Wednesday, December 30, 2020

તમે શિયાળાને ક્યારેય આલિંગન આપ્યું છે..? (Have you ever embraced winter ..?)

 

  • ક્યારેક આપણે શિયાળા ને જતાં પેહલા થેંક્યું કહી આલિંગન કરવું જોઈએ:-

winter



   કોઈ એવા સખા જેની સાથે જીવ્યા હોય દોડ્યા હોય,પરોઢે એકાંતનો ભાગ બનાવ્યો હોય જેને આપણામાં ઉર્જાનો નવો સંચાર કર્યો હોય. નવા વિચારો અને આવેગો પ્રદાન કર્યા હોય તેવો પરમ સ્નેહી જાણે અચાનક જતો રહેવાનો હોય અને તેના ગણતરીના દિવસો બચ્યા હોય તો તમારામાં કેવી સંવેદનાનું પ્રાગટ્ય થાય....? ભારતનાં કેટલાય તેવા વિસ્તારો છે જ્યાં ખરેખર શિયાળો કોને કહેવાય તેની ખબર જ નથી. જેમ આપણે વસંત અને પાનખર ઋતુ વિષે પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં ભણીએ પરંતુ ખરેખર પાનખર કેવી હોય અને વસંત કોને કહેવાય તેનું પ્રત્યક્ષીકરણ તો જોયું જ નથી હોતું બસ તેમ જ ખરો શિયાળો કોને કહેવાય તેની ખબર જ નથી હોતી. પશ્ચિમી દેશોમાં તો શિયાળો શબ્દ વપરાતો જ નથી ઠંડી ના દિવસો કે શરદીના દિવસો તરીકે ઓળખવામાં આવે છે. શરદી એ કઈ ઋતુ નથી તેતો એક વાઇરસથી થતો રોગ છે અને ઠંડક એ નીચા તાપમાનની હાજરી છે માટે આ શબ્દ પ્રયોગજ ખોટો છે.
   શિયાળાના વહીવટમાં તો સૂરજને જાણે ઊગવા માટે પણ આદેશની રાહ જોવી પડે અને જો છૂપી રીતે આવી જાય તો તેની પણ ખેર નથી તેવી સ્થિતિ હોય. તેજ અને ઉષ્મા પ્રદાન કરવામાં સૂરજદાદા ઉપર જાણે ટેક્સ લગાવ્યો હોય તેમ તોલમાપ કરીને આપે. જો સુરજદાદા વધારે માનપાન માંગતા હોય તો માનવ કઈ પાછા પડે ? એટલે તેમણે તડકાના વિકલ્પરૂપે તાપણું શોધી કાઢ્યું. શહેરી વિસ્તારમાં તાપણું એટલે કચરો ભેગો કરીને ધિકાવી દેવું અને હાથ શેકી લેવાં, નકરું પ્રદૂષણ... પણ ગામડામાં તો આવું ન ચાલે. ગામડાનો શિયાળો એટલે તેની વાતજ નિરાળી. ગામડે તો ઠંડી એટલી ગુલાબી હોય કે જાણે પ્રેમિકા કપટથી વળગતી ન હોય.. સવારે માણસ ઊઠે અને ખેતરમાં જાય એટલે આછો આછો સૂર્યનો તાપ જાણે ઝાકળના બિંદુને કાનેથી મરોડી હેઠે બેસાડતો હોય તેમ લાગે. ખેતરમાં જાણે સોનું ઊગ્યું હોય તેવી હરિયાળી પથરાઈ જાય અને એ તડકાના કિરણો આપણાં પર પડતાં હોય અને હાથમાં એએએ  મસ્ત મજાની ફુદીના અને આદું નાખેલી ચાનો મસમોટો કપ પકડ્યો હોય... તેને હોઠો પર અડાડતા જ જે ઘૂંટડે ઘૂંટડે  જીભ પર ફુદીનાનો સ્વાદ છોડતો તાળવે હાથતાળી આપી નીચે ઊતરતો હોય તેની મજા જ કઈક અલગ છે. સાંજ પડે જમવાનું પતાવી માણહ તાપણે બેસે એટલે આખું ફળિયું ગ્રામ પંચાયત ભરીને બેઠું હોય તેવાં ગામના દ્રશ્ય જોવાય. તાપણાની ફરતે બેઠેલા ટોળાને વાતો કરવાના વિષયો શોધવા જવું ન પડે.

