયકાત મુજબ નોકરી મળી?’ અહીં જવાબ બદલાઈ શકે છે. GDPમાં વધારો ત્યારે જ સામાજિક રીતે અર્થપૂર્ણ બને છે જ્યારે તેનો અનુવાદ ઉત્પાદક રોજગાર, વાસ્તવિક આવક, સારી જીવનશૈલી અને વ્યાપક તકમાં થાય. જો વૃદ્ધિ મુખ્યત્વે મૂડી, મોટા ઉદ્યોગો અને ટેક્નોલોજીથી આવે પરંતુ પૂરતી સંખ્યામાં ગુણવત્તાસભર નોકરીઓ ઊભી ન થાય, તો વૃદ્ધિ અને રોજગાર વચ્ચે અંતર ઊભું થાય છે. ભારત જેવા યુવાન દેશ માટે આ અંતર જોખમી છે કારણ કે ભારત પાસે વિશ્વની સૌથી મોટી યુવા વસ્તીઓમાંની એક છે. આ યુવાનોને માત્ર વિકાસ થઈ રહ્યો છેએવો સંદેશ નહીં, વિકાસમાં પોતાની જગ્યા જોઈએ છે.

તો પછી મધ્યમવર્ગ?

    અહીં GDPની ચમક ઘણીવાર રસોડાની હકીકત સાથે અથડાય છે. મધ્યમવર્ગ માટે અર્થવ્યવસ્થા એટલે શેરબજાર નહીં. તેના માટે અર્થવ્યવસ્થા એટલે ઘરનું ભાડું, EMI, બાળકોની ફી, આરોગ્ય ખર્ચ, વાહનનો ખર્ચ, વીજળીનું બિલ, કર અને મહિનાના અંતે બચતા પૈસા. જો GDP વધે પરંતુ પરિવારની વાસ્તવિક બચત પર દબાણ રહે, તો તે પરિવાર માટે આર્થિક વૃદ્ધિનો અનુભવ કાગળ પરનો રહી શકે. આથી સરકારને પૂછવો જોઈએ 7.8 ટકાની વૃદ્ધિનો લાભ આવકના કયા વર્ગ સુધી કેટલી ઝડપથી પહોંચે છે? અને વિપક્ષને પણ પૂછવું જોઈએ જો અર્થવ્યવસ્થા મજબૂત નથી તો રોકાણ, ઉત્પાદન અને GDPના આંકડામાં દેખાતી મજબૂતીનું તમે શું અર્થઘટન કરો છો?

સવાલ બંનેને પૂછવો જોઈએ.

સૌથી રસપ્રદ વાત: ખાનગી રોકાણ પાછું આવી રહ્યું છે

    ભારતીય અર્થવ્યવસ્થાની આગામી કહાની અહીં લખાઈ શકે છે. છેલ્લાં વર્ષોમાં સરકારી કેપેક્સે વિકાસને મોટો ટેકો આપ્યો. હવે જો ખાનગી કંપનીઓ પોતાનું રોકાણ વધારવા લાગે, કારખાનાં ઊભાં કરે, નવી ટેક્નોલોજીમાં ખર્ચ કરે અને ક્ષમતા વધારે, તો તેની અસર લાંબા ગાળે વધુ ઊંડી હોઈ શકે. તાજેતરના ડેટામાં ખાનગી મૂડીરોકાણમાં વધારો અને કોર્પોરેટ કેપેક્સમાં ગતિના સંકેતો મળ્યા છે પરંતુ અહીં પણ ખુશ થવાની જરૂર કારણ કે ભારતની વૃદ્ધિ સામે તેલના ભાવ, વૈશ્વિક ભૂરાજકીય તણાવ, નબળો રૂપિયો, મોંઘવારી અને અનિશ્ચિત વૈશ્વિક માંગ જેવા જોખમો હજુ ઊભા છે. "રોઇટર્સ"  ના વિશ્લેષણમાં પણ આ જોખમો નોંધાયા છે. અર્થવ્યવસ્થા દોડે છે એટલે રસ્તો હંમેશા સીધો રહેશે એવું નથી.

    આ સમગ્ર વિવાદમાં સૌથી ખરાબ બાબત એ છે કે આર્થિક આંકડાઓને રાજકીય હથિયાર બનાવી દેવામાં આવે. સરકારને ગમતો આંકડો હોય તો તે સત્ય’. વિપક્ષને ગમતો આંકડો હોય તો તે સત્ય’. આ રીતે દેશની અર્થવ્યવસ્થાનું વિશ્લેષણ થઈ શકે નહીં. જો નવા GDP આંકડા યોગ્ય પદ્ધતિથી તૈયાર થયા હોય તો તેમને સ્વીકારવા જોઈએ. જો પદ્ધતિમાં કોઈ ખામી હોય તો નિષ્ણાત ચર્ચા થવી જોઈએ. જો જૂના અને નવા ડેટાની સીધી સરખામણી યોગ્ય ન હોય તો તે પણ સ્પષ્ટ રીતે સમજાવવું જોઈએ અને જો કોઈ રાજકીય પક્ષ જાણતા હોવા છતાં અધૂરા આંકડાથી જનમાનસને ગેરમાર્ગે દોરતો હોય, તો તેને પણ ખોટું કહેવાની હિંમત પત્રકાર પાસે હોવી જોઈએ.

પત્રકારત્વનો ધર્મ સત્તા સામે સવાલ કરવો છે, પરંતુ સવાલ કરવાનો અર્થ સત્તાની દરેક વાતને ખોટી સાબિત કરવો નથી. આ ફરક આજના સમયમાં બહુ મહત્વનો છે.

ભારત ખરેખર ક્યાં ઊભું છે?

    સાચો જવાબ કદાચ બંને કેમ્પને નિરાશ કરશે. ભારતની અર્થવ્યવસ્થા ન તો ધ્વસ્તછે, ન તો બધી સમસ્યાઓથી મુક્તછે. તે મજબૂત વૃદ્ધિના તબક્કામાં છે, પરંતુ અસમાનતા, રોજગાર, માનવ મૂડી, આવકની ગુણવત્તા અને જીવનખર્ચ જેવા પ્રશ્નો હજુ ગંભીર છે.

 

લેખક : જૈમિન જોષી

 

Sunday, August 30, 2026

રાહુલ ગાંધીને અચાનક Gen Z કેમ યાદ આવી? યુવાનોને મળવા પાછળની રાજકીય ગણતરી શું છે? (Why has Rahul Gandhi suddenly remembered Gen Z? What is the political calculation behind meeting the youth?)

રાહુલ ગાંધીને અચાનક Gen Z કેમ યાદ આવી? યુવાનોને મળવા પાછળની રાજકીય ગણતરી શું છે?

 

RAHUL GHANDHI IMAGE

        ભારતીય રાજકારણમાં ક્યારેક કોઈ નેતાની એક મુલાકાત સમાચાર બને છે, પરંતુ ક્યારેક એ મુલાકાત આવનારા રાજકીય સમયની દિશા બતાવતી હોય છે. રાહુલ ગાંધીનું Gen Z સાથે વધતું સંવાદ એવું જ એક સંકેત છે. પ્રશ્ન માત્ર એટલો નથી કે રાહુલ ગાંધી યુવાનોને કેમ મળી રહ્યા છે; મોટો પ્રશ્ન એ છે કે ભારતીય રાજકારણને હવે Gen Zની જરૂર કેમ પડી રહી છે?

