Sunday, June 28, 2020

ટોળું - વૈચારિક ભરમાળ (crowd- ideological confusion)

crowd
crowd



       ટોળું શબ્દ જરા અટપટો છે. સંભવ છે કે તમે ક્યારેક ને ક્યારેક ટોળાનો ભાગ બન્યાં જ હશો. દરેક ટોળાનું પણ એક માથું કે માનસ હોતું જ હોય છે. એક જાહેર જગ્યાએ રસ્તા પર કે ફૂટપાથ પર થોડાક માણસોને એકઠા થયેલા જોઈને સ્વાભાવિક રીતે ડોકિયું કરવાનું મન થઇ જાય,પછી ધીમે ધીમે તેમાં સપડાવાં માંડીએ અને પછી જે દિશામાં ટોળું ખેંચાઈ તે દિશામાં આપણો પણ નાનો મોટો પ્રવાસ થઈ જાય.બે વ્યક્તિના ઝઘડામાં ક્યારેક આપણે પણ હાથ સાફ કર્યા હોય કે રસ્તામાં અકસ્માત થયેલ ટ્રકની થતી લૂંટમાં આપણે પણ બે-ચાર કોથળા લઈને જે મળ્યું તે આપણું તેવી ધારણા બાંધી ચોરીય કરી હોય તેવું એ બને. ભીડનો ભાગ બની લોકોને પથ્થર માર્યા હોય કે અજાણી વ્યક્તિને જાણી જોઈને બે લાતો વધારે મારી હોય એવું પણ બને.ક્યારેક પોતાના મનોરજંન અને ટાઈમપાસ માટે પણ ભીડનો ભાગ બની કોઈનો ભોગ લઈને ગર્વ અનુભવ્યો હોય તેવા કિસ્સાઓ તો બનતા જ હોય છે.

     માનસશાસ્ત્રીઓ સૂચવે છે કે વ્યક્તિના વ્યક્તિગત અને આંતરિક વર્તનમાં જે સંસ્કાર, સમજણ અને ગંભીરતા ભર્યું શુદ્ધ ચરિત્ર જોવા મળે છે. તે ખરેખર ટોળાના વર્તનમાં એક ટકો પણ હોતું નથી.વ્યક્તિગત રીતે માનવી ભલે વિવેકી અને વિચારશીલ કે ગુણીયલ હોય પણ ભાવાવેશમાં ખેંચાઈને પરિણામની પરવા કર્યા વગરનું ખુલ્લેઆમ અવિચારી વર્તન કરતા સો વખત વિચાર કરે છે અને ભાગ્યે જ ગેરવર્તણૂક કરતો હોય છે, પરંતુ જ્યારે તે ટોળામાં અવિચારી, આવેશયુક્ત, સૂચનવશ કે ઘેલછામાં આવીને ઉશ્કેરાટ ભર્યું વર્તન કરી બેસે છે. ટોળામાં તમે ગમે તેટલા સાચા અને સારા પ્રવચનો આપો કે બરાડા પાડી પાડીને ગળાને ખેંચાઈ નખાવો છતાં તમારી વાત કોઈ સાંભળવા તૈયાર હોતું નથી.દરેક વ્યક્તિ પોતાના જ ઘોંઘાટ અને ઉશ્કેરાટથી ઘેરાયેલો હોય છે.ટોળના દરેક વ્યક્તિ સાચો અને સારો જ તેવું વાતાવરણ ધારી લેવાય છે.વ્યક્તિનું વ્યક્તિત્વ ટોળામાં ખંડિત થઈ જાય છે. સામાન્ય વાત પછી ચર્ચા પછી ઝગડો પછી મારામારી અને અંતે હિંસા અને પછી ગુનો. શિક્ષણ અને સંસ્કાર ધરાવતી વ્યક્તિ ટોળામાં હોય ત્યારે એક પણ સદગુણનો ઉપયોગ કરતી નથી. ઓછેવત્તે અંશે વ્યક્તિ ભાન ભૂલીને એક ભ્રમિત માનવીની જેમ મનફાવે તેમ વર્તે છે અને બુદ્ધિથી નહીં પણ આંધળી પ્રેરણાથી દોરવાઈ છે.