  તલાટી સાહેબે સાતબારના ઉતારાની નકલ કાઢી આપવામાં કેટલા પૈસા લીધાં. કોની દીકરી ક્યાં ભાગી ગઈ કે કોનો દીકરો વંઠી ગયો છે, કોની દીકરી સાસરે દુ:ખી છે કે કોની સાસુ જબરી છે. કૂવાનાં પાણી કેટલાં ઊંડાં ગયાં છે અને આ વખતે ઘઉં કેવા પાકશે. આજનું શિક્ષણ કેટલું છીછરું અને નિમ્ન થઈ ગયું છે, ગામની કઈ ડોશીને મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે અને કયો ડોસો હજુએ અપ લખ્ખણો થઈને ફરે છે. ગામના ક્યા ડોસાને તેની પુત્રવધુ બે ટંકના રોટલાય પૂરા ખાવા આપતી નથી અને કઈ ડોશી હજુ ઘરના ઢસરદા કરે છે. જેવા અનેક વિષયો પર તાપણાની સળીએ ચર્ચા ખોરીની નદી વહી રહી હોય ત્યારે ત્યાંથી ખસવાનું મન થતું નથી. તાપણું ઠરી ગયું હોય અને ધુમાડો આંખ - નાકને પજવતો હોય તોય વાતોનો રસ ખૂટતો ન હોય. 

   બીજી બાજુ શહેરનો શિયાળો તદ્દન અલગ હોય. સવારે સૂર્ય ઊગે કે ન ઊગે પણ પોતે પથારીમાથી  ટાટિયાં ઘસતા ઊઠવું જ પડે. ઝાકળ કરતાં ધુમ્મસ ઝાઝા હોય એટલે તડકાના અનુભવની કલ્પના માત્ર રહી. શિયાઓ આવે એટલે પહેલા કફ કરે તેજ તેની ઓળખાણ. અતિશય બીમાર કરે તેવી પ્રદુષિત હવા વધારે ઘાતકી બને. સૂર્યના સોનેરી કિરણોનો લસરકોએ અનુભવાતો ન હોય એટલે બંધ બારણે જેવી મળી તેવી ફરજના ભાગરૂપી ચાના સબડકા બોલી જાય. નોકરી ધંધાના ઠેકાણા દૂર હોય એટલે પગપાળી યાત્રા તો હોય જ નહીં એટલે કસરતને તો ભૂલી જ જવાની અને જો કોઈ કસરત કરવા વહેલા ઉઠતાં હોય તો પણ જીમખાનામા ભારે  વજન ઊચકી પરસેવે રેબજેબ થઈ જવાનું. ખોરાકનું જ્ઞાન તો હોય નહીં એટલે બાઈસેપ ફુલે ના ફુલે શ્વાસ ચોક્કસ ફૂલી જતો હોય છે. વાતા વાયરા ચામડીને એટલે હદે ફાડી નાખે કે લોહી નીકળવાં લાગે. ગોદડા જેવા સ્વેટર  શરીરમાં ચટકા મારતાં હોય તેવું એ અનુભવાય. બળ્યું ઉપરથી રાત્રે સૂઈ જવાની તૈયારી કરીએ ત્યારે થોડી ગરમી લાગતી હોય એટલે પંખો કે એસી ચાલુ કરીને સૂઈ જઈએ ; પરંતુ અડધી રાતે પાછી એકાએક ઠંડી લાગવા માંડે, ઊંઘ ઊડી જાય. અડધી ઊંઘમાંથી ઊઠીને પંખો કે એસી બંધ કરીએ, ત્યારે પછીયે ઊંધને પાછી વળવા આજીજી કરવી પડે. લાંબી અને સળંગ ઊંધની મજા તો ભરશિયાળામાં જ આવે. ક્યારે સવાર પડી જાય એની ખબરેય ન પડે. આમતો ઊંધના ટુકડા થઈ જાય છે, સવારે ઊઠીએ ત્યારે આખોના પોપચાં ભારે લાગે,સ્ફૂર્તિ બદલે સુસ્તી જેવું લાગે, ચેન પડે નહીં , દિવસ ભારેખમ અને કંટાળાજનક લાગે ઉપરથી ચિંતાઓ તો સાથી મિત્ર હોય જ એટલે દિવસની સાથે રાત એ બગડે.. ભલું થાય આ શિયાળા ભાઇનું.... એક કવિએ શિયાળા વિષે સરસ કહ્યું છે... 


હવા થઈ ભારે ને થીજી ગયો શિયાળો

શીતળ લહેરીએ લહેરાઈ ગયો શિયાળો

પહોં ફાટતાં પંખીના કલરવે ગાયો શિયાળો
હુંફાળી સેજમાંથી આળસ મરડી ઊઠયો શિયાળો

ઊંચા ઓટલે, કૂણાં તડકે બેઠયો શિયાળો
હાંફી ને હુંફાળી ચાદરમાં લપટાયો શિયાળો

ગુલાબી સાંજે નવોઢા જેમ શરમાયો શિયાળો
ઘુંઘટો તાંણ્યો રાતે, જગ, જળ, વાયુ ને થંભી ગયો શિયાળો

તાંપણે તપ્યો તોય હાડે ધ્રુજતો ઠૂંઠવાયો શિયાળો
કડે-ધડે તંદુરસ્તી નું ભાંથું બાંધી ગયો શિયાળો