આ પ્રશ્નનો જવાબ કોઈ એક ચૂંટણીના પરિણામમાં નથી. તેનો સંબંધ ભારતના બદલાતા મતદાર સાથે છે.

        રાહુલ ગાંધીનું  “છાત્રો કી ગુંજ” (Chhatron Ki Goonj)  અભિયાન હવે માત્ર એક કાર્યક્રમ પૂરતું રહ્યું નથી. પેપર લીક, પરીક્ષાની અનિશ્ચિતતા, શિક્ષણની વધતી કિંમત, સ્પર્ધાત્મક પરીક્ષાઓનું દબાણ અને રોજગાર જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને તેઓ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. 22 ઑગસ્ટે પુણેમાં યોજાયેલા કાર્યક્રમ પછી રાજકીય ટકરાવ પણ થયો; ભાજપે કાર્યક્રમને રાજકીય પ્રદર્શન ગણાવ્યું તો કોંગ્રેસે યુવાનોની ભાગીદારીને તેનો જવાબ ગણાવ્યો. આમ જોવા જઈએ તો રાજકારણમાં કોઈ નેતા અચાનક કોઈ વર્ગને યાદ કરતો નથી. ખાસ કરીને જ્યારે વાત Gen Zની હોય ત્યારે પાછળ માત્ર રાજકીય સંવેદના નહીં, રાજકીય ગણિત પણ હોય છે.

        Gen Z માટે યુવાનોશબ્દ પૂરતો નથી. આ એવી પેઢી છે જે રાજકીય ભાષણ ટીવી પર કલાકો સુધી સાંભળતી નથી, પરંતુ થોડા સેકન્ડમાં કોઈ નેતાના ભાષણનો વિડિયો જોઈ શકે છે. તે પક્ષની વિચારધારા કરતાં પોતાના પ્રશ્નને વધુ નજીકથી જોવાનું પસંદ કરી શકે છે. તે કોઈ નેતાને પસંદ પણ કરી શકે અને બીજા જ દિવસે તેની ટીકા પણ કરી શકે. એટલે Gen Zને પરંપરાગત મતદારની જેમ સમજવી મુશ્કેલ છે અને કદાચ આ જ કારણ છે કે કોંગ્રેસે વિદ્યાર્થીઓના પ્રશ્નોમાંથી રાજકીય જગ્યા શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે. રાહુલ ગાંધી માટે આ વ્યૂહરચનાનો સૌથી મહત્વનો ભાગ એ છે કે તેઓ નેતૃત્વની છબીમાંથી સંવાદની છબી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટી રેલીમાં નેતા બોલે છે અને લોકો સાંભળે છે પરંતુ વિદ્યાર્થી સંવાદમાં પ્રશ્નો આવે છે. પેપર લીકનો પ્રશ્ન આવે છે. નોકરીનો પ્રશ્ન આવે છે. ફીની વાત આવે છે. પરીક્ષા વ્યવસ્થાની વાત આવે છે. આ બધા મુદ્દા એવા છે કે જેના પર યુવાનો પોતાનો સીધો અનુભવ જોડે છે.

અહીં કોંગ્રેસને એક રાજકીય તક દેખાય છે પરંતુ ભાજપ આ તકને માત્ર જોઈ રહ્યું નથી; તે તેનો જવાબ તૈયાર કરી રહ્યું છે.

    22 ઑગસ્ટે ભાજપે Gen Z outreach માટે અલગ ટીમ બનાવવાની જાહેરાત કરી, જેમાં નીતિન નબિન, સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે જેવા નેતાઓને મહત્વની જવાબદારી આપવામાં આવી હોવાનું અહેવાલોમાં આવ્યું છે. પક્ષનો ઉદ્દેશ્ય યુવાનોની અપેક્ષાઓ અને પ્રશ્નો સાથે સીધો સંપર્ક વધારવાનો છે.

    આ ઘટનાનું રાજકીય મહત્વ કદાચ રાહુલ ગાંધીની મુલાકાત કરતાં પણ મોટું છે કારણ કે જ્યારે સત્તાધારી પક્ષ વિરોધ પક્ષની વ્યૂહરચનાનો જવાબ આપવા માટે અલગ સંગઠનાત્મક માળખું ઊભું કરે છે, ત્યારે સમજવું જોઈએ કે મુદ્દો હવે ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. આનો અર્થ એ નથી કે Gen Z કોંગ્રેસ તરફ જઈ રહી છે. એવો નિષ્કર્ષ અત્યારે કાઢવો વહેલો છે. પરંતુ એટલું ચોક્કસ છે કે બંને મોટા પક્ષો સમજી રહ્યા છે કે આગામી વર્ષોમાં યુવાનો સાથેનો સીધો સંબંધ રાજકારણમાં વધુ મહત્વનો બનશે અને અહીંથી ભારતીય રાજકારણમાં એક નવી લડાઈ શરૂ થાય છે. મતોની નહીં, ધ્યાનની.

        જે પક્ષ યુવાનોનું ધ્યાન ખેંચશે તે જ જીતશે એવું નથી. પરંતુ જે પક્ષ યુવાનોના પ્રશ્નોને સમજવામાં નિષ્ફળ જશે, તે ધીમે ધીમે તેમની રાજકીય ભાષાથી દૂર થઈ શકે છે. આ બાબતમાં કોંગ્રેસની મુશ્કેલી પણ ઓછી નથી. રાહુલ ગાંધી યુવાનોને પેપર લીક, શિક્ષણ અને રોજગાર જેવા પ્રશ્નો પૂછે છે, પરંતુ યુવાનો સામે સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે. આ પ્રશ્નો ઉકેલવાની રાજકીય ક્ષમતા કોની પાસે છે?

        વિરોધ પક્ષ તરીકે પ્રશ્ન ઉઠાવવો સરળ છે. સત્તામાં રહીને તેનો ઉકેલ આપવો મુશ્કેલ છે. એટલે ભાજપ માટે જવાબદારી અલગ પ્રકારની છે. જો કોંગ્રેસ કહે કે યુવાનોના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી, તો ભાજપે માત્ર કોંગ્રેસને જવાબ આપવાનો નથી; તેણે પોતાના શાસનનો હિસાબ પણ આપવો પડશે.

આ જ Gen Z રાજકારણની વિશેષતા છે.

        આ પેઢી માત્ર વચન સાંભળશે નહીં; તે પરિણામ અને દાવા વચ્ચેનો તફાવત પણ શોધશે. ભાજપ પાસે અહીં એક મોટો ફાયદો છે. મજબૂત સંગઠન, લાંબો રાજકીય અનુભવ અને ડિજિટલ રાજકારણનો વ્યાપક ઉપયોગ પરંતુ કોંગ્રેસ પાસે પણ એક તક છે. જો તે યુવાનોને માત્ર ચૂંટણીના મતદાર તરીકે નહીં, પરંતુ નીતિ ઘડવામાં ભાગીદાર તરીકે સંબોધી શકે તો..   અને આ સ્પર્ધા હવે માત્ર ભાજપ અને કોંગ્રેસ સુધી સીમિત રહેવાની નથી. આમ આદમી પાર્ટી જેવા પક્ષો યુવા અને શહેરી મતદારના પ્રશ્નો પર પોતાનું સ્થાન શોધશે. પ્રાદેશિક પક્ષો પણ પોતાના રાજ્યોમાં યુવાનોની નોકરી, શિક્ષણ, ભરતી અને સ્થાનિક ઓળખના મુદ્દાઓને વધુ તીવ્રતાથી ઉઠાવશે. આગામી ચૂંટણીમાં દરેક પક્ષ માટે એક પ્રશ્ન મહત્વનો બનવાનો છે. યુવાનોને અમારી પાસે આવવાનું કારણ શું છે?”

