Sunday, October 31, 2021

સરદાર પટેલ અને ભારત (Sardar Patel and India)


  • જો સરદાર વડાપ્રધાન થયા હોત તો કોંગ્રેસનાં રાજ લાંબા ન ચાલ્યાં હોત.


સરદાર પટેલ અને ભારત  (Sardar Patel and India)



   ૧૯૪૭ નું ભારત એ આજના ભારત કરતા કંઇક જુદુ જ હતું. બ્રિટીશો દેશ છોડીને જતા હતા,પરંતુ આપણને એક દેશ નહિ પરંતુ ભારતના ટુકડા થવાનું ભવિષ્ય સોપતા જતા હતા. ભારત દેશ વૈવિધ્ય રીતે અલગ પડતો દેશ છે. અપણા દેશની દિશા પ્રમાણે ભાષા બદલાય છે. ખોરાક પણ એવો કે એક બીજાના વખાણ કરવા કે ટોકવા તે પણ નક્કી નથી કરી શકાતું. બધુજ અલગ છતાં એક હોવાનો દાવો. તે સમયની સ્થિતિ કંઇક અલગ જ હતી. ત્યારે લોકો પાસે ત્રણ રસ્તા બચ્યા હતા. ભારતનો હિસ્સો બનો કાતો પાકિસ્તાનનો હિસ્સો બનો અથવા તો આત્મનીર્ભર નિવાસ બનાવો. જે એટલું સરળ પણ ન હતું, પરંતુ ત્યાં જ ગુજરાતના એક સિંહે ગર્જના કરી. ભારતના છુટા પડેલા રજવાડાનાઓને સંગઠિત કરવાનું કામ એક પટેલે કરી બતાવ્યું. અલબત્ત તેના માટે તેમણે સામ,દામ,દંડ અને ભેદનો ઉપયોગ કરવો પડ્યો હતો.

   ૧૯૪૭ ના જાન્યુઆરીમાં સરદાર અને નહેરુ વચ્ચેના મતભેદો ખુબ જ વણસ્યા અને કાઠિયાવાડના પ્રવાસે જતાં પહેલાં સરદારે ગાંધીજીને પત્ર લખીને હોદ્દો છોડવાની ઈચ્છા પ્રગટ કરી. માઉન્ટબેટનને ખબર પડી કે નહેરુના કહેવાથી ગાંધીજી સરદારના રાજીનામાં અંગે વિચારી રહ્યાં છે. મુખ્ય વાત એ હતી કે સરદારનું રાજીનામું એટલે દેશનું પતન. સરદાર વગર ચાલે તેવી સ્થિતિ હતી જ નહિ. સ્વરાજ પ્રાપ્ત કરવા માટે ગાંધી નહેરુ અને સરદાર આ ત્રણેયની જોડી બની રહે તે જરૂરી હતું.

   હું અહી ચોક્કસ ઉલ્લેખ કરીશ કે ગાંધીવાદી વિચાર ધારાને વળગી ન રહેનાર અને દેશને સ્વરાજ અપાવનાર કેટલાય ક્રાંતિકારીઓના બલિદાનનો દેશ હંમેશ ઋણી રહેશે. અહી ગાંધીજી સંગઠનમાં જે હતા તેમની વાત કરું છે માટે આ ત્રણેયની જોડી બની રહે તેવું કહું છું.   

   ભારત દેશ ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્વિમ સુધી મળીને જે પ્રમાણે એક શક્તિશાળી દેશ બન્યો, તેનો મોટો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. જેમણે આઝાદીની પહેલા 562 રજવાડાઓનું દેશમાં વિલીનીકરણ કરવાનું કામ કર્યુ.

   તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.

   સરદાર પટેલ જોકે કોઈ ક્રાંતિકારી ન હતા. વર્ષ 1928 થી 1931 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉદ્દેશ્યો અંગેની નિર્ણાયક ચર્ચામાં પટેલ માનતા હતા. (ગાંધી અને મોતીલાલ નેહરુની જેમ, પરંતુ જવાહરલાલ નહેરુ અને સુભાષ ચંદ્ર બોઝથી વિપરીત) કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ધ્યેય અંદર પ્રભુત્વનો દરજ્જો હોવો જોઈએ. બ્રિટિશ કોમનવેલ્થ - સ્વતંત્રતા નહીં. જવાહરલાલ નેહરુથી વિપરીત, જેમણે સ્વતંત્રતાની લડતમાં હિંસા માફ કરી હતી. સરદાર પટેલે નૈતિક રીતે નહીં પરંતુ વ્યવહારિક ધોરણે સશસ્ત્ર ક્રાંતિને નકારી કાઢી હતી. સરદાર પટેલે જણાવ્યું હતું કે તે નિષ્ક્રિય હશે અને ગંભીર દમનનો સામનો કરશે. સરદાર પટેલે ગાંધીની જેમ બ્રિટિશ કોમનવેલ્થમાં મુક્ત ભારતની ભાવિ ભાગીદારીમાં ફાયદા જોયા જો કે ભારતને સમાન સભ્ય તરીકે સ્વીકારવામાં આવે તેવી પણ વાત હતી. તેમણે ભારતીય સ્વાવલંબન અને આત્મવિશ્વાસને ઉત્તેજન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, પરંતુ ગાંધીથી વિપરીત તેમણે હિંદુ-મુસ્લિમ એકતાને સ્વતંત્રતા માટેની પૂર્વશરત ગણી ન હતી. હિંદુ-મુસ્લિમ એકતા ગાંધીજીનો વિચાર હતો. મોટા ભાગના લોકો તેને સમર્થન અપાતા ન હતાં. તે સમયે ગાંધીજી તેવો ચહેરો હતો જેને લોકપ્રિયતા પ્રાપ્ત થઇ હતી જેથી તેનાથી વિપરીત નિર્ણયો લેવા સરળ ન હતાં.