                     – પ્રવિણ કે.શ્રીમાળી

   શિયાળો પોતાની સાથે ઘણું બધું લઈને આવતો હોય છે. શિયાળાની સાથે ગુંદરપાક, મેથીના લાડુ, સુખડી, સાલમપાક, તલમાંથી તૈયાર થતું કચરિયું, તલ્લીના લાડુ કે સીંગદાણા ની ચીકકી, ઊંધિયું ... આહાહા... બીટ,વટાણા- મૂળા - શક્કરિયાંની અલગ મજા. શાકભાજીના શોખીનો માટે શિયાળાની વિદાય વસમી જ થઈ પડે. રોજ સવારમાં ઊગતા ફૂલોની સુગંધ જાણે વાતાવરણ માં અત્તરનો છંટકાવ કરતી હોય તેવો આહલાદ  અનુભવ કરાવે.પ્રકૃતિ માણસને જીવવા માટે અનેક રીતે ભાતના ભાતના સ્વરૂપે ભેટો આપતી રહે છે બસ આપણ ને માણતા આવડવું જોઈએ.તમે શિયાળાને છેલ્લે ક્યારે અનુભવ્યો હતો કે પછી તમે પણ...


                                                                                                                જૈમીન જોષી. 


Wednesday, December 23, 2020

શું તમે ઈશ્વર ને સમર્પિત થયા છો? (Are you devoted to God?)

 

  • આપવું હોય તો તેવું મન આપજે પ્રભુ, કે તને હું સમર્પિત રહું...!!

Prey to God image



   અમુક લોકો એવા છે કે જેઓ સંપૂર્ણપણે ઈશ્વરને આધીન છેતેઓ ઈશ્વરના ઉપાસકો ખરા પરંતુ તેથી વધુ તે ઉપભોગીઓ છે. ઈશ્વર મહાન છે તેવું વિચારી પોતાના તમામ દુઃખોપીડાતકલીફોને ઈશ્વરના માથે ઢોળી દે છે. હે... ઈશ્વર હવે તું  મારુ ગાડું ધપાવી શકે તેમ છે... હે ઈશ્વર હવે તારા વિના મારૂ કોઈ નથી.. હે ભગવાન મને આ તકલીફ માંથી મુક્ત કર, મને બચાવી લે...હે  નાથ હું ગૂંચવાયો છુ મને માર્ગ બતાવ.. હે પ્રભુ તુજ મારો તારણ હાર છે તેવું કહી હરિભક્તો સીધા ભગવાનની શરણમાં પડતું મૂકે છે. હરિ જાલે તો કોને જાલે તેને તો એક નથી અનેક છે. ખરેખર માણસ એટલો નબળો છે કે તે પોતાના કાર્યના પરિણામને પણ સહજ સ્વીકાર કરી શકતો નથી એટલે કાતો તે ભગવાન પાસે ચમત્કારની અપેક્ષા રાખે છે અથવા હાથ ઊંચા કરી લે છેખરેખર તો તેઓ પોતાની જવાબદારીઓથી ભાગતા હોય છે. જો ઈશ્વરને જ બધું કરવું હોય તો તમારી જરૂરત શું હોયમાનવ નિર્માણનું મહત્વ શુતેની પાછળનો કઈક તો હેતુ હશે ને...?

   મેં ઘણી જગ્યાએ લોકોને ઈશ્વરની પ્રતિમા સામે જઈને હાથ જોડતાભીખ માગતાં અને રડતાંમાનતા રાખતાંધમકીઓ અને લાલચ આપતા જોયા છે. કોઈ સારા ભવિષ્ય માટે તો કોઈ પૈસા માટે, કોઈ પ્રેમ માટે તો કોઈ સારા જીવન માટેજીવન સાથી માટે તો કોઈ સંતાન માટે. કેટલાક વ્યક્તિઓ તો એટલા બધા દુખી અને નાખુશ હોય છે કે ઈશ્વર પાસે મૃત્યુની પણ માંગણી કરે છે. બસ માંગ માંગ માંગ પરંતુ ઈશ્વરે જેને આ બધુ આપ્યું છે તે શું ઈશ્વર પાસે કઈ માંગતા નથી?  જો ઈશ્વર તમારી બધી ઈચ્છાઓ પૂરી કરીદે તો શું તમે સંતુષ્ટ થઈ જશો?  જવાબ હસે ના... માણસ ક્યારેય ભરાતો નથી છતાં ઉભરાય છે.  

