Monday, January 25, 2021

માનવને તો સુખ પણ મિથ્યા લાગે. (Even happiness seems false to human beings.)

ઉગમણો એ નજરે આથમતો લાગે,
અમને તો ગોળનો કાંકરો એ ખાટો લાગે.

 
human pic

 

 

   વ્યક્તિ જીવનને અવગણીએ તો પૈસાથી ચાર વસ્તુ કદી ખરીદી શકાતી નથી. સુખ, શાંતિ, સાચા મિત્રો અને તંદુરસ્તી. આપણે સુખની ઈચ્છા રાખીએ પણ તેનું આગમન ક્યાંથી થાય તે હજુ સુધી કોઈ જાણતું નથી. કદાચ જાણી શકે પણ નહીં. બદલાતા સમય સાથે આપણે એટલું તો સ્વીકારી જ લીધું છે કે સુખ એટલે સગવડ તો નહીં જ તો પછી સુખ કોને કહેવાય? કેટલાક લોકો સાવ નવરી વેળાએ ચર્ચાએ પડ્યા હોય ત્યારે એકબીજાને ચર્ચાના ભાગરૂપે કહી બેસે છે કે યાર હવે મજા નથી આવતી.... જીવનમાં સુખ જેવું કંઇ છે જ નહી. જિંદગીની તો પથારી ફરી ગઈ છે. આપણે જે પથારીની વાત કરીએ છીએ ત્યારે જાણતા નથી કે આ પથારી સમેટવામાં લોકોએ આખી જિંદગી કાઢી નાખી છે છતાં ક્યારેય સુખનો છાંટોય અનુભવ્યો નથી. માણસ સુખની શોધમાં પ્રાર્થના કરે પછી જાહેર મેળાવડાઓમાં જાય. ગુરૂજીઓ બનાવે, ધર્મપરિવર્તન કરે, ધ્યાન કરે, એક ચોક્કસ સાત્વિક વસ્ત્રો પહેરે અને અમુક વસ્તુઓનો ત્યાગ કરે. મોટાભાગે લોકો ત્યાગ પણ તે જ વસ્તુઓનો કરતા હોય છે જે વસ્તુ ક્યારેય તેમની પાસે આવવાની હતી જ નહી કે પ્રાપ્ત કરી શકવાના હતા જ નહિ. મોટા ભાગની વસ્તુઓને આપણે લાયક નથી હોતા. અહીં ''અંગુર ખટ્ટે હૈ'' તેવી વાત હોય છે. વસ્તુત્યાગની મજા તો ત્યારે આવે જયારે તમે તે માટે સક્ષમ હોય છતાં તેનો ત્યાગ કરો. સક્ષમ વ્યક્તિ ત્યાગ કરતા પહેલા ઓછામાં ઓછો એક વખત તો ભોગ વિલાસ કરે જ છે. જેનો ઉપયોગ થઈ જ ચુક્યો છે, જેને સંપૂર્ણ માણી લીધું છે, જેની સાથે બધું જીવી અને અનુભવી લીધું છે તેનો ત્યાગ કરવામાં વળી શું મહાનતા? તમે ત્યાગ ન કરો તો પણ તેતો છૂટી જ જવાનું. તે તો પ્રકૃતિનો જ નિયમ છે. માણસ તો એક વ્યક્તિ સાથે પણ મનમેળાપ રાખી શકતું નથી તો આ તો વસ્તુઓ છે.

   આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરવાનો સીધો અને સરળ રસ્તો કે કોઈ પણ ધાર્મિક વ્યાખ્યાનો કરતા સાધુ, સંતો પાસે પહોંચી જાવ. તે તમને નવી નવી સુખની વ્યાખ્યાઓ ગરમાગરમ શાસ્ત્રો કે વેદો સાથે પીરસી દેશે. તેમાંય વળી ઠંડી છાશ જેવા શબ્દોનો ભારો તો જોઈએ એટલોતો મળતો જ રહેવાનો. 'કહેતા ભી દિવાના... સુનતા ભી દિવાના'  પ્રથમ વ્યાખ્યાનમાં જ સાચું સુખ એટલે શું? તેના ઉપર સમજણ અને સાહિત્યનો મિક્સ મસાલો જાહેરમાં ખોલશે. સાચું સુખ શબ્દ જ જટિલ છે. સાચું હોય ત્યાં ખોટાનું અસ્તિત્વ આપમેળે જ આવી જાય. ખોટું અને જુઠ્ઠું સુખ છે તો ક્યાંક આપણે સાચું સુખ તો ભોગવ્યું જ નથી એવો અર્થ થઈ જાય. આખું જીવન જીવ્યા તે શું મિથ્યા હતું? સાચું સુખ હવે તારવવું ક્યાંથી? આપણે જે સુખ માણીએ છીએ તેને તો આવા લોકો મિથ્યા ગણાવે છે. જીવનનાં ૨૫ વર્ષ જે વિદ્યાર્થીએ અભ્યાસ કરી અને નોકરી મેળવી ત્યારે મહિનાના અંતે જે મૂડી હાથમાં આવી અને તે સમયે ઉત્પન્ન થતી આંખોની ચમક શું એ મિથ્યા છે? પ્રથમ પુત્ર કે પુત્રીને હાથમાં લઇને એક નજર ટગર ટગર જોયા કરવાનું સુખ મિથ્યા છે? માતા પિતાના ખોળામાં માથું મૂકીને ઘડી બે ઘડી આંખો મીંચાઈ એ સુખ શું મિથ્યા છે? પ્રથમ વખત કોઈ જરૂરિયાતને મદદ કરતી વખતે માનવતા અનુભવવી એ શું મિથ્યા છે.?

   પ્રવૃત્તિ સાથે પ્રયોજન અને પરિણામ સંકળાયા છે પણ આપણા નયન માત્ર ને માત્ર  પ્રયોજન અને પરિણામ પર હોય તો કર્મનાં આનંદની અનુભૂતિ ક્યાંથી રહેશે. આખા દિવસના કઠોર પરિશ્રમ અને તકલીફનો સામનો કર્યા પછી સાંજે મિત્રોને મળીએ અને જે મન હળવું કરવાનો એક નાનો અવસર મળ્યા પછી જે હળવાસ અનુભવી એ તે ધ્યાન કે એકાંતને માણવાથી એ નથી મળતી. મિત્રો સાથેની એક સાંજ તમામ તકલીફોનું નિરાકરણ છે. મિત્રો સાથે જે પ્રકારે મન ઉઘાડ પામતું હોય અને તેનો આનંદ જેવો હોય તે વર્ણવી ન શકાય. સમય સાથે શરીર અને સંબંધ બગડે, અમુક વસ્તુ માંથી મન પણ ઉઠે પરંતુ અંગત મિત્રનો સાથ અંત સમય સુધી મળે તો તમે પૃથ્વી પરના સૌથી નસીબદાર વ્યક્તિ છો તેવું માનવું રહ્યું. 

   આપણે સમજદાર પ્રાણીઓ હોવાથી માનવનું સંબોધન મળ્યું. માનવે બુદ્ધિનો ઉપયોગ કરી નીતનવા પ્રયોગો દ્વારાં એક જીવનશૈલી તૈયાર કરી. હવે એજ જીવનશૈલીને તે બદલવા લાગ્યો. પેલા ભૂખ પેટની હતી હવે મનની છે, પહેલા આનંદ વહેંચવામાં આવતો હતો હવે જુટવી લેવામાં આવે છે, પહેલાં નીતિ ખવડાવવાની હતી અત્યારે ખાઈ જવાની છે, હવે દેખાડો છે નર્યો દેખાડો. આપણે રક્ષક હતા હવે ભક્ષક છીએ. હવે આપણી પાસે ભલે હથિયાર નથી છતાં અપને ઉભા ઉભા મરાવી કે લડાવી નાખવાની તાકાત ધરાવીએ છીએ. જો આપણે અન્યને ખુશ જોઈ નથી શકતા તો આપણે ક્યારેય ખુશીની અનુભૂતિ ન કરી શકીએ. આપણી વૃતિ હવે એવી થઇ ગઈ છે કે સામે અમૃત પડ્યું હોય તો પણ આપણને ઝેર લાગે. પૃથ્વી પર સુખની ગંગાઓ વહે છે જો આપણને તેમાં ડૂબકી મારતા આવડે તો. આપણને સારામાં સારી જગ્યા એ લઈને જવામાં આવે કે મનગમતું આપી દેવામાં આવે છતાં આપણે અંદરથી ખુશ હોતાં નથી. કેટલીક ખુશીઓ આપણી અત્યંત નિકટ હોવા છતાં આપણે તેને ઓળખી કે અનુભવી શકતા નથી. તેનાં માટે સ્વયં ના મન ને સુધ્ધ કરવાની જરૂર છે. તમે વર્ષોથી જે સપનાં પાછળ ભાગતા હોવ અને અચાનક તે પ્રાપ્ત થાય છતાં તમે અંદરથી ખુશ ન હોવ તો માની લેવું કે તમે તમારા લાભ માટે કેટલાયનાં મનને તોડી ને વેરવિખેર કરી નાખ્યાં છે.


                                                                                               જૈમીન જોષી.  

    

Sunday, January 17, 2021

પ્રેમ બતાવવો એ પણ એક આવડત છે.(Showing love is also a skill.)


  • પ્રેમ કરનાર કરતાં પ્રેમ જતાવનાર વ્યક્તિની વધુ પ્રશંસા થતી હોય છે, ભલે તે પ્રેમનાં નામે જૂઠાણું કેમ ન પીરસતા હોય:-

love Expression


   બે પ્રકારના માણસોથી હંમેશા ચેતવું. એક જે  પ્રેમ કરવામાં કુશળ છે અને બીજું જે પુષ્કળ પ્રેમકર્તા છે. આપણે ત્યાં પશ્ચિમનો પ્રભાવ એટલા હદ સુધી પ્રવેશી ગયો છે કે હવે આપણે દરેક સંબંધને ''ટેકન ફોર ગ્રાન્ટેડ'' લેતાં થઈ ગયા છે. એક સમય હતો જ્યારે માનવીને પ્રેમની અનુભૂતિ થતી હતી, અત્યારે માત્ર અભિવ્યક્તિ છે. અભિવ્યક્તિ આમ તો ખૂબ સરસ શબ્દ છે. વ્યક્તિ પહેલ વહેલ પ્રેમમાં પડે એટલે તેનામાં સૌથી વધુ જેની ઉણપ હોય તે અભિવ્યક્તિની જ હોય છે. પ્રેમ બતાવવો તે પણ આવડત છે. કોઈ વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ અપાવવો તે પણ એક હિમ્મતનું કામ છે અલબત્ત, આજની પેઢીમાં તે કુશળતા ઠાસી ઠાસીને ભરી છે. રાહદારીને પોતાનામાં વિશ્વાસ બેસાડી દે તેવી આજની પેઢીને અરીસો બતાવીએ તો પોતાનાથી કદરૂપું કોઈ ના જોવાય. શરીરમાં આયર્નની ઉણપ હોય તો ચલાવી લેવાય પણ પ્રેમમાં અભિવ્યક્તિની ગેરહાજરી તો ન જ ચલાવી લેવાય! પ્રેમ વ્યક્તિને વિકસાવે છે અને અભિવ્યક્તિ સંબંધને સલામતી પૂરા પાડે છે. બાળકનું પ્રેમ ક્યારેય શાબ્દિક નથી હોતો ન તો તેમના માતાપિતાનો હોય છે. તમે તમારા બાળકને ક્યારેય નહીં કહ્યું હોય કે તેને તમે કેટલો પ્રેમ કરો છો..? છતાં તમારું સંતાન તે જાણે છે, આવું કેમ? કેમ કે વ્યક્તિની વાણી કરતાં વર્તન વધુ મહત્વનું હોય છે. શબ્દોનો એક અલગ સાગર છે, પરંતુ વર્તન તેવું મીઠું ઝરણું છે જે  હંમેશા ખળખળ અવાજ સાથે વહેતું રહે છે. શુદ્ધ, પવિત્ર...

   શિક્ષણ અને પ્રેમ એ જીવનની મહત્વની કામગીરી અને જવાબદારી છે. વ્યક્તિની જાગૃતિ માટે શિક્ષણ અને પ્રેમ બંનેમાં સક્રિયતા નિતાંત આવશ્યક છે. સંબંધ બાંધવો જેટલો સરળ છે તેને જાળવી રાખવો કે નિભાવવો તેટલો જ કઠિન. કોઈ પણ સંબંધ સમર્પણ માગે છે, પરંતુ સમર્પણનો એક મહત્વનો નિયમ તે છે કે સમર્પણ કરવા માટે વ્યક્તિ સ્વયંને અર્પણ હોવો જોઈએ. જેનું પાત્ર ખાલી છે કે દાન ન કરી શકે, તેને ભિક્ષુક જ કહેવાય. તે જ પ્રમાણે વ્યક્તિની  આંતરિક અજ્ઞાનતા તેને સમર્પણ સુધી પહોંચવા જ નથી દેતી. અંધશિક્ષણ માત્ર અનુકરણ કે નકલ કરતા જ શીખવે છે માટે આપણે જે જોઈએ છે તે જ શીખીએ છીએ, જે શીખીએ છીએ તે જ શીખવીએ છીએ માટે આપણે પ્રેમની અભિવ્યક્તિની જે પદ્ધતિ શીખ્યા તે જ પ્રમાણે વર્ત્યા. જેવો પ્રેમ જોયો તેવો જ પ્રેમ આપ્યો. હવે મૂળ સવાલ એ છે કે દરેકને આપણે પસંદ કેમ નથી પડતાં? વ્યક્તિ માત્ર પ્રેમને કે અન્ય વ્યક્તિના સાથને ઝંખે છે તો બીજી બાજુ દરેક વ્યક્તિ પ્રેમ આપવા માટે તત્પર જ હોય છે છતાં એકબીજાને વાંધા પડતાં હોય છે કેમ? કેમ કે દરેક માટે પ્રેમની અભિવ્યક્તિની પદ્ધતિમાં તફાવત હોય છે. એક બીજાને અનુકૂળ થવું એટલે શું? સામે વાળી વ્યક્તિ ઈચ્છે તે પ્રમાણે વર્તન કરવું. જે દરેક માટે અનુકૂળ ન હોય. પ્રેમ હવે સરકારી યોજના જેવો થઇ ગયો છે અને સંબંધ સાક્ષરતા અભિયાન જેવો.