     ટોળાના પ્રકાર વિશે નું વર્ગીકરણ પણ માનસશાસ્ત્રમાં જોવા મળે છે. સામાન્ય ભાષામાં ટોળું એટલે બજારમાં,ફૂટપાથ, મંદિરમાં, મેદાનમાં,ચર્ચમાં કે અન્ય ધાર્મિક સ્થળોમાં, જાહેર કાર્યક્રમોમાં

crowd
કેટલાક લોકો એકઠા થાય તે. ટોળું ક્યારેક આકસ્મિક રીતે રચાય જાય તો ક્યારેક હેતુપૂર્વક પણ હોય. દાખલા તરીકે સિનેમામાં મુવી જોવા ગયા હોવ કે કોઈ પણ ધાર્મિક સ્થળે દર્શન માટે કે શાળાના કાર્યક્રમમાં ગયા હોવ તો હેતુપૂર્વક પરંતુ બે કાર વચ્ચે થયેલો અકસ્માત કે ઝઘડો જોવા માટે કે રસ્તામાં થતાં મનોરંજન ખેલને જોવા માટે ભેગા થયેલ ટોળાને આકસ્મિક ટોળું કહે છે.આકસ્મિક ટોળાંને ભાગ્યે જ હેતુપૂર્વક ટોળામાં રૂપાંતર કરી શકાય પણ હેતુપૂર્વક ને આકસ્મિકમાં ફરતા વાર પણ ન લાગે. દાખલા તરીકે સિનેમાહોલમાં ચલચિત્ર ને માણતા માણતા બાજુમાં બેઠેલી મહિલાને ધીમેથી હાથ ઉપર સ્પર્શ થાય અને તે સ્પર્શ લાંબો ચાલે તો ચોક્કસ હેતુપૂર્વક ટોળાંને આકસ્મિકમાં રૂપાંતર પામતા વાર ન લાગે અને મનોરંજન પણ તગડો થાય.

     આક્રમક ટોળાની વર્તણૂક ક્યારેક હિંસાનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. લૂંટફાટ મકાન બાળવું, ખૂન કરવું કે બસ બાળવાના, ટાયરો બાળવાના વગેરે કાર્યો પણ આનો એક ભાગ જ છે.આક્રમક ટોળું બેજવાબદારી અને શિસ્ત વિહીન વર્તણૂક કરે છે હવે તો લૂંટફાટના ચહેરા પણ એક ટોળા સ્વરૂપે જ હોય છે. દોડાદોડ માં કોઈકને પાડી નાખે  કે કચડી નાખે તથા ધાર્મિક સ્થળોએ ધક્કામુક્કીમાં મૃત્યુ પણ પામે તેવા કેસો પણ વખતોવખત સામે આવ્યા છે.તાજા જન્મેલા વાછરડાને કલાકો પછી છુટા મુકતા ખુલ્લેઆમ કૂદકા મારી ભાગતું હોય તેવું બેજવાબદાર વર્તન અહીં જોવા મળે. 

    સામાન્ય રીતે વ્યક્તિ પોતાની અધુરી ઈચ્છાઓ, ગુસ્સો, પ્રેમ, સંવેદના, સપના અને લાગણીઓ સંજોગો વસાત પોતાની અંદર દબાવીને બેઠો હોય છે.નિયમો અને  બંધનના કારણે મન પોતાની ઇચ્છા મુજબ વર્તન કરી શકાતું નથી પરંતુ જ્યારે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે વ્યક્તિના પોતાનામાં રહેલ ભાવનાઓ ગુસ્સો અને આક્રંદના સ્વરૂપે બહાર આવે છે.તમે બંધઓરડામાં તમારા શરીરને  છૂટું મૂકી ઇચ્છા મુજબ વર્તન કરો અને પછી સ્વઅવલોકન કરો.તમે ધાર્યું પણ ન હોય તેમ તમારું શરીર વર્તન કરશે.જેમાં તમે નૃત્ય-સંગીત ,અટહાસ્ય કે રડવું જેવી ભાવનાઓ મહદંશે બહાર આવતી જોવાશે. આ કોઈ ગાંડપણ નથી પરંતુ તમારી ન જીવાંયેલી ઇચ્છાઓ નું પરિણામ છે જે અલગ-અલગ સ્વરૂપે બહાર આવે છે.