sardar patel image


   સરદાર પટેલ બળજબરીથી આર્થિક અને સામાજિક ફેરફારો લાવવાની જરૂરિયાત પર જવાહરલાલ નેહરુ સાથે અસંમત હતા. પરંપરાગત હિંદુ મૂલ્યોમાં મૂળ ધરાવતા રૂઢિચુસ્ત, સરદાર પટેલે ભારતીય સામાજિક અને આર્થિક માળખામાં સમાજવાદી વિચારોને અનુકૂલિત કરવાની ઉપયોગીતાને ઓછી ગણાવી હતી. તેઓ મુક્ત સાહસમાં માનતા હતા, આમ રૂઢિચુસ્ત તત્વોનો વિશ્વાસ મેળવતા હતા અને આ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રવૃત્તિઓને ટકાવી રાખતા ભંડોળ એકત્ર કર્યું હતું.

   ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1929ના લાહોર અધિવેશનના પ્રમુખપદ માટે ગાંધી પછી પટેલ બીજા ઉમેદવાર હતા. ગાંધીએ સ્વતંત્રતાના ઠરાવને અપનાવવાથી રોકવાના પ્રયાસમાં પ્રમુખપદનો ત્યાગ કર્યો અને પટેલને પણ પદ પાછી ખેંચી લેવા માટે દબાણ કર્યું. તેવું પણ માનવામાં આવે છે કે મુખ્યત્વે મુસ્લિમો પ્રત્યે સરદાર પટેલના સમાધાનકારી વલણને કારણે જવાહરલાલ નેહરુ ચૂંટાયા. 1930ના મીઠાના સત્યાગ્રહ (પ્રાર્થના અને ઉપવાસ આંદોલન) દરમિયાન પટેલે ત્રણ મહિનાની જેલવાસ ભોગવ્યો હતો. માર્ચ 1931માં પટેલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાચી અધિવેશનની અધ્યક્ષતા કરી હતી. તેમને જાન્યુઆરી 1932માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જુલાઈ 1934માં છૂટ્યા, તેમણે 1937ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનને માર્શલ કર્યું અને 1937-38ના કોંગ્રેસના પ્રમુખપદ માટે મુખ્ય દાવેદાર હતા. ફરીથી, ગાંધીના દબાણને કારણે, પટેલ પીછેહઠ કરી અને જવાહરલાલ નેહરુ ચૂંટાયા. અન્ય કોંગ્રેસી નેતાઓની સાથે સરદાર પટેલને ઓક્ટોબર 1940માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, ઓગસ્ટ 1941માં મુક્ત કરવામાં આવ્યા હતા અને ઓગસ્ટ 1942થી જૂન 1945 સુધી વધુ એક વખત જેલવાસ ભોગવ્યો હતો.

   યુદ્ધ દરમિયાન સરદાર પટેલે ભારત પર તત્કાલીન અપેક્ષિત જાપાની આક્રમણ સામે ગાંધીજીની અહિંસાને અવ્યવહારુ તરીકે નકારી કાઢી હતી. સત્તાના હસ્તાંતરણ પર સરદાર પટેલે ગાંધી સાથે મતભેદ કર્યો કે ઉપખંડનું હિંદુ ભારત અને મુસ્લિમ પાકિસ્તાનમાં વિભાજન અનિવાર્ય હતું અને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન સાથે ભાગ લેવો ભારતના હિતમાં છે.

   સરદાર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1945-46ના પ્રમુખપદ માટે અગ્રણી ઉમેદવાર હતા પરંતુ ગાંધીએ ફરી એકવાર નેહરુની ચૂંટણી માટે હસ્તક્ષેપ કર્યો. કોંગ્રેસના પ્રમુખ તરીકે નેહરુને બ્રિટિશ વાઇસરોય દ્વારા વચગાળાની સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમ, સામાન્ય ઘટનાક્રમમાં સરદાર પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત. સ્વતંત્રતાના પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન સરદાર પટેલ નાયબ વડા પ્રધાન, ગૃહ બાબતોના પ્રધાન, માહિતી પ્રધાન અને રાજ્ય પ્રધાન હતા; સૌથી ઉપર, તેમની કાયમી ખ્યાતિ ભારતીય સંઘમાં રજવાડાઓના શાંતિપૂર્ણ એકીકરણ અને ભારતના રાજકીય એકીકરણની તેમની સિદ્ધિ પર આધારિત છે.