        મજાની વાત તો એ છે કે આ રાજકીય પરિવર્તન માત્ર પક્ષોમાં જ દેખાતું નથી. RSSના સરસંઘચાલક મોહન ભાગવતે પણ Gen Z અને Gen Alpha સાથે સંવાદ કર્યો છે. ઓગસ્ટની શરૂઆતમાં મુંબઈમાં દેશભરના યુવાનો સાથે તેમની મુલાકાત યોજાઈ હતી, અને તાજેતરમાં Gen Z વિશે તેમણે કહ્યું કે આ પેઢી પ્રશ્નો પૂછે છે અને તેને માત્ર સૂચના નહીં પરંતુ સમજાવટ જોઈએ.

અર્થાત્, સંદેશ સ્પષ્ટ છે.

    ડાબે હોય કે જમણે, સત્તામાં હોય કે વિરોધમાં રાજકારણ હવે નવી પેઢી સાથે વાત કર્યા વિના આગળ વધી શકે તેમ નથી પરંતુ અહીં એક જોખમ પણ છે. જો Gen Zને માત્ર વોટ બેંકતરીકે જોવામાં આવશે, તો કદાચ રાજકીય પક્ષો તેની સૌથી મહત્વની વિશેષતા ચૂકી જશે. આ પેઢી સતત પ્રશ્ન કરે છે. તેને માત્ર રાષ્ટ્રવાદ, વિકાસ, સામાજિક ન્યાય કે કલ્યાણની મોટી વ્યાખ્યાઓ પૂરતી નથી. તે પૂછશે મારી પરીક્ષા કેમ અટકી?  ભરતી કેમ અટકી?  નોકરી કેમ નથી?  શિક્ષણ કેમ મોંઘું છે?  મારા શહેરમાં તક કેમ નથી?  અને સૌથી મહત્વનું તમે જે કહ્યું હતું તેમાંથી કર્યું કેટલું?

આ પ્રશ્નોનો જવાબ કોઈ એક પક્ષ પાસે તૈયાર નથી અને હશે પણ નહિ. રાતો રાત કીજ ઠીક નથી થવાનું ણ લોકો બદલાશે ણ દેશ પણ હ સવાલો સ્વરિત ઉઠશે. હવે નાકમાં બફાટ અને વાયદા કરતા પહેલા દરેક પાર્ટીએ વિચાર કરવો પડશે. એટલે જ રાહુલ ગાંધીનું Gen Z તરફ જવું માત્ર કોંગ્રેસની રાજકીય વ્યૂહરચના નથી; તે ભારતીય રાજકારણ માટે એક ચેતવણી પણ છે.

        ભાજપ જો માને કે પોતાની પરંપરાગત રાજકીય પદ્ધતિથી યુવાનોને લાંબા સમય સુધી જોડીને રાખી શકાય છે, તો તે જોખમ લઈ રહ્યો છે. કોંગ્રેસ જો માને કે ભાજપની વિરુદ્ધતા અને યુવાનોના પ્રશ્નો ઉઠાવવાથી Gen Z આપમેળે તેની તરફ આવશે, તો તે પણ ભૂલ કરી રહી છે.

    Gen Z કોઈ પક્ષની રાહ જોઈ રહી નથી. તે પોતાની ભાષામાં જવાબ શોધી રહી છે. આ જ કારણથી આવનારા સમયમાં સોશિયલ મીડિયા પરનો રાજકીય પ્રભાવ વધુ મહત્વનો બનશે, પરંતુ માત્ર સોશિયલ મીડિયા પૂરતું નહીં. રીલ્સથી ધ્યાન ખેંચી શકાય છે, વિશ્વાસ બનાવી શકાતો નથી. ભાષણથી તાળીઓ મેળવી શકાય છે, રોજગાર આપી શકાતો નથી. હેશટેગથી ચર્ચા ઊભી કરી શકાય છે, પરંતુ પરીક્ષા વ્યવસ્થાની ખામી સુધારી શકાતી નથી.

અહીંથી રાજકારણ માટે સાચી કસોટી શરૂ થશે.

 

        રાહુલ ગાંધી કદાચ આ વાત સમજ્યા છે કે નહીં તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. પરંતુ તેમણે એક મહત્વનો દરવાજો ખોલ્યો છે. વિદ્યાર્થીઓ સાથે સીધો રાજકીય સંવાદ.

ભાજપે પણ તેનો જવાબ આપવાની શરૂઆત કરી છે. હવે જોવાનું એ છે કે આ સંવાદ કેટલો સમય ચાલે છે. જો તે માત્ર ચૂંટણી સુધી ચાલશે, તો તે એક સામાન્ય રાજકીય વ્યૂહરચના સાબિત થશે પરંતુ જો રાજકીય પક્ષો યુવાનોના પ્રશ્નોને પોતાના મેનિફેસ્ટો, સંગઠન અને નીતિમાં સ્થાન આપશે, તો આ ભારતીય રાજકારણમાં ખરેખર પરિવર્તનની શરૂઆત બની શકે છે કારણ કે આગામી ભારતના મતદારો માત્ર નેતાઓ પસંદ નહીં કરે. તેઓ નેતાઓને પ્રશ્ન પણ પૂછશે અને કદાચ ભારતીય રાજકારણની આગામી મોટી લડાઈ એ નહીં હોય કે કોણ જીતશે?”

લડાઈ એ હશે કે કોણ આ પેઢીને ખરેખર સાંભળી શકશે?”

 

        માત્ર “ફ્રેન્ડસ” કરીને સંબોધવાથી કે મોરચામાં સમર્થન કરવાથી આ પેઢી તમારી થવાની નથી. આ પેઢી ગમે ત્યારે કોઈ પણ સત્તા પાર્ટીનો વિરોધ કરી શકશે  અને ઉદ્યોગ પતિ તેનો લાભ લઈ વિપક્ષ સાથે ભળી રાતોરાત રાજ કારણમાં પલટો લાવવાની ક્ષમતા કેળવી શકે.


લેખક : જૈમિન જોષી .

Saturday, August 29, 2026

હિમાલય તૂટી રહ્યો છે કે આપણે સમજવામાં મોડું કરી રહ્યા છીએ? | નેપાળ પૂર અને ભૂસ્ખલનનું વિજ્ઞાન (Is the Himalayas collapsing, or are we too late to realize it? | The science behind Nepal's floods and landslides)

હિમાલય તૂટી રહ્યો છે કે આપણે સમજવામાં મોડું કરી રહ્યા છીએ?


himalay blog



    26 ઓગસ્ટે નેપાળ અને તિબેટની સરહદ પાસે જે બન્યું તેને માત્ર પૂર કહેવું કદાચ આ ઘટનાની વૈજ્ઞાનિક ગંભીરતાને નાની કરી દેવા જેવું છે. પર્વતની ઊંચાઈએ કંઈક તૂટ્યું, બરફ અને ખડકોનો વિશાળ જથ્થો ઢોળાવ પરથી નીચે ધસી આવ્યો, નદીના પ્રવાહમાં અચાનક અસાધારણ ઊર્જા ઉમેરાઈ અને પછી જે બન્યું તે માત્ર પાણીનું વહેણ નહોતું. તે પાણી, બરફ, માટી, ખડકો અને તૂટેલા પર્વતનો સંયુક્ત પ્રવાહ હતો. આ પ્રકારનો debris flow એટલો ઘન અને શક્તિશાળી હોઈ શકે છે કે તે સામાન્ય પૂર કરતાં અનેકગણો વિનાશક બને. પ્રાથમિક વૈજ્ઞાનિક વિશ્લેષણો આ ઘટનાને ગ્લેશિયર-કોલેપ્સ અને વિશાળ બરફ-પથ્થર ધસારા સાથે જોડે છે.