    માણસ પોતાના જીવનકાળ દરમિયાન સારા નરસા અનુભવોને  કારણે એક ચોક્કસ પ્રકારની મનોવૃત્તિ ધરાવતો હોય છે અને તેજ મનોવૃત્તિને વૈચારિક અને સંસ્કારિત રીતે વારસાગત આપતો હોય છે પરિણામે લોકો પોતાના સ્વઅનુભવથી શીખી શકતા નથી અને જે શીખે છે તે સત્ય અને અસત્યના માળખામાં મૂંઝવાય જાય છે. સત્કર્મ અને દુષ્કર્મની સાચી પરખમાં ગૂંચવાયા કરે છે કેમ કે તે સમય સાથે તાલમેલ દાખવી શકતા નથી. સત્કર્મની પરિભાષા શું? સાદી ભાષામાં સમજીએ...(માનવ લઘુ દ્રષ્ટિએ) જે કાર્ય જાહેરમાં થઈ શકે અને તે કામ માટે તમારી પ્રસંશા થાય તે સત્કર્મ અને જે કામ તમારે સંતાઈને કરવું પડે તે દુષ્કર્મ. કોઈના ફાયદાનું કામ કરો તો સત્કર્મ કોઈનું નુકશાન કરો તો દુષ્કર્મ... કોઈના માટે બધુ ન્યોછાવર કરી દો તે સત્કર્મ અને જો પોતાના માટે અંગત રીતે કઈક કરો તો સ્વાર્થી અને દુષ્કર્મી. મજાની વાત એ છે કે આ તમામ કર્મોની વ્યાખ્યાના બીબામાં સામે વાળા વ્યક્તિનો જ ફાયદો થવો જોઈએ પોતે દુખી થઈએ તો ચાલે પરંતુ સામે વાળો પ્રસન્ન થવો જોઈએ. તો પ્રભુ ખુશ થાય અને તમારા પર કૃપાનો વરસાદ કરે તેવું મગજમાં ઠાંસી દેવામાં આવે પરંતુ આ જે કર્મની ગુણવત્તાનું પૃક્કરણ ઈશ્વર કરતાં હોય તો લેખે પણ લાગે પણ આતો અન્ય વ્યક્તિઓ, સમાજ કે ચોક્કસ વર્ગનાં દ્રષ્ટિકોણને આધારે જ નક્કી થાય છે. જેમ અલગ અલગ રાજ્યના કાયદા અને તે પ્રમાણે સજા તેમજ અલગ અલગ પ્રદેશના સત્કર્મ અને દુષ્કર્મના નિયમો અલગ અલગ અને જો તેમના કારણો પૂછીએ તો શાસ્ત્ર નો  સહારો લઈ લેવામાં આવે છે. હવે આજના જમાનામાં લોકો પોતાના કબાટમાં પડેલા પુસ્તકો નથી જોતાં તે શાસ્ત્રોને ક્યાંથી વાચવાના અને   વાંચન કરે  તો પણ તેનું સાચું અર્થઘટન ક્યાંથી  કરવાનાં.? તેના કારણે વ્યક્તિ સમાજના ડરથી સંતાઈને કાર્ય કરશે. હવે વ્યક્તિ જે કામ સંતાઈને કરતો હોય તે તેના મનમાં દ્વેષ ઉત્પન કરતો હોય અને ઉત્પન થયેલ અપરાધ ભાવને કારણે તે પોતાને એટલો પાપી ગણી બેસતો હોય છે કે વૃદ્ધાવસ્થા આવતાં સુધીમાંતો તે ઈશ્વરના સામે ઊંચા હાથ કરી કરીને તેનું જતન કરતો હોય છે જાણે ઈશ્વર તેને સુદામા કે મીરાં સમજી આલિંગન આપવા આતુર હોય તેવી પરિસ્થિતિઓનું નિર્માણ જાહેરમાં કરે છે. તમે આવા લોકોને ભજન કીર્તન કે કથામાં ઊંચા હાથ કરી કુદતા જોયા હશે. નૃત્ય તો નટરાજ ને પણ વહાલું છે તો આપણે તો માનવ છે પરંતુ જ્યારે તેને ખોટી રીતે અંગત સ્વાર્થ અને પીડા માટે પ્રદર્શિત કરવું પડે ત્યારે તે ખોટું કહેવાય. આખા જીવનમાં ઈશ્વરને હાથ ન જોડનાર ને અચાનક અંતઃસ્ફુરણા થાય અને અધ્યાત્મિક જીવન અને શાંતિની વાતો કરે. યુવાનીમાં લેર અને અંત સમયે પ્રભુની મેર...?       

   ભગવાન દ્વેષી નથી. તેને સુખવૈભવસુંદર વસ્ત્રાલંકારશૃંગાર અને ઉત્તમ સ્વાદ તથા સુશોભનો નો ક્યારેય મોહ નથી.તે તમામ આસક્તિઓથી પર છે. તેમણે નાસ્તિક અને આસ્તિક બધા જ ઉપર સ્નેહવશ થઈ આશીર્વાદ આપ્યા છે. શાસ્ત્રોમાં તો ઉલ્લેખ પણ છે કે ઈશ્વરના હાથે મરણ પામેલા અસુરો તથા તેમના શરણમાં આવેલા પાપી ઉપભોગીઓને પણ તેમને તત્કાળ મોક્ષ આપેલ છે.

   ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર આપ્યો. આપણને કુશળતાપૂર્વક સમૃદ્ધિ આપીદુઃખ સહન કરવાની શક્તિ આપી અને સુખ ભોગવવાની પ્રવિધિઓ આપી. આ બધા વચ્ચે તેમણે આપણને શ્રદ્ધા આપી કે ક્યાંય તને અગવડ પડે તો હું તારી સાથે ઉભો રહીશ તેવો વિશ્વાસ આપ્યો છતાં આપણને સંતોષ નથી. તમે ક્યારેય અસત્ય બોલ્યા છો? તમે ક્યારે ઈશ્વર પાસે જઈને પાપ કર્મોનો હિસાબ માગ્યો છે કે તમને પણ માત્ર પુણ્યનો હિસાબ કરતા જ આવડે છે. ઈશ્વર પાસે હમેશાં આભાર માનો કે તેમણે તમને તે તમામ નબળી પરિસ્થિઓમાંથી બચાવ્યા છે જે તમારા ભાગે નથી આવી અને જે આવી છે તેમાં તેને હમેશાં સહાય કરી છે. પરિશ્રમ વગરનું તો પુણ્ય એ નકામું. ઈશ્વર પાસે માંગવુ હોય તો માંગો કે ઈશ્વર એવું જીવન આપજે અને તેવું વિશાળ મન આપજે જે તને સમર્પિત રહે.

                                                                                                                                 જૈમીન જોષી.

Tuesday, December 15, 2020

ઈસા મસીહ- મેરી ક્રિસમસ (Jesus Christ - Merry Christmas)


યુ આસમાન મે બાદલો કે બીચ તલાશ મત કર, એ દોસ્ત...
ઇસ ભીડમે નજર લગા કે દેખ, કિસીકે ચહેરે કી મુસ્કાન પે સ્વર્ગ નજર  આયેગા..!!! 


Jesus Christ - Merry Christmas image




   ક્રિસમસ ઈસાઈ ધર્મનો સૌથી મહત્વપુર્ણ અને વિશ્વનો સૌથી લોકપ્રિય તહેવાર છે. પ્રતિ વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. રપ ડિસેમ્બરે ઉજવાતો આ તહેવાર આજે દરેક જાતિ અને ધર્મમાં સમાન લોકપ્રિયતા હાંસલ કરી ચુક્યો છે. આ તહેવારની રંગારંગ, ધુમધામ અને મનોરંજનને જોઈને વધુમાં વધુ લોકો આ તહેવાર તરફ આકર્ષાઈ રહ્યા છે. ક્રિસમસ ભગવાન ઈસા મસીહ ( જેને ઈસુ ના નામથી પણ બોલાવવામાં આવે છે ) ના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ક્રિસમસ શબ્દ કાઈસ્ટ્સ અને માસ બે શબ્દોના મેળથી બનાવાયો છે, જે મધ્યકાળના અંગ્રેજી શબ્દ ક્રિસ્ટેમસે અને પુરાની અંગ્રેજી શબ્દ ક્રિસ્ટેસમૈસેથી નકલ કરવામાં આવ્યો છે. ઈ.સ. ૧૦૩૮ થી તેને ક્રિસમસ કહેવામાં આવે છે. તેમાં ક્રિસ નો અર્થ ઈસા મસીહ અને મસ નો અર્થ ઈસાઈયાં નો પ્રાર્થનામય સમુહ અર્થાત માસ છે. ઈસુના જન્મ સંબંધક નવા ટેસ્ટામેંટ અનુસાર વ્યાપક રૂપથી સ્વીકારાયેલ  ઈસાઈ પૌરાણિક કથા છે. આ કથા મુજબ પ્રભુએ મૈરી નામની એક કુંવારી છોકરી પારો ગેબ્રિયલ નામના દેવદુતને મોકલ્યો ગ્રેબિયલએ મૈરીને કહ્યું કે તે એક પ્રભુના પુત્રને જન્મ આપશે તથા પુત્રનું નામ ઈસુ રાખવામાં આવશે. તે મોટો થઈને રાજા બનશે તથા તેના રાજ્યની કોઈ સીમા નહી હોય. જે રાત્રીએ જીસસનો જન્મ થયો તે સમયે લાગેલ નિયમમુજબ પોતાના નામ પંજીકૃત કરાવવા માટે મેરી અને જોરોફ બેથલેહેમ જવા માટે રસ્તામાં હતા. તેમને કે અસ્તબલમાં શરણ લીધુ જ્યાં મેરી એ અડધી રાત્રીએ ઈસુને જન્મ આપ્યો. આ પ્રકારે ઈસુનો જન્મ થયો .
  
christmas image

   બાળક ઈસુના જન્મની સૌથી પહેલા ખબર આ દુનિયાના સૌથી નિર્ધન વર્ગના લોકોને મળી હતી. તે સખત મહેનત કરવાવાળા ગડરિયા હતા. ઠંડીની રાત્રે જયારે તેમને ખબર મળી તે ખુલા આકાશ નીચે ખતરાઓથી બેખબર સુતા પોતાની બકરી ( ઘેટાં ) ની રખવાળી કરી રહ્યા હતા. એક તારો ચમક્યો અને સર્વદૂતોના દળને ગડરિયોને ખબર આપી કે તમારા વચ્ચે એક એવા બાળકે જન્મ લીધો છે જે તમારા રાજા  થશે. પુરી દુનિયાના ગરીબો આ સાંભળીને ખુશ થયા ત્યાં જ ગરીબો પર અત્યાચાર કરનાર રાજા હેરેદિસ  નારાજ થઇ ગયો. તેણે પોતાના રાજ્યમાં ૨ વર્ષની ઉંમર સુધીના દરેક બાળકનું નિર્દયતા પુર્વક કતલ કરી નાખ્યું જેથી તેની સત્તાને ભવિષ્યમાં કોઈ એવાથી ખતરો ન રહે, ઈસુ આ શેતાનિયત ને ખતમ કરવા આવી ગયા હતા. આ કથા મહદઅંશે ક્રુષ્ણ જન્મે મળતી આવે છે.