   આમ તો સરદાર વિશે ઘણું છે પણ એક શબ્દમાં કહું તો સરદાર એટલે સરદાર.

  

                                                                                                                      જૈમીન જોષી.   

   

Sunday, October 17, 2021

સત્ય સમજવું છે ? તો જ્ઞાન પ્રાપ્ત કરો...!!! (Understand the truth? So acquire knowledge ... !!!)

  • જો તમે કુશળ હોવ તો ચિંતા શેની...?:-


Human instincts


   માનવપ્રકૃતિ સારી છે કે બૂરી ? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. જેને સમજવા તમે કે હું ખરા અર્થમાં સક્ષમ નથી. હા પોતાનાં વિચારો વ્યક્ત કરવા તે અલગ બાબત છે પરંતુ તેની ખરાઈ કોણ કરશે? જે પ્રકારે પરીક્ષામાં લખેલ ઉત્તરવહીની  ચકાસણી કરનાર અધ્યાપક હોય છે તે પ્રકારે આપણી જીવન પ્રવૃતિ સારી છે કે ખરાબ તેની ચકાસણી કરવા કોઈ અધ્યાપક હોય છે ખરો? આપણે ભલીભાતી જાણીએ છીએ કે પરીક્ષાનું મૂલ્યાંકન સંપૂર્ણ સચોટ અને સત્ય છે તે વાત જ ખોટી છે. એક સરખા ઉત્તરનાં ગુણ સરખા ન પણ હોય. દરેક પ્રશ્ન અનુકૂળ ના પણ હોય. જીવનમાં તો આપણે બધાં જ વિદ્યાથી અને બધાં જ અધ્યાપક. જો આપણે સ્વભાવે જ ક્રિયાશીલ હોયએ અને અધ્યયન એક સ્વયં પ્રવૃત્તિની પ્રક્રિયા હોય તથા વધારામાં માનવ સ્વભાવ સારભૂત રીતે સારો હોય તો કુદરતે આપણી જન્મજાત વૃત્તિઓને સારભૂત રીતે સારી ગણવી જોઈએ તેવું આપણે માની લઈએ છીએ. જો આપણે બધામાં સારા જ હોઈએ તો આપણને પડતી તકલીફો કોનું પરિણામ છે ? આપણે આપણાં ભૂત કર્મને વાગોળીએ તો કદાચ આપણને આપણાં ગુના ન જોવાય અને જો એકાદ જોવાઈ પણ જાય તો પણ આપણે તેને તર્કવિતર્ક દ્વારા સાચું સાબિત કરી દઈએ છીએ. ક્યારેક ધર્મોના સહારે તો ક્યારેક બદલાયેલા સમયના આધારે. ક્યારેક નબળી પરિસ્થિતિનાં આધારે તો ક્યારેક ઉત્પન્ન થયેલ મજબૂરીનાં આધારે. પાપી પોતાના પાપનું સમર્થન કરવા માટે રામચરિતમાનસનો કે મહાભારતનો એક મહત્વનો અંશ કહેવાયેલ ભગવદ ગીતાંનો મનગમતો અર્થઘટન કરી બચાવનો આશરો લે છે. તો શું ધાર્મિક પુસ્તકો આપણાં પાપને છુપાવવા કે ભ્રમિત કરવા માટે ઉપયોગમાં લેવાયું છે? 

   કેથોલિકો ખ્રિસ્તીઓ માને છે કે ઈશ્વરે આદમને બે બક્ષિસો આપી હતીઃ સમન્વયની બક્ષિસ અને અમૃતની બક્ષિસ. જો માનવજાતના પ્રથમ પૂર્વજે પાપ ન કર્યું હોત તો જ્ઞાનની આ વિશિષ્ટ ભેટ જગતને મળી હોત અને તો તેઓ ઉચ્ચતર સત્યો પ્રત્યેની એક અપ્રતિમ રુચિથી સુસજ્જ મગજ ધરાવતા હોત. આમ હોત તો તેઓ તેમની સઘળી શક્તિઓ, બુદ્ધિ અને ઈચ્છાને સંપૂર્ણ આધીન રાખીને સમન્વયની પારલૌકિક બક્ષિસ ધરાવતા હોત. આદમના સંદર્ભમાં માનવપ્રકૃતિ ભલે પતિત થઈ. તે પુનઃ ઉત્થાન સાધી શકે છે. તે અભ્યાસ કરીને પુનઃલાયક બની શકે છે. એક મંતવ્ય મુજબ માનવપ્રકૃતિ એટલી બધી પતિત થઈ ગઈ છે કે તે દૈવી સહાય વિના પોતાની જાતે ઊભી થઈ શકે નહીં. માનવપ્રકૃતિ અંગે પાંડિત્યવાદી દૃષ્ટિ પણ છે. તેટલા માટે તો ચારેય યુગમાં ઈશ્વર અવતારનો ઉલ્લેખ છે. હિન્દુ ધર્મ પાસે કેટલીય દંતકથાઓ છે કેટલીય પ્રેરણાથી ભરેલી ઘટનાઓ છે. જો આપણે તેને સત્ય ન માનીએ છતાં તેમાંથી સ્વજીવનને લગતું સાહિત્ય સમેટી લઈએ તો પણ જીવન ભયો ભયો પરંતુ આપણને પરિસ્થિતિને પોતાના હિસાબે વળાંકો આપવાની અને ચોળીને ચીકણું કરવાની કુટેવ છે. પરિણામે આપણે સાર પ્રાપ્ત કરી શકતા નથી. 