પરંતુ અહીં સૌથી અગત્યનો પ્રશ્ન છે. આખરે પર્વત તૂટ્યો કેમ?

    હિમાલયને આપણે ઘણી વખત બરફથી ઢંકાયેલો, અડગ અને શાશ્વત પર્વત માનીએ છીએ. પરંતુ ભૂગર્ભશાસ્ત્રની દૃષ્ટિએ હિમાલય અત્યંત યુવાન અને સક્રિય પર્વતમાળા છે. ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો આજે પણ એકબીજા તરફ ધકેલાઈ રહી છે એટલે પર્વતની અંદર સતત દબાણ, તિરાડો અને ભૂગર્ભીય હલચલ ચાલતી રહે છે. બીજી તરફ ઊંચાઈ પરનું હિમ અને ખડકો તાપમાનના સતત ફેરફારો સામે ઝઝૂમે છે. દિવસ-રાતનું તાપમાન, બરફનું પીગળવું અને ફરી જમવું, વરસાદ, ભૂકંપીય કંપન અને ઢોળાવનું ગુરુત્વાકર્ષણ આ બધું મળીને પર્વતને અંદરથી ધીમે ધીમે નબળો બનાવે છે.

અહીં જ હવામાન પરિવર્તનનું પરિબળ વધુ મહત્વનું બની જાય છે.

ગ્લેશિયર માત્ર બરફનો ઢગલો નથી. તે હજારો વર્ષથી સંચિત બરફનું ધીમે ધીમે વહેતું વિશાળ તંત્ર છે. જ્યારે તાપમાન વધે છે ત્યારે ગ્લેશિયર પાછળ ખસે છે, તેની સપાટી અને અંદર પીગળેલા પાણીના માર્ગો બદલાય છે અને કેટલીક જગ્યાએ ગ્લેશિયરના તળિયે પાણી પહોંચીને બરફ અને ખડક વચ્ચેનું ઘર્ષણ ઘટાડે છે. પરિણામે કોઈ ઢોળાવ અથવા બરફનો મોટો ભાગ અચાનક સરકી શકે છે. સાથે સાથે ઊંચાઈવાળા વિસ્તારોમાં જમીન લાંબા સમય સુધી થીજી રહેતી હોય છે. જેને permafrost કહેવામાં આવે છે. તાપમાન વધવાથી આ જામી રહેલી જમીન નબળી પડે તો ખડકના ઢોળાવો પણ વધુ અસ્થિર બની શકે છે. હિમાલયમાં ગરમી વધવાથી ગ્લેશિયર, પર્માફ્રોસ્ટ અને પર્વતીય ઢોળાવ વચ્ચેના આ સંબંધને લઈને વૈજ્ઞાનિક ચિંતા વધી રહી છે.

    નેપાળની તાજેતરની ઘટનામાં સંભવિત ક્રમને સરળ રીતે સમજીએ તો વાત કંઈક આવી બને છે: ઊંચાઈ પરનો પર્વતીય ભાગ અસ્થિર થયો; બરફ અને ખડકનો વિશાળ જથ્થો નીચે ધસી આવ્યો; તેની ગતિ અને ઘર્ષણથી બરફ પીગળ્યો અને પાણીનું પ્રમાણ વધ્યું; આ આખો જથ્થો નદીની ખીણમાં પહોંચ્યો; નદીના સામાન્ય વહેણમાં અચાનક અસાધારણ જથ્થો ઉમેરાયો; અને પછી પાણી સાથે કાદવ, બરફ તથા વિશાળ ખડકો નીચે તરફ ધસી આવ્યા. કેટલાક સ્થળોએ નદીનું સ્તર માત્ર અડધા કલાકમાં લગભગ નવ મીટર સુધી વધ્યાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે.

આને સમજવા માટે “પૂર” શબ્દ કરતાં “પર્વતની ઊર્જા નદીમાં પરિવર્તિત થવી” વધુ યોગ્ય ઉપમા છે.

    સામાન્ય પૂર દરમિયાન નદીમાં પાણીનું પ્રમાણ વધે છે. પરંતુ debris flowમાં પાણી પોતે જ એક પ્રકારનું વહેતું પરિવહન માધ્યમ બની જાય છે, જે તેની સાથે માટી, રેતી, બરફ અને મોટા પથ્થરો ખેંચીને લઈ જાય છે. પાણીની ઘનતા અને પ્રવાહની ગતિ બદલાતા તેની વિનાશક ક્ષમતા પણ વધી જાય છે. તેથી આવા પ્રવાહમાં માત્ર પાણીથી બચવું પૂરતું નથી; તેની સાથે આવતો ઘન પદાર્થ જ ઘણી વખત સૌથી મોટો વિનાશ સર્જે છે.

    આ ઘટનાનો બીજુ  વૈજ્ઞાનિક પાસુ  વધુ ચિંતાજનક છે. પર્વત ધસી પડે ત્યારે તે નદીના પ્રવાહને થોડા સમય માટે રોકી પણ શકે છે. જો ખડકો, બરફ અને કાદવ નદીમાં કુદરતી બંધ બાંધી દે, તો તેની પાછળ પાણી એકઠું થવા લાગે છે. થોડા સમય પછી જો આ કુદરતી બંધ તૂટી જાય, તો અચાનક બીજી પૂરલહેર સર્જાઈ શકે છે. તાજેતરની ઘટનાના વિસ્તારમાં આવા નવા બનેલા જળાશયો અંગે પણ સત્તાવાળાઓ નજર રાખી રહ્યા છે; એક જળાશયમાંથી પાણી બહાર નીકળવાનું શરૂ થયું છે, જ્યારે બીજા મોટા જળાશયને લઈને હજુ જોખમનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે.

અર્થાત્, કુદરતી આપત્તિ હંમેશાં એક જ ઘટના નથી હોતી. ઘણી વખત એક ઘટના બીજી ઘટનાનું કારણ બને છે ગ્લેશિયર તૂટે, ભૂસ્ખલન થાય, નદી અટકે, તળાવ બને, તળાવ તૂટે અને ફરી પૂર આવે. ભૂગોળની ભાષામાં આ cascading hazard છે. એક જોખમ બીજા જોખમને જન્મ આપે છે અને કદાચ આ જ જગ્યાએ ભવિષ્યનો સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે.

શું આવું ફરી થઈ શકે?