   આપણે કોઈ સરસ રોમેન્ટિક મુવી જોઈએ કે સરસ નવલકથા વાંચી હોય તો ક્યારેક એવી લાગણી ઉત્પન્ન થાય કે આપણે પણ આ પાત્રોમાંના એક હોત અથવા અંગત જીવનમાં આપણને પણ આવો પ્રેમ મળ્યો હોત તો કેવું સારું....!! પ્રેમનો અનુવાદ આમ તો મૂળથી અઘરો છે. કોઈ એક પાત્રને લઈને વ્યક્તિ માટે ઘડાયેલ પ્રેમની મૂર્તિ ક્યારે ચૂરેચૂરા થઈ જાય તે નક્કી ન કહેવાય. મૂર્તિ તૂટે તો વાંધો નહીં પરંતુ સાથે સાથે મન તૂટે તેને તો કેમનુ સાંખી લેવાય? જે ચહેરો આપણે સોનાનો ઝંખ્યો હોય તે તાંબાનો નીકળે તો પ્રેમની વ્યાખ્યા જ બદલાઇ જાય. ખરેખર આપણે વાસ્તવિક પ્રેમની અનુભૂતિ કરી જ નથી હોતી. વ્યક્તિપ્રેમ એ મૂર્તિપૂજા જેવું છે. આપણે ઈશ્વરની  પ્રતિભાને ઈશ્વર સમજી પૂજીએ છીએ, ઈચ્છાઓ અને માંગણી પ્રદર્શિત કરીએ, રમાડીએ, ખવડાવીએ, કાલાવાલા કરીએ, આભૂષણોથી શણગાર કરીએ, સ્નાન કરાવી નવા વસ્ત્રો એ પહેરાવીએ પરંતુ જ્યારે પ્રતિભા ક્યારેય બોલતી નથી. તે તો તેની જગ્યાએથી સ્થિત જ હોય છે. પ્રેમમાં પણ આવું જ છે. આપણે વ્યક્તિને નવા વસ્ત્રો, આભૂષણો, કાલાવાલા કે વિચારવિમર્શનો કરીએ અને પછી આપણે ધારી લઈએ કે આપણે તેને પ્રેમ કરીએ છીએ કે સમર્પિત છે પણ પથ્થર એટલે  પથ્થર..! વ્યક્તિના મન સુધી તો આ પહોચતું જ નથી. પ્રેમની અભિવ્યક્તિ બદલાઈ શકે છે અને તેમાં માધ્યમ જરૂરી હોય છે. અનુભૂતિમાં કોઈ બાહ્યક્રિયા હોતી નથી. 

   પ્રેમમાં છાની વેદના સાથે જીવવું પડે છે, સહન કરવું પડે છે, છોડવું પડે છે કે તરછોડાવવું એ પડે છે. સડસડાટ પસાર થતી કાર કાદવ ઉછાળે તો વાહન ચાલકને ડાઘો સુદ્ધાંએ  પડતો નથી. અતિશય ઝડપથી આગળ વધનાર વ્યક્તિ ક્યારેય પ્રેમ કરી શકતો નથી. તેના માટે તો રોકાવું પડે સાથે, બેસવું પડે, કે સાથે ચાલવું પડે. આમ, બોલે બોલે પ્રેમ ના થાય. આપણે તેમની વ્યાખ્યાઓને સીમિત કરી દીધી છે. પ્રેમના પડીકા નથી આવતા કે તેને બધે વેચતાં  એ ન ફરાય. પ્રેમ એ તો માતાના ઉદરમાં ઊછરતા બાળક જેવો છે, તે વિકસતો જવો જોઈએ. દુઃખના ચહેરા ન હોય પરંતુ દુઃખી કરનારના ચોક્કસ હોય. મોટાભાગે આ ચહેરાઓ જ પીડા આપતા હોય છે. 

   પ્રેમ કરનાર ચહેરાઓમાં એક ચહેરો પોતાનો હોય તો જીવન કદાચ વધુ રોમાંચિત લાગે. ક્યારેક પોતાને જ પ્રેમ કરવાની અનુભૂતિ થઈ હોય તો માની લેવું કે તમે અન્યને પ્રેમ કરવા યોગ્ય છો. 


                                                                                                                                      જૈમીન જોષી. 

Friday, January 8, 2021

કેરળના મીરાં - કુરુર અમ્મા (Mira of Kerala - Kurur Amma)


 
kurur amma

 

   સન 1570 થી 1640, 16 મી સદીના મધ્ય ભાગમાં કેરળના ત્રિસુર જિલ્લાના નંબુદિરી કુટુંબ સાથે સંકળાયેલ એક કન્યા.જે  તેની સાંસ્કૃતિક સમજશક્તિ માટે પ્રખ્યાત હતી. તે કન્યાનું પ્રથમ નામ થથરી કુટ્ટી હતું. થથરી કુટ્ટીના લગ્ન કુરુર નંબુદિરી  (મલયાલી બ્રાહ્મણ જ્ઞાતિ) કુટુંબ સાથે થયા હતા. જે ત્રિસુર નજીકના આધાથુ ગામમાં છે. થથરી કુટ્ટી 16 વર્ષની નાની વયે વિધવા બની ગઈ. તેમનું કોઈ સંતાન નહોતું અને તે ગુરુવાયરપ્પનના(વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ જે કેરળમાં પૂજાય છે) પ્રખર ભક્ત બની ગઈ હતી. તે કુરુર પરિવારની સૌથી વરિષ્ઠ સભ્ય હોવાના કારણે તે કુરુરામમા (કેરલના પ્રાદેશિક ઉચ્ચાર) તરીકે જાણીતી થઈ. તે કૃષ્ણ ભક્ત હતાં. તેમના કહેવા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ સિવાય દુનિયામાં તેમની પાસે કોઈ નથી. કૃષ્ણના તેમના નામના જાપને તેમને ભક્તિ (ભક્ત) ની ઉચ્ચતમ ડિગ્રી સુધી પહોંચાડ્યા. તેમણે માત્ર કૃષ્ણની આરાધના કરી. તેમણે સપનામાં તેને પ્રગટ થયેલા ભગવાન ગુરુવાયરપ્પનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને તેમને પૂછ્યું કે તે કયા વરદાનની ઇચ્છા રાખે છે? કુરુર અમ્માએ જવાબ આપ્યો કે તેની પાસે આ દુનિયામાં કોઈ નથી અને તેમનું કોઈ સંતાન પણ નથી માટે કૃષ્ણ તેનો પુત્ર બને અને તે યશોદાની જેમ તેમનો ત્યાગ ન કરે. કૃષ્ણ સામાન્ય સ્મિત સાથે સંમત થઈ ગયો અને એક અનાથ છોકરો તેની પાસે આવ્યો અને તેની સાથે રહેવા લાગ્યો. તે તેને ઉન્ની કહેતી હતી પરંતુ અમ્માને કદી સમજાયું નહીં કે તે કૃષ્ણ છે. તે જ્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરતાં બોલાવતા કે ભજન કરતાં ત્યારે હરિ તેમની પાસે આવી વાતો કરતાં અને દર્શન દેતા. 

      कूजयन् वेणुम् श्यामलोड़यं कुमारकः । 
      वेदवेद्यं परंब्रह्म भासताम् पुरतो मम ॥                                                                                      (નારાયણ્યા હારાથી સ્તોત્રમ્) 
                                                  (સંકલ્પ મંત્ર)                                                         
 ''જેને સ્વયં પરબ્રહ્મ કહે છે એવો આ શામળીઓ બાળકુમાર એની બંસીના મધુર સૂર છેડતો મારી આગળ પ્રગટ થાઓ ! ' આ પ્રાર્થના બોલાતાં જ બાલકૃષ્ણ એના ખોળામાં આવી બેસી જતા''. 

   તેવી દંત કથા છે કે એકવાર એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષા માંગતા માંગતા તેમના ઘરે પહોંચી ગયાં. તેને બહારથી બૂમ પાડી પણ ઘરમાં કોઈ પુરુષ હતો નહિ અને તે મર્યાદાવસ બહાર જઈ શકે તેમ ન હતાં તેથી કુરુર અમ્માએ કહ્યું : “ મહારાજ, ભોજન તૈયાર છે , પણ થાળી તમારે જાતે પીરસી લેવી પડશે. ભિક્ષુક બ્રાહ્મણ દુવિધામાં પડ્યા. પારકે ઘરે જાતે કેમનું પીરસીને ખાવું? ત્યાં તો થનગન કરતો એક બાળ કુમાર ક્યાંકથી આવી પહોંચ્યો. તેને બ્રાહ્મણને થાળી પીરસી. એ બાળકના મોં પર રમતું મધુર સ્મિત જોઈ બ્રાહ્મણની આંખો તેના મુખ પર જ ઠરી ગઈ. ભોજન ભૂલી એ ત્યાં જ બાળકના પગમાં લાંબો થઈ ગયો. બાળક અદ્રશ્ય થઈ ગયો. એ કૃષ્ણ સ્વયં હતા. તેવું પણ માનવમાં આવે છે કે તેમને એક બાળક દત્તક લીધું હતું જે કાયમ તેમની સાથે રહતો. બાળક અનાથ હતું એટલે તેમની સાથે વાતો કરતાં મસ્તી કરતાં તેને રમાડતા અને તે બાળક તેમનાં ઘરના કામ કાજમાં મદદ પણ કરતો. તે અન્ય કોઈ નહીં પણ સ્વયં કૃષ્ણ હતાં. 

  એક બીજી એ કથા છે કે એક યોગી રોજ ધ્યાનમાં બેસતા અને તે દરમિયાન કૃષ્ણ તેમના દર્શન કરતા. એક વખત એવું બન્યું કે યોગી મહારાજ ઘણા સમય સુધી ધ્યાન કરવા છતાં તેમને કૃષ્ણનાં દર્શન ના થયા. ઘણી વારે  જ્યારે એમને કૃષ્ણના દર્શન થયાં ત્યારે તેમણે કૃષ્ણને પૂછ્યું : “ હે પ્રભુ આજે દર્શન આપવામાં આટલું મોડું કેમ કર્યું ? ' ત્યારે કૃષ્ણએ કહ્યું : “ શું કરું ? કુરૂર અમ્મા છોડે તો તમારી પાસે આવું ને ? એમણે હમણાં જ મને છોડ્યો ! '
   
   તે સમયે કેરળમાં નારાયણ નામે એક મોટા સંત કવિ હતા. તેમણે મલયાલમ ભાષામાં ભાગવતના સાર રૂપ ''નારાયણીય'' નામે ભક્તિભાવથી ભરેલો સુંદર ગ્રંથ લખ્યો છે. આ ભક્તકવિ મરણપથારીએ હતા ત્યારે કુરુર અમ્મા એમની ખબર કાઢવા ગયાં. તેમને જોઈ ભક્તકવિ ખૂબ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા અમ્મા ખૂબ સારું થયું તમે આવ્યાં, હવે હું ઘડી બેઘડીનો મહેમાન છું, હવે મારા અંત સમયમાં સાથે રહેજો અને મને વિદાય આપીને જજો ! ' કુરુર અમ્માએ કહ્યું : ' ના , મારે આજે જ પાછું જવાનું છે, પરંતુ ચિંતા ના કરશો તમારી છેલ્લી ઘડીએ હું અહીં હાજર હોઈશ.’ ભક્ત કવિ નારાયણે કહ્યું : ' હું એટલું નહિ જીવું ! ' ‘અમ્મા એ કહ્યું, હું પાછી આવું ત્યાં સુધી તમે જીવવાના જ છો. ' આમ કહી કુરુર અમ્મા ચાલી ગયાં. ત્રીજે દિવસે સવારે તેઓ પાછા આવ્યાં, ત્યારે પણ નારાયણ જીવતા હતાં. કુરુર અમ્માએ કહ્યું : “ નારાયણ, તમારો વિદાય આપવાનો વખત થયો. તૈયાર થાઓ ! નારાયણ નારાયણ જપો ! ' નારાયણે પ્રસન્ન ચિત્તે નારાયણ નારાયણનો જપ કરતા કરતા દેહ છોડ્યો.
 
   આમ, કુરુર અમ્મા એ મીરાંબાઈની જેમ જ સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં વિતાવ્યું. કેરળમાં તેમના મંદિરો પણ છે અને મીરાંબાઈની જેમ તેમણે પણ ઇતિહાસમાં કૃષ્ણ ભક્ત તરીકે કાયમ માટે સ્થાન મેળવી લીધું.  

                                                                                                                                   જૈમીન જોષી. 


Wednesday, December 30, 2020

તમે શિયાળાને ક્યારેય આલિંગન આપ્યું છે..? (Have you ever embraced winter ..?)