truth image


   રૂસોના મતાનુસાર માનવપ્રકૃતિ જ્યારે તેના સર્જકના હાથમાંથી નીચે ઊતરી ત્યારે સારભૂત રીતે શુભ હતી. તે અણવિકસિત હતી અને શિક્ષણ દ્વારા સુધારણાની જરૂર ધરાવતી હતી. મનુષ્ય એક સમયે ઉન્નત પ્રકૃતિ ધરાવતો હતો જેને આજે શિક્ષણ દ્વારા પુનઃ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહ્યો છે. માનવપ્રકૃતિની મૂળભૂત વૃત્તિઓની નૈતિક ગુણવત્તા ક્રિયાના આવેગમાં રહેતી નથી, બલકે જે રીતે તે પૂર્ણતાએ પહોંચે છે તેના વાતાવરણમાં, ખાસ કરીને સામાજિક વાતાવરણમાં તે જે પરિણામો લાવે છે તેમાં રહેલી છે. માનવપ્રકૃતિને આધ્યાત્મિક અસ્તિત્વ છે. માનવ પ્રકૃતિ વિશેની બીજી ફિલસૂફી માનવપ્રકૃતિને પરિબળ ક્ષેત્રના એક ભાગ તરીકે અધિક ભૌતિક લેખે છે. સમન્વય સ્વાતંત્ર્ય અને નૈતિક વૃત્તિ જેવા ગુણો ખુદ સેન્દ્રિય જીવમાંથી નહીં બલકે વાતાવરણના સંદર્ભમાંથી જન્મતા દેખાય છે .

   જ્ઞાન અને સત્ય વચ્ચે અવિનાભાવી સંબંધ છે. જ્ઞાન સાચું જ હોવું જોઈએ તો વળી સત્યનું જ્ઞાન પણ હોવું જોઈએ. જ્ઞાન ક્યારે સાચું હોય અને ક્યારે ખોટું આભાસી સત્યરૂપ હોય તેનો ખ્યાલ હોવો જોઈએ. આ માટેનાં નિયતઆંક અને ધોરણો હોવાં જોઈએ. જ્ઞાન માહિતી, હકીકત, અભિપ્રાય કે ક્યારેક તર્ક અનુમાન કે ધારણા દ્વારા પણ ફલિત થતું હોય છે. વાસ્તવિકતા એકરૂપતા જ્ઞાનમાં નિહિત છે. એ સમજવું જોઈએ કે માણસની જાણકારીથી પણ પર એક પરલક્ષી વિશ્વ અસ્તિત્વ ધરાવે છે. જ્ઞાન એક પ્રકારની વિદ્યા છે- વિદ્યાજ્ઞાન શબ્દ પ્રચલિત છે જ. એક મત મુજબ વિદ્યાના વિચારો અને અસર તેની બાહ્ય વાસ્તવિક્તા સાથે મળતાં આવે ત્યારે તે સત્ય છે એમ કહી શકાય. તેથી એકવાક્યતા એ આંતિરક કરતાં વધુ તો બાહ્ય સંબંધોની બાબત છે. શૈક્ષણિક સંશોધનમાં વ્યસ્ત વ્યક્તિને સત્ય લાધે છે. સંશોધનથી અજ્ઞાન, અણસમજ કે ગેરસમજણનું પડળ ભેદાય છે . સત્ય શાશ્વત અને સનાતન છે, તે અલ્પજીવી નથી. તેમાં કોઈ સંદિગ્ધતા લાગે તો સમજવાની માનવભૂલને કારણે હોય છે. અંતે તો સત્યનો જ વિજય થતો હોય છે એટલે ''સત્યમેવ જયતે'' કહેવાયું છે. 

                                                                                                                              જૈમીન જોષી.