      ટોળાનું નેતૃત્વ ધારણ કરનાર વ્યક્તિનું વર્તન ઉડીને આંખે વળગે એવું જ લક્ષણ જોવા મળે છે. તેની ઓછામાં ઓછા શબ્દો બોલવાની ટેવ અને વેધક શબ્દો દ્વારા અનુયાયીઓમાં જે જાતનો
crowd
ઉશ્કેરાટ પ્રસરે છે તે ખરેખર જાદુઈ સ્વરૂપ ધરાવે છે. ચતુર વક્તા પોતાના શબ્દો દ્વારા ટોળાના મન અને મગજ ઉપર હાવી થઈને ધારે તે કરી શકે છે.શબ્દો દ્વારા વિચારક ઉર્જાનું ટ્રાન્સપરન્ટ કરી ટોળાના મનમાં એક પ્રતિમા ચિત્ર ઊભું કરી શકે છે અને અંતે ધાર્યા કાર્ય કરાવે છે. હિટલર તેનુ ઉત્તમ ઉદાહરણ છે. એક એવી પણ માન્યતા છે કે ટોળાનું સામ્રાજય સ્થપાતાં ત્યાં સંસ્કૃતિને માટે ટકી રહેવું મોટેભાગે મુશ્કેલી ભર્યું હોય છે કારણ કે ટોળું વૈચારિક કે માનસિક રીતે ભ્રમિત મનોદશા કે ગાંડપણ જેવી અવસ્થા અનુભવતું હોય છે. માટે જ વ્યક્તિ  હિંસક કે અસભ્ય ગણી શકાય તેવું વર્તન કરે છે.
     નેતા ટોળાને યોગ્ય માર્ગદર્શન કે વૈચારિક સ્થિરતા અને પ્રેરણા દ્વારા સારા કાર્ય તરફ દોરી જાય છે એ ન્યાયક પરિણામો પણ મેળવી શકે છે. ગાંધીજી તેનું ઉત્તમ ઉદાહરણ છે માટે દરેક ટોળું નુકસાનકારક જ હોય તેવું માની લેવું પણ ભૂલભરેલું હોય છે.આમ ટોળાંનું વર્તન વિવિધરંગ ધરાવતું હોય છે માત્ર યાદ રાખવા જેવુ તે છેકે ટોળાના ભાગરૂપે આપણે ગાંડપણના ભોગતો નથીને કે આપણે કોઈના છુપા હથિયાર તરીકે તો કામ નથી કરતાં કે કોઈ આપનો ઉપયોગ તો નથી કરતો તેનું પૃથક્કરણ કરી લેવું જરૂરી છે.

                                         

                                                                             જૈમીન જોષી.


No comments:

Post a Comment

મકરસંક્રાંતિ: રાશિઓ પર અસર, વૈજ્ઞાનિક કારણો અને આધ્યાત્મિક મહત્વ(મકરસંકસંબંધી: (Mamkar Sankranti : Impact on controls, exchange and the importance of this chaptik)

  મકરસંક્રાંતિ: રાશિઓ પર અસર , વૈજ્ઞાનિક કારણો અને આધ્યાત્મિક મહત્વ:                    મકરસંક્રાંતિ એ માત્ર તહેવાર નથી , તે એક એવું સંક...