“રાત્રે 2 વાગ્યા પછી મન અલગ કેમ વિચારે છે?
દિવસ દરમિયાન જે વિચારો સામાન્ય લાગે છે, એ જ વિચારો રાત્રિના બે વાગ્યા પછી અચાનક ભારે લાગવા લાગે છે. દિવસમાં જેને આપણે હસીને ભૂલી જઈએ છીએ, એ જ યાદો અંધકાર વચ્ચે અચાનક દિલને ચીરી નાખે છે. કેટલાક લોકો માટે રાત્રિના બે વાગ્યા પછીનું મૌન ખૂબ સુંદર હોય છે, તો કેટલાક માટે એ સમય સૌથી ભયંકર હોય છે. કારણ કે આ સમય એવો છે જ્યારે આખી દુનિયા સૂઈ જાય છે… પરંતુ મન જાગી જાય છે.
કદાચ તમે પણ ક્યારેય અનુભવ્યું હશે — આખો દિવસ વ્યસ્ત રહ્યા પછી જ્યારે રાત્રે બેડ પર પડો, મોબાઇલની સ્ક્રીન ધીમે ધીમે બંધ થાય, રૂમમાં શાંતિ છવાઈ જાય, અને ઘડિયાળમાં બે વાગે… ત્યારે અચાનક અંદરથી અજાણ્યા વિચારો ઊઠવા લાગે. જૂના લોકો યાદ આવે. ભૂલો યાદ આવે. ભવિષ્યનો ડર શરૂ થાય. પોતાને લઈને પ્રશ્નો ઊભા થાય અને ક્યારેક તો એવું લાગે કે આખી દુનિયામાં આપણે એકલા જ છીએ.
પરંતુ પ્રશ્ન એ છે કે આવું થાય કેમ?
કારણ કે દિવસ દરમિયાન માણસનું મન સતત વ્યસ્ત રહે છે. અવાજો, લોકો, કામ, સોશિયલ મીડિયા, જવાબદારીઓ, વાતો — આ બધું મનને એક પ્રકારનું “ડીસત્રેક્સન” આપે છે. માણસ આખો દિવસ પોતાનાથી ભાગતો રહે છે અને તેને ખબર પણ પડતી નથી. પરંતુ રાત્રે… ખાસ કરીને બે વાગ્યા પછી… બહારનો અવાજ ધીમો પડી જાય છે અને જ્યારે બહાર શાંતિ થાય છે, ત્યારે અંદરનો અવાજ સંભળાવવા લાગે છે.
રાત્રિનું મૌન ખરેખર મૌન નથી હોતું. એ આપણા મનનો અરીસો હોય છે.
દિવસ દરમિયાન આપણે જે લાગણીઓ દબાવી રાખીએ છીએ, જે પ્રશ્નોને અવગણીએ છીએ, જે દુઃખને “હવે નહીં” કહીને અંદર ધકેલી દઈએ છીએ એ બધું રાત્રે પાછું બહાર આવે છે. કારણ કે મન ક્યારેય કંઈ સંપૂર્ણ ભૂલતું નથી. માણસ લોકો સામે મજબૂત દેખાઈ શકે છે, હસતો રહી શકે છે, વ્યસ્ત રહી શકે છે… પરંતુ અંદરનું મન દરેક ઘા સાચવી રાખે છે અને રાત્રિના બે વાગ્યા પછી એ ઘાઓ બોલવા લાગે છે.
વિજ્ઞાન પણ કહે છે કે રાત્રે મોડા સમયે માણસનું મગજ અલગ રીતે કામ કરે છે. દિવસના થાક પછી મગજની ઈમોસનલ પ્રોસેસ વધારે સક્રિય થઈ જાય છે. એટલે લાગણીઓ વધારે ઊંડી લાગે છે. પરિણામે ઓવર થીકિંગ વધી જાય છે. નાનકડા પ્રશ્નો પણ વિશાળ લાગવા લાગે છે, પરંતુ આ માત્ર વૈજ્ઞાનિક બાબત નથી. આ એક આધ્યાત્મિક સત્ય પણ છે કારણ કે રાત્રિ માણસને દુનિયાથી નહીં, પોતાના મનથી મેળાપ કરાવે છે.