જવાબ છે. હા, પરંતુ દરેક ગ્લેશિયર અથવા દરેક પર્વત આવું કરશે એવું કહેવું વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. જોખમ સ્થળ પ્રમાણે બદલાય છે. પરંતુ ગરમ થતું વાતાવરણ ઊંચાઈવાળા પ્રદેશોમાં બરફના સંગ્રહ, ગ્લેશિયરના પીછેહઠ, ગ્લેશિયલ તળાવો અને પર્વતીય ઢોળાવની સ્થિરતા પર અસર કરી રહ્યું છે. એટલે કેટલીક જગ્યાએ એવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જેમાં અચાનક પૂર, ભૂસ્ખલન અને બરફ-પથ્થરના ધસારા જેવા જોખમો વધી શકે. વૈજ્ઞાનિકો ખાસ કરીને હિમાલયના ઝડપથી બદલાતા cryosphere અર્થાત્ બરફ અને હિમથી બનેલી કુદરતી વ્યવસ્થા પર નજર રાખવાની જરૂરિયાત દર્શાવી રહ્યા છે પરંતુ અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે: દરેક પર્વતીય પૂર માટે સીધું “આબોહવા પરિવર્તન જવાબદાર છે” તેવું કહી દેવું પણ યોગ્ય નથી. કોઈ ચોક્કસ ભૂસ્ખલનનું તાત્કાલિક કારણ ભારે વરસાદ, ભૂકંપીય હલચલ, પર્વતની આંતરિક તિરાડ અથવા ઢોળાવની અસ્થિરતા હોઈ શકે છે. હવામાન પરિવર્તન ઘણી વખત સીધું બટન દબાવતું કારણ નહીં, પરંતુ જોખમની પૃષ્ઠભૂમિ બદલતું પરિબળ હોય છે. એટલે વિજ્ઞાનનો સાચો પ્રશ્ન “આ ઘટના ક્લાઇમેટ ચેન્જથી થઈ કે નહીં?” કરતાં વધુ ઊંડો છે. “શું બદલાતા તાપમાનને કારણે આવી ઘટના બનવા માટેની પરિસ્થિતિ વધુ અનુકૂળ બની રહી છે?”

આ પ્રશ્ન માત્ર નેપાળનો નથી.

    હિમાલયમાંથી નીકળતી નદીઓ ભારત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના વિશાળ વિસ્તારોના જીવન સાથે જોડાયેલી છે. ઉપરના પર્વતમાં થતો ફેરફાર નીચેના મેદાન સુધી પહોંચે છે. એક જગ્યાએ ગ્લેશિયરનું ગળવું માત્ર પર્વતની સમસ્યા નથી રહેતું; તે નદીના પ્રવાહ, ખેતી, જળવિદ્યુત, શહેરો, પુલો અને લાખો લોકોની સુરક્ષાનો પ્રશ્ન બની શકે છે એટલે ભવિષ્યનો રસ્તો માત્ર રાહત અને બચાવકાર્યમાં નથી. ઉપગ્રહોથી ગ્લેશિયરોનું સતત નિરીક્ષણ, ઊંચાઈવાળા તળાવોમાં પાણીના સ્તરની દેખરેખ, પર્વતીય ઢોળાવની ભૂગર્ભીય તપાસ, નદીના પ્રવાહ માટે સેન્સર, સિસ્મિક મોનિટરિંગ અને સૌથી અગત્યનું નીચાણવાળા વિસ્તારો સુધી સમયસર ચેતવણી પહોંચાડતી early-warning system જરૂરી બનશે. કુદરતી ઘટના રોકી શકાતી ન હોય, પરંતુ તેના કારણે થતા મૃત્યુ અને વિનાશને ઘણો ઓછો કરી શકાય છે. તાજેતરની ઘટનાએ પણ બતાવ્યું છે કે દૂરના અને દુર્ગમ હિમાલયમાં આવી દેખરેખ કેટલી મુશ્કેલ છે.

    હિમાલય આપણને કદાચ કોઈ નવી વાત નથી કહી રહ્યો. તે માત્ર એટલું કહી રહ્યો છે કે પર્વતને સ્થિર માનીને બનાવેલી આપણી દુનિયા પોતે સ્થિર નથી. અમે રસ્તા બનાવીએ છીએ, પુલો બનાવીએ છીએ, નદીઓને બંધ કરીએ છીએ, પર્વતોમાં વસાહતો ઊભી કરીએ છીએ અને પછી માનીએ છીએ કે કુદરત અમારી યોજનાને અનુસરશે. પરંતુ પર્વત પાસે કોઈ નકશો નથી, નદી પાસે કોઈ સરકારી સીમા નથી અને હિમાલયને આપણા વિકાસની સમયમર્યાદાની કોઈ ખબર નથી.

    26 ઓગસ્ટની નેપાળની ઘટના તેથી માત્ર એક કુદરતી આપત્તિ નથી; તે એક વૈજ્ઞાનિક સંદેશ છે. પૃથ્વીનું તાપમાન બદલાય ત્યારે તેની અસર માત્ર ગરમીના વધારા સુધી મર્યાદિત રહેતી નથી. તે બરફની રચના બદલે છે, પાણીના માર્ગ બદલે છે, પર્વતની સ્થિરતા બદલે છે અને અંતે માનવજીવનના જોખમને બદલી શકે છે.

    હિમાલય તૂટી રહ્યો છે કે નહીં. આ પ્રશ્નનો જવાબ કદાચ એટલો સરળ નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે હિમાલય બદલાઈ રહ્યો છે અને કદાચ આપણું સૌથી મોટું અજ્ઞાન એ છે કે આપણે પર્વતને તેની ઊંચાઈથી માપીએ છીએ, તેની અંદર ચાલી રહેલા પરિવર્તનોથી નહીં. નેપાળમાં પર્વત પરથી નીચે આવ્યું પાણી કદાચ થોડા દિવસોમાં ઓસરી જશે. રસ્તાઓ ફરી બનશે, પુલો ફરી ઊભા થશે અને જીવન ફરી સામાન્ય થવાનો પ્રયત્ન કરશે. પરંતુ હિમાલયની અંદર ચાલતી ભૌગોલિક અને હવામાની પ્રક્રિયાઓ અટકવાની નથી.

પ્રશ્ન હવે એ નથી કે આપત્તિ આવશે કે નહીં.

પ્રશ્ન એ છે કે આગલી આપત્તિ આવે તે પહેલાં આપણે પર્વતને વાંચતા શીખીશું કે નહીં.


લેખક : જૈમિન જોષી.

Friday, August 28, 2026

જે પ્રેમ રક્ષણ માંગે છે, એ પ્રેમ છે કે ભય? (Is the love that seeks protection truly love, or is it fear?)

 

જે પ્રેમ રક્ષણ માંગે છે, એ પ્રેમ છે કે ભય?


osho blog image


        રક્ષાબંધન આવે છે ત્યારે ઘરની અંદર એક અજાણી ચહલપહલ જન્મે છે. વર્ષોથી કબાટના કોઈ ખૂણામાં પડેલો જૂનો ફોટો બહાર આવે છે, બાળપણના ઝઘડાઓ યાદ આવે છે, બહેનના હાથમાં રાખડી આવે છે અને ભાઈના કાંડા પર એક નાનકડી દોરી બંધાઈ જાય છે. દોરી બહુ નાજુક હોય છે, પરંતુ તેની સાથે જોડાયેલો અર્થ એટલો ગાઢ હોય છે કે ક્યારેક આખું બાળપણ એ એક દોરીમાં સમાઈ જાય છે. એક જ ઘરમાં સાથે ઉછરેલા બે બાળકો, જેમણે ક્યારેક એકબીજાની વસ્તુ છીનવી હશે, એકબીજાની ફરિયાદ કરી હશે, માતાની નજરથી બચીને કોઈ શરારત કરી હશે, એ જ બે માણસો વર્ષો પછી જીવનના જુદા જુદા ખૂણામાં ઊભા રહીને ફરી એક દોરીથી જોડાય છે. પરંતુ આ દોરીને જો આપણે માત્ર પરંપરા તરીકે જોઈશું તો કદાચ રક્ષાબંધનનો સૌથી સુંદર અર્થ આપણાથી ચૂકી જશે. કારણ કે રાખડી ખરેખર કાંડા પર બંધાય છે કે માણસના મન પર આ પ્રશ્ન કરતાં પણ મોટો પ્રશ્ન એ છે કે આપણે જેને રક્ષાકહીએ છીએ, તેનું સ્વરૂપ શું છે?