 

  • ક્યારેક આપણે શિયાળા ને જતાં પેહલા થેંક્યું કહી આલિંગન કરવું જોઈએ:-

winter



   કોઈ એવા સખા જેની સાથે જીવ્યા હોય દોડ્યા હોય,પરોઢે એકાંતનો ભાગ બનાવ્યો હોય જેને આપણામાં ઉર્જાનો નવો સંચાર કર્યો હોય. નવા વિચારો અને આવેગો પ્રદાન કર્યા હોય તેવો પરમ સ્નેહી જાણે અચાનક જતો રહેવાનો હોય અને તેના ગણતરીના દિવસો બચ્યા હોય તો તમારામાં કેવી સંવેદનાનું પ્રાગટ્ય થાય....? ભારતનાં કેટલાય તેવા વિસ્તારો છે જ્યાં ખરેખર શિયાળો કોને કહેવાય તેની ખબર જ નથી. જેમ આપણે વસંત અને પાનખર ઋતુ વિષે પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં ભણીએ પરંતુ ખરેખર પાનખર કેવી હોય અને વસંત કોને કહેવાય તેનું પ્રત્યક્ષીકરણ તો જોયું જ નથી હોતું બસ તેમ જ ખરો શિયાળો કોને કહેવાય તેની ખબર જ નથી હોતી. પશ્ચિમી દેશોમાં તો શિયાળો શબ્દ વપરાતો જ નથી ઠંડી ના દિવસો કે શરદીના દિવસો તરીકે ઓળખવામાં આવે છે. શરદી એ કઈ ઋતુ નથી તેતો એક વાઇરસથી થતો રોગ છે અને ઠંડક એ નીચા તાપમાનની હાજરી છે માટે આ શબ્દ પ્રયોગજ ખોટો છે.
   શિયાળાના વહીવટમાં તો સૂરજને જાણે ઊગવા માટે પણ આદેશની રાહ જોવી પડે અને જો છૂપી રીતે આવી જાય તો તેની પણ ખેર નથી તેવી સ્થિતિ હોય. તેજ અને ઉષ્મા પ્રદાન કરવામાં સૂરજદાદા ઉપર જાણે ટેક્સ લગાવ્યો હોય તેમ તોલમાપ કરીને આપે. જો સુરજદાદા વધારે માનપાન માંગતા હોય તો માનવ કઈ પાછા પડે ? એટલે તેમણે તડકાના વિકલ્પરૂપે તાપણું શોધી કાઢ્યું. શહેરી વિસ્તારમાં તાપણું એટલે કચરો ભેગો કરીને ધિકાવી દેવું અને હાથ શેકી લેવાં, નકરું પ્રદૂષણ... પણ ગામડામાં તો આવું ન ચાલે. ગામડાનો શિયાળો એટલે તેની વાતજ નિરાળી. ગામડે તો ઠંડી એટલી ગુલાબી હોય કે જાણે પ્રેમિકા કપટથી વળગતી ન હોય.. સવારે માણસ ઊઠે અને ખેતરમાં જાય એટલે આછો આછો સૂર્યનો તાપ જાણે ઝાકળના બિંદુને કાનેથી મરોડી હેઠે બેસાડતો હોય તેમ લાગે. ખેતરમાં જાણે સોનું ઊગ્યું હોય તેવી હરિયાળી પથરાઈ જાય અને એ તડકાના કિરણો આપણાં પર પડતાં હોય અને હાથમાં એએએ  મસ્ત મજાની ફુદીના અને આદું નાખેલી ચાનો મસમોટો કપ પકડ્યો હોય... તેને હોઠો પર અડાડતા જ જે ઘૂંટડે ઘૂંટડે  જીભ પર ફુદીનાનો સ્વાદ છોડતો તાળવે હાથતાળી આપી નીચે ઊતરતો હોય તેની મજા જ કઈક અલગ છે. સાંજ પડે જમવાનું પતાવી માણહ તાપણે બેસે એટલે આખું ફળિયું ગ્રામ પંચાયત ભરીને બેઠું હોય તેવાં ગામના દ્રશ્ય જોવાય. તાપણાની ફરતે બેઠેલા ટોળાને વાતો કરવાના વિષયો શોધવા જવું ન પડે.

  તલાટી સાહેબે સાતબારના ઉતારાની નકલ કાઢી આપવામાં કેટલા પૈસા લીધાં. કોની દીકરી ક્યાં ભાગી ગઈ કે કોનો દીકરો વંઠી ગયો છે, કોની દીકરી સાસરે દુ:ખી છે કે કોની સાસુ જબરી છે. કૂવાનાં પાણી કેટલાં ઊંડાં ગયાં છે અને આ વખતે ઘઉં કેવા પાકશે. આજનું શિક્ષણ કેટલું છીછરું અને નિમ્ન થઈ ગયું છે, ગામની કઈ ડોશીને મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે અને કયો ડોસો હજુએ અપ લખ્ખણો થઈને ફરે છે. ગામના ક્યા ડોસાને તેની પુત્રવધુ બે ટંકના રોટલાય પૂરા ખાવા આપતી નથી અને કઈ ડોશી હજુ ઘરના ઢસરદા કરે છે. જેવા અનેક વિષયો પર તાપણાની સળીએ ચર્ચા ખોરીની નદી વહી રહી હોય ત્યારે ત્યાંથી ખસવાનું મન થતું નથી. તાપણું ઠરી ગયું હોય અને ધુમાડો આંખ - નાકને પજવતો હોય તોય વાતોનો રસ ખૂટતો ન હોય. 

   બીજી બાજુ શહેરનો શિયાળો તદ્દન અલગ હોય. સવારે સૂર્ય ઊગે કે ન ઊગે પણ પોતે પથારીમાથી  ટાટિયાં ઘસતા ઊઠવું જ પડે. ઝાકળ કરતાં ધુમ્મસ ઝાઝા હોય એટલે તડકાના અનુભવની કલ્પના માત્ર રહી. શિયાઓ આવે એટલે પહેલા કફ કરે તેજ તેની ઓળખાણ. અતિશય બીમાર કરે તેવી પ્રદુષિત હવા વધારે ઘાતકી બને. સૂર્યના સોનેરી કિરણોનો લસરકોએ અનુભવાતો ન હોય એટલે બંધ બારણે જેવી મળી તેવી ફરજના ભાગરૂપી ચાના સબડકા બોલી જાય. નોકરી ધંધાના ઠેકાણા દૂર હોય એટલે પગપાળી યાત્રા તો હોય જ નહીં એટલે કસરતને તો ભૂલી જ જવાની અને જો કોઈ કસરત કરવા વહેલા ઉઠતાં હોય તો પણ જીમખાનામા ભારે  વજન ઊચકી પરસેવે રેબજેબ થઈ જવાનું. ખોરાકનું જ્ઞાન તો હોય નહીં એટલે બાઈસેપ ફુલે ના ફુલે શ્વાસ ચોક્કસ ફૂલી જતો હોય છે. વાતા વાયરા ચામડીને એટલે હદે ફાડી નાખે કે લોહી નીકળવાં લાગે. ગોદડા જેવા સ્વેટર  શરીરમાં ચટકા મારતાં હોય તેવું એ અનુભવાય. બળ્યું ઉપરથી રાત્રે સૂઈ જવાની તૈયારી કરીએ ત્યારે થોડી ગરમી લાગતી હોય એટલે પંખો કે એસી ચાલુ કરીને સૂઈ જઈએ ; પરંતુ અડધી રાતે પાછી એકાએક ઠંડી લાગવા માંડે, ઊંઘ ઊડી જાય. અડધી ઊંઘમાંથી ઊઠીને પંખો કે એસી બંધ કરીએ, ત્યારે પછીયે ઊંધને પાછી વળવા આજીજી કરવી પડે. લાંબી અને સળંગ ઊંધની મજા તો ભરશિયાળામાં જ આવે. ક્યારે સવાર પડી જાય એની ખબરેય ન પડે. આમતો ઊંધના ટુકડા થઈ જાય છે, સવારે ઊઠીએ ત્યારે આખોના પોપચાં ભારે લાગે,સ્ફૂર્તિ બદલે સુસ્તી જેવું લાગે, ચેન પડે નહીં , દિવસ ભારેખમ અને કંટાળાજનક લાગે ઉપરથી ચિંતાઓ તો સાથી મિત્ર હોય જ એટલે દિવસની સાથે રાત એ બગડે.. ભલું થાય આ શિયાળા ભાઇનું.... એક કવિએ શિયાળા વિષે સરસ કહ્યું છે... 


હવા થઈ ભારે ને થીજી ગયો શિયાળો

શીતળ લહેરીએ લહેરાઈ ગયો શિયાળો

પહોં ફાટતાં પંખીના કલરવે ગાયો શિયાળો
હુંફાળી સેજમાંથી આળસ મરડી ઊઠયો શિયાળો

ઊંચા ઓટલે, કૂણાં તડકે બેઠયો શિયાળો
હાંફી ને હુંફાળી ચાદરમાં લપટાયો શિયાળો

ગુલાબી સાંજે નવોઢા જેમ શરમાયો શિયાળો
ઘુંઘટો તાંણ્યો રાતે, જગ, જળ, વાયુ ને થંભી ગયો શિયાળો

તાંપણે તપ્યો તોય હાડે ધ્રુજતો ઠૂંઠવાયો શિયાળો
કડે-ધડે તંદુરસ્તી નું ભાંથું બાંધી ગયો શિયાળો

                     – પ્રવિણ કે.શ્રીમાળી

   શિયાળો પોતાની સાથે ઘણું બધું લઈને આવતો હોય છે. શિયાળાની સાથે ગુંદરપાક, મેથીના લાડુ, સુખડી, સાલમપાક, તલમાંથી તૈયાર થતું કચરિયું, તલ્લીના લાડુ કે સીંગદાણા ની ચીકકી, ઊંધિયું ... આહાહા... બીટ,વટાણા- મૂળા - શક્કરિયાંની અલગ મજા. શાકભાજીના શોખીનો માટે શિયાળાની વિદાય વસમી જ થઈ પડે. રોજ સવારમાં ઊગતા ફૂલોની સુગંધ જાણે વાતાવરણ માં અત્તરનો છંટકાવ કરતી હોય તેવો આહલાદ  અનુભવ કરાવે.પ્રકૃતિ માણસને જીવવા માટે અનેક રીતે ભાતના ભાતના સ્વરૂપે ભેટો આપતી રહે છે બસ આપણ ને માણતા આવડવું જોઈએ.તમે શિયાળાને છેલ્લે ક્યારે અનુભવ્યો હતો કે પછી તમે પણ...


                                                                                                                જૈમીન જોષી. 


Wednesday, December 23, 2020

શું તમે ઈશ્વર ને સમર્પિત થયા છો? (Are you devoted to God?)

 

  • આપવું હોય તો તેવું મન આપજે પ્રભુ, કે તને હું સમર્પિત રહું...!!

Prey to God image



   અમુક લોકો એવા છે કે જેઓ સંપૂર્ણપણે ઈશ્વરને આધીન છેતેઓ ઈશ્વરના ઉપાસકો ખરા પરંતુ તેથી વધુ તે ઉપભોગીઓ છે. ઈશ્વર મહાન છે તેવું વિચારી પોતાના તમામ દુઃખોપીડાતકલીફોને ઈશ્વરના માથે ઢોળી દે છે. હે... ઈશ્વર હવે તું  મારુ ગાડું ધપાવી શકે તેમ છે... હે ઈશ્વર હવે તારા વિના મારૂ કોઈ નથી.. હે ભગવાન મને આ તકલીફ માંથી મુક્ત કર, મને બચાવી લે...હે  નાથ હું ગૂંચવાયો છુ મને માર્ગ બતાવ.. હે પ્રભુ તુજ મારો તારણ હાર છે તેવું કહી હરિભક્તો સીધા ભગવાનની શરણમાં પડતું મૂકે છે. હરિ જાલે તો કોને જાલે તેને તો એક નથી અનેક છે. ખરેખર માણસ એટલો નબળો છે કે તે પોતાના કાર્યના પરિણામને પણ સહજ સ્વીકાર કરી શકતો નથી એટલે કાતો તે ભગવાન પાસે ચમત્કારની અપેક્ષા રાખે છે અથવા હાથ ઊંચા કરી લે છેખરેખર તો તેઓ પોતાની જવાબદારીઓથી ભાગતા હોય છે. જો ઈશ્વરને જ બધું કરવું હોય તો તમારી જરૂરત શું હોયમાનવ નિર્માણનું મહત્વ શુતેની પાછળનો કઈક તો હેતુ હશે ને...?

   મેં ઘણી જગ્યાએ લોકોને ઈશ્વરની પ્રતિમા સામે જઈને હાથ જોડતાભીખ માગતાં અને રડતાંમાનતા રાખતાંધમકીઓ અને લાલચ આપતા જોયા છે. કોઈ સારા ભવિષ્ય માટે તો કોઈ પૈસા માટે, કોઈ પ્રેમ માટે તો કોઈ સારા જીવન માટેજીવન સાથી માટે તો કોઈ સંતાન માટે. કેટલાક વ્યક્તિઓ તો એટલા બધા દુખી અને નાખુશ હોય છે કે ઈશ્વર પાસે મૃત્યુની પણ માંગણી કરે છે. બસ માંગ માંગ માંગ પરંતુ ઈશ્વરે જેને આ બધુ આપ્યું છે તે શું ઈશ્વર પાસે કઈ માંગતા નથી?  જો ઈશ્વર તમારી બધી ઈચ્છાઓ પૂરી કરીદે તો શું તમે સંતુષ્ટ થઈ જશો?  જવાબ હસે ના... માણસ ક્યારેય ભરાતો નથી છતાં ઉભરાય છે.  