દિવસ દરમિયાન આપણે ઘણા ચહેરા પહેરીએ છીએ. પરિવાર માટે અલગ, મિત્રો માટે અલગ, સમાજ માટે અલગ. પરંતુ રાત્રે બે વાગ્યા પછી જ્યારે કોઈ નથી હોતું, ત્યારે માણસ પોતાના સાચા સ્વરૂપ સાથે એકલો રહી જાય છે અને કદાચ એ જ સૌથી મુશ્કેલ મુલાકાત હોય છે.
ઘણા લોકો રાત્રે ખુશ કેમ નથી રહી શકતા?
કારણ કે માણસ બહારની દુનિયામાં જેટલો સફળ બન્યો છે, અંદરથી એટલો ખાલી બનતો ગયો છે. લોકો પાસે હજારો ફોલોવર્સ હોય છે, પરંતુ વાત કરવા માટે એક સાચો માણસ કે મિત્ર નથી. લોકો આખો દિવસ “ઓનલાઈન” રહે છે, છતાં અંદરથી એકલા રહે છે અને રાત્રિ એ એકલતાને વધારે સ્પષ્ટ બનાવી દે છે.
રાત્રિના બે વાગ્યા પછી માણસને સૌથી વધારે પોતાના અધૂરાપણાનો અહેસાસ થાય છે.
અધૂરા સંબંધો, અધૂરા સપના, અધૂરા શબ્દો, અધૂરા લોકો.
કેટલાક લોકો માટે આ સમય યાદોનો દરિયો બની જાય છે. જૂના મેસેજ વાંચવાનું મન થાય. કોઈની પ્રોફાઈલ જોવાની ઈચ્છા થાય. વર્ષો જૂની વાતો ફરી જીવંત થઈ જાય કારણ કે રાત્રે મન લોજીક થી નહીં, લાગણીઓથી વિચારે છે. વાસ્તવિકતાથી પર એક દુનિયા છે જે આનંદ કરતા પીડા વધારે આપે છે. અને આ જ કારણ છે કે રાત્રિના નિર્ણયો ઘણીવાર જોખમી હોય છે કારણ કે આ સમયે માણસ હકીકત કરતાં પોતાની લાગણીઓમાં વધારે જીવતો હોય છે પરંતુ અહીં એક ખૂબ ઊંડો સત્ય છુપાયેલો છે.
રાત્રિના બે વાગ્યા પછીનું મન ખરાબ નથી હોતું… એ હોય છે.
દિવસ દરમિયાન માણસ દુનિયાને જે બતાવે છે, તે ઘણીવાર બનાવટી હોય છે પરંતુ રાત્રે જ્યારે કોઈ દેખાડો નથી રહેતો, ત્યારે મન પોતાના અસલી પ્રશ્નો સામે ઊભું રહે છે. “શું હું ખરેખર ખુશ છું?” “શું હું સાચી દિશામાં જઈ રહ્યો છું?” “શું હું જેને ગુમાવ્યો છે, તેને હજુ ભૂલી શક્યો નથી?” હું જે બનવા માંગતો હતો તે ક્યારે બનીશ કે બની શકીશ કે નહિ? મારા પરિવારને કઈ રીતે ખુશ રાખી શકીશ? પૈસાની ઘણી ખેચ છે હવે શું થશે? આવા પ્રશ્નો દિવસમાં નથી આવતા કારણ કે દિવસ માણસને વ્યસ્ત રાખે છે. રાત્રિ માણસને વાસ્તવિકતા તરફ ધકેલી દેતી હોય છે. સળગતા સવાલો હમેશા તેની હાજરી પુરાવી જ જતા હોય છે.
