Monday, January 25, 2021

માનવને તો સુખ પણ મિથ્યા લાગે. (Even happiness seems false to human beings.)

ઉગમણો એ નજરે આથમતો લાગે,
અમને તો ગોળનો કાંકરો એ ખાટો લાગે.

 
human pic

 

 

   વ્યક્તિ જીવનને અવગણીએ તો પૈસાથી ચાર વસ્તુ કદી ખરીદી શકાતી નથી. સુખ, શાંતિ, સાચા મિત્રો અને તંદુરસ્તી. આપણે સુખની ઈચ્છા રાખીએ પણ તેનું આગમન ક્યાંથી થાય તે હજુ સુધી કોઈ જાણતું નથી. કદાચ જાણી શકે પણ નહીં. બદલાતા સમય સાથે આપણે એટલું તો સ્વીકારી જ લીધું છે કે સુખ એટલે સગવડ તો નહીં જ તો પછી સુખ કોને કહેવાય? કેટલાક લોકો સાવ નવરી વેળાએ ચર્ચાએ પડ્યા હોય ત્યારે એકબીજાને ચર્ચાના ભાગરૂપે કહી બેસે છે કે યાર હવે મજા નથી આવતી.... જીવનમાં સુખ જેવું કંઇ છે જ નહી. જિંદગીની તો પથારી ફરી ગઈ છે. આપણે જે પથારીની વાત કરીએ છીએ ત્યારે જાણતા નથી કે આ પથારી સમેટવામાં લોકોએ આખી જિંદગી કાઢી નાખી છે છતાં ક્યારેય સુખનો છાંટોય અનુભવ્યો નથી. માણસ સુખની શોધમાં પ્રાર્થના કરે પછી જાહેર મેળાવડાઓમાં જાય. ગુરૂજીઓ બનાવે, ધર્મપરિવર્તન કરે, ધ્યાન કરે, એક ચોક્કસ સાત્વિક વસ્ત્રો પહેરે અને અમુક વસ્તુઓનો ત્યાગ કરે. મોટાભાગે લોકો ત્યાગ પણ તે જ વસ્તુઓનો કરતા હોય છે જે વસ્તુ ક્યારેય તેમની પાસે આવવાની હતી જ નહી કે પ્રાપ્ત કરી શકવાના હતા જ નહિ. મોટા ભાગની વસ્તુઓને આપણે લાયક નથી હોતા. અહીં ''અંગુર ખટ્ટે હૈ'' તેવી વાત હોય છે. વસ્તુત્યાગની મજા તો ત્યારે આવે જયારે તમે તે માટે સક્ષમ હોય છતાં તેનો ત્યાગ કરો. સક્ષમ વ્યક્તિ ત્યાગ કરતા પહેલા ઓછામાં ઓછો એક વખત તો ભોગ વિલાસ કરે જ છે. જેનો ઉપયોગ થઈ જ ચુક્યો છે, જેને સંપૂર્ણ માણી લીધું છે, જેની સાથે બધું જીવી અને અનુભવી લીધું છે તેનો ત્યાગ કરવામાં વળી શું મહાનતા? તમે ત્યાગ ન કરો તો પણ તેતો છૂટી જ જવાનું. તે તો પ્રકૃતિનો જ નિયમ છે. માણસ તો એક વ્યક્તિ સાથે પણ મનમેળાપ રાખી શકતું નથી તો આ તો વસ્તુઓ છે.

   આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરવાનો સીધો અને સરળ રસ્તો કે કોઈ પણ ધાર્મિક વ્યાખ્યાનો કરતા સાધુ, સંતો પાસે પહોંચી જાવ. તે તમને નવી નવી સુખની વ્યાખ્યાઓ ગરમાગરમ શાસ્ત્રો કે વેદો સાથે પીરસી દેશે. તેમાંય વળી ઠંડી છાશ જેવા શબ્દોનો ભારો તો જોઈએ એટલોતો મળતો જ રહેવાનો. 'કહેતા ભી દિવાના... સુનતા ભી દિવાના'  પ્રથમ વ્યાખ્યાનમાં જ સાચું સુખ એટલે શું? તેના ઉપર સમજણ અને સાહિત્યનો મિક્સ મસાલો જાહેરમાં ખોલશે. સાચું સુખ શબ્દ જ જટિલ છે. સાચું હોય ત્યાં ખોટાનું અસ્તિત્વ આપમેળે જ આવી જાય. ખોટું અને જુઠ્ઠું સુખ છે તો ક્યાંક આપણે સાચું સુખ તો ભોગવ્યું જ નથી એવો અર્થ થઈ જાય. આખું જીવન જીવ્યા તે શું મિથ્યા હતું? સાચું સુખ હવે તારવવું ક્યાંથી? આપણે જે સુખ માણીએ છીએ તેને તો આવા લોકો મિથ્યા ગણાવે છે. જીવનનાં ૨૫ વર્ષ જે વિદ્યાર્થીએ અભ્યાસ કરી અને નોકરી મેળવી ત્યારે મહિનાના અંતે જે મૂડી હાથમાં આવી અને તે સમયે ઉત્પન્ન થતી આંખોની ચમક શું એ મિથ્યા છે? પ્રથમ પુત્ર કે પુત્રીને હાથમાં લઇને એક નજર ટગર ટગર જોયા કરવાનું સુખ મિથ્યા છે? માતા પિતાના ખોળામાં માથું મૂકીને ઘડી બે ઘડી આંખો મીંચાઈ એ સુખ શું મિથ્યા છે? પ્રથમ વખત કોઈ જરૂરિયાતને મદદ કરતી વખતે માનવતા અનુભવવી એ શું મિથ્યા છે.?

   પ્રવૃત્તિ સાથે પ્રયોજન અને પરિણામ સંકળાયા છે પણ આપણા નયન માત્ર ને માત્ર  પ્રયોજન અને પરિણામ પર હોય તો કર્મનાં આનંદની અનુભૂતિ ક્યાંથી રહેશે. આખા દિવસના કઠોર પરિશ્રમ અને તકલીફનો સામનો કર્યા પછી સાંજે મિત્રોને મળીએ અને જે મન હળવું કરવાનો એક નાનો અવસર મળ્યા પછી જે હળવાસ અનુભવી એ તે ધ્યાન કે એકાંતને માણવાથી એ નથી મળતી. મિત્રો સાથેની એક સાંજ તમામ તકલીફોનું નિરાકરણ છે. મિત્રો સાથે જે પ્રકારે મન ઉઘાડ પામતું હોય અને તેનો આનંદ જેવો હોય તે વર્ણવી ન શકાય. સમય સાથે શરીર અને સંબંધ બગડે, અમુક વસ્તુ માંથી મન પણ ઉઠે પરંતુ અંગત મિત્રનો સાથ અંત સમય સુધી મળે તો તમે પૃથ્વી પરના સૌથી નસીબદાર વ્યક્તિ છો તેવું માનવું રહ્યું. 