Sunday, October 10, 2021

નવરાત્રીના નવ રૂપની ઓળખ (Identification of the nine forms of Navratri)

  •  નવરાત્રિ આમ તો રંગોની રાત્રી છે જે જીવનનાં અંધકારમાં એ રમતાં, કુદતા, હસતાં અને મોજ કરતાં શીખવે છે...

durga image


   છેલ્લા બે વર્ષથી મહામારીના કારણે ગુજરાતીઓને ગરબે ઘૂમવાનો અવસર ગુમાવી દીધો હતો અને જ્યારે અત્યારે મળ્યો છે તે છતાં ઉમંગ હવે પહેલાં જેવો રહ્યો નથી. તેના ઘણાં કારણો છે પરંતુ મહત્ત્વનું તે છે કે અત્યારે તો માં અંબાના ઝાંઝરનો ઝંણકાર સેરીએ સેરીએ સંભળાઈ રહ્યો છે. આમ તો મૂળ નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે નવ રાત્રીયો. આ નવ રાત્રિ અને દસ દિવસો દરમ્યાન માં અંબાના નવ રૂપોની પુજા કરવામાં આવે છે તથા દસમો દિવસે દશેરા તરીકે પ્રસિધ્ધ છે. આપણે ત્યાં નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે. પોષ, ચૈત્ર, અષાઢ, આસો માસથી નવમી સુધી ખુબ જ ધામધુમથી તથા હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. નવરાત્રિની નવ રાતોમાં ત્રણ દેવી મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે.

   દુર્ગાનો અર્થ જીવનના દુઃખોને દુર કરનાર , હરનાર થાય છે. નવરાત્રિ ઉત્સવ દેવી અંબાનું પ્રતિનિધિત્વ છે. વસંત ઋતુની શરુઆત અને શરદ ઋતુની શરૂઆત જલ, વાયુ અને સુર્યના પ્રભાવોનું મહત્વપુર્ણ સંગમ માનવમાં આવે છે. આ બે સમય માં દુર્ગાની પૂજા માટે સૌથી પવિત્ર અવસર છે. નવરાત્રિના પ્રથમ દિવસે દેવી દુર્ગાની પૂજા કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો છે. દરેક દિવસ દુર્ગાના અલગ રૂપને સમર્પિત છે . પ્રથમ દિવસે નાની બાલિકાઓની પૂજા કરવામાં આવે છે બીજે દિવસે સ્ત્રીની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે જે સ્ત્રી પરિપક્વતાના ચરણમાં પહોંચી ગઈ છે તેની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના ચોથાથી છઠ્ઠા દિવસે વ્યક્તિ જ્યારે અહંકાર , ક્રોધ , વાસના અને મોહ વગેરે પર વિજય પ્રાપ્ત કરે છે ત્યારે તે એક શૂન્યનું અનુભવ કરે છે. આ શૂન્ય આધ્યાત્મિક ધનથી છલકાય જાય છે અને તમામ સુખ, સમૃદ્ધિ માટે લક્ષ્મીજીની પૂજા કરે છે . નવરાત્રિના પાંચમા અને છઠ્ઠા દિવસે સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા અને આઠમા દિવસે કલા અને જ્ઞાન પ્રાપ્ત કરવા સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે . આઠવા દિવસે એક યજ્ઞ કરવામાં આવે છે તથા માતાજીને વિદાય કરવામાં આવે. નવરાત્રીમાં નવમો દિવસ અંતિમ દિવસ હોય છે . આ દિવસને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પણ કન્યા પૂજન કરવામાં આવે છે. 

   દુર્ગાના નવ સ્વરૂપ:-  નવરાત્રિના નવ દિવસોમાં જુદા જુદા સ્વરૂપે સ્થિત જગદંબાની પૂજા અર્ચના કરવાથી મનોવાંછિત ફળ મળે છે . 
( ૧ ) માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૌલપુત્રી છે. તેનો  અર્થ પહાડોની પુત્રી થાય છે . હિમાલયને ત્યાં જન્મ લેવાથી તેનું નામ શૈલપુત્રી પડ્યુ હતું.  તેમનું વાહન વૃષભ છે. નવરાત્રીનાં પહેલા દિવસે આ માતાજીની ઉપાસના કરવામાં આવે છે.
( ૨ ) માં દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારીણીનું છે . માના આ સ્વરૂપની ઉપાસના કરવાથી અનંદ ફળની પ્રાપ્તી થાય છે. આ માં ની ઉપાસના નવરાત્રીના બીજે દિવસે થાય છે.
( ૩ ) નવરાત્રીના ત્રીજે દિવસે માં ચંદ્રધરા પૂજન થાય છે . આનો અર્થ ચંદ્રની જેમ ચમકવાવાળી થાય છે . આ માંની પૂજા ત્રીજા દિવસે કરવામાં આવે છે . આ સ્વરૂપને દશભુજા તથા મસ્તક ઉપર અર્ધચંદ્ર છે. તેની ઉપાસના કરવાથી બધી વિપત્તિ નાશ પામે છે તથા જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
( ૪ ) માં દુર્ગાનું ચોથું સ્વરૂપ દુષ્માંડા છે જેનો અર્થ પૂર્ણ જગત તેના ચરણમાં છે તેમ થાય છે. આ જ માતાજી સૃષ્ટિની આધશક્તિ સ્વરૂપ છે . આ સ્વરૂપ અષ્ટભુજા છે . તેના હાથમાં કમળનું ફુલ, કમંડળ, ધનુષ્ય બાણ, ચક્ર , ગદા તથા સિધ્ધિ પ્રદાન કરનારી માતા  છે. તેમનું વાહન સિંહ છે. તેમની ભક્તિથી આયુષ્ય આરોગ્યમાં વૃધ્ધ થાય છે.