કેટલાક લોકો માટે આ સમય સર્જનાત્મકતાનો પણ હોય છે. કવિઓ, લેખકો, સંગીતકારો, વિચારકો ઘણા મહાન સર્જનો રાત્રિના મૌનમાં જન્મ્યા છે. કારણ કે જ્યારે બહારની દુનિયા શાંત થાય છે, ત્યારે અંદરનો અવાજ વધુ સ્પષ્ટ બને છે. કદાચ એ માટે જ ઘણા લોકો કહે છે કે “રાત્રે આત્મા વધારે બોલે છે.” પરંતુ દરેક રાત્રિ સુંદર નથી હોતી. કેટલાક લોકો માટે બે વાગ્યાનો સમય યુદ્ધ જેવો હોય છે. માત્ર બે જ કેમ ૧૨ વાગ્યા પછીનો એકાંત માણસને ખાઈ જાય છે. સતત નકારાત્મક વિચાર જીવનને ખોરવી નાખે છે. જાણે બધું જ સુન્ન થઇ ગયું હોય તેમ. મનમાં ચાલતું એવું યુદ્ધ જે કોઈને દેખાતું નથી. બહારથી બધું સામાન્ય લાગે છે પરંતુ અંદર વિચારોનો તોફાન ચાલતો હોય છે. માણસ ઊંઘવા માંગે છે, પણ મન બંધ થતું નથી. આંખો થાકી જાય છે, પણ વિચારો જાગતા રહે છે. એક જ ઘટના વારંવાર યાદ આવે. ભવિષ્યના ભય, ભૂતકાળની પીડા અને વર્તમાનની ખાલીપો, ત્રણેય મળીને મનને થકવી નાખે છે અને સૌથી દુઃખદ વાત એ છે કે દુનિયા ઘણીવાર આવા યુદ્ધોને “ઓવર થીંકીંગ” કહીને હળવાશથી લઈ લે છે, પરંતુ દરેક ઓવર થીંકીંગ પાછળ કોઈ ન કોઈ અધૂરી લાગણી છુપાયેલી હોય છે. કોઈએ પ્રેમ ગુમાવ્યો હોય છે. કોઈ પોતાને ગુમાવી ચૂક્યો હોય છે. કોઈ દુનિયા સામે હસે છે, પરંતુ અંદરથી સંપૂર્ણ તૂટી ગયો હોય છે. રાત્રિ એ બધું બહાર લાવે છે પરંતુ કદાચ રાત્રિનો હેતુ માણસને તોડવાનો નથી. કદાચ રાત્રિ માણસને પોતાને સમજાવવા આવે છે કારણ કે માણસ જ્યારે સંપૂર્ણ એકલો હોય છે, ત્યારે જ તે પોતાના અંદરના અવાજને સાંભળી શકે છે. દિવસ દરમિયાન દુનિયા જે પ્રશ્નો દબાવી દે છે, રાત્રિ એ પ્રશ્નોને ફરી જીવંત કરે છે અને કદાચ વિકાસ ત્યાંથી જ શરૂ થાય છે કારણ કે જે માણસ પોતાના મનના અંધકારને જોઈ શકે છે, એ જ સાચા પ્રકાશની કિંમત સમજી શકે છે.
રાત્રિના બે વાગ્યા પછી મન અલગ વિચારે છે…
કારણ કે એ સમયે માણસ
દુનિયાની વચ્ચે નથી હોતો. એ પોતાની અંદર હોય છે અને માણસ માટે પોતાની
અંદર જવું હંમેશા સૌથી લાંબી, સૌથી ગહન અને
સૌથી મુશ્કેલ યાત્રા રહી છે.