    માણસ પોતાના જીવનકાળ દરમિયાન સારા નરસા અનુભવોને  કારણે એક ચોક્કસ પ્રકારની મનોવૃત્તિ ધરાવતો હોય છે અને તેજ મનોવૃત્તિને વૈચારિક અને સંસ્કારિત રીતે વારસાગત આપતો હોય છે પરિણામે લોકો પોતાના સ્વઅનુભવથી શીખી શકતા નથી અને જે શીખે છે તે સત્ય અને અસત્યના માળખામાં મૂંઝવાય જાય છે. સત્કર્મ અને દુષ્કર્મની સાચી પરખમાં ગૂંચવાયા કરે છે કેમ કે તે સમય સાથે તાલમેલ દાખવી શકતા નથી. સત્કર્મની પરિભાષા શું? સાદી ભાષામાં સમજીએ...(માનવ લઘુ દ્રષ્ટિએ) જે કાર્ય જાહેરમાં થઈ શકે અને તે કામ માટે તમારી પ્રસંશા થાય તે સત્કર્મ અને જે કામ તમારે સંતાઈને કરવું પડે તે દુષ્કર્મ. કોઈના ફાયદાનું કામ કરો તો સત્કર્મ કોઈનું નુકશાન કરો તો દુષ્કર્મ... કોઈના માટે બધુ ન્યોછાવર કરી દો તે સત્કર્મ અને જો પોતાના માટે અંગત રીતે કઈક કરો તો સ્વાર્થી અને દુષ્કર્મી. મજાની વાત એ છે કે આ તમામ કર્મોની વ્યાખ્યાના બીબામાં સામે વાળા વ્યક્તિનો જ ફાયદો થવો જોઈએ પોતે દુખી થઈએ તો ચાલે પરંતુ સામે વાળો પ્રસન્ન થવો જોઈએ. તો પ્રભુ ખુશ થાય અને તમારા પર કૃપાનો વરસાદ કરે તેવું મગજમાં ઠાંસી દેવામાં આવે પરંતુ આ જે કર્મની ગુણવત્તાનું પૃક્કરણ ઈશ્વર કરતાં હોય તો લેખે પણ લાગે પણ આતો અન્ય વ્યક્તિઓ, સમાજ કે ચોક્કસ વર્ગનાં દ્રષ્ટિકોણને આધારે જ નક્કી થાય છે. જેમ અલગ અલગ રાજ્યના કાયદા અને તે પ્રમાણે સજા તેમજ અલગ અલગ પ્રદેશના સત્કર્મ અને દુષ્કર્મના નિયમો અલગ અલગ અને જો તેમના કારણો પૂછીએ તો શાસ્ત્ર નો  સહારો લઈ લેવામાં આવે છે. હવે આજના જમાનામાં લોકો પોતાના કબાટમાં પડેલા પુસ્તકો નથી જોતાં તે શાસ્ત્રોને ક્યાંથી વાચવાના અને   વાંચન કરે  તો પણ તેનું સાચું અર્થઘટન ક્યાંથી  કરવાનાં.? તેના કારણે વ્યક્તિ સમાજના ડરથી સંતાઈને કાર્ય કરશે. હવે વ્યક્તિ જે કામ સંતાઈને કરતો હોય તે તેના મનમાં દ્વેષ ઉત્પન કરતો હોય અને ઉત્પન થયેલ અપરાધ ભાવને કારણે તે પોતાને એટલો પાપી ગણી બેસતો હોય છે કે વૃદ્ધાવસ્થા આવતાં સુધીમાંતો તે ઈશ્વરના સામે ઊંચા હાથ કરી કરીને તેનું જતન કરતો હોય છે જાણે ઈશ્વર તેને સુદામા કે મીરાં સમજી આલિંગન આપવા આતુર હોય તેવી પરિસ્થિતિઓનું નિર્માણ જાહેરમાં કરે છે. તમે આવા લોકોને ભજન કીર્તન કે કથામાં ઊંચા હાથ કરી કુદતા જોયા હશે. નૃત્ય તો નટરાજ ને પણ વહાલું છે તો આપણે તો માનવ છે પરંતુ જ્યારે તેને ખોટી રીતે અંગત સ્વાર્થ અને પીડા માટે પ્રદર્શિત કરવું પડે ત્યારે તે ખોટું કહેવાય. આખા જીવનમાં ઈશ્વરને હાથ ન જોડનાર ને અચાનક અંતઃસ્ફુરણા થાય અને અધ્યાત્મિક જીવન અને શાંતિની વાતો કરે. યુવાનીમાં લેર અને અંત સમયે પ્રભુની મેર...?       

   ભગવાન દ્વેષી નથી. તેને સુખવૈભવસુંદર વસ્ત્રાલંકારશૃંગાર અને ઉત્તમ સ્વાદ તથા સુશોભનો નો ક્યારેય મોહ નથી.તે તમામ આસક્તિઓથી પર છે. તેમણે નાસ્તિક અને આસ્તિક બધા જ ઉપર સ્નેહવશ થઈ આશીર્વાદ આપ્યા છે. શાસ્ત્રોમાં તો ઉલ્લેખ પણ છે કે ઈશ્વરના હાથે મરણ પામેલા અસુરો તથા તેમના શરણમાં આવેલા પાપી ઉપભોગીઓને પણ તેમને તત્કાળ મોક્ષ આપેલ છે.

   ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર આપ્યો. આપણને કુશળતાપૂર્વક સમૃદ્ધિ આપીદુઃખ સહન કરવાની શક્તિ આપી અને સુખ ભોગવવાની પ્રવિધિઓ આપી. આ બધા વચ્ચે તેમણે આપણને શ્રદ્ધા આપી કે ક્યાંય તને અગવડ પડે તો હું તારી સાથે ઉભો રહીશ તેવો વિશ્વાસ આપ્યો છતાં આપણને સંતોષ નથી. તમે ક્યારેય અસત્ય બોલ્યા છો? તમે ક્યારે ઈશ્વર પાસે જઈને પાપ કર્મોનો હિસાબ માગ્યો છે કે તમને પણ માત્ર પુણ્યનો હિસાબ કરતા જ આવડે છે. ઈશ્વર પાસે હમેશાં આભાર માનો કે તેમણે તમને તે તમામ નબળી પરિસ્થિઓમાંથી બચાવ્યા છે જે તમારા ભાગે નથી આવી અને જે આવી છે તેમાં તેને હમેશાં સહાય કરી છે. પરિશ્રમ વગરનું તો પુણ્ય એ નકામું. ઈશ્વર પાસે માંગવુ હોય તો માંગો કે ઈશ્વર એવું જીવન આપજે અને તેવું વિશાળ મન આપજે જે તને સમર્પિત રહે.

                                                                                                                                 જૈમીન જોષી.

Tuesday, December 15, 2020

ઈસા મસીહ- મેરી ક્રિસમસ (Jesus Christ - Merry Christmas)


યુ આસમાન મે બાદલો કે બીચ તલાશ મત કર, એ દોસ્ત...
ઇસ ભીડમે નજર લગા કે દેખ, કિસીકે ચહેરે કી મુસ્કાન પે સ્વર્ગ નજર  આયેગા..!!! 


Jesus Christ - Merry Christmas image




   ક્રિસમસ ઈસાઈ ધર્મનો સૌથી મહત્વપુર્ણ અને વિશ્વનો સૌથી લોકપ્રિય તહેવાર છે. પ્રતિ વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. રપ ડિસેમ્બરે ઉજવાતો આ તહેવાર આજે દરેક જાતિ અને ધર્મમાં સમાન લોકપ્રિયતા હાંસલ કરી ચુક્યો છે. આ તહેવારની રંગારંગ, ધુમધામ અને મનોરંજનને જોઈને વધુમાં વધુ લોકો આ તહેવાર તરફ આકર્ષાઈ રહ્યા છે. ક્રિસમસ ભગવાન ઈસા મસીહ ( જેને ઈસુ ના નામથી પણ બોલાવવામાં આવે છે ) ના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ક્રિસમસ શબ્દ કાઈસ્ટ્સ અને માસ બે શબ્દોના મેળથી બનાવાયો છે, જે મધ્યકાળના અંગ્રેજી શબ્દ ક્રિસ્ટેમસે અને પુરાની અંગ્રેજી શબ્દ ક્રિસ્ટેસમૈસેથી નકલ કરવામાં આવ્યો છે. ઈ.સ. ૧૦૩૮ થી તેને ક્રિસમસ કહેવામાં આવે છે. તેમાં ક્રિસ નો અર્થ ઈસા મસીહ અને મસ નો અર્થ ઈસાઈયાં નો પ્રાર્થનામય સમુહ અર્થાત માસ છે. ઈસુના જન્મ સંબંધક નવા ટેસ્ટામેંટ અનુસાર વ્યાપક રૂપથી સ્વીકારાયેલ  ઈસાઈ પૌરાણિક કથા છે. આ કથા મુજબ પ્રભુએ મૈરી નામની એક કુંવારી છોકરી પારો ગેબ્રિયલ નામના દેવદુતને મોકલ્યો ગ્રેબિયલએ મૈરીને કહ્યું કે તે એક પ્રભુના પુત્રને જન્મ આપશે તથા પુત્રનું નામ ઈસુ રાખવામાં આવશે. તે મોટો થઈને રાજા બનશે તથા તેના રાજ્યની કોઈ સીમા નહી હોય. જે રાત્રીએ જીસસનો જન્મ થયો તે સમયે લાગેલ નિયમમુજબ પોતાના નામ પંજીકૃત કરાવવા માટે મેરી અને જોરોફ બેથલેહેમ જવા માટે રસ્તામાં હતા. તેમને કે અસ્તબલમાં શરણ લીધુ જ્યાં મેરી એ અડધી રાત્રીએ ઈસુને જન્મ આપ્યો. આ પ્રકારે ઈસુનો જન્મ થયો .
  
christmas image

   બાળક ઈસુના જન્મની સૌથી પહેલા ખબર આ દુનિયાના સૌથી નિર્ધન વર્ગના લોકોને મળી હતી. તે સખત મહેનત કરવાવાળા ગડરિયા હતા. ઠંડીની રાત્રે જયારે તેમને ખબર મળી તે ખુલા આકાશ નીચે ખતરાઓથી બેખબર સુતા પોતાની બકરી ( ઘેટાં ) ની રખવાળી કરી રહ્યા હતા. એક તારો ચમક્યો અને સર્વદૂતોના દળને ગડરિયોને ખબર આપી કે તમારા વચ્ચે એક એવા બાળકે જન્મ લીધો છે જે તમારા રાજા  થશે. પુરી દુનિયાના ગરીબો આ સાંભળીને ખુશ થયા ત્યાં જ ગરીબો પર અત્યાચાર કરનાર રાજા હેરેદિસ  નારાજ થઇ ગયો. તેણે પોતાના રાજ્યમાં ૨ વર્ષની ઉંમર સુધીના દરેક બાળકનું નિર્દયતા પુર્વક કતલ કરી નાખ્યું જેથી તેની સત્તાને ભવિષ્યમાં કોઈ એવાથી ખતરો ન રહે, ઈસુ આ શેતાનિયત ને ખતમ કરવા આવી ગયા હતા. આ કથા મહદઅંશે ક્રુષ્ણ જન્મે મળતી આવે છે.

   ઈસા મસીહએ માનવરૂપમાં જન્મ માટે કોઈ સંપન્ન વ્યકિતનું ધર પસંદ નહોતું કર્યું પણ તેમણે તો ગરીબ વ્યક્તિની ગૌશાળામાં ઘાસ પર જન્મ લીધો હતો. ખરેખર તે ગરીબ, ભોળા તથા શોષિત લોકોના ઉધ્ધાર કરવા માટે આવ્યા હતા. તે માટે જ તેમણે જન્મથી જ આવા લોકોની વચ્ચે તેમનું સ્થાન નક્કિ કર્યું જે ખરેખર મોટો સંદેશ પ્રદાન કરી રહ્યું  હતું. 

  ૩૦ વર્ષની ઉંમરમાં ઈસા મસીહ એ સામાજીક અવ્યવસ્થાના વિરુદ્ધ પોતાનો  અવાજ બુલંદ કરી તેમણે પ્રજાને દીન દુખિયા તથા લાચારોની સહાયતા કરવા, પ્રેમ ભાવથી રહેવા, લાલચ ન કરવા તથા લાલચથી દૂર રહેવા અને રાજ્ય તથા ઈશ્વરના પ્રતિ કર્તવ્યનિષ્ઠ રહેવા, જરૂરમંદ લોકોની સહાય કરવા, પોતાની જરૂરીયાત કરતા વધુ ધન સંગ્રહ ન કરવા જેવા ઉપદેશો આપ્યા. આજે ઈસા મસીહના આપેલ સંદેશાઓની પ્રાસંગિકતા ખુબ જ વધુ અને મહત્વપૂર્ણ છે, કારણ કે ભલે સામાજીક બૂરાઈઓએ પોતાનું રૂપ બદલી નાખ્યું હોય પરંતુ તે આજે પણ સમાજમાં હાજર છે અને ગરીબો, લાચાર, શોષિતો, પીડિતો અને દલિતોને તેનો શિકાર થવો પડતો હોય છે. ઇસા મસીહએ સમાજને સમાનતાના પાઠો ભણાવ્યા હતા તેમને વારંવાર કહ્યું કે તે ઈશ્વરના પુત્રો છે અને હવે આ દુનિયામાં ક્રૂરતા, અન્યાય અને બુરાઈઓ, તકલીફો છે પણ ઈશ્વરના ઘરમાં બધા બરાબર છે તેમને નવો જ સમાજ બનાવવા માટે પ્રયત્નો કર્યા અને તેને મહત્વ આપ્યું. જેમાં ક્રૂરતા તથા અન્યાય માટે જગ્યા જ ન હોય અને બધા જ પ્રેમ અને સમાનતાની સાથે રહે. 
 
   આવી જ એક કહાની બાઈબલમાં આવે છે જે એક સામરી સંપ્રદાયની સ્ત્રીની છે. જ્યારે ઈસા મસીહએ તે સ્ત્રી પાસે પીવા માટે પાણી માંગ્યુ ત્યારે તે સ્ત્રીએ કહ્યુ કે તુ યહુદી થઈને એક સામરી સ્ત્રી પાસે પીવા માટે પાણીની માંગણી કરે છે ?  ખરેખર તો યહુદી લોકો સામરિયોની સાથે કોઇ પણ પ્રકારનો વ્યવહાર રાખતા ન હતા અને તેમને કમતર ( ઉતરતા ) માનતા હતા પરંતુ ઈસાએ તે સ્ત્રીના હાથનું પાણી પીધું. ઈસા મસીહ એ દલિત, દમિત અને અસહાય લોકોને આશા અને ઈવનનો સંદેશ આપ્યો છે.  તેમણે તેમનું પુરૂ જીવન માનવ કલ્યાણમાં લગાવી દીધું આ જ કારણ હતું કે તેમણે ક્રોસ પર મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો, પરંતુ બીજાના કલ્યાણ માટે કામ કરવાવાળા મૃત્યુદંડથી ક્યારેય ભયભીત થાય છે ખરા? તેમણે હસતા હસતા પોતાના મૃત્યુદંડનો સ્વીકાર કરી પોતાના પ્રાણ અન્ય માટે ત્યજી દીધા. તેમના મૃત્યુનો પણ એક આખો પીડાદાઈ અને કરૂણ પ્રસંગ છે.