        રક્ષા શબ્દ સાંભળતાં જ આપણા મનમાં એક દૃશ્ય ઊભું થાય છે. કોઈ શક્તિશાળી માણસ કોઈ નબળા માણસની સામે ઢાલ બનીને ઊભો છે. ભાઈ બહેનની રક્ષા કરશે, આ પરંપરાગત ભાવના છે. પરંતુ જો થોડું ઊંડે જઈને જોઈએ તો અહીં એક અજાણ્યો પ્રશ્ન જન્મે છે: બહેન નબળી છે અને ભાઈ શક્તિશાળી છે. શું રક્ષાબંધનનો આખો અર્થ આટલો જ છે?  જો આવું હોય તો સમય બદલાતા આ તહેવારનો અર્થ પણ બદલાઈ જવો જોઈએ. આજે બહેન શિક્ષિત છે, પોતાનું જીવન પસંદ કરી શકે છે, પોતાના નિર્ણયો લઈ શકે છે, પોતાના સપનાઓ માટે સંઘર્ષ કરી શકે છે. તે ભાઈની સુરક્ષાની રાહ જોતી કોઈ અસહાય વ્યક્તિ નથી. તો પછી રક્ષાબંધનની દોરી હજુ શેનું વચન માગે છે?

કદાચ અહીંથી રક્ષાબંધનને ઓશોની આંખે જોવાની શરૂઆત થાય છે.

        ઓશો માટે પ્રેમનો અર્થ કોઈને પોતાની મુઠ્ઠીમાં પકડી રાખવો નહોતો. તેમના અનેક પ્રવચનોમાં પ્રેમ અને સ્વતંત્રતાનો સંબંધ વારંવાર સામે આવે છે. તેઓ કહે છે કે જ્યાં પ્રેમ સાચો હોય ત્યાં બીજાની સ્વતંત્રતા નષ્ટ થતી નથી; ઊલટું, પ્રેમ માણસને વધુ સ્વતંત્ર બનાવે છે. તેમની દૃષ્ટિએ માલિકીભાવ, ઈર્ષ્યા અને કબજો પ્રેમના નામે પ્રવેશી જાય ત્યારે સંબંધનું સ્વરૂપ બદલાઈ જાય છે. ઓશો એક જગ્યાએ પ્રેમને સ્વતંત્રતાની પરિધિ અને સ્વતંત્રતાને તેના કેન્દ્ર સાથે જોડે છે; બીજી જગ્યાએ તેઓ સ્પષ્ટ કરે છે કે માણસને વસ્તુની જેમ ટ્રીટ કરી શકાય નહીં, કારણ કે માણસનું મૂળ સ્વરૂપ જ તેની સ્વતંત્રતા છે.

 

        આ વિચારને જો રક્ષાબંધનની દોરી પર મૂકીએ તો આખું ચિત્ર બદલાઈ જાય છે. કદાચ ભાઈએ બહેનને એવું વચન આપવાનું નથી કે હું તને દુનિયાથી બચાવીશ”; કદાચ સાચું વચન એ છે કે હું તારી સ્વતંત્રતાથી ક્યારેય ડરીશ નહીં.કારણ કે ઘણી વખત આપણે જે રક્ષણ કહીએ છીએ તેની પાછળ પ્રેમ કરતાં ભય વધારે છુપાયેલો હોય છે. ત્યાં ન જતી, આ ન કરતી, આ માણસ સાથે સંબંધ ન રાખતી, આ નિર્ણય ન લેતી આ બધું પણ ઘણીવાર તારી ચિંતા છેકહીને કરવામાં આવે છે. પરંતુ ચિંતા અને નિયંત્રણ વચ્ચેની રેખા બહુ પાતળી છે. જ્યાં ચિંતા બીજાના જીવનનો નિર્ણય લેવા લાગે છે ત્યાં પ્રેમ ધીમે ધીમે માલિકીમાં પરિવર્તિત થવા લાગે છે. ઓશો માટે આ જ મૂળ પ્રશ્ન છે: જો હું તને પ્રેમ કરું છું, તો શું તારી સ્વતંત્રતાથી મને ભય કેમ લાગે છે?

        અહીં ભયશબ્દને સમજવો જરૂરી છે. ભય હંમેશા ચીસ પાડતો નથી. ઘણી વખત તે ખૂબ મીઠી ભાષામાં આવે છે. હું તારા ભલા માટે કહું છું.” “મને તારી ચિંતા છે.” “હું તને કંઈ થવા નહીં દઉં.” “તું મારી વાત માનીશ તો સારું.આ વાક્યોમાં લાગણી પણ હોઈ શકે છે, પરંતુ તેની અંદર ક્યારેક એક અદૃશ્ય માલિકીભાવ પણ જન્મે છે. તું મારી છે, એટલે તારા જીવન વિશે નિર્ણય લેવાનો મને અધિકાર છે. પ્રેમ અહીંથી થોડો ખસી જાય છે અને મારો અધિકારઆગળ આવી જાય છે.

        ઓશો સંબંધોને સમજાવતા એક ખૂબ જ મૂળભૂત તફાવત તરફ લઈ જાય છેકોઈ વ્યક્તિ સાથે સંબંધ રાખવો અને કોઈ વ્યક્તિને પોતાની માલિકી માનવી એ એક વાત નથી. તેમના વિચારમાં સંબંધ ત્યારે સાચો બને છે જ્યારે બે વ્યક્તિઓ એકબીજાની નજીક હોવા છતાં પોતાની સ્વતંત્રતા જાળવી શકે. સંબંધમાં નજીકતા હોય, પરંતુ કબજો ન હોય; સ્નેહ હોય, પરંતુ માલિકી ન હોય; કાળજી હોય, પરંતુ નિયંત્રણ ન હોય.

તો શું ભાઈ-બહેનના સંબંધને પણ આ જ રીતે જોઈ શકાય?

કદાચ હા. અને કદાચ રક્ષાબંધનનો આધુનિક અર્થ પણ અહીં જ છુપાયેલો છે.

        ભાઈ બહેનની રક્ષા કરે એ સુંદર છે, પરંતુ જો બહેન પોતાના જીવનનો નિર્ણય લેતી વખતે સૌથી પહેલાં એ વિચારે કે મારા ભાઈને આ ગમશે કે નહીં?” તો આપણે વિચારવું જોઈએ કે આ પ્રેમ છે કે ભય. જો ભાઈ બહેનના દરેક નિર્ણયમાં પોતાની મંજૂરી શોધે, તો તે પ્રેમનું રક્ષણ નથી; તે સંબંધ પર પોતાના અધિકારનું રક્ષણ છે. જો ભાઈ કહે કે તું મારી બહેન છે, તેથી તને શું કરવું તે હું નક્કી કરીશ,” તો રાખડીની દોરી પ્રેમની નહીં, માલિકીની દોરી બની જાય છે. પરંતુ જો એ જ ભાઈ કહે કે તું તારી રીતે જીવન જીવ, તારી પસંદગીનો હું આદર કરીશ; તને મારી જરૂર પડશે ત્યારે હું તારી બાજુએ ઊભો રહીશ,” તો કદાચ રક્ષાબંધનની દોરીને એક નવો અર્થ મળે છે.