રાત્રે 2 વાગ્યા પછી દુનિયા પહેલા જેવી જ રહે છે. રસ્તાઓ એ જ હોય છે, ઘડિયાળ એ જ રીતે ચાલતી રહે છે, દિવાલો એ જ રહે છે, રૂમ પણ એ જ રહે છે. બદલાય છે તો માત્ર માણસનું મન. દિવસ દરમિયાન જે વિચારો સામાન્ય લાગે છે, એ જ વિચારો રાત્રિના બે વાગ્યા પછી અચાનક અસહ્ય ભારે લાગવા લાગે છે. જે યાદો દિવસમાં માત્ર એક ક્ષણ માટે આવે છે, એ જ યાદો રાત્રે આખા અસ્તિત્વને ઘેરી લે છે. અને કદાચ એ માટે જ ઘણા લોકો કહે છે કે “રાત્રે મન અલગ રીતે વિચારે છે.”
પરંતુ શું આ માત્ર લાગણી છે? કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક સત્ય પણ છે?
હકીકતમાં, રાત્રિના બે વાગ્યા પછી મનમાં થતો બદલાવ માત્ર કવિતાઓ કે લાગણીઓનો વિષય નથી. તેની પાછળ માનવ મગજ, હોર્મોન્સ, એકલતા, થાક અને ચેતનાની ગહન પ્રક્રિયાઓ કામ કરતી હોય છે. માણસનું મન દિવસ અને રાત્રે એકસરખું કાર્ય કરતું નથી. આપણા શરીરમાં એક Biological Clock હોય છે, જેને વિજ્ઞાનની ભાષામાં Circadian Rhythm કહેવામાં આવે છે. આ આંતરિક ઘડિયાળ નક્કી કરે છે કે ક્યારે શરીર સક્રિય રહેશે, ક્યારે થાકશે, ક્યારે હોર્મોન્સ બદલાશે અને ક્યારે મન વધારે સંવેદનશીલ બનશે.
રાત્રિના લગભગ બે વાગ્યાનો સમય એવો હોય છે
જ્યારે શરીર સૌથી વધુ થાકેલી સ્થિતિમાં હોય છે. મગજનો Prefrontal Cortex જે ભાગ Logic,
Decision Making અને Rational
Thinking માટે જવાબદાર છે તેની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે. બીજી
તરફ, Amygdala નામનો ભાગ,
જે ભય, ઈમોસન અને ઈમોસનલ
રીયેક્શન સાથે જોડાયેલો છે,
તે વધુ સક્રિય બની જાય
છે. પરિણામે માણસ તર્ક કરતાં લાગણીઓથી વધારે વિચારવા લાગે છે એટલે જ દિવસ દરમિયાન
જે સમસ્યા નાની લાગતી હતી, એ જ સમસ્યા
રાત્રે અચાનક જીવનની સૌથી મોટી મુશ્કેલી જેવી લાગવા લાગે છે. વિજ્ઞાનીઓ કહે છે
કે ઊંઘની અછત માણસના ઈમોસનલ કંટ્રોલને કમજોર બનાવી દે છે. જ્યારે શરીર થાકી જાય છે,
ત્યારે મગજ નકારાત્મક
વિચારોને વધારે ગંભીરતાથી લેવાનું શરૂ કરે છે. એટલે જ રાત્રે ઓવર થીંકીંગ વધી જાય છે.
રાત્રિનું અંધકાર બહાર ઓછું અને અંદર વધારે હોય
છે. અને કદાચ જીવનની સૌથી ગહન યાત્રા એ જ છે જ્યારે માણસ આખી
દુનિયાની વચ્ચે નહીં, પરંતુ પોતાના
મનની અંદર ઉતરવા લાગે છે. પોતાના વિચારો ઉપર ગહન વિચાર કરો અને જ્યાં ત્રુટીઓ
જોવાય ત્યાં કામ શરુ કરો તો ધીમે ધીમે નકારાત્મક વિચારો હકારાત્મકતામાં પરિવર્તિત
થઇ જશે.
લેખક: જૈમિન જોષી.
