સંવેદના
મનુષ્ય તરીકે જન્મ મળે તે એક અલૌકિક ઘટના છે.જન્મ અને મરણ કુદરતને આધીન ઘટના છે પણ તેમની વચ્ચેની તમામ ઘટનાઓ વ્યક્તિ આધારિત હોય છે.જીવનની તમામ ઘટનાઓને પોતાના સાક્ષી,સાથી,પ્રવાસી આપણે પોતે જ હોઇએ છીએ.માણસે દરેક અવસ્થાને પૂર્ણપણે જીવી જાણવી.જન્મ સાથે સપના ન હોય પરંતુ લાગણીના આવેગો ચોક્કસ હોય છે. જન્મની સાથે જ કુદરત તમને રડતાં શીખવે છે પરંતુ વ્યક્તિ જેમ-જેમ મોટો થાય તેમ રડવા પર અંકુશ રાખતા શીખીલે છે.વ્યક્તિ પોતાની લાગણીઓને સીધી રીતે વ્યક્ત કરી શકતો નથી અને જો કરે તો મહદઅંશે છેતરાય છે.દૂધનો દાઝ્યો છાશ ફૂંકી ફૂંકીને પીવે તેમ ફરી તે લાગણીઓને મુક્ત પણે વહેવા દેતો નથી.બાળપણમાં સાથે રમતા,પડતા,રડતાં ઝગડતા છતાં પરિણામે તો સાથે જ રહેતા.કુદરત તમને ક્યારેય કપટ કરતાં શીખવતો નથી.તે માણસનું પોતાના દ્વારા કરેલ સર્જન છે.પ્રકૃતિ પરિવર્તન શીખવે છે.જ્યાં સુધી તમે કોઈ પરિસ્થિતી સાથે સહમતી પ્રવાસ કરો છો ત્યાં સુધી કોઈ દુઃખ તમારા સુધી પહોચી શકતું નથી,શિશુ અવસ્થાની જેમ પરંતુ જ્યારે પ્રકૃતિના નિર્ણયોને અસ્વીકાર કરવાની વૃતિ જન્મે ત્યાં પ્રકૃતિ તેમના નિર્ણયો આપણાં પર થોપી દે છે માટે સ્વીકાર કર્યા શિવાય છૂટકો રહેતો નથી,પરંતુ તે અસ્વીકાર પીડાને જન્મ આપે છે.ઈશ્વરએ તમને સંવેદના આપી છે પરંતુ વ્યક્તિને સ(સ્વ)માં રસ નથી તેને વેદનામાં જ રસ છે.
એક તો સંસારમાં જીવવું અને કર્મનિષ્ઠ રહેવું તે અઘરું કામ છે.તેના માટે કુશળ યાત્રી બનવું પડે માટે ઉત્પન્ન થતી સંવેદનાઓ આપણને પશુઓથી અલગ પાડે છે.વૈચારિક મૌન સંબંધ સંભાળી શકે, સાચવી તો ન જ શકે.સંવેદનાને સાચવવા બંને પક્ષે સમાન સમજણ જોઈએ.સમજણ પીડાને ઓછી કરી શકે છે.એક તરફી સમજણ સહજ રીતે સહનશક્તિમાં રૂપાંતર પામતી હોય છે જે સંબંધના તાતણા ઉપર એસીડના ટપકતા ટીપા સમાન હોય છે,તેના પરિણામો જાહેર જ હોય છે.સમજણના સ્ત્રોતો અલગ-અલગ હોય છે પણ ઉપયોગ વ્યક્તિ નિર્ભર હોય છે.સાચી સમજણ યોગ્ય સંસ્કાર દ્વારા મળે છે,સંસ્કાર શિક્ષા પરથી,શિક્ષા કેળવણી પરથી અને કેળવણી અનુભવ પરથી.અનુભવ વ્યક્તિ નિર્ભર હોય છે માટે વૈચારિક સંસ્કાર પણ અલગ-અલગ હોય છે. તે પાછું આસપાસના વાતાવરણ પર નિર્ભર હોય છે જેને સામાન્ય રીતે ઉછેર માનવમાં આવતો હોય છે.
દરેક ઘટનાના અલગ-અલગ તથ્યો હોય છે.સુશીક્ષિત વ્યક્તિ તેમાથી સાચી અને સારી બાબતોનો સ્વીકાર કરી મૌન રહી ખરાબને આગળ ધકેલી મૂકે છે.તેના સાથે કુસ્તી કે વિવાદે ચડતો નથી.જીવન કોઈની સહાયતા વગર જીવી શકાતું નથી.તમારા દરેક કામ અથવા બનતી ઘટના માટે કોઇને કોઇ વ્યક્તિ જવાબદાર હોય છે.જ્યારે તમે વ્યક્તિએ કરેલ સહાયને પોતાના અહંકાર સાથે નકારની દ્રષ્ટિથી જોવો ત્યારે મનભેદ થાય છે. મન પર લાગેલા ઉઝરડા ક્યારે રૂઝાતા નથી તે યોગ્ય સમયે તેની હાજરી પુરાવી જાય છે.તૂટેલા સંબંધને વધુ ન છંછેડવા મૌનનો સહારો લેવો પડે છે.દરેક વ્યક્તિએ પોતાની જાતને એક સવાલ પુછવો જોઈએ.શું મૌન ખરેખર સંબંધ ને સાચવે છે? ના, મૌન તમારા સંબંધને ગંધાવી મૂકે છે.ગુસ્સામાં ભરાયેલ વ્યક્તિઓને મૌનનો સહારો લેવો યોગ્ય કહેવાય પરંતુ દરેક વખતે મૌનના પડખે ઊભા રહી ચૂપચાપ બધુ જોયા કરવું પડે તો પોતાના સંસ્કાર ઉપર નજર કરવી જરૂરી હોય છે.માફ કરતાં અને માફી માંગતા બંને સહજ પણે સ્વીકારવાની વૃતિ જ કોઈ પણ સબંધને સજીવન મહેકતું રાખી શકે છે કારણ કે જીવન અને સંબંધ બંને આપણાં સ્મિતના કારણ છે જે સંવેદના ઉપર આધાર રાખે છે.
જૈમીન જોષી.
No comments:
Post a Comment