   આપણે સમજદાર પ્રાણીઓ હોવાથી માનવનું સંબોધન મળ્યું. માનવે બુદ્ધિનો ઉપયોગ કરી નીતનવા પ્રયોગો દ્વારાં એક જીવનશૈલી તૈયાર કરી. હવે એજ જીવનશૈલીને તે બદલવા લાગ્યો. પેલા ભૂખ પેટની હતી હવે મનની છે, પહેલા આનંદ વહેંચવામાં આવતો હતો હવે જુટવી લેવામાં આવે છે, પહેલાં નીતિ ખવડાવવાની હતી અત્યારે ખાઈ જવાની છે, હવે દેખાડો છે નર્યો દેખાડો. આપણે રક્ષક હતા હવે ભક્ષક છીએ. હવે આપણી પાસે ભલે હથિયાર નથી છતાં અપને ઉભા ઉભા મરાવી કે લડાવી નાખવાની તાકાત ધરાવીએ છીએ. જો આપણે અન્યને ખુશ જોઈ નથી શકતા તો આપણે ક્યારેય ખુશીની અનુભૂતિ ન કરી શકીએ. આપણી વૃતિ હવે એવી થઇ ગઈ છે કે સામે અમૃત પડ્યું હોય તો પણ આપણને ઝેર લાગે. પૃથ્વી પર સુખની ગંગાઓ વહે છે જો આપણને તેમાં ડૂબકી મારતા આવડે તો. આપણને સારામાં સારી જગ્યા એ લઈને જવામાં આવે કે મનગમતું આપી દેવામાં આવે છતાં આપણે અંદરથી ખુશ હોતાં નથી. કેટલીક ખુશીઓ આપણી અત્યંત નિકટ હોવા છતાં આપણે તેને ઓળખી કે અનુભવી શકતા નથી. તેનાં માટે સ્વયં ના મન ને સુધ્ધ કરવાની જરૂર છે. તમે વર્ષોથી જે સપનાં પાછળ ભાગતા હોવ અને અચાનક તે પ્રાપ્ત થાય છતાં તમે અંદરથી ખુશ ન હોવ તો માની લેવું કે તમે તમારા લાભ માટે કેટલાયનાં મનને તોડી ને વેરવિખેર કરી નાખ્યાં છે.


                                                                                               જૈમીન જોષી.  

    

Sunday, January 17, 2021

પ્રેમ બતાવવો એ પણ એક આવડત છે.(Showing love is also a skill.)


  • પ્રેમ કરનાર કરતાં પ્રેમ જતાવનાર વ્યક્તિની વધુ પ્રશંસા થતી હોય છે, ભલે તે પ્રેમનાં નામે જૂઠાણું કેમ ન પીરસતા હોય:-

love Expression


   બે પ્રકારના માણસોથી હંમેશા ચેતવું. એક જે  પ્રેમ કરવામાં કુશળ છે અને બીજું જે પુષ્કળ પ્રેમકર્તા છે. આપણે ત્યાં પશ્ચિમનો પ્રભાવ એટલા હદ સુધી પ્રવેશી ગયો છે કે હવે આપણે દરેક સંબંધને ''ટેકન ફોર ગ્રાન્ટેડ'' લેતાં થઈ ગયા છે. એક સમય હતો જ્યારે માનવીને પ્રેમની અનુભૂતિ થતી હતી, અત્યારે માત્ર અભિવ્યક્તિ છે. અભિવ્યક્તિ આમ તો ખૂબ સરસ શબ્દ છે. વ્યક્તિ પહેલ વહેલ પ્રેમમાં પડે એટલે તેનામાં સૌથી વધુ જેની ઉણપ હોય તે અભિવ્યક્તિની જ હોય છે. પ્રેમ બતાવવો તે પણ આવડત છે. કોઈ વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ અપાવવો તે પણ એક હિમ્મતનું કામ છે અલબત્ત, આજની પેઢીમાં તે કુશળતા ઠાસી ઠાસીને ભરી છે. રાહદારીને પોતાનામાં વિશ્વાસ બેસાડી દે તેવી આજની પેઢીને અરીસો બતાવીએ તો પોતાનાથી કદરૂપું કોઈ ના જોવાય. શરીરમાં આયર્નની ઉણપ હોય તો ચલાવી લેવાય પણ પ્રેમમાં અભિવ્યક્તિની ગેરહાજરી તો ન જ ચલાવી લેવાય! પ્રેમ વ્યક્તિને વિકસાવે છે અને અભિવ્યક્તિ સંબંધને સલામતી પૂરા પાડે છે. બાળકનું પ્રેમ ક્યારેય શાબ્દિક નથી હોતો ન તો તેમના માતાપિતાનો હોય છે. તમે તમારા બાળકને ક્યારેય નહીં કહ્યું હોય કે તેને તમે કેટલો પ્રેમ કરો છો..? છતાં તમારું સંતાન તે જાણે છે, આવું કેમ? કેમ કે વ્યક્તિની વાણી કરતાં વર્તન વધુ મહત્વનું હોય છે. શબ્દોનો એક અલગ સાગર છે, પરંતુ વર્તન તેવું મીઠું ઝરણું છે જે  હંમેશા ખળખળ અવાજ સાથે વહેતું રહે છે. શુદ્ધ, પવિત્ર...