        આ અર્થમાં રક્ષા એટલે કોઈના પગમાં બેડી નાખવી નહીં, પરંતુ તેના પગને મજબૂત બનાવવું. રક્ષા એટલે કોઈને પોતાની પાછળ છુપાવી દેવું નહીં, પરંતુ તેને પોતાના પગ પર ઊભા થવા દેવું. રક્ષા એટલે દરેક મુશ્કેલીમાંથી કોઈને બચાવી લેવું નહીં, પરંતુ મુશ્કેલી આવે ત્યારે તેની અંદરની શક્તિ પર વિશ્વાસ રાખવો.

        ઓશોનો પ્રેમવિચાર અહીં વધુ ઊંડો થઈ જાય છે. તેઓ કહે છે કે પ્રેમ જો સાચો હોય તો તે સ્વતંત્રતા આપે છે; અને જ્યારે પ્રેમ માલિકીભાવમાં ફેરવાય છે ત્યારે તે બંધન બને છે. તેમના માટે પ્રેમ કોઈ કાનૂની સંબંધ કે સામાજિક કરાર કરતાં વધુ એક આંતરિક સ્થિતિ છે. એવો ભાવ કે જેમાં બીજાને પોતાના અહંકારની મિલકત બનાવવાની જરૂર રહેતી નથી.

        આ વિચારને ભાઈ-બહેન સુધી લાવીએ તો એક અદ્ભુત વાત સમજાય છે. ભાઈ અને બહેનનો સંબંધ જન્મથી મળે છે, પરંતુ તેની અંદર રહેલો પ્રેમ જન્મથી મળતો નથી. લોહીનો સંબંધ આપમેળે મળે છે; હૃદયનો સંબંધ ધીમે ધીમે રચાય છે. બાળપણમાં બંને સાથે રહે છે એટલે સંબંધ છે, પરંતુ યુવાનીમાં બંને જુદી દિશામાં ચાલવા લાગે ત્યારે ખબર પડે છે કે સંબંધ ખરેખર કેટલો જીવંત છે. એક જ ઘરમાં રહેવું સરળ છે; અંતર હોવા છતાં એકબીજાના મનમાં જગ્યા જાળવી રાખવી મુશ્કેલ છે.

રક્ષાબંધન કદાચ આ જ અંતરને થોડા સમય માટે પુલ આપે છે.

        બહેન આવે છે. ભાઈ સામે બેસે છે. હાથ આગળ વધે છે. રાખડી બંધાય છે. અને એ ક્ષણે કોઈ શબ્દની જરૂર પડતી નથી. બંનેને કદાચ યાદ આવે છે કે જીવનની દોડમાં ઘણું બદલાઈ ગયું છે, પરંતુ બાળપણનો એક નાનો ખૂણો હજુ બંનેમાં જીવતો છે. માણસ મોટો થઈ જાય છે, પરંતુ કેટલાક સંબંધો તેની અંદરના બાળકને જીવંત રાખે છે. ભાઈ-બહેનનો સંબંધ કદાચ એવો જ સંબંધ છે. જ્યાં તમે એકબીજાના વર્તમાન કરતાં વધુ એકબીજાના ભૂતકાળના સાક્ષી હો છો.

        બહેન જાણે છે કે ભાઈ બાળપણમાં કેવો હતો; ભાઈ જાણે છે કે બહેન પહેલી વાર ક્યારે રડી હતી, ક્યારે હસી હતી, ક્યારે કોઈ નાની વાત માટે જીદ કરી હતી. જીવનમાં પછી ભલે બંને કેટલીય નવી ઓળખો ધારણ કરે. કોઈ અધિકારી બને, કોઈ શિક્ષક બને, કોઈ વેપારી બને, કોઈ માતા બને, કોઈ પિતા બને એકબીજા માટે તેઓ ક્યારેક એ જ જૂના ઘરના બે બાળકો રહે છે.

એટલે રક્ષાબંધનની દોરીમાં માત્ર રક્ષણ નથી, સ્મૃતિ પણ છે અને કદાચ સ્મૃતિ કરતાં પણ ઊંડું કંઈક છેસ્વીકાર”.

તું જે છે, એ જ સ્વરૂપે મને સ્વીકાર્ય છે.

આ વાક્ય કોઈ રાખડી કરતાં મોટું છે કારણ કે માણસને ઘણી વખત દુનિયા બદલવા માંગે છે. માતા-પિતા તેને પોતાની અપેક્ષા મુજબ બનાવા માંગે છે, સમાજ તેને પોતાની પરંપરા મુજબ જોવે છે, જીવનસાથી પોતાની કલ્પના મુજબ સ્વીકારવા માંગે છે, મિત્રો પોતાની સુવિધા મુજબ. પરંતુ ભાઈ-બહેનના સંબંધમાં એક એવી શક્યતા છે જ્યાં માણસ કહી શકે તું બદલાઈ ગયો છે, છતાં તું મારો જ છે.આ સ્વીકારમાં એક પ્રકારની આધ્યાત્મિકતા છે.

        ઓશો માટે પ્રેમનું સૌંદર્ય પણ આ જ છે. બીજાને પોતાના આકારમાં ઢાળવો નહીં, પરંતુ તેને પોતાના સ્વરૂપમાં ખીલવા દેવું. તેઓ સંબંધને ‘I-it’ એટલે કે માલિકી અને વસ્તુના સંબંધથી અલગ કરીને ‘I-thou’ની દિશામાં લઈ જાય છે, જ્યાં સામેનો માણસ વસ્તુ નથી, એક જીવંત અસ્તિત્વ છે. આ દૃષ્ટિથી જોવામાં આવે તો રક્ષાબંધનનો અર્થ પણ ખૂબ ઊંડો બની શકે છે. બહેન કોઈ એવી વ્યક્તિ નથી જેને ભાઈએ પોતાની છત્રછાયામાં રાખવાની છે. તે એક સંપૂર્ણ મનુષ્ય છે. તેના પોતાના સ્વપ્નો છે, પોતાની ભૂલો છે, પોતાની સમજ છે, પોતાની યાત્રા છે. ભાઈની ભૂમિકા તેની ઉપર આકાશ બનીને છવાઈ જવાની નથી; જરૂર પડે ત્યારે આકાશમાં એક વાદળ બનીને છાંયો આપવાની છે. અને એ પણ ત્યારે જ, જ્યારે છાંયો સૂર્યને ઢાંકી ન નાખે. રક્ષાબંધનને જો આપણે માત્ર ભાઈ બહેનની રક્ષા કરશેએટલા સુધી સીમિત રાખીએ તો આપણે તહેવારનો અડધો અર્થ જ સમજ્યા. બાકીનો અડધો અર્થ એ છે કે બે મનુષ્યો એકબીજાને એટલો વિશ્વાસ આપે કે બંને પોતાની નબળાઈ છુપાવવાની જરૂર ન અનુભવે.

        ઓશોના વિચારોમાં પ્રેમની એક વિશેષતા છે. પ્રેમ માણસને નાનો નથી કરતો, મોટો બનાવે છે. પ્રેમ જો તમને ડરાવે, તમને સતત અસુરક્ષિત રાખે, તમને બીજાના જીવન પર કબજો કરવાની ઇચ્છા આપે, તો કદાચ ત્યાં પ્રેમની સાથે કંઈક બીજું પણ ભળેલું છે. તેઓ તો પ્રેમને સ્વતંત્રતાની સાથે જ જોવે છે; તેમની દૃષ્ટિએ પ્રેમની ઊંચી અવસ્થા એવી છે જ્યાં બીજાની મુક્તિ તમારી પોતાની ખુશીનો ભાગ બની જાય છે. ત્યારે રક્ષાબંધનની દોરી પણ એક સુંદર વિસંગતિ બની જાય છે. દોરી બાંધે છે, પરંતુ સાચો પ્રેમ મુક્ત કરે છે.