Identification of the nine forms of Navratri


( પ ) માં દુર્ગાનું પાંચમુ સ્વરૂપ સ્કન્દ માતા છે. આનો અર્થ કાર્તિક સ્વામીની માતા થાય છે . તેની ઉપાસનાથી સમસ્ત ઈચ્છાઓનીપૂર્તિ થાય છે . આ માંનુ પૂજન પાંચમા દિવસે કરવામાં આવે છે . 
( ૬ ) માં નું છઠ્ઠુ સ્વરૂપ કાત્યાયનીનું છે આનો અર્થ કાત્યાયન આશ્રમમાં જન્મનાર એવો થાય છે. તેમનું વાહન પણ સિંહ છે. તે ચાર ભુજાધારી છે. આમની ઉપાસનાથી રોગ કષ્ટભય નષ્ટ થાય છે. તેમની છઠ્ઠા દિવસે પુજા કરવામાં આવે છે.
( ૭ ) માં નું સાતમું સ્વરૂપ કાળરાત્રિ છે આનો અર્થ કાળના નાશ કરવાવાળી એવો થાય છે તેમનું સ્વરૂપ ભયાનક છે ભક્તોને તે ડરાવતી નથી પણ દુષ્ટોનો વિનાશ કરે છે દાનવ, દૈત્ય, ભુતપ્રેત વગેરે સ્મરણ માત્રથી ભાગી જાય છે . સાતમાં દિવસે તેની ઉપાસના થાય છે.

Identification of the nine forms of Navratri


( ૮ ) માં દુર્ગાના આઠમાં સ્વરૂપને મહાગૌરીના નામથી ઓળખવામાં આવે છે . તેનો અર્થ સફેદ રંગવાળીમાં તેવો થાય છે. વૃષભ ઉપર સવાર થયેલી માં દુર્ગાના આ સ્વરૂપની મુખમુદ્રા અત્યંત શાંત છે. તેમની આઠમા  દિવસે ઉપાસના થાય છે. 
( ૯ ) માં દુર્ગાનું નવમુ સ્વરૂપ સિધ્ધિદાયીની છે  અને તેમની કૃપાથી અલૌકિક સિધ્ધિ પ્રાપ્ત થાય છે . તેનો અર્થ સર્વ સિધ્ધિ થાય છે. નવમાં દિવસે સંપુર્ણ શ્રધ્ધાથી તેમની સાધના કરનારને બધી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. 
Identification of the nine forms of Navratri




   યુવા મિત્રો ! નવરાત્રિ દરમ્યાન પ્રકૃત્તિના આનંદકોષને ખુશીથી માણી  માતાની આરાધનાના આ અનેરા  અવસરને પૂરી ભક્તિ તથા હર્ષોલ્લાસ સાથે માણીએ સૌને હેપી નવરાત્રિ... માં અંબાની કૃપા સર્વે પર હંમેશા રહે તેવી શુભકામના. 

                                                                                                                                     જૈમીન જોષી. 

Saturday, October 2, 2021

ગાંધી અને હિંદુત્વ (Gandhi and Hindutva)

  • ગાંધીજીએ હિન્દુ માટે નહીં ''હિંદુસ્તાન'' માટે કાર્ય કર્યું છે....



gandhibapu hd image



   ગાંધી એક એવા અવતાર હતાં જેને આવનાર ભવિષ્યની છબી બદલી કાઢી. આ આવનાર ભવિષ્ય એટલે આપણો આજનો વર્તમાન. ગુલામીની જંજીરોથી આઝાદ કરાવનારા ક્રાંતિકારીઓ અને ગાંધીજી જેવાં નેતાઓને કેટકેટલું ભોગવવું પડયું હશે તેની કલ્પના પણ આપણે કરી શકતાં નથી. આમ જોવા જઈએ તો આજની યુવા પેઢી ગાંધી વિચારધારાને વળગી રહે તેવી રહી નથી. તે વીર સાવરકરના રસ્તા તરફ વધુ આકર્ષાય છે. જ્યારે ગાંધીજીએ દેશ માટે કામ કર્યું ત્યારે તેમણે દેશ સિવાય અન્ય કોઈ જાતિ ધર્મ કે વિસ્તારને ધ્યાનમાં રાખ્યાં નથી. અલબત્ત આમાં થોડું રાજકારણ પણ ભાગ ભજવે છે. ગાંધીજી મુસ્લીમ જ્ઞાતિની સાથે સબંધ કેળવવાં ગયા ત્યારે તેમને ઘણા હિન્દુ બંધુઓના કટુ વચનનો સામનો કરવો પડ્યો હતો. તે જ દરમિયાન 1500 જેટલા હિન્દુઓને મારી તથા તેમને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યાં હતાં. અંગ્રેજો તો ઠીક પરંતુ જ્યારે મુસ્લિમ વર્ગ દ્વારા આવું વર્તન થવા છતાં ગાંધીજી મૌન રહ્યાં. આવા સમયે જ્યારે ગાંધી જેવાં નેતા હિન્દુ પક્ષે ના હોય ત્યારે ધર્મના નામે ભિન્નતાઓ તો બહાર આવવાની જ હતી. ગાંધીજી તે સમયે અખંડ ભારતનું સપનું જોતાં હતાં. જ્યાં સમગ્ર ભારતની વાત હોય ત્યાં અમુક હિન્દુ મૃત્યું પામે તે ચલાવી લેવાય તેવી સ્થિતિ હતી. જોકે અખંડ ભારતનું સપનું આખરે સપનું જ રહ્યું. સમાજમાં કેટલોક વર્ગ ગાંધીજીને પૂજે છે ત્યારે કેટલોક વર્ગ તેમનાં નિર્ણયોને આજે પણ કોસે છે.  અલબત્ત ગાંધીજી ન હોત તો કદાચ આજે પણ આપણે ગુલામીના બોઝ નીચે કચડાઈ રહ્યાં હોત.