   શિક્ષણ અને પ્રેમ એ જીવનની મહત્વની કામગીરી અને જવાબદારી છે. વ્યક્તિની જાગૃતિ માટે શિક્ષણ અને પ્રેમ બંનેમાં સક્રિયતા નિતાંત આવશ્યક છે. સંબંધ બાંધવો જેટલો સરળ છે તેને જાળવી રાખવો કે નિભાવવો તેટલો જ કઠિન. કોઈ પણ સંબંધ સમર્પણ માગે છે, પરંતુ સમર્પણનો એક મહત્વનો નિયમ તે છે કે સમર્પણ કરવા માટે વ્યક્તિ સ્વયંને અર્પણ હોવો જોઈએ. જેનું પાત્ર ખાલી છે કે દાન ન કરી શકે, તેને ભિક્ષુક જ કહેવાય. તે જ પ્રમાણે વ્યક્તિની  આંતરિક અજ્ઞાનતા તેને સમર્પણ સુધી પહોંચવા જ નથી દેતી. અંધશિક્ષણ માત્ર અનુકરણ કે નકલ કરતા જ શીખવે છે માટે આપણે જે જોઈએ છે તે જ શીખીએ છીએ, જે શીખીએ છીએ તે જ શીખવીએ છીએ માટે આપણે પ્રેમની અભિવ્યક્તિની જે પદ્ધતિ શીખ્યા તે જ પ્રમાણે વર્ત્યા. જેવો પ્રેમ જોયો તેવો જ પ્રેમ આપ્યો. હવે મૂળ સવાલ એ છે કે દરેકને આપણે પસંદ કેમ નથી પડતાં? વ્યક્તિ માત્ર પ્રેમને કે અન્ય વ્યક્તિના સાથને ઝંખે છે તો બીજી બાજુ દરેક વ્યક્તિ પ્રેમ આપવા માટે તત્પર જ હોય છે છતાં એકબીજાને વાંધા પડતાં હોય છે કેમ? કેમ કે દરેક માટે પ્રેમની અભિવ્યક્તિની પદ્ધતિમાં તફાવત હોય છે. એક બીજાને અનુકૂળ થવું એટલે શું? સામે વાળી વ્યક્તિ ઈચ્છે તે પ્રમાણે વર્તન કરવું. જે દરેક માટે અનુકૂળ ન હોય. પ્રેમ હવે સરકારી યોજના જેવો થઇ ગયો છે અને સંબંધ સાક્ષરતા અભિયાન જેવો.