આ વિસંગતિને સમજવી જ કદાચ આ તહેવારની સાચી સમજ છે.

દોરી કાંડા પર છે, સંબંધ મનમાં છે; દોરી બંધાયેલી છે, પરંતુ પ્રેમને બંધાયેલો હોવો જોઈએ નહીં. દોરી કહે છે. હું તારી સાથે છું”; પ્રેમ કહે છે. તું તારી જાત બની શકે છે.દોરી વચનનું પ્રતીક છે; પ્રેમ એ વચન પાછળની ચેતના છે.

        ઓશોએ રક્ષાબંધનની ચર્ચા કરતી વખતે પોરસ અને સિકંદરની પ્રચલિત કથા પણ કહી છે. તેમની રજૂઆત મુજબ સાવનના સમયમાં બહેન ભાઈના હાથ પર રક્ષા-સૂત્ર બાંધે છે અને એ દોરી ભાઈને રક્ષણના વચનની યાદ અપાવે છે. તેઓ આગળ સિકંદરની પત્ની અને પોરસની લોકપ્રચલિત કથા કહે છે, જેમાં યુદ્ધ દરમિયાન પોરસને રાખડીનું વચન યાદ આવે છે. અહીં ઇતિહાસની પ્રમાણિકતા કરતાં ઓશો જે માનવીય અર્થ તરફ ધ્યાન દોરે છે તે વધારે મહત્વનો છે. એક નાનું પ્રતીક માણસને પોતાના આપેલા વચન સામે ઊભું કરી શકે છે.

આ કથા સાચી હોય કે લોકપરંપરામાંથી વિકસેલી હોય, તેની અંદર રહેલો પ્રતીકાત્મક અર્થ સુંદર છે. માણસ ઘણી વખત યુદ્ધ બહારની દુનિયા સાથે કરતો નથી; માણસનું સૌથી મોટું યુદ્ધ પોતાની અંદર હોય છે. ગુસ્સા સામે, અહંકાર સામે, ભય સામે, માલિકીભાવ સામે. રાખડી જો આ આંતરિક યુદ્ધની ક્ષણે માણસને એટલું યાદ કરાવે કે હું આ સંબંધને સન્માન આપવાનો વચન આપ્યું છે,” તો કદાચ તેની ભૂમિકા પૂર્ણ થાય છે.

પરંતુ આજે કદાચ આપણને એક નવી રાખડીની જરૂર છે. જે ભાઈના હાથ પર નહીં, વિચાર પર બંધાય.

એ રાખડી કહે કે હું તને પ્રેમ કરીશ, પરંતુ તારા જીવનનો માલિક નહીં બનીશ. હું તારી ચિંતા કરીશ, પરંતુ તારા નિર્ણયને કેદ નહીં કરું. તું પડીશ તો હાથ આપીશ, પરંતુ તને હંમેશાં મારી આંગળી પકડીને જ ચાલવાનું નહીં કહું. તું મારી સલાહ સ્વીકારશે તો ખુશ થઈશ, નહીં સ્વીકારે તો પણ તારા પ્રત્યેનો પ્રેમ ઓછો નહીં થાય. કારણ કે કદાચ રક્ષણનો સૌથી ઊંચો સ્વરૂપ એ છે કે આપણે કોઈને પોતાની છત્રછાયામાં કાયમ માટે ન રાખીએ, પરંતુ તેને પોતાના આકાશનો માલિક બનવા દઈએ.

અને અહીંથી શરૂઆતમાં પૂછેલો પ્રશ્ન ફરી પાછો આવે છે. જે પ્રેમ રક્ષણ માંગે છે, એ પ્રેમ છે કે ભય?

કદાચ પ્રેમ રક્ષણ માંગતો જ નથી. પ્રેમ તો માણસની અંદર એવી નિર્ભયતા જન્માવે છે કે તે જીવન સામે ઊભો રહી શકે. પ્રેમ કહે છે હું તારી મુશ્કેલીઓ દૂર કરી દઈશનહીં; પ્રેમ કહે છે. મુશ્કેલીઓ આવે ત્યારે તું તારી અંદરની શક્તિ ભૂલી ન જઈશ. પ્રેમ કોઈને પોતાના પર આધારિત બનાવતો નથી; તે તેને પોતાના પગ પર ઊભો થવાની હિંમત આપે છે.

એટલે આ રક્ષાબંધન પર જો ભાઈએ ખરેખર કોઈ વચન આપવું હોય તો કદાચ તે એટલું જ હોય. હું તારી રક્ષા કરવા કરતાં તારી સ્વતંત્રતાનો આદર વધારે કરીશ.અને બહેન પણ કદાચ એટલું કહી શકે. તને મારા માટે હંમેશાં મજબૂત બનવાની જરૂર નથી; તું ક્યારેક તૂટેલો હોઈશ તો પણ મારી પાસે આવી શકીશ.

ત્યારે રાખડી માત્ર એક તહેવારની વિધિ નહીં રહે. તે બે માણસો વચ્ચેના એક એવા કરારનું પ્રતીક બનશે જેમાં કોઈ કેદ નથી, કોઈ માલિકી નથી, કોઈ ભય નથી. માત્ર વિશ્વાસ છે.

કદાચ સાચો સંબંધ એ નથી જેમાં બે માણસો એકબીજાને બાંધી રાખે; સાચો સંબંધ એ છે જેમાં બે માણસો એકબીજાની પાસે રહીને પણ એકબીજાને ઉડવાનો મોકળાશ આપે અને કદાચ આ જ રક્ષાબંધનની સૌથી સુંદર વ્યાખ્યા છે

જે હાથ રાખડી બાંધે છે તે હાથને સુરક્ષા જોઈએ છે, પરંતુ જે હૃદય રાખડીનો અર્થ સમજે છે તેને સ્વતંત્રતા જોઈએ છે.

કારણ કે અંતે પ્રેમનું લક્ષ્ય કોઈને પોતાની પાસે રાખવાનું નથી. પ્રેમનું અંતિમ સૌંદર્ય એ છે કે જેને આપણે પ્રેમ કરીએ છીએ, તે પોતાની સંપૂર્ણતા સુધી ખીલી શકે અને તેને ખીલતાં જોઈને આપણું હૃદય સંકોચાય નહીં, પ્રસન્ન થાય.

ત્યારે રાખડી દોરી નહીં રહે. તે પ્રેમની એક એવી યાદ બની જશે જે કહે છે.

હું તને બાંધવા માટે નથી, તું નિર્ભય બનીને જીવી શકે એટલા માટે તારી સાથે છું.



લેખક: જૈમિન જોષી.

“7.8% GDPની ચમક અને સામાન્ય માણસની જિંદગી: વિકાસ ખરેખર કોનો?” (7.8% “GDP Growth and the Common Man: Who Benefits?”)

  7.8% GDP પછી પણ સવાલ કેમ બાકી છે ? ભારતની અર્થવ્યવસ્થાની ચમક પાછળ સામાન્ય માણસની હકીકત શું છે ?           ભારત દેશના રાજકારણમાં ઊથલ ...