  ગાંધીજી એ તેમનાં ગ્રંથ - 29, ગાંધીજીનો અક્ષરદેહ પાના 369-371  માં હિન્દુ ધર્મની સ્થિતિ વિશે તેમનાં વિચારો અને માન્યતાઓ લખી છે જેમાં તે કહે છે કે હિંદુ ધર્મ જીવંત વસ્તુ છે. તેમાં ભરતીઓટ થયા જ કરે છે. તે જગતના કાયદાને અનુસરે છે. મૂળરૂપે તે એક જ છે પણ વૃક્ષરૂપે તે વિવિધ છે. તેની ઉપર ઋતુઓની અસર થાય છે. તેને વસંત છે ને પાનખર છે ; તેને શરદ છે ને ઉષ્ણ ઋતુ છે . વર્ષોથી પણ તે વંચિત નથી રહેતો. તેને સારુ શાસ્ત્રો છે ને નથી, તેનો આધાર એક જ પુસ્તક ઉપર નથી. ગીતા સર્વમાન્ય છે પણ ગીતા માર્ગદર્શક છે. રૂઢિઓ ઉપર તેની અસર થોડી જ છે. હિંદુ ધર્મ ગંગાનો પ્રવાહ છે. મૂળમાં તે સ્વચ્છ છે. તેના માર્ગમાં તેને મેલ પણ ચઢે છે છતાં જેમ ગંગાની પ્રવૃત્તિ સરવાળે પોષક છે તેમ હિંદુ ધર્મનું છે. પ્રત્યેક પ્રાંતમાં તે પ્રાંતીય સ્વરૂપ પકડે અને છતાં તેમાં એકતા રહેલી જ છે. રૂઢિ એ ધર્મ નથી. રૂઢિમાં ફેરફાર થશે છતાં ધર્મસૂત્રો એક જ રહેશે. 

   હિંદુ ધર્મની શુદ્ધતાનો આધાર હિંદુ ધર્મની તપશ્ચર્યા પર રહે છે. જ્યારે જ્યારે ધર્મ ભયમાં આવી પડે છે ત્યારે ત્યારે હિંદુ ધર્મ તપશ્ચર્યા કરે છે, મેલનાં કારણ શોધે છે ને તેના ઉપાય યોજે છે. શાસ્ત્રોમાં વૃદ્ધિ થયા જ કરે છે. વેદ, ઉપનિષદો, સ્મૃતિ , પુરાણ , ઇતિહાસાદિ એક જ કાળે નથી ઉદ્ભવ્યાં. પણ પ્રસંગ આવ્યે તે ગ્રંથોની ઉત્પત્તિ થઈ છે. તેથી તેમાં વિરોધાભાસ પણ જોવામાં આવે છે. તે ગ્રંથો શાશ્વત સત્ય નથી બતાવતા પણ તે કાળે શાશ્વત સત્યનો અમલ કેવી રીતે થયો એ બતાવે છે. તે કાળે થયેલો અમલ બીજે કાળે કરવા જતાં આપણે નિરાશાકૂપમાં પડીએ છીએ. એક વેળા આપણે પશુયજ્ઞ કરતા તેથી આજે કરીએ ? એક વેળા આપણે માંસાહાર કરતા તેથી આજે કરીએ ? એક વેળા ચોરના હાથપગ કપાતા તે આજે કાપીએ ? એક વેળા એક  સ્ત્રી અનેક પતિ કરતી આજે કરે ? એક વેળા બાળકન્યાનું દાન કરતા , આજે કરીએ ? એક વેળા આપણે કેટલાકનો તિરસ્કાર કર્યો , આજે તેની પ્રજા તિરસ્કૃત ગણીએ ?

gandhi jayanti images


    હિંદુ ધર્મ જડ બનવાની ચોખ્ખી ના કહે છે. જ્ઞાન અનંત છે , સત્યની મર્યાદા કોઈએ શોધી નથી. આત્માની શક્તિની નવી શોધો થયા જ કરે છે ને થયા કરશે . અનુભવના પાઠો શીખતા આપણે અનેક પરિવર્તનો કર્યો જઈશું . સત્ય તો એક જ છે  પણ તેને સવશે કોણ જોઈ શક્યું છે ? વેદ સત્ય છે . વેદ અનાદિ છે  પણ તેને સવશે કોણે જાણ્યો છે ? જે વેદને નામે આજે ઓળખાય છે તે તો વેદનો કરોડમો ભાગ પણ નથી. જે આપણી પાસે છે તેનો અર્થ સંપૂર્ણતાયે કોણ જાણે છે ? 