   આપણે કોઈ સરસ રોમેન્ટિક મુવી જોઈએ કે સરસ નવલકથા વાંચી હોય તો ક્યારેક એવી લાગણી ઉત્પન્ન થાય કે આપણે પણ આ પાત્રોમાંના એક હોત અથવા અંગત જીવનમાં આપણને પણ આવો પ્રેમ મળ્યો હોત તો કેવું સારું....!! પ્રેમનો અનુવાદ આમ તો મૂળથી અઘરો છે. કોઈ એક પાત્રને લઈને વ્યક્તિ માટે ઘડાયેલ પ્રેમની મૂર્તિ ક્યારે ચૂરેચૂરા થઈ જાય તે નક્કી ન કહેવાય. મૂર્તિ તૂટે તો વાંધો નહીં પરંતુ સાથે સાથે મન તૂટે તેને તો કેમનુ સાંખી લેવાય? જે ચહેરો આપણે સોનાનો ઝંખ્યો હોય તે તાંબાનો નીકળે તો પ્રેમની વ્યાખ્યા જ બદલાઇ જાય. ખરેખર આપણે વાસ્તવિક પ્રેમની અનુભૂતિ કરી જ નથી હોતી. વ્યક્તિપ્રેમ એ મૂર્તિપૂજા જેવું છે. આપણે ઈશ્વરની  પ્રતિભાને ઈશ્વર સમજી પૂજીએ છીએ, ઈચ્છાઓ અને માંગણી પ્રદર્શિત કરીએ, રમાડીએ, ખવડાવીએ, કાલાવાલા કરીએ, આભૂષણોથી શણગાર કરીએ, સ્નાન કરાવી નવા વસ્ત્રો એ પહેરાવીએ પરંતુ જ્યારે પ્રતિભા ક્યારેય બોલતી નથી. તે તો તેની જગ્યાએથી સ્થિત જ હોય છે. પ્રેમમાં પણ આવું જ છે. આપણે વ્યક્તિને નવા વસ્ત્રો, આભૂષણો, કાલાવાલા કે વિચારવિમર્શનો કરીએ અને પછી આપણે ધારી લઈએ કે આપણે તેને પ્રેમ કરીએ છીએ કે સમર્પિત છે પણ પથ્થર એટલે  પથ્થર..! વ્યક્તિના મન સુધી તો આ પહોચતું જ નથી. પ્રેમની અભિવ્યક્તિ બદલાઈ શકે છે અને તેમાં માધ્યમ જરૂરી હોય છે. અનુભૂતિમાં કોઈ બાહ્યક્રિયા હોતી નથી. 

   પ્રેમમાં છાની વેદના સાથે જીવવું પડે છે, સહન કરવું પડે છે, છોડવું પડે છે કે તરછોડાવવું એ પડે છે. સડસડાટ પસાર થતી કાર કાદવ ઉછાળે તો વાહન ચાલકને ડાઘો સુદ્ધાંએ  પડતો નથી. અતિશય ઝડપથી આગળ વધનાર વ્યક્તિ ક્યારેય પ્રેમ કરી શકતો નથી. તેના માટે તો રોકાવું પડે સાથે, બેસવું પડે, કે સાથે ચાલવું પડે. આમ, બોલે બોલે પ્રેમ ના થાય. આપણે તેમની વ્યાખ્યાઓને સીમિત કરી દીધી છે. પ્રેમના પડીકા નથી આવતા કે તેને બધે વેચતાં  એ ન ફરાય. પ્રેમ એ તો માતાના ઉદરમાં ઊછરતા બાળક જેવો છે, તે વિકસતો જવો જોઈએ. દુઃખના ચહેરા ન હોય પરંતુ દુઃખી કરનારના ચોક્કસ હોય. મોટાભાગે આ ચહેરાઓ જ પીડા આપતા હોય છે. 

   પ્રેમ કરનાર ચહેરાઓમાં એક ચહેરો પોતાનો હોય તો જીવન કદાચ વધુ રોમાંચિત લાગે. ક્યારેક પોતાને જ પ્રેમ કરવાની અનુભૂતિ થઈ હોય તો માની લેવું કે તમે અન્યને પ્રેમ કરવા યોગ્ય છો. 


                                                                                                                                      જૈમીન જોષી. 

Friday, January 8, 2021

કેરળના મીરાં - કુરુર અમ્મા (Mira of Kerala - Kurur Amma)


 
kurur amma

 