   ઈસા મસીહએ માનવરૂપમાં જન્મ માટે કોઈ સંપન્ન વ્યકિતનું ધર પસંદ નહોતું કર્યું પણ તેમણે તો ગરીબ વ્યક્તિની ગૌશાળામાં ઘાસ પર જન્મ લીધો હતો. ખરેખર તે ગરીબ, ભોળા તથા શોષિત લોકોના ઉધ્ધાર કરવા માટે આવ્યા હતા. તે માટે જ તેમણે જન્મથી જ આવા લોકોની વચ્ચે તેમનું સ્થાન નક્કિ કર્યું જે ખરેખર મોટો સંદેશ પ્રદાન કરી રહ્યું  હતું. 

  ૩૦ વર્ષની ઉંમરમાં ઈસા મસીહ એ સામાજીક અવ્યવસ્થાના વિરુદ્ધ પોતાનો  અવાજ બુલંદ કરી તેમણે પ્રજાને દીન દુખિયા તથા લાચારોની સહાયતા કરવા, પ્રેમ ભાવથી રહેવા, લાલચ ન કરવા તથા લાલચથી દૂર રહેવા અને રાજ્ય તથા ઈશ્વરના પ્રતિ કર્તવ્યનિષ્ઠ રહેવા, જરૂરમંદ લોકોની સહાય કરવા, પોતાની જરૂરીયાત કરતા વધુ ધન સંગ્રહ ન કરવા જેવા ઉપદેશો આપ્યા. આજે ઈસા મસીહના આપેલ સંદેશાઓની પ્રાસંગિકતા ખુબ જ વધુ અને મહત્વપૂર્ણ છે, કારણ કે ભલે સામાજીક બૂરાઈઓએ પોતાનું રૂપ બદલી નાખ્યું હોય પરંતુ તે આજે પણ સમાજમાં હાજર છે અને ગરીબો, લાચાર, શોષિતો, પીડિતો અને દલિતોને તેનો શિકાર થવો પડતો હોય છે. ઇસા મસીહએ સમાજને સમાનતાના પાઠો ભણાવ્યા હતા તેમને વારંવાર કહ્યું કે તે ઈશ્વરના પુત્રો છે અને હવે આ દુનિયામાં ક્રૂરતા, અન્યાય અને બુરાઈઓ, તકલીફો છે પણ ઈશ્વરના ઘરમાં બધા બરાબર છે તેમને નવો જ સમાજ બનાવવા માટે પ્રયત્નો કર્યા અને તેને મહત્વ આપ્યું. જેમાં ક્રૂરતા તથા અન્યાય માટે જગ્યા જ ન હોય અને બધા જ પ્રેમ અને સમાનતાની સાથે રહે. 
 
   આવી જ એક કહાની બાઈબલમાં આવે છે જે એક સામરી સંપ્રદાયની સ્ત્રીની છે. જ્યારે ઈસા મસીહએ તે સ્ત્રી પાસે પીવા માટે પાણી માંગ્યુ ત્યારે તે સ્ત્રીએ કહ્યુ કે તુ યહુદી થઈને એક સામરી સ્ત્રી પાસે પીવા માટે પાણીની માંગણી કરે છે ?  ખરેખર તો યહુદી લોકો સામરિયોની સાથે કોઇ પણ પ્રકારનો વ્યવહાર રાખતા ન હતા અને તેમને કમતર ( ઉતરતા ) માનતા હતા પરંતુ ઈસાએ તે સ્ત્રીના હાથનું પાણી પીધું. ઈસા મસીહ એ દલિત, દમિત અને અસહાય લોકોને આશા અને ઈવનનો સંદેશ આપ્યો છે.  તેમણે તેમનું પુરૂ જીવન માનવ કલ્યાણમાં લગાવી દીધું આ જ કારણ હતું કે તેમણે ક્રોસ પર મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો, પરંતુ બીજાના કલ્યાણ માટે કામ કરવાવાળા મૃત્યુદંડથી ક્યારેય ભયભીત થાય છે ખરા? તેમણે હસતા હસતા પોતાના મૃત્યુદંડનો સ્વીકાર કરી પોતાના પ્રાણ અન્ય માટે ત્યજી દીધા. તેમના મૃત્યુનો પણ એક આખો પીડાદાઈ અને કરૂણ પ્રસંગ છે.