   આટલી બધી જંજાળ હોવાથી આપણને ઋષિઓએ એક મોટી વાત શીખવી : ‘ યથા પિંડે તથા બ્રહ્માડે'. બ્રહ્માંડનું પૃથક્કરણ અશક્ય છે . પોતાનું પૃથક્કરણ શકય છે તેથી પોતે પોતાને ઓળખ્યો એટલે જગતને ઓળખું . પણ પોતાને ઓળખવામાંયે પ્રયત્નની આવશ્યકતા છે . પ્રયત્ન પણ નિર્મળ જોઈએ . નિર્મળ હૃદય વિના નિર્મળ પ્રયત્ન અસંભવિત છે. હૃદયની નિર્માતા યમનિયમાદિના પાલન વિના સંભવિત નથી. ઈશ્વરપ્રસાદ વિના યમાદિનું પાલન કઠિન છે. શ્રદ્ધા અને ભક્તિ વિના ઈશ્વરપ્રસાદ ન જ મળે તેથી રામનામનો મહિમા તુલસીદાસે ગાયો , તેથી ભાગવતાકારે દ્વાદશમંત્ર શીખવ્યો. જેને એ જપ હૃદયથી જપતાં આવડે તે સનાતની હિંદુ છે. બાકી બધું તો અખાની ભાષામાં ‘ અંધારો કૂવો ’ છે. 

   હવે લખનારની શંકાઓ વિચારીએ. યુરોપિયનો આપણા રીતરિવાજો જુએ છે ખરા. તેને હું અધ્યયન એવું રૂપાળું નામ ન આપું . તે તો ટીકાકારની દષ્ટિએ જુએ છે તેથી તેની પાસેથી મને ધર્મ ન લાધે . પણ ખાધાખાધમાં હિંદુ ધર્મની પરિસીમા નથી આવી જતી . તેનાથી અનંતકોટિ વધારે અગત્યની વાત અંતરાચરણ છે , સત્ય અહિંસાદિનું સૂમ પાલન છે . ગોમાંસાદિનો ત્યાગ કરનાર કપટી મુનિનાં કરતાં ગોમાંસ ખાનાર દયામય , સત્યમય , ઈશ્વરથી ડરીને ચાલનાર હજારગણો વધારે સારો હિંદુ છે  અને જે સત્યવાદી સત્યાચરણી ગોમાંસાદિના આહારમાં હિંસા જોઈ શકયો છે ને જેણે તેનો ત્યાગ કર્યો છે, જેની દયા જીવમાત્ર પ્રત્યે છે તેને કોટિશ : નમસ્કાર હો. તેણે તો ઈશ્વરને જોયો છે , ઓળખ્યો છે , તે પરમભક્ત છે ; તે જગદ્ગુરુ છે . હિંદુ ધર્મની અને અન્ય ધર્મની અત્યારે પરીક્ષા થઈ રહી છે .. સનાતન સત્ય એક જ છે , ઈશ્વર પણ એક જ છે , લખનાર વાંચનાર અને આપણે બધા મતમતાંતરોની મોહજાળમાં ન ફસી જતાં સત્યનો સરળ માર્ગ લઈએ તો જ આપણે સનાતની હિંદુ રહીશું . સનાતની મનાતા તો ઘણાયે ભટકે છે. તેમાંથી કોનો સ્વીકાર થયો તે કોણ જાણે છે ? રામનામ લેનારા ઘણા રહી જશે , ને મૂંગે મોઢે રામનું કામ કરનારા વિરલા વિજયમાળા પહેરી જશે.

   આમ તો ગાંધી વિચારધારાને વળગી રહેવું સરળ નથી. ગાંધી શું કોઈ પણ વિચારધારાને વળગી રહેવું યોગ્ય નથી. જ્યારે દેશ, સમાજ અને માનવતાની વાત આવે ત્યારે માનવે પોતાના અંગત સ્વાર્થ મૂકી કપરા નિર્ણયો લેવા પડે છે. જે અમુક લોકો માટે યોગ્ય હોતા નથી અને તેના કપરા પરિણામો પણ આવે છે. ઇતિહાસ આમ તો લોહિયાળ જ છે પરંતુ ક્યારેક ગાંધીજી જેવા મહાત્મા એક નવી વિચાર ધારાને જન્મ આપી જતાં હોય છે.

                                                                                                                             જૈમીન જોષી.

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...