   સન 1570 થી 1640, 16 મી સદીના મધ્ય ભાગમાં કેરળના ત્રિસુર જિલ્લાના નંબુદિરી કુટુંબ સાથે સંકળાયેલ એક કન્યા.જે  તેની સાંસ્કૃતિક સમજશક્તિ માટે પ્રખ્યાત હતી. તે કન્યાનું પ્રથમ નામ થથરી કુટ્ટી હતું. થથરી કુટ્ટીના લગ્ન કુરુર નંબુદિરી  (મલયાલી બ્રાહ્મણ જ્ઞાતિ) કુટુંબ સાથે થયા હતા. જે ત્રિસુર નજીકના આધાથુ ગામમાં છે. થથરી કુટ્ટી 16 વર્ષની નાની વયે વિધવા બની ગઈ. તેમનું કોઈ સંતાન નહોતું અને તે ગુરુવાયરપ્પનના(વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ જે કેરળમાં પૂજાય છે) પ્રખર ભક્ત બની ગઈ હતી. તે કુરુર પરિવારની સૌથી વરિષ્ઠ સભ્ય હોવાના કારણે તે કુરુરામમા (કેરલના પ્રાદેશિક ઉચ્ચાર) તરીકે જાણીતી થઈ. તે કૃષ્ણ ભક્ત હતાં. તેમના કહેવા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ સિવાય દુનિયામાં તેમની પાસે કોઈ નથી. કૃષ્ણના તેમના નામના જાપને તેમને ભક્તિ (ભક્ત) ની ઉચ્ચતમ ડિગ્રી સુધી પહોંચાડ્યા. તેમણે માત્ર કૃષ્ણની આરાધના કરી. તેમણે સપનામાં તેને પ્રગટ થયેલા ભગવાન ગુરુવાયરપ્પનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને તેમને પૂછ્યું કે તે કયા વરદાનની ઇચ્છા રાખે છે? કુરુર અમ્માએ જવાબ આપ્યો કે તેની પાસે આ દુનિયામાં કોઈ નથી અને તેમનું કોઈ સંતાન પણ નથી માટે કૃષ્ણ તેનો પુત્ર બને અને તે યશોદાની જેમ તેમનો ત્યાગ ન કરે. કૃષ્ણ સામાન્ય સ્મિત સાથે સંમત થઈ ગયો અને એક અનાથ છોકરો તેની પાસે આવ્યો અને તેની સાથે રહેવા લાગ્યો. તે તેને ઉન્ની કહેતી હતી પરંતુ અમ્માને કદી સમજાયું નહીં કે તે કૃષ્ણ છે. તે જ્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરતાં બોલાવતા કે ભજન કરતાં ત્યારે હરિ તેમની પાસે આવી વાતો કરતાં અને દર્શન દેતા. 

      कूजयन् वेणुम् श्यामलोड़यं कुमारकः । 
      वेदवेद्यं परंब्रह्म भासताम् पुरतो मम ॥                                                                                      (નારાયણ્યા હારાથી સ્તોત્રમ્) 
                                                  (સંકલ્પ મંત્ર)                                                         
 ''જેને સ્વયં પરબ્રહ્મ કહે છે એવો આ શામળીઓ બાળકુમાર એની બંસીના મધુર સૂર છેડતો મારી આગળ પ્રગટ થાઓ ! ' આ પ્રાર્થના બોલાતાં જ બાલકૃષ્ણ એના ખોળામાં આવી બેસી જતા''. 

   તેવી દંત કથા છે કે એકવાર એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષા માંગતા માંગતા તેમના ઘરે પહોંચી ગયાં. તેને બહારથી બૂમ પાડી પણ ઘરમાં કોઈ પુરુષ હતો નહિ અને તે મર્યાદાવસ બહાર જઈ શકે તેમ ન હતાં તેથી કુરુર અમ્માએ કહ્યું : “ મહારાજ, ભોજન તૈયાર છે , પણ થાળી તમારે જાતે પીરસી લેવી પડશે. ભિક્ષુક બ્રાહ્મણ દુવિધામાં પડ્યા. પારકે ઘરે જાતે કેમનું પીરસીને ખાવું? ત્યાં તો થનગન કરતો એક બાળ કુમાર ક્યાંકથી આવી પહોંચ્યો. તેને બ્રાહ્મણને થાળી પીરસી. એ બાળકના મોં પર રમતું મધુર સ્મિત જોઈ બ્રાહ્મણની આંખો તેના મુખ પર જ ઠરી ગઈ. ભોજન ભૂલી એ ત્યાં જ બાળકના પગમાં લાંબો થઈ ગયો. બાળક અદ્રશ્ય થઈ ગયો. એ કૃષ્ણ સ્વયં હતા. તેવું પણ માનવમાં આવે છે કે તેમને એક બાળક દત્તક લીધું હતું જે કાયમ તેમની સાથે રહતો. બાળક અનાથ હતું એટલે તેમની સાથે વાતો કરતાં મસ્તી કરતાં તેને રમાડતા અને તે બાળક તેમનાં ઘરના કામ કાજમાં મદદ પણ કરતો. તે અન્ય કોઈ નહીં પણ સ્વયં કૃષ્ણ હતાં. 