   ક્રિસમસનો તહેવાર ભૌતિક વસ્તુ અને આનંદ માટે પણ ખાસ હોય છે જેમકે ક્રિસમસ ટ્રી, સ્ટાર, ગિફ્ટ વગેરે અને  હા કેટલાક લોકો માને છે કે, ક્રિસમસના દિવસે સાંતા ક્લોઝ બાળકો માટે ઉપહાર લાવે છે . સાંતા ક્લોઝને યાદ કરવાનું ચલન શતાબ્દીથી શરૂ થયું હતું અને તે સંત નિકોલસ હતા જે તુર્કિસ્તાનના મીરા નામના શહેરના હતા. સાંતા કલોઝ લાલ તથા સફેદ ડ્રેસ પહેરીને એક વૃધ્ધ મોટો પૌરાણિક ચરિત્ર જે રેન્ડિયર સવાર થઈને તથા સમારોહમાં વિશેષ કરીને બાળકો માટે મહત્વપુર્ણ ભૂમિકા નિભાવે છે . 

christmas image



   ક્રિસમસ ખુશીઓ જેવી ઉમ્મીદો જગાવવાનો તહેવાર છે. ઈસા મરીહના જીવન અને અનેક ઉપદેશ આજે પણ એટલા પ્રાસંગિક છે કેમકે આજે પણ અમીરી ગરીબી, જાતિવાદ અને સામાજીક વિસંગતતા સમાજમાં હાજર છે. જ્યારે આપણે આપણી આસપાસ નજર ફેરવીશુ અને ગરીબ તથા લાચાર લોકોના દુઃખ દર્દ તકલીફને સમજી શકીશું અને ઈસા મસીહની જેમ પોતાના પ્રયત્ન દ્વારાં  કેટલાક ચહેરા પર થોડી  હસી લાવીશુ, બીજાના ચહેરા પણ થોડા ખુશીના આંસુ લાવીશુ તેના દુઃખના વાદળોને દૂર કરવામાં મદદ કરીશું ત્યારે આપણે ક્રિસમસની વાસ્તવિક ખુશીઓને પ્રાપ્ત કરીશું તથા તેનું મહત્વ સમજી શકીશું.

                                                                                                                               જૈમીન જોષી.

Friday, December 4, 2020

અસુરના વિશ્વકર્મા - મયાસુર (Vishwakarma of Asura - Mayasur)





mayasur picture


   વેદ અને પુરાણોમાં થયેલ ઉલ્લેખ પ્રમાણે સૃષ્ટિના સર્જનકાર વિશ્વકર્મા છે. તેમજ દેવ અને દાનવના સર્જક પણ વિશ્વકર્મા છે, પરંતુ તેવું માનવમાં આવે છે કે દાનવ એટ્લે અસુરના સ્થપતિ મય દાનવ છે. જેને મયાસુર તરીખે પણ ઓળખવામાં છે. તે ખૂબ શક્તિશાળી અને પ્રપંચી શક્તિઓથી સંપન્ન હતાં. તેમના પિતાનું નામ વિપ્રચિત્તિ હતું. મયાસુરને બે રાણીઓ હતી.જેમાં બીજી રાણી દ્વારા તેમને બે પુત્ર અને એક પુત્રી હતી. પુત્રીનું નામ મંદોદરી હતું જેને લંકા પતિ અને અશુરોના રાજા રાવણ સાથે પરણવામાં આવી. આમ મયાસુર એ રાવણના સસુર હતાં. મયાસુર અથવા મય એ હિંદુ ધર્મના મહાગ્રંથ રામાયણમાં દર્શાવ્યા અનુસાર દાનવોના રાજા તથા એક મહાન શિલ્પી પણ હતાં. તેમની રાજધાનીનું નામ મયરાષ્ટ્ર હતું. જેને પાછળથી માઈ-દંત-કા-ખિરા તરીકે અને પછી મેરાથ અને અંતે હાલમાં ઉત્તર ભારતમાં આવેલ મેરઠ તરીકે ઓળખવામાં આવે છે.

   રામાયણના ઉત્તરાકાંડ અનુસાર, રાવણનું સુંદર શહેર લંકા વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે પણ માન્યતા છે કે લંકા પોતે જ રાવણના સસુર અને મંદોદરીના પિતા મયાસુર દ્વારાં રચવામાં આવ્યું હતું તથા હનુમાનજી પ્રભુ શ્રીરામની આજ્ઞાથી માતા સિતાજીને શોધવા લંકામાં ગયા અને પછી ત્યાં આખી લંકાને પોતાની પૂછ દ્વારાં સળગાવી વિનાશ આચર્યો અને તેને રાખ કરી ત્યારે લંકા પતિ રાવણે મયાસુરની મદદથી લંકા નગરીની પુનઃ રચના કરી હતી.