   ક્રિસમસનો તહેવાર ભૌતિક વસ્તુ અને આનંદ માટે પણ ખાસ હોય છે જેમકે ક્રિસમસ ટ્રી, સ્ટાર, ગિફ્ટ વગેરે અને  હા કેટલાક લોકો માને છે કે, ક્રિસમસના દિવસે સાંતા ક્લોઝ બાળકો માટે ઉપહાર લાવે છે . સાંતા ક્લોઝને યાદ કરવાનું ચલન શતાબ્દીથી શરૂ થયું હતું અને તે સંત નિકોલસ હતા જે તુર્કિસ્તાનના મીરા નામના શહેરના હતા. સાંતા કલોઝ લાલ તથા સફેદ ડ્રેસ પહેરીને એક વૃધ્ધ મોટો પૌરાણિક ચરિત્ર જે રેન્ડિયર સવાર થઈને તથા સમારોહમાં વિશેષ કરીને બાળકો માટે મહત્વપુર્ણ ભૂમિકા નિભાવે છે . 

christmas image



   ક્રિસમસ ખુશીઓ જેવી ઉમ્મીદો જગાવવાનો તહેવાર છે. ઈસા મરીહના જીવન અને અનેક ઉપદેશ આજે પણ એટલા પ્રાસંગિક છે કેમકે આજે પણ અમીરી ગરીબી, જાતિવાદ અને સામાજીક વિસંગતતા સમાજમાં હાજર છે. જ્યારે આપણે આપણી આસપાસ નજર ફેરવીશુ અને ગરીબ તથા લાચાર લોકોના દુઃખ દર્દ તકલીફને સમજી શકીશું અને ઈસા મસીહની જેમ પોતાના પ્રયત્ન દ્વારાં  કેટલાક ચહેરા પર થોડી  હસી લાવીશુ, બીજાના ચહેરા પણ થોડા ખુશીના આંસુ લાવીશુ તેના દુઃખના વાદળોને દૂર કરવામાં મદદ કરીશું ત્યારે આપણે ક્રિસમસની વાસ્તવિક ખુશીઓને પ્રાપ્ત કરીશું તથા તેનું મહત્વ સમજી શકીશું.

                                                                                                                               જૈમીન જોષી.

Friday, December 4, 2020

અસુરના વિશ્વકર્મા - મયાસુર (Vishwakarma of Asura - Mayasur)





mayasur picture


   વેદ અને પુરાણોમાં થયેલ ઉલ્લેખ પ્રમાણે સૃષ્ટિના સર્જનકાર વિશ્વકર્મા છે. તેમજ દેવ અને દાનવના સર્જક પણ વિશ્વકર્મા છે, પરંતુ તેવું માનવમાં આવે છે કે દાનવ એટ્લે અસુરના સ્થપતિ મય દાનવ છે. જેને મયાસુર તરીખે પણ ઓળખવામાં છે. તે ખૂબ શક્તિશાળી અને પ્રપંચી શક્તિઓથી સંપન્ન હતાં. તેમના પિતાનું નામ વિપ્રચિત્તિ હતું. મયાસુરને બે રાણીઓ હતી.જેમાં બીજી રાણી દ્વારા તેમને બે પુત્ર અને એક પુત્રી હતી. પુત્રીનું નામ મંદોદરી હતું જેને લંકા પતિ અને અશુરોના રાજા રાવણ સાથે પરણવામાં આવી. આમ મયાસુર એ રાવણના સસુર હતાં. મયાસુર અથવા મય એ હિંદુ ધર્મના મહાગ્રંથ રામાયણમાં દર્શાવ્યા અનુસાર દાનવોના રાજા તથા એક મહાન શિલ્પી પણ હતાં. તેમની રાજધાનીનું નામ મયરાષ્ટ્ર હતું. જેને પાછળથી માઈ-દંત-કા-ખિરા તરીકે અને પછી મેરાથ અને અંતે હાલમાં ઉત્તર ભારતમાં આવેલ મેરઠ તરીકે ઓળખવામાં આવે છે.

   રામાયણના ઉત્તરાકાંડ અનુસાર, રાવણનું સુંદર શહેર લંકા વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે પણ માન્યતા છે કે લંકા પોતે જ રાવણના સસુર અને મંદોદરીના પિતા મયાસુર દ્વારાં રચવામાં આવ્યું હતું તથા હનુમાનજી પ્રભુ શ્રીરામની આજ્ઞાથી માતા સિતાજીને શોધવા લંકામાં ગયા અને પછી ત્યાં આખી લંકાને પોતાની પૂછ દ્વારાં સળગાવી વિનાશ આચર્યો અને તેને રાખ કરી ત્યારે લંકા પતિ રાવણે મયાસુરની મદદથી લંકા નગરીની પુનઃ રચના કરી હતી.

   મયાસુરે તારકાસુર માટે ત્રિપુરા નામના ત્રણ સોના, ચાંદી અને લોખંડના અપ્રતિમ અને વિશાળ નગરની રચના કરી હતી જે ઉડી઼ પણ શકતા હતા. આ ત્રણે નગરો સમૃદ્ધ, શક્તિશાળી તથા દુનિયા પર પ્રભુત્વ ધરાવતા હતા. તારકાસૂરે આ ત્રણ રાજ્યો તેમના ત્રણ પુત્રો તારકક્ષા, કમલાક્ષ અને વિદ્યુનમાલીને સોંપી દીધા. આ નગરોમાં પાપાચાર વધતા ભગવાન શિવે ત્રિપુરાનો નાશ કર્યો હતો. ભગવાન શંકરે ત્રિપુરાને અગવા કરી લીધો અને અસૂરોનો નાશ કર્યો, ત્યારે મયાસુરએ અમૃતકુંડ બનાવીને બધાને જીવંત કરી દીધા હતાં, પરંતુ ભગવાન વિષ્ણુ દ્વારા આ પ્રયત્નને નિષ્ફળ કરવામાં આવ્યો પણ મય દાનવને શિવભક્ત હોવાના કારણે જીવનદાન આપવામાં આવ્યું.

   એવું માનવમાં આવે છે કે એક વાર મય દાનવ હસ્તિનાપુર નિકટ ખાંડવવનમાં વસતો હતો ત્યારે અગ્નિ દેવે તેમની ભૂખ સમાવવા વન ખાવા માંડ્યું - ભસ્મ કરવા માંડ્યું  ત્યારે અર્જુન એ  મય દાનવની રક્ષા કરી. તદુપરાંત ખાંડવપ્રસ્થના નિર્માણ વખતે જ્યારે મયાસુરનું યુદ્ધ ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન સાથે થયું ત્યારે તે પરાજિત થયો. ભગવાન  શ્રીકૃષ્ણ એ તેને અભય વરદાન આપ્યું, તથા ભગવાન શ્રીકૃષ્ણ એ તેને યુધિષ્ઠિર માટે ઇન્દ્રપ્રસ્થ નગરમાં એક ભવનનું નિર્માણ કરવા માટે આજ્ઞા કરી. આમ, પાંડવોએ જ્યારે સ્વતંત્ર રાજ્ય સ્થાપી ઇન્દ્રપ્રસ્થ રાજધાની બનાવી ત્યારે  મય દાનવે તેમને ભવ્ય ચમત્કારી મહેલ બાંધી આપ્યો. તે બાંધતાં મયને ૧૪ મહિના થયા. મહેલની રક્ષા માટે લગભગ  ૮000 અસુરોની સેના પણ આપી. તદુપરાંત અર્જુનને દેવદત્ત નામે શંખ તથા ભીમસેનને વૃષપર્વા રાજાના સમયની નામાંકિત ગદા ભેટ આપ્યાં. મયાસુરે તે વખતનો મોટામાં મોટો અને અત્યંત સુંદર તથા બેજોડ ભવન નિર્માણ કર્યો, જે મયસભા તરીકે વિખ્યાત થયો. તેણે દ્વારકાના નિર્માણમાં વિશ્વકર્માની પણ મદદ કરી હતી. તેમાંથી, ત્રિપુરાસુર શહેરનું નિર્માણ થયું અને ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિ લઈ મય દાનવ બિંદુ સરોવર ગયા. દૈત્યરાજ વૃષપર્વન યજ્ઞ નિમિત્તે બિંદુ સરોવર નજીક એક અનોખું સભાગૃહ બનાવીને માયાસૂરે ખ્યાતિ મેળવી.

   બ્રહ્મપુરાણ મુજબ, ઇન્દ્રએ શુમ્ભ અને નિશુંભના ભાઈ નમુચીની હત્યા કર્યા પછી, મયાસુરએ ઇન્દ્રને પરાજિત કરવા માટે તીવ્ર તપસ્યા કરીને અસંખ્ય માયાવી વિદ્યા પ્રાપ્ત કરી. ઈન્દ્ર ભયાનક રીતથી ગભરાઈ ગયા હતાં અને તેણે બ્રહ્મષનો વેશ ધારણ કરી મયાની પાસે પહોચ્યાં અને મિત્રતાની કેફિયત માટે તેને ફસાવી અને છેવટે તેનું સાચું સ્વરૂપ જાહેર કર્યું. મૈત્રીના બંધનમાં હોવાથી મય રાક્ષસે ઇન્દ્રને અભય વરદાન આપી તેને પણ માયાવી વિધ્યા શીખવી તથા પ્રપંચી શિસ્ત પણ શીખવી.

                                                                                                                      
                                                                                                                                       જૈમીન જોષી.





 .

Thursday, November 26, 2020

આધુનિક સામ્યતાવાદના પિતા કાર્લ માર્ક્સ (Karl Marx, the father of modern communism)


મૂડી પૈસા છે, મૂડી ચીજવસ્તુઓ છે. તેનું મૂલ્ય હોવાને કારણે તેને પોતાનું મૂલ્ય ઉમેરવાની ગુપ્ત ક્ષમતા પ્રાપ્ત કરી છે.તે જીવંત સંતાન લાવે છે અથવા ઓછામાં ઓછું સોનેરી ઈંડા આપે છે.  ~ કાર્લ માર્ક્સ  


karl marx image


 
   કોઈ પણ સમયમાં માનવસમાજને તેમની જીવન જરૂરિયાત પૂર્ણ કરવા માટે આર્થિક રીતે મજબૂત હોવું જરૂરી છે અને જો તે મજબૂત ના હોય તો થવાના પ્રયત્ન કરતાં હોય છે. માનવ સ્વયંની જરૂરિયારોને પુર્ણ કરવા માટે પરિશ્રમ કરે છે અને તે પરિશ્રમ કરવા માટેના માનવ દ્વારાં અલગ અલગ વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. દરેક માનવીને પરિશ્રમ કે પ્રારબ્ધ દ્વારાં સધ્ધરતા પ્રાપ્ત થાય છે. માનવે પાડેલ વિભાગોના સામાન્ય રીતે બે સ્તર ઉત્પન થાય છે જેમાં એક વર્ગ સત્તામાં હોય છે જે આર્થિક રીતે વધુ મજબૂત હોય છે. માનવ સ્વભાવગત જે વ્યક્તિઓ સમાજમાં આગળ પડતાં મોભા ઉપર બિરાજમાન છે તે તેમનાથી આર્થિક રીતે નીચા સ્તર ધરાવતા વ્યક્તિનું શોષણ કરે છે અને આમ સમાજનો એક મોટો વર્ગ અન્યાય સહન કરી રહ્યો છે. માનવતાને નેવે મૂકનાર વ્યક્તિઓ સમાજમાં અશક્ત વ્યક્તિઓ સાથે બેફામ વર્તન કરે છે અને પરિણામે સમાજમાં દૂષણો ઊભા થાય છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે જે આવા દૂષણો અને શોષણ ને રોકવા માટે પ્રયત્નશીલ રહે છે. કોઈ ક્રાંતિ દ્વારાં તો કોઈ ક્રુતિ (શાબ્દિક સમજાવટના રસ્તા)  દ્વારાં અશક્ત લોકોને સહાય કરવા તથા તેમનું શોષણ ના થાય તેવા પ્રયત્નો કરતાં હોય છે અને સમાજને સમયે સમયે આવા લોકો મળતા પણ રહ્યા છે. આવા જ એક આધુનિક સામ્યતાવાદના પિતા, પ્રણેતા ગણાતા વ્યક્તિ એટલે કાર્લ માર્ક્સ. 
    
   કાર્લ માર્ક્સ મૂડીવાદની વિચારધારના પ્રખર વિરોધી હતાં. તેમના મતે ઉત્પાદનોનાં તમામ સાધનોમાં ''માલિકી હદ'' ના સિદ્ધાંતના કારણે કામ કરતાં મજૂર અને માલિકો વચ્ચે અવારનવાર ઘર્ષણ સર્જાય છે  કારણ કે કામ કરતાં શ્રમજીવીઓ સાથેનો સબંધ માત્ર ને માત્ર કામના સમયગાળા પૂરતો હોય છે અને તેને આધારે તેમણે વેતન પૂરતું પાડવામાં આવતું હોય છે, પરિણામે શ્રમજીવીઓ ઉપર માત્ર કામનું ભારણ વધતું હોય છે પરંતુ કોઈ પ્રકારની મૂડી પ્રાપ્ત થતી નથી, અર્થાત ઓછું વેતન આપવામાં આવે છે. ઉત્પાદન દ્વારાં થતાં નફામાં મજૂર વર્ગનો કોઈ હિસ્સો રહેતો નથી. તેથી વિપરીત જ્યારે ખોટ જાય છે ત્યારે પણ કામ કરતાં મજૂરોને જ પૂરતું વેતન આપવામાં આવતું નથી અને કેટલીક પરિસ્થિતિઓમાં તેમણે છૂટા કરવામાં આવે છે. તેઓ માનતા કે ઉત્પાદન દ્વારાં થતાં નફામાં પણ શ્રમજીવિયાત વર્ગને એક હિસ્સો આપવો જોઈએ જેથી ગરીબી તથા અમીરી વચ્ચે સંતુલન જળવાઈ રહે.  