  એક બીજી એ કથા છે કે એક યોગી રોજ ધ્યાનમાં બેસતા અને તે દરમિયાન કૃષ્ણ તેમના દર્શન કરતા. એક વખત એવું બન્યું કે યોગી મહારાજ ઘણા સમય સુધી ધ્યાન કરવા છતાં તેમને કૃષ્ણનાં દર્શન ના થયા. ઘણી વારે  જ્યારે એમને કૃષ્ણના દર્શન થયાં ત્યારે તેમણે કૃષ્ણને પૂછ્યું : “ હે પ્રભુ આજે દર્શન આપવામાં આટલું મોડું કેમ કર્યું ? ' ત્યારે કૃષ્ણએ કહ્યું : “ શું કરું ? કુરૂર અમ્મા છોડે તો તમારી પાસે આવું ને ? એમણે હમણાં જ મને છોડ્યો ! '
   
   તે સમયે કેરળમાં નારાયણ નામે એક મોટા સંત કવિ હતા. તેમણે મલયાલમ ભાષામાં ભાગવતના સાર રૂપ ''નારાયણીય'' નામે ભક્તિભાવથી ભરેલો સુંદર ગ્રંથ લખ્યો છે. આ ભક્તકવિ મરણપથારીએ હતા ત્યારે કુરુર અમ્મા એમની ખબર કાઢવા ગયાં. તેમને જોઈ ભક્તકવિ ખૂબ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા અમ્મા ખૂબ સારું થયું તમે આવ્યાં, હવે હું ઘડી બેઘડીનો મહેમાન છું, હવે મારા અંત સમયમાં સાથે રહેજો અને મને વિદાય આપીને જજો ! ' કુરુર અમ્માએ કહ્યું : ' ના , મારે આજે જ પાછું જવાનું છે, પરંતુ ચિંતા ના કરશો તમારી છેલ્લી ઘડીએ હું અહીં હાજર હોઈશ.’ ભક્ત કવિ નારાયણે કહ્યું : ' હું એટલું નહિ જીવું ! ' ‘અમ્મા એ કહ્યું, હું પાછી આવું ત્યાં સુધી તમે જીવવાના જ છો. ' આમ કહી કુરુર અમ્મા ચાલી ગયાં. ત્રીજે દિવસે સવારે તેઓ પાછા આવ્યાં, ત્યારે પણ નારાયણ જીવતા હતાં. કુરુર અમ્માએ કહ્યું : “ નારાયણ, તમારો વિદાય આપવાનો વખત થયો. તૈયાર થાઓ ! નારાયણ નારાયણ જપો ! ' નારાયણે પ્રસન્ન ચિત્તે નારાયણ નારાયણનો જપ કરતા કરતા દેહ છોડ્યો.
 
   આમ, કુરુર અમ્મા એ મીરાંબાઈની જેમ જ સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં વિતાવ્યું. કેરળમાં તેમના મંદિરો પણ છે અને મીરાંબાઈની જેમ તેમણે પણ ઇતિહાસમાં કૃષ્ણ ભક્ત તરીકે કાયમ માટે સ્થાન મેળવી લીધું.  

                                                                                                                                   જૈમીન જોષી. 


ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...