   મયાસુરે તારકાસુર માટે ત્રિપુરા નામના ત્રણ સોના, ચાંદી અને લોખંડના અપ્રતિમ અને વિશાળ નગરની રચના કરી હતી જે ઉડી઼ પણ શકતા હતા. આ ત્રણે નગરો સમૃદ્ધ, શક્તિશાળી તથા દુનિયા પર પ્રભુત્વ ધરાવતા હતા. તારકાસૂરે આ ત્રણ રાજ્યો તેમના ત્રણ પુત્રો તારકક્ષા, કમલાક્ષ અને વિદ્યુનમાલીને સોંપી દીધા. આ નગરોમાં પાપાચાર વધતા ભગવાન શિવે ત્રિપુરાનો નાશ કર્યો હતો. ભગવાન શંકરે ત્રિપુરાને અગવા કરી લીધો અને અસૂરોનો નાશ કર્યો, ત્યારે મયાસુરએ અમૃતકુંડ બનાવીને બધાને જીવંત કરી દીધા હતાં, પરંતુ ભગવાન વિષ્ણુ દ્વારા આ પ્રયત્નને નિષ્ફળ કરવામાં આવ્યો પણ મય દાનવને શિવભક્ત હોવાના કારણે જીવનદાન આપવામાં આવ્યું.

   એવું માનવમાં આવે છે કે એક વાર મય દાનવ હસ્તિનાપુર નિકટ ખાંડવવનમાં વસતો હતો ત્યારે અગ્નિ દેવે તેમની ભૂખ સમાવવા વન ખાવા માંડ્યું - ભસ્મ કરવા માંડ્યું  ત્યારે અર્જુન એ  મય દાનવની રક્ષા કરી. તદુપરાંત ખાંડવપ્રસ્થના નિર્માણ વખતે જ્યારે મયાસુરનું યુદ્ધ ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન સાથે થયું ત્યારે તે પરાજિત થયો. ભગવાન  શ્રીકૃષ્ણ એ તેને અભય વરદાન આપ્યું, તથા ભગવાન શ્રીકૃષ્ણ એ તેને યુધિષ્ઠિર માટે ઇન્દ્રપ્રસ્થ નગરમાં એક ભવનનું નિર્માણ કરવા માટે આજ્ઞા કરી. આમ, પાંડવોએ જ્યારે સ્વતંત્ર રાજ્ય સ્થાપી ઇન્દ્રપ્રસ્થ રાજધાની બનાવી ત્યારે  મય દાનવે તેમને ભવ્ય ચમત્કારી મહેલ બાંધી આપ્યો. તે બાંધતાં મયને ૧૪ મહિના થયા. મહેલની રક્ષા માટે લગભગ  ૮000 અસુરોની સેના પણ આપી. તદુપરાંત અર્જુનને દેવદત્ત નામે શંખ તથા ભીમસેનને વૃષપર્વા રાજાના સમયની નામાંકિત ગદા ભેટ આપ્યાં. મયાસુરે તે વખતનો મોટામાં મોટો અને અત્યંત સુંદર તથા બેજોડ ભવન નિર્માણ કર્યો, જે મયસભા તરીકે વિખ્યાત થયો. તેણે દ્વારકાના નિર્માણમાં વિશ્વકર્માની પણ મદદ કરી હતી. તેમાંથી, ત્રિપુરાસુર શહેરનું નિર્માણ થયું અને ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિ લઈ મય દાનવ બિંદુ સરોવર ગયા. દૈત્યરાજ વૃષપર્વન યજ્ઞ નિમિત્તે બિંદુ સરોવર નજીક એક અનોખું સભાગૃહ બનાવીને માયાસૂરે ખ્યાતિ મેળવી.

   બ્રહ્મપુરાણ મુજબ, ઇન્દ્રએ શુમ્ભ અને નિશુંભના ભાઈ નમુચીની હત્યા કર્યા પછી, મયાસુરએ ઇન્દ્રને પરાજિત કરવા માટે તીવ્ર તપસ્યા કરીને અસંખ્ય માયાવી વિદ્યા પ્રાપ્ત કરી. ઈન્દ્ર ભયાનક રીતથી ગભરાઈ ગયા હતાં અને તેણે બ્રહ્મષનો વેશ ધારણ કરી મયાની પાસે પહોચ્યાં અને મિત્રતાની કેફિયત માટે તેને ફસાવી અને છેવટે તેનું સાચું સ્વરૂપ જાહેર કર્યું. મૈત્રીના બંધનમાં હોવાથી મય રાક્ષસે ઇન્દ્રને અભય વરદાન આપી તેને પણ માયાવી વિધ્યા શીખવી તથા પ્રપંચી શિસ્ત પણ શીખવી.

                                                                                                                      
                                                                                                                                       જૈમીન જોષી.





 .

સીપીઆર શું છે ? ( What is CPR?)

  સીપીઆર શું છે ?  What is CPR?             વધતો જતો સ્ટ્રેસ અને અતિ વ્યસ્તતાના કારણે  આપણે પોતાના શરીર અને તેની રચના વિશે  અજાગૃત થઇ ગયા ...