   કાર્લ હેન્સિક માર્ક્સ એક જર્મન યહૂદીના પુત્ર હતા અને તેનો જન્મ હાઈનલેન્ડના ટ્રીઝ નામના શહેરમાં  ૫ મી મે , ૧૮૧૮ ના દિવસે થયો હતો. તે છ વર્ષના હતા ત્યારે તેના પિતાએ સહકુટુંબ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. ઈ.સ. ૧૮૩૫ માં ૧૭ વર્ષની ઉંમરે તે કાયદાનો અભ્યાસ કરવા બોન યુનિવર્સિટીમાં ગયા અને ત્યાર પાછીના વર્ષે તે બર્લિન યુનિવર્સિટીમાં ગયા. ત્યાં તેમણે કાયદાની સાથે ઇતિહાસ અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. ઈ.સ. ૧૮૪૧ માં તેમણે જેના યુનિવર્સિટીની તત્ત્વજ્ઞાન વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. અભ્યાસ દરમીન બેરન વોન વેસ્ટફાલન નામે એક કર્મચારી હતા જેની ગણના ત્યાની સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારીઓમાં થતી હતી. તેમણે એક દીકરી હતી જેનું નામ જૈની હતું. કાર્લ માર્ક્સ તેમના પ્રેમમાં પડ્યા. કાર્લ માર્ક્સ તત્વજ્ઞાનીના અભ્યાસી અને એક સારા ચિંતનશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા અને તેમના ચિંતનમાં જૈની નું આગમન થયું. જૈની ને લઈને તે કાવ્યો રચતા અને તેમની પત્નીને રિજવતા.

  ઈ.સ.  ૧૮૪૧ માં તેમનાં બે ઊર્મિકાવ્યો પ્રસિદ્ધ થયાં. ઈ.સ. ૧૮૪૨ માં તે એક જર્મન વર્તમાનપત્રમાં કામ કરવા લાગ્યાં અને ભવિષ્યમાં તે વર્તમાનપત્રના તંત્રી પણ થયાં. ઈ.સ. ૧૮૪૩ માં તેમના કામને કારણે તેમના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ તેમના જીવનનો કપરો સમય હતો. તે દરમિયાન જર્મનીમાં રહીને કામ ન થઈ શકે તેવું  હોવાના કારણે તે પેરિસ ગયાં. ત્યાં પણ કેટલીક નિષ્ફળતા બાદ પેરિસમાં પ્રસિદ્ધ થતાં એક પત્રમાં ક્રાંતિકારી લેખો લખવા લાગ્યાં. પેરિસમાં તેમણે ફ્રેડરિક એન્જલ્સ નામનો એક મિત્ર બન્યો જે તેમના અંત સમય  સુધી તેમનો મિત્ર રહ્યો. અમુક સમય પછી તેમને પેરિસમાંથી પણ બહાર કરવામાં આવ્યા. ત્યાથી તે બ્રસેલ્સ ગયાં, પરંતુ બ્રસેલ્સમાંથી પણ ત્યાની સરકારે તેમને બહાર કર્યા. તે ફરીથી ફ્રાંસ અને જર્મની ગયાં પણ ત્યાં તેમને કોઈ સ્વીકારે કે કામ આપે તેવું કોઈ મળ્યું નહીં. 

    છેવટે ઈ.સ. ૧૮૪૫ માં તે કાયમ માટે લંડનમાં સ્થિર થયાં. આટલો બહિષ્કાર થયાં પછી પણ લંડનમાં તેના દિવસો ભયંકર ગરીબીમાં પસાર થયા. આટલું ઓછું હોય તેમ ઘરમાં બીમારીઓ એ વર્ચસ્વ જમાવ્યું અને પરિણામે બંને બાળકો મૃત્યુ પામ્યાં. કાર્લ માર્ક્સના જીવનમાં બનેલી કપરી ઘટનાએ તેમણે વધુ આક્રમક બનાવવ્યા. બાળકોના ગયાં પછી તે અને તેમની પત્ની બન્ને એ માંદગીનો સામનો કરવો પડ્યો. માર્કે આ બધી મુશ્કેલીઓ હોવા છતાં તેમનું લેખન કાર્ય ચાલુ રાખ્યું. તેમને જીવન ભર રાજકીય કાર્ય અને ઉચ્ચસ્તરીય વૈચારિક લેખન કાર્ય ચાલુ રાખ્યું. ઈ.સ. ૧૮૪૭ માં લંડન, બ્રસેલ્સ અને પેરિસના સામ્યવાદીઓની એક પરિષદ લંડનમાં મળી હતી , જેના પરિણામે આંતરરાષ્ટ્રીય ‘ સામ્યવાદી જાહેરનામું ' બહાર પાડ્યું હતું. ઈ.સ. ૧૯૪૮માં લખેલ કોમ્યુનિસ્ટ મેનફેસ્ટો વિશ્વપ્રસિદ્ધ થયું. લંડનના બ્રિટિશ તેના મિત્ર એન્જલ્સ સંપાદન કરીને ‘ દાસ કેપિટલ ' નો બીજો ભાગ ૧૮૮૫ માં અને ત્રીજા ભાગ ૧૮૯૪ માં પ્રસિદ્ધ કર્યો.‘ દાસ કેપિટલ ’  તેમણે આપેલ મહાન ગ્રંથ છે.‘ દાસ કેપિટલ ’ ‘'સામ્યવાદી જાહેરનામું ” ચાર વિભાગમાં વહેંચાયેલું હતું. માર્ક્સની પત્ની જૈની ઈ.સ. ૧૮૮૧ ની ૨ જી ડિસેમ્બરે કેન્સરના રોગથી મૃત્યુ પામી અને પંદર માસ પછી કાર્લ માર્ક્સ પણ ૧૮૮૩ ની ૧૪ મી માર્ચે ૬૫ વર્ષની ઉંમરે લંડનમાં મૃત્યુ પામ્યા. 

   કાર્લ માર્ક્સના સમયમાં નવી ઉધ્યોગપ્રધાન અર્થવ્યવસ્થા યુરોપમાં સ્થિર થવા લાગી. તે જ સમયે ગરીબી અન્યાય કારખાના અને ખાનગી મિલકતના વિરોધમાં નૈતિક,ધાર્મિક તેમજ આર્થિક ભૂમિકામાંથી અનેક વિચારક અને જુથ ઊભા થયાં હતાં. તેમની છબી એક સમાજવાદી જુથ તરીકેની હતી. તેમના કહેવા પ્રમાણે ક્રાંતિને ભૌતિક અને સાત્વિક પાયો હોવો જોઈએ અને શિષ્ટબદ્ધ પદ્ધતિએ સંઘર્ષ કરીને નવા સમાજની રચના કરવી જોઈએ અને તે મુદ્દા પર ભાર મૂક્યો. તે માને છેકે સામાજિક વ્યવહારના ગતિ નિયમ શોધી શકાય. કાર્લ માર્ક્સના વિચારો સમજવામાં એમ તો જટિલ છે અને વ્યવહારમાં તેમનો કોઈ ખાસ ઉપયોગ પણ નથી પરંતુ સરળ ભાષામાં સમજવા જઈએ તો તેમણે જીવન ભર ભોગવેલ પીડાઓ અને અન્યાય ને ખૂબ બારીકાઈથી જોયા , સમજ્યા અને અનુભવ્યા.     

   આ વર્ગીય અન્વેષણ પદ્ધતિ અનુસાર માર્ગે મૂડીવાદશાહીની અર્થશાસ્ત્રીય ટીકા કરનાર અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યા. મૂડીવાદશાહીમાં બે વર્ગ વચ્ચેનો સંઘર્ષ અંતિમ અને પરિણાત્મક બનતો હોય છે અને કામદાર વર્ગે સંગઠિત થઈને લડત આપવાથી રાજસત્તાનો કબજો કામદારવર્ગ પાસે આવી શકે એમ તેમનું કહેવું હતું, જોકે તે સંપૂર્ણ સત્ય નથી અને શક્ય પણ નથી. પ્રસ્થાપિત ઉત્પાદન સંબંધ બદલીને ઉત્પાદનનાં સાધનોની જેવા કે યંત્ર , કારખાના, ખાનગી મિલકત સંકેલવી જરૂરી હોય છે. તેમ થાય તો જ સામાજિક ક્રાંતિ થઈ શકશે એમ માર્ક્સવાદ માનતા. યુરોપમાં એકાદ  દેશમાં સંસદીય માર્ગે ક્રાંતિકારી બદલાવ કરી શકશે , પણ અન્યત્ર સંગઠિત કામદારવર્ગે લડત આપીને, વખત આવ્યું રાજ્યક્તઓના બળનો પ્રતિકાર કરીને ક્રાંતિ કરવી પડશે, એમ તેમને લાગતું હતું કારણ કે તેમના કહેવા પ્રમાણે કોઈ પણ રાજ્ય સંસ્થા એ મૂડીવાદીઓને અનુકૂળ છે. તેમના સમયમાં યુરોપમાં જ વિવિધ બળવા થયા, તેનો માર્કે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો તે પોતે તેમાંના કેટલાક પ્રયત્નો સાથે સંકળાયેલા હતાં.

   ઈતિહાસ અને તત્ત્વજ્ઞાન વિષયના લેખનનો પણ સમાવેશ માર્ક્સવાદી વિચારોમાં અર્થશાસ્ત્ર અને ક્રાંતિને પ્રાધાન્ય થાય છે. કોઈ પણ વ્યક્તિ મેહનત કરીને પોતાનું  ભરણપોષણ કરે છે અને  વસ્તુ ઉત્પાદન કરે છે. જ્યારે તે ઉત્પાદન દરમિયાન તેમની સાથે થતા બિનજરૂરી અન્યાય સામે કાર્લ માર્ક્સ એ ક્રાંતિની મસાલ સળગાવી છે. માર્ક્સના વિચારો પર અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે તથા સંપૂર્ણ પણે તેને સ્વીકૃત કરવામાં પણ નથી આવ્યાં. ૨૦ મી સદીમાં તેમના વિચારો ને વધુ વખોડવામાં આવ્યાં છે કેમ કે કેટલીક હદે તે એક પક્ષતા સાબિત કરનાર વિધાન હતાં. આર્થિક સંઘર્ષને દૂર કરવા બળવો કરવો તે કેટલી હદે શક્ય બની શકે અને તદુપરાંત મૂડીવાદીશાહીને દૂર કરવાના તે એક માત્ર માર્ગ ન જ હોય શકે. તેમ છતાં આજે પણ કેટલાય સામાન્ય વર્ગ ના શ્રમજીવી વ્યક્તિ માટે તેમના વિચાર ખૂબ મહત્વના અને અનુસરવા જેવા છે. ગમે તેટલા આક્ષેપો હોવા છતાંય તેમના સિદ્ધાંતોને સાવ અવગણી નાખવા તે યોગ્ય ના જ કહી શકાય કારણ કે સાંપ્રદ સમયમાં પણ ગરીબી રેખા હેઠળ જીવતા તથા સામાન્ય માણસને બે સમય શાંતિનું ભોજન પણ મળી રહેતું નથી અને સર્વાંગી વિકાસ પણ થઈ શકતો નથી તે સ્વીકારવું રહ્યું. માર્કનું મોટા ભાગનું લેખન કાર્ય તેના મૃત્યુ પછી તેમના મિત્ર એ પ્રકાશિત કર્યું છે. 

                                                                                                                                                                                                                                                                                    જૈમીન જોષી.    

 



















 


Sunday, November 22, 2020

ગુજરાતી મહિના અને કેલેન્ડર (Gujarati months and calendars)


પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર અને ભારતીય કેલેન્ડરમાં પથદર્શક અને મૂળ કેન્દ્ર સ્થાને છે:-   




Earth orbit



   માનવ જેમ જેમ વિકાસ પામતો થયો તેમ તેમ નવા નવા સંશોધન કરતો થયો અને કેટલીક હદ સુધી સ્થાયી થયો અને સ્થાયી જીવનમાં સમયનું મહત્વ સમજમાં આવતું ગયું. કામ કરવાનો સમય, યોગ્યતા, ઋતુચક્ર વગેરે ને સમજતો થતો અને ખોરાક માટે અનાજની ખેતી કરતો થયો તેવા સમયમાં અમુક પ્રકારની નોંધણીની જરૂરિયાત હતી એટલે તેને સમયની નોંધ કરવાનો વિચાર કર્યો. તે પ્રતિદિનની નોંધ કરતો થયો તેમાં તેને કુદરતની અમુક ચોક્કસ ઘટના વિષે અભ્યાસ કર્યો. સવારે એક ચોક્કસ સમયે સૂર્ય ઊગે અને આથમે તે પરથી તેને એક દિવસ ઠેરવ્યો. રાત્રિના સમયે તે ચંદ્રની કળા અને તારાઓની નોંધ લેતો. તારાઓ પોતાની દિશા બદલે છે કે નહીં તેની ખાતરી હતી નહીં કારણ કે આકાશમાં તારા અસંખ્ય હતા અને તેમની વચ્ચે અંતર પણ ઓછું હતું એટલે તેના વિશે કઈ ચોક્કસ અનુમાન ધારી લેવું યોગ્ય ન હતું પરંતુ કેટલાક તારાઓ ચોક્કસ દિશામાં અને ચળકાટ ધરાવતા હતા જેમ કે ઉત્તર દિશામાં ધ્રુવનો તારો, તો કેટલાક તારાઓ એક ચોક્કસ પેટર્ન ધરાવતા હતા જેમ કે સપ્તર્ષિના સાત તારની હરોળ વગેરે...  

   તદુપરાંત માનવીએ જોયું કે ચંદ્ર પંદર દિવસ ઘટતી કળા કરતો અમાસે ખોવાઈ જાય છે. તે જ રીતે પંદર દિવસ ચડતી કળા કરતો પૂનમે ચંદ્ર પૂર્ણ રૂપે પ્રકાશે છે. આ ઉપરથી માણસે ૩૦ દિવસનો મહિનો નક્કી કર્યો. વિશ્વમાં અન્ય સંસ્કૃતિઓમાં પણ આવી રીતે મહિનાનું માપ ગણાયું. પ્રાચીન રોમમાં કેવળ સૂર્યની ગતિ પરથી ૩૬પ દિવસનું વર્ષ ગણવામાં આવ્યું અને તેના આડાઅવળા બાર ભાગ પાડીને મહિના ગણાવ્યા. હિન્દુ સંકૃતિના ગુજરાતી મહિના જે કારતકથી આશો સુધીના ગણાય છે અને હિન્દુ ધર્મમાં ગ્રહો અને તારાઓ તથા ચંદ્ર કળાનું પોતાનું એક વિજ્ઞાન છે. જ્યારે અન્ય દેશ પાસે આ વિષયે પૂરતું જ્ઞાન ન હતું પરંતુ શરૂઆતમાં અરબોનો હિંદુઓ સાથે સારો વ્યવહાર હોવાથી હિંદુ વિજ્ઞાનનો તેમને લાભ મળ્યો પણ પછી ઇસ્લામમાં વિજ્ઞાનની અવગણના થતાં અરબો પાછળ રહી ગયા. તેમણે ચંદ્રથી એટલે મોટે ભાગે બીજનો ચંદ્ર દેખાય તે ઉપરથી મહિનો ગણવાની રીત અપનાવી. તેમણે વર્ષ અને મહિનાનો મેળ મેળવવાનો વિચાર કર્યો નહિ અને દિવસ, મહિના અને વર્ષનો મેળ મેળવવાના બધા પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા ત્યારે હિંદુ વિજ્ઞાનીઓએ એક અદ્દભુત શોધ કરી અને સમયનું ચક્ર પૂર્ણ રૂપે વૈજ્ઞાનિક સાબિત થયું. 

astrology



   તેમણે સમયનાં સ્થાને અંતરને અધિકરણ રાખી સમયના માપ નક્કી કર્યા એટલે કે ચંદ્ર એક પ્રદક્ષિણા કરે તેને મહિનો ગણવો. તેમાં પૃથ્વી તેની ધરી પર કેટલા આંટા ફરે છે, તે ચર્ચાને અવગણવામાં આવી. મહિનાના ત્રીસ દિવસ તેમણે ૩૬૦ અંશ - ૩૦ = ૧૨ અંશની ચંદ્રની ગતિ પ્રમાણે લઈ તેમને તિથિ નામ આપ્યું. ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે તે ગાળામાં પૃથ્વી સૂર્યની ફરતી કક્ષામાં આગળ ગતિ કરતી હોવાથી ચંદ્રને ૩૬૦ અંશ કરતાં થોડું વધારે અંતર કાપવું  પડે છે. તેથી દિવસ ૧૨ અંશ એટલે કે ૭૨૦ કલાનો નહિ પણ, ૮00 કળાનો લેવાયો. ચંદ્રનો નક્ષત્ર સમય ૨૭ દિવસનો છે એટલે કે આકાશમાં એક તારાથી ગતિ કરતો ચંદ્ર ફરી તે જ તારા પાસે ૨૭ દિવસે આવે છે, પરંતુ પૃથ્વીની ગતિને લીધે અમાસથી અમાસ થતાં ૨૯  દિવસ લાગે છે એટલે વિજ્ઞાનીઓએ દિવસની ગણતરી ૨૪ કલાકના વારનાં બદલે ૮00 કળાની તિથિ પ્રમાણે લેવાનું નક્કી કર્યું. આ રીતે ચંદ્રનો દરેક મહિનો બરાબર ૩૦ દિવસનો થયો. દરેક મહિનામાં ૧ થી ૧૪ સુદ વેદ નિશ્ચિત કળા, પૂર્ણચંદ્રની પૂનમ અને વદ ૧૪ પછી અદશ્ય ચંદ્રની અમાસ એમ પૂરા 30 દિવસ લેવાયા. દર મહિનાની પૂનમે ચંદ્ર નિશ્ચિત નક્ષત્રમાં જ આવે છે.
Nakshtra


   આમ ચંદ્ર કળા અને નક્ષત્રોને આધારે મહિનાનું નામ અપાયું. આમ એક એવી વ્યવસ્થા થઈ જેમાં મહિનાનાં નામ અને તિથિ ઉપરથી. ચંદ્ર કેવો હશે, ક્યારે ઊગશે, તેની કઈ કળા હશે તે જાણી શકાયું. ચંદ્રની તમામ ગતિવિધિ ઉપર નજર રખાઇ તેથી વિરુદ્ધ આકાશમાં ચંદ્રને જોઈને તેની તિથિ તથા મહિનો પંચાંગમાં કયા હશે તે જાણવાનું પણ શક્ય બન્યું. તેના આધારે આખું કેલેન્ડર નક્કી થયું કયા દિવસે કયો વાર આવશે, કઈ ઋતુમાં કયો મહિનો તથા પ્રકૃતિ તેમાં કઈ રીતે ભાગ ભજવે છે તે નક્કી કરવામાં આવ્યું. સૂર્યોદર અને સૂર્યાસ્થનો સમય ગાળો તેના ઉપરથી જ જાણી શકાય. આપણે સૂર્ય, ચંદ્ર, તારાની ગતિ વિધિઓ જોઈને દિશાઓ નક્કી કરવાની પદ્ધતિ પણ શીખી. કયો મહિનો કયો નક્ષત્ર તથા કયા માહિનામાં ચંદ્રની કળા કેવી હસે તેની તિથી વાર તથા દર પૂનમે સૂર્ય ચંદ્ર વચ્ચે અંતર કેટલું હસે તે નક્કી કરવાનું વિજ્ઞાન પણ નિર્માણ પામ્યું તથા કઈ રાશિ પર કેવો પ્રભાવ પડે છે તથા રાશિઓનું સર્જન અને તેમાં ભાગભજવતા નક્ષત્રો નું પણ એક ઉમદા ગણિત બહાર પડ્યું

   પ્રાચીનકાળથી હિંદુઓ દ્વારા ભારતમાં બે પ્રકારની ઘટનાક્રમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ માટે વર્ષોને કેટલીક ઔતિહાસિક ઘટનામાંથી ગણવામાં આવે છે. બીજા કેટલાક સ્વર્ગીય શરીરની સ્થિતિથી ગણતરી શરૂ કરે છે.

  ઔતિહાસિક  ઘટનાની ગણતરીની તારીખો સમય-સમય પર અને ભારતના જુદા જુદા ભાગોમાં બદલાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી સૌથી ઔતિહાસિક ઘટના, દક્ષિણના કેટલાક ભાગ અને આસપાસના ક્ષેત્રમાં વિક્રમ યુગ છે.  સક ઉપર રાજા વિક્રમાદિત્યની જીત બાદ વિક્રમ યુગની સ્થાપના થઈ હતી. આ યુગમાં ગણાયેલા વર્ષો સામાન્ય રીતે શબ્દ વિક્રમસંવત અથવા ફક્ત સંવત દ્વારા દર્શાવવામાં આવ્યા છે. તેઓ વીતેલા વર્ષો છે. ઉત્તરમાં રિવાજ દર વર્ષે ચૈત્ર (માર્ચ - એપ્રિલ) અને દરેક મહિનામાં પૂર્ણ ચંદ્રથી શરૂ થવાની છે, પરંતુ દક્ષિણના કેટલાક ભાગોમાં અને ગુજરાતમાં વર્ષ કાર્તિક (ઓક્ટોબર - નવેમ્બર) થી અને મહિનાઓ નવા ચંદ્રથી શરૂ થાય છે.  સક અથવા સાલિવાહન યુગનો ઉપયોગ હજી પણ ભારતના કેટલાક ભાગોમાં થાય છે.


Earth circulation



   સ્વર્ગીય સંસ્થાઓના સમયની ગણતરીમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારાઓ શામેલ છે.  જ્યારે રિપબ્લિક ઓફ ઇન્ડિયાએ તેના બિનસાંપ્રદાયિક જીવન માટે સૌર કેલેન્ડર અપનાવ્યું છે, તેમનું હિન્દુ ધાર્મિક જીવન પરંપરાગત હિન્દુ કેલેન્ડર દ્વારા સંચાલિત રહ્યું છે.  આ કેલેન્ડર, મુખ્યત્વે ચંદ્ર ક્રાંતિ પર આધારિત, સૂર્ય ગણતરીમાં અનુકૂળ છે.  લગભગ 29/2 દિવસની બરાબર ચંદ્ર મહિનો એ એક નવી ચંદ્રથી પછીના નવા ચંદ્ર સુધીનો સમયગાળો છે.  જે  ચંદ્ર સૂર્યના સંબંધમાં પૃથ્વીની આસપાસ એક ક્રાંતિ પૂર્ણ કરવા માટે લે છે. આ ચંદ્ર મહિનાને લગભગ બે અઠવાડિયા પ્રકાશ (એસઓઓડી) અને લગભગ બે અઠવાડિયાના અંધકાર (વીએડી) માં વહેંચવામાં આવે છે.  આ ચંદ્ર મહિનો વર્ષને સૂર્ય વર્ષ કરતા 11 દિવસ જેટલો ટૂંકા બનાવે છે, અને તેથી દર 30 મહિનામાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે જેથી 365 દિવસના સૌર વર્ષ અને 354 દિવસના ચંદ્ર વર્ષ વચ્ચેનો તફાવત સુધારી શકાય.  આ વર્ષને ચંદ્ર લીપ વર્ષ કહેવામાં આવે છે.

  જ્યારે સૌર્ય સિસ્ટમ જ્યોતિષશાસ્ત્ર માટે ખૂબ મહત્વ ધરાવે છે, જેનો દાવો કરવામાં આવે છે કે તે વ્યક્તિના જીવનને વ્યક્તિગત અથવા સામાજિક પ્રણાલીના ભાગ રૂપે સંચાલિત કરે છે, ત્યારે પવિત્ર સમયને ચંદ્ર દિવસ દ્વારા ગણવામાં આવે છે. ચંદ્ર મહિનાનો 30 મો ભાગ, મૂળ એકમ રહે છે.  આમ, ચંદ્રમાસ લગભગ 291/2 સૌર દિવસો છે.  તિથિ કુદરતી દિવસ સાથે સુસંગત નથી.  સંમેલન એ છે કે, તે તિથિએ પ્રાકૃતિક દિવસ માટે અમલમાં છે જે તે દિવસે વહેલી તકે થાય છે.  તેથી, એક તિથિ એક દિવસ પૂર્ણ થાય છે. નક્ષત્રના નામ જે મહિનાના ચંદ્ર ચક્રમાં તિથિને અનુરૂપ છે અને વાર્ષિક સૌર ચક્રમાં મહિનાના ભાગો છે તે સમયે ક્ષિતિજ પર નક્ષત્રોમાંથી ઉતરી આવ્યા છે અને તે પ્રમાણે મહિનાઓનાં નામ છે.

 ગુજરાતી ચંદ્ર મહિના:-

  •  કારતક 
  •  માગશર 
  •  પોષ 
  •  મહા
  •  ફાગણ
  •  ચૈત્ર
  •  વૈશાખ
  •  જેઠ
  •  અષાઢ 
  •  શ્રાવણ 
  •  ભાદરવો
  •  આસો 

   મૂળ રોમન વર્ષમાં 10 નામવાળી માર્ટિઅસ "માર્ચ", એપ્રિલિસ "એપ્રિલ", માઈસ "મે", જુનિયસ "જૂન", ક્વિન્ટિલિસ "જુલાઈ", સેક્સ્ટિલિસ "ઓગસ્ટ", સપ્ટેમ્બર "સપ્ટેમ્બર", ઓક્ટોબર "ઓક્ટોબર", નવેમ્બર "  નવેમ્બર ", ડિસેમ્બર" ડિસેમ્બર ", અને શિયાળામાં મૃત્યુ પામેલા બે અનામી મહિના, જ્યારે કૃષિમાં ઘણું ન થયું. વર્ષની શરૂઆત માર્ટીયસ "માર્ચ" થી થઈ. રોમન આશરે 700 બીસીના બીજા રાજા નુમા પોમ્પિલિયસે જાન્યુઆરીઅસ "જાન્યુઆરી" અને ફેબ્રુઆરીસ "ફેબ્રુઆરી" એમ બે મહિના ઉમેર્યા.  તેણે વર્ષની શરૂઆતમાં મરિયસથી જાનુઅરિયસમાં પણ સ્થળાંતર કર્યું અને કેટલાક મહિનાઓમાં દિવસોની સંખ્યા બદલીને વિચિત્ર, નસીબદાર નંબર બનાવ્યો.  ફેબ્રુઅરિયસ પછી ત્યાં ક્યારેક ક્યારેક ઇન્ટરકેલેરિસ "ઇન્ટરકેલેન્ડર" નો અતિરિક્ત મહિનો હતો. આ ફેબ્રુઆરીમાં લીપ-યર દિવસનો મૂળ છે.  46 બીસીમાં, જુલિયસ સીઝરએ ઘણા મહિનાઓમાં દિવસોની સંખ્યા બદલતા અને ઇન્ટરકેલેરિસને દૂર કરીને રોમન કેલેન્ડર (તેથી જુલિયન કેલેન્ડર) માં સુધારો કર્યો..

   વર્તમાન સ્થિતિમાં વ્યક્તિ માત્ર અંગેજી મહિનાઓને જ જાણતો હોય છે. કારતક વદ,સુદ કે માગસર સુદ જેવા તહેવારિક તિથિમાં વપરાતા શબ્દો તેને માથા ઉપરથી પસાર થઈ જાય છે. જ્યારે ક્યાંય શુભ કાર્ય કરવાનું હોય તો માત્ર ચોગડિયું જોવા માટે પણ પ્રખર બ્રહ્મનો સહારો લેવો પડે છે. જોકે હજુ પણ હિન્દુ ધર્મના પ્રસંગો પછી તે શુભ હોય કે અશુભ પરંતુ તેમાં વાર, તિથી, મુહરત, નક્ષત્રો વગેરેનો ઉપયોગ થાય છે જે આપણું મૂળ કેલેન્ડર છે.  
                          
  
                                                                                                                                      જૈમીન જોષી .










Thursday, November 19, 2020

પુરુષાર્થ વિહીન ધન (Wealth without manhood)



bramhin story image
                                                                                                                                    pic by google.com



   એક નાનકડું ગામ હતું. તે ગામની પ્રજા રાજાના સાનિધ્યમાં સુખ અને શાંતિથી પોતાનું જીવન જીવતા હતા. તે ગામમાં ભોળારામ કરીને એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. આખા ગામના લોકો સેવાભાવી હતા એટલે બ્રાહ્મણને દક્ષિણા સ્વરૂપે વખતોવખત જીવન જરૂરિયાત વસ્તુ મળી રહેતી હતી. તે બ્રાહ્મણની પડોશમાં મૂળચંદ નામે તેનો મિત્ર રહેતો હતો. પડોશી ધર્મ અને ઉપરથી મિત્રતાના કારણે બંને વ્યક્તિ વચ્ચે એક બીજાનાં સુખ દુઃખનો વાટકી વ્યવહાર રહેતો હતો. ભોળારામને એક દીકરી અને એક દીકરો હતો. દીકરી મોટી હતી. વખતની સાથે બંને બાળકો મોટા થયા અને દીકરીને લગ્ન કરવાની ઉંમર થઈ અને  સદનસીબે દીકરીને યોગ્ય મુરતિયો પણ મળી ગયો પરંતુ બ્રાહ્મણ પાસે તો બીજા અઠવાડિયાની જમવાની ગોઠવણ પણ ના હોય ત્યાં પ્રસંગ કાઢવાં જેટલી મૂડી તો ક્યાંથી હોય..?

  તે સાંજે ભોળારામ ગહન વિચારોમાં રસ્તાની એક કોરે બેઠો હતો ત્યાં તેનો મિત્ર મૂળચંદ આવ્યો. મિત્રને દુવિધામાં જોઈ તેને પૂછ્યું. 
 'કેમ ભોળા..?' શું થયું...? કેમ આમ રસ્તાની કોરે બેઠો છે..? કઈ તકલીફ છે... મિત્ર નો અવાજ સાંભળી તેને એક નજર  મૂળચંદ ઉપર ફેંકી અને પછી એક ઊંડો શ્વાસ છોડ્યો અને  મિત્રને પોતાની મૂંઝવણ વિશે પેટછૂટી વાત કરી. મૂળચંદએ ભોળારામ ની વાત સાંભળીને કહ્યું, દોસ્ત મારી પાસે એક રસ્તો છે. ગામથી લગભગ 4 માઇલ દૂર એક આશ્રમ છે ત્યાં એક સાધુ કહો કે ફકીર.. પણ કોઈ વ્યક્તિ રહે છે. સાંભળ્યું છે કે તેઓ લોકોની મદદ કરે છે. તું ત્યાં એક આંટો તો મારી આવ શું ખબર કદાચ ત્યાંથી કોઈ રસ્તો જડી જાય. 

   આ સાંભળી  ભોળા રામ ઉભો થયો. તેની આંખોમાં આશાનું એક કિરણ ઉતરી આવ્યું અને તે તરત તે ફકીર બાબાના આશ્રમે પહોંચી ગયો. આશ્રમના બહાર એક વૃક્ષ નીચે એક ફકીર શાંતિથી બેઠા હતા. ચાર પાંચ લોકો પણ તેમની તક્લીફની ચર્ચા તેમની પાસે કરતા હતા. ભોળારામ દૂરથી આ બધું જોઈ રહ્યો હતો. બધાના ગયા પછી તે ધીમે ડગલે ફકીર પાસે આવ્યા અને પોતાની મૂંઝવણ વિશે વાત કરી રડવા લાગ્યો. ભોળારામને જોઈ ફકીરને તેની દયા આવી અને તેને આંખો બંધ કરી. થોડીવાર પછી ફકીરે આખો ખોલી અને કહ્યું. અહીંથી બે માઈલ સીધા રસ્તે જા ત્યાંથી જમણી બાજુ વળી ત્યાં ખેતરોની પાસે એક ગામતળની જમીન છે, ત્યાં આંબાનું વૃક્ષ છે. આંબાના વૃક્ષની પૂર્વમાં બે ડગલે ખાડો ખોદ જે. તને તારી તકલીફોનુ સમાધાન ત્યાં મળશે અને હા આ વાત વિશે કોઈને જાણ કરીશ નહીં. 

   ભોળારામ ઉભો થયો ફકીરને પ્રણામ કરી તેના કહેવા પ્રમાણે તે દિશામાં ચાલવા લાગ્યો. આંબા પાસે પહોંચી તેને ફકીરે કહ્યું તે પ્રમાણે પૂર્વમાં બે ડગલે ખાડો ખોદી નાખ્યો. ખાડામાંથી એક નાનો ધન ભરેલો માટીનો ઘડો નીકળ્યો. આ જોઈ ભોળારામની આંખોમાં આંસુ આવી ગયા. તે ખુશ થઈ પોતાના ઘરે ગયો પત્ની ને વાત કરી અને દીકરીના લગ્ન માટે તૈયારી કરવા લાગ્યો. 

   મૂળચંદએ દીકરીની લગ્નની તૈયારી થતી જોઈ એટલે તેને ભોળારામને બોલાવી અને આટલા પૈસા ક્યાંથી આવ્યા તેમ પૂછ્યું. ભોળારામએ કહ્યું.. દોસ્ત તે કહ્યું તે પ્રમાણે હું ફકીર બાબા ને ત્યાં ગયો હતો અને તેમને મને જગ્યા બતાવી તે જગ્યા પરથી મને ધન મળ્યું. ફકીર બાબા અને તારો બંનેનો હું આભારી છું પણ તું આ વાત કોઈને કહીશ નહિ. આટલું કહી ભોળારામ આભારનેત્રે મૂળચંદને ભેટી પડ્યો. 

   મૂળચંદને આ વાત જાણીને ખુશી થઈ અને તેને પણ મિત્રને આલિંગન આપ્યું. તે સાંજે મૂળચંદ એ તેના અન્ય એક વ્યક્તિને વાતવાતમાં ભોલારામ સાથે બનેલ ઘટના વિશે વાત કરી. મૂળચંદના મિત્ર હરિપ્રસાદ ખેડૂત હતો  અને તેની જમીન  પેલા આંબાની બાજુમાં જ હતી  એટલે તે આંબા વૃક્ષ પાસે પહોંચી ગયો અને ત્યાનું પૃથક્કરણ કરી થોડા ખોટા સભૂત એકઠા કરી અને બે દિવસ પછી ભોળારામ પાસે આવી તેના ઉપર ચોરીનો આરોપ લગાવ્યો. ભોલારામ સાવ ડઘાઈ ગયો તેને થયું ફકીર બાબા એતો મને આવી કોઈ જાણકારી આપી ન હતી અને જમીન તો ગામતળની હતી તો ત્યાં દાટેલું ધન હરીપ્રસાદનું કઈ રીતે હોઈ શકે. ભોળારામે સામે વિરોધ કર્યો પરંતુ હરિપ્રસાદએ જરા પણ ઢીલ ન મૂકી અને મોટા મોટા અવાજે ઝઘડવા લાગ્યાં. લોકો ભેગા થવા લાગ્યા અને આખીય ઘટના રાજાના દરબારના સમક્ષ હાજર કરવામાં આવી.

   રાજાએ ભોળારામની આખી વાત સાંભળી પછી તેમને તે ધનનો ભરેલો ઘડો જોયો પછી મનોમંથન કરી તેને ફકીર બાબા, મૂળચંદ અને હરિપ્રસાદને બોલાવ્યાં. તેમને ફકીર બાબા ને પૂછ્યું કે તમને આ ધન વિશે ક્યાંથી ખબર પડી તો તેમને કહ્યું મને ભોળારામ ની પરિસ્થિતી પર દયા આવી એટલે મે ભગવાન નું ધ્યાન ધાર્યું અને મને ધ્યાન દરમિયાન ઈશ્વરે માર્ગ બતાવ્યો અને આ ગરીબ બ્રાહ્મણની વ્યથા જોઈ ઈશ્વરે તેમના ઉપર કૃપા કરી. 

   રાજાએ ધન સમક્ષ એક નજર કરી અને પછી સિપાહીઓને ઈશારો કર્યો... થોડી વારમાં સિપાહીઓ પાછા આવ્યા અને રાજાના કાનમાં ધીમેથી કઈ કહેવા લાગ્યાં.

   રાજાએ ફકીર સામે જોયું અને પછી બોલ્યા સિપાઈઓ મૂળચંદને એક મહિના કારાવાસમાં રાખવામાં આવે. હરિપ્રસાદને છ મહિનાની કેદ અને પચાસ કોડા મારવામાં આવે. ફકીર બાબાને 100 કોડા અને બે વર્ષનો કારાવાસ કરવામાં આવે. આવો ન્યાય જોઈ  દરબારીઓ ઉભા થઈ ગયા. કોઈને કાંઈ સમજમાં આવતું ન હતું બધા એકબીજાને સમક્ષ જોવા લાગ્યા. 
 
   આ જોઈ હરિપ્રસાદ બોલ્યા રાજા આમા મારો શું વાંક..? ધન તો ભોળારામે ચોર્યું. ફકીર બોલ્યા મેતો આ બ્રાહ્મણની સહાયતા કરી છે માટે હું દંડનો અધિકારી ક્યાંથી થયો? મૂળચંદ તો સીધો રાજાના પગે જ પડ્યો. રાજા હું તો મિત્રોને સહાય કરતો હતો. મેતો  ધન ઉપર નજર સુદ્ધાંએ નથી કરી અને મિત્રના કોઈ કાર્યમાં હસ્તક્ષેપ પણ કર્યો નથી તો હું કયા આધારે દંડને પાત્ર ગણાવું?

   રાજા આ સાંભળી હસવા લાગ્યા અને કહ્યુ કે ફકીર તને કોઈ ઈશ્વરનો સાક્ષાત્કાર થયો નથી. તે ભલે ભોળારામની સહાયતા કરવા માટે માર્ગ બતાવ્યો પરંતુ આ ધન ચોરીનું છે જે તે આજથી બે વર્ષ પહેલાં ચોરાવ્યૂ હતું અને તેના પુરાવા મારી પાસે છે.તે અત્યારે ભલે ફકીર ધર્મ અપનાવ્યો હોય પરંતુ તેનાથી તારા જૂના કર્મો નાશ થતાં નથી. હરિપ્રસાદ તે પર ધન જોઈને  લોભને વશ થઈ, તે આ ધન ઉપર ખોટો અધિકાર જમાવવાનો પ્રયત્ન કર્યો માટે તુ દોષિત છે. આ જોઈ મૂળચંદ રાજા સામે નિર્દોષભાવે જોઈ રહ્યો ત્યારે રાજાએ કહ્યું હે મુલચંદ.. તે પાડોશી અને મિત્ર ધર્મનો અનાદર કર્યો છે. તે ભોળા રામ ને ખોટો માર્ગ બતાવ્યો અને તેને તારા ઉપર મુકેલ વિશ્વાસ ને પણ તોડ્યો માટે તું વિશ્વાસઘાતી છે માટે તું દંડ ને યોગ્ય છે. 
 
   આ સાંભળી દરબારીઓ રાજાનો જયનાદ બોલાવવાં લાગ્યાં. રાજાની જય જયકાર કરવા લાગ્યા ત્યારે રાજાએ ભોળારામ સામે જોયું અને કહ્યું  ભોળારામ તે પારકા ધન ઉપર છૂપી રીતે અધિકાર જમાવ્યો અને અંધશ્રદ્ધાને વસ થઈ ચોરીના ધનને છુપાવવાનો ગુનો કર્યો છે માટે આ ધન તારી પાસેથી લેવામાં આવે છે અને તને સાત દિવસની કારાવાસની સજા કરવામાં આવે છે. વાત રહી તારી દીકરીના લગ્નની તો તે આ રાજ્યની દીકરી છે અને તે પ્રમાણે હું પણ તેના પિતાતુલ્ય છું માટે તારા દીકરીના લગ્ન હું કરાવીશ. રાજાનો ફરી એક વાર જય જય કાર  થવા લાગ્યું. 

   આ કહાની આમતો સાવ નાની છે પરંતુ આપના જીવનને બોધ આપનારી છે. આ કહાની આપણને ત્રણ વાત શીખવે છે એક કે ક્યારેય પારકા ધન ઉપર નજર ના કરવી અને લોભ ના કરવો ,બીજું  માણસ એ વર્તમાન સમયમાં ગમે તેટલા પુણ્ય કર્યા હોય પરંતુ ભૂતકાળમાં કરેલ ખરાબ કર્મ તેનો પીછો છોડતા નથી.. કર્મના સિદ્ધાંતમાં ક્યારેય બાદબાકી થતી નથી સમય સમયે સારા નરશા કર્મોના ફળ માનવએ ભોગવવવા જ પડે છે અને ત્રીજું કે ક્યારેય સ્વજન સાથે વિશ્વાસઘાત ના કરવો. કોઈ પણ સંબંધ વિશ્વાસ નામના પૈડાં ઉપર સવાર હોય છે એમાં જરા પણ તિરાડ માનવતાને ઊથલાવી નાખે છે. આપણાં ઉપર કોઈ દ્વારા કરેલ ભરોસો એ માનવતાએ આપણને સાચવવા આપેલ જવાદારી છે. 

                                                                                                                                 જૈમીન જોષી